કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ
ખંડ ગુજરાત આજે મતદાન કરશે. ખંડ એ અર્થમાં કે આ તો પહેલો દોર છે. બીજો અને છેલ્લો દોર હજુ પાંચ દિવસ પછી હશે. પણ આ તો ‘ખંડ’ એ પ્રયોગનો સાચો પણ ઉભડક-ઉપલક અર્થ થયો. કેન્દ્રમાં વચલાં કેટલાંક વરસ મિશ્ર સરકારનાં ગયાં. તે વખતે એક લાગણી (અને વાસ્તવિકતા પણ) એ હતી કે જનાદેશ ફ્રૅક્ચર્ડ કહેતાં વિખંડિત રહેતો. આજે ગુજરાત અને ભારત બેઉ સ્તરે પૂર્ણ બહુમતપૂર્વકની – અને એ રીતે અખંડ – સરકારો છે. પણ ખબર નથી, ગુજરાતના સમાન્ય મતદાર બાંધવો પૈકી કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ.
એક વિખંડિતતા તો ગાંધીનગર અને નવી દિલ્હીની વર્તમાન સરકારોમાં લગભગ ગળથૂથીગત જેવી છે. એને નઠારા ‘ધ અધર’ વગર સોરવાતું નથી એટલે ધર્મને ધોરણે રાષ્ટ્રની વ્યાખ્યાપૂર્વક એક નિત્યશત્રુ એણે નક્કી કરેલ અને નિર્ધારેલ છે. એક ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જ્યારે ચૂંટણીમાં ‘રાષ્ટ્રવાદી’ઓની કૃષ્ણછાયા બાબતે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા ત્યારે સ્વાભાવિક જ એમના ચિત્તમાં આ ‘અધરામૃત’ની વિષાક્ત-વિભાજક સંભાવનાઓ હશે.
અલબત્ત, એમનું આ રીતે કહેવું, સત્યાંશ સંભાવના છતાં, ‘પોલિટકલી કરેક્ટ’ ઉર્ફે રાજ્કીય રીતે સલાહસગવડવાળું નહોતું અને સ્પિનોડીને સારુ તો એમાં બખ્ખેબખ્ખા હતા. ખ્રિસ્તી ધર્માધ્યક્ષ રાજકારણના ખેલાડી નહીં એટલે એ કાં તો આ વાનું વીસરી ગયા, કે પછી પોતે ઉમેદવાર નહીં અને ગુજરાતમાં ખ્રિસ્તી સમાજની કોઈ નિર્ણાયક હાજરી નહીં એટલે વ્યાપક અભિગમપૂર્વક એમને આ કહેવાનું સાહસ સૂજી રહ્યું હશે, એવા અનુમાનને પણ અવકાશ છે.
પણ એમણે જે ચિંતા વ્યક્ત કરી એમાં રાષ્ટ્રવાદને નામે વિખંડનની રાજનીતિ જોતાં સચ્ચાઈ નથી એવું કહી શકાતું નથી. આ સચ્ચાઈ બોલી બતાવવામાં નાગરિક દૃષ્ટિએ વિચારતાં વિખંડનને બદલે અખંડ–સમગ્ર રીતે પ્રીછવા જોગ એક મૂલ્ય ચોક્કસ પડેલું છે.
પણ વિખંડન બાબતે નાગરિક ચિંતા માત્ર આટલા પૂરતી સીમિત નથી. જેને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા કરવાની રાજનીતિ હાલનો સત્તાપક્ષ કરે છે તે હિંદુસમાજને જ્ઞાતિગત ધોરણે ઊંચનીચની મૂર્છા સ્વરાજસિત્તેરી પછી પણ ઊતરી નથી. હિંદુ હોવાને ધોરણે ગોળબંદ થયા પછી પણ, નઠારા ‘ધ અધર’ની તીવ્રતા કંઈક ઓછી થાય ન થાય કે તરત ઊંચનીચનો ખ્યાલ ઢેકો કાઢ્યા વગર રહેતો નથી.
નાગરિક અપીલ પર હિંદુ અપીલ હાવી થાય ન થાય અને નાતજાતની અપીલ એકદમ સામે આવે છે. એમાંથી ઓળખનું રાજકારણ એવી રીતે બહાર આવે છે કે રાષ્ટ્રીય પોત સુઘટ્ટ થવાની નાગરિક પ્રક્રિયા પાછી પડે છે.
મજ્જાગત એવાં આ ઊંચનીચ, પછીથી, એવાં એવાં સ્પિન વાસ્તે પીચ પૂરી પાડે છે જે ન તો ઈષ્ટ હોય, ન તો અભીષ્ટ હોય. તમે આટલા નીચે કેમ જાઓ છો એવો મુદ્દો ઉપસ્થિત કરવા માટે અંગ્રેજીના તરજુમાશાઈ ગોથામાં મણિશંકર અય્યરે ‘નીચ’ પ્રયોગ કર્યો અને ભાષાચૂક એટલી જ જીભચૂક સાથે એમણે બાણું લાખ વૈખરીના ઘણીને આઠો પ્રહર સ્પિનની સવલત કરી આપી. કૉંગ્રેસે અય્યરને સસ્પેન્ડ કર્યા, પણ બુંદસે ગઈ હોજ સે નહીં આતી – અને ભાજપ આ પ્રકારના ઉદ્્ગારોવાળી એક આખી બીજી હરોળ અને ટ્વિટસેના નભાવે છે એ મુદ્દો પણ કોઈક મનોવૈજ્ઞાનિક ક્ષણે ગૌણ થઈ જાય છે.
2017ના ગુજરાતમાં જે રીતે પાટીદાર, ઓબીસી અને દલિત સમુદાયો ‘રાજકીય હિંદુ’ મટતા મામૂલ પડે છે એમાં કોમી ગોળબંદને ધોરણે થતાં એકત્રીકરણ(અને કોમી રાહે વિખંડન)ની કળ વળવાનાં ચિહ્ન હોય તો પણ વ્યાપક નાગરિક વલણની દૃષ્ટિએ આ પ્રક્રિયા સારુ દિલ્હી હજી પૂરતું નજીક નથી. ભલે સુદૂર ન હોય, દૂર તો છે જ. તેમ છતાં, ધીમી પણ એક સ્વાગતાર્હ શક્યતા ખૂલી છે.
પાટીદાર આંદોલન વળ અને આમળા ખાઈ ખાઈને આજે દલિત-ઓબીસી જોગવાઈઓના સમાદરપૂર્વક પોતાની હકમાંગને સમાયોજવાનું વલણ દાખવી રહ્યું છે એને જરૂર એક નાગરિક ઉન્મેષરૂપે ઘટાવી શકીએ. અલબત્ત, બેઉ છેડાની શક્યતાઓનો દોર હજુ એણે નિર્ણાયકપણે વટાવ્યો નથી. કિસન સોસા જેને રણ તરફ કે નદી તરફ એવી નિર્ણાયક ક્ષણ લેખે વર્ણવવી પસંદ કરે એ તરેહની પરિસ્થિતિ આ છે. વિધાયક વિકલ્પબારી ખૂલી છે પણ ખેંચાણ બેઉ છેડાના છે.
બેઉ છેડાનાં ખેંચાણ અને સત્યનિરપેક્ષ સ્પિનસાલારોના દુર્દૈવ વાસ્તવ વચ્ચે આજે ખંડ ગુજરાતે મતદાન કરવાનું છે ત્યારે એની નજર સમક્ષ અખંડ-અભંગ મુદ્દો શો હોવો જોઈએ, એ સવાલનો જવાબ આમ તો સાવ સાદો છે. એટલો બધો સાદો કે તે બોલી બતાવવા સારુ આપણી વચ્ચે ‘એલિમેન્ટરી, માય ડિયર વોટ્સન’–ખ્યાત કોઈ શેરલોક હોમ્સનુંયે હોવું અનિવાર્ય નથી. સાદો મુદ્દો આ છે – ભાઈ, તમે કેન્દ્રનાં દસ વરસ અને ગાંધીનગરનાં વીસ વરસનાં કામને ધોરણે સરખો જવાબ તો આપો.
તરેહવાર સ્પિન-શોરમાં અને દબંગ માહોલમાં ડૂબી જાય એવો આ સવાલ છે, અને વિકાસની મરીચિકા સમજાવા છતાં ઝાંઝવાનાં ભળતાં સળતાં ખેંચાણે મતદાનની ગુંજાશ બરકરાર રહે એવો આ માહોલ છે.
જે એક પરિપ્રેક્ષ્ય હાલના પરિદૃશ્યમાં કેળવવા જોગ છે તે વસ્તુત: આ સવાલ-દાર ભૂમિકા સાથે અને ઉપરાંત એ છે કે અત્યારે મતદારે ભાજપ વિ. કૉંગ્રેસ કે કૉંગ્રેસ વિ. ભાજપ – એ ધોરણે પરિચાલિત થવા કરતાં પણ સવિશેષ તો અખંડ ગુજરાત અને રૂંવે રૂંવે નાગરિકને ધોરણે વિચારવાપણું છે. આ અખંડ અલબત્ત ભારતનું સહજ અંગ છે એ જુદું કહેવાની જરૂર ન હોય. પ્રધાનમંત્રીએ ‘ગુજરાતના પુત્ર’ તરીકે દાવેદારી ન કરવાની હોય, જો એ ભારતીય નાગરિક હોય તો! ભૂતકાળમાં પણ કથિત ‘ગુજરાત મોડેલ’ની ટીથિંગ ટ્રબલ્સ વખતે એમણે આવો ખેલ પાડેલ છે.
લોકની સ્મૃિત પેલી કહેતી પ્રમાણે ટૂંકી હોય છે એટલે જરી સમજ ખાતર થોડું સંભારી લઈએ તે ઠીક રહેશે. રાજ્ય સરકાર જ્યારે નિ:શાસન કે દુ:શાસન તરીકે ટીકાપાત્ર બની ત્યારે ટીકાકારને ગુજરાતશત્રુ તરીકે અને સરકારની ટીકાને ગુજરાતદ્રોહી તરીકે ચીતરવાનું વલણ, દુ:શાસન મૂરતને દાબી દેવા સારુ કર્ણબધિર ગૌરવનાદ, ચૂંટણી પંચ – લઘુમતી પંચ – માનવ અધિકાર પંચ જાણે વિપક્ષ જ નહીં ‘બહાર’નાં હોય એમ એમની સામે શત્રુબોધપૂર્વકનું ‘ગુજરાત …’ હવે જો આજે હું છું વિકાસ અને હું છું ગુજરાત એવું કહેવાય તો એ તો ફ્રાન્સના લુઈ રાજાઓની જેમ ‘આય્ એમ ધ સ્ટેટ’નો હુંકાર થયો. ગમે તેમ પણ, સૌને – રિપીટ, સૌને – ઓળખ ઓળખનો આદર અને એની સીમારેખાની પણ સમજ, આ બે સાથેલગાં હશે તો એ મતદાન ખંડથી અખંડ ભણીનું હશે.
સૌજન્ય : ‘જનાદેશની પાછળ’, “દિવ્ય ભાસ્કર”, 09 ડિસેમ્બર 2017
![]()


ગુજરાતમાં ભા.જ.પ.ને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ”નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી છે. જો કે આ જ તો ભા.જ.પ.ની અસલિયત છે.
આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.
નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.
સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.