આજે
નગેન્દ્ર વિજય
‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને અત્યારે ‘સફારી’ના તંત્રી. ગુજરાતીઓની બે-ત્રણ પેઢીને
જ્ઞાનવિજ્ઞાનનું સમૃદ્ધ વાચન પૂરૂં પાડનાર ભેખધારી પત્રકાર – લેખક નગેન્દ્ર વિજય
વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો –
![]()
આજે
નગેન્દ્ર વિજય
‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને અત્યારે ‘સફારી’ના તંત્રી. ગુજરાતીઓની બે-ત્રણ પેઢીને
જ્ઞાનવિજ્ઞાનનું સમૃદ્ધ વાચન પૂરૂં પાડનાર ભેખધારી પત્રકાર – લેખક નગેન્દ્ર વિજય
વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો –
![]()
નક્કી નથી કરી શકાતું , અખિલ હિંદ સ્તરે આ અઠવાડિયે પહેલી સલામના હકદાર કોને કહેવા : 'કામ નહીં તો દામ નહીં 'ની ઢબે સાંસદોનો ઉધડો લેનાર સ્પીકર સોમનાથ ચેટરજીને – કે પછી, વિધિવત્ કાનૂન પૂર્વે કેવળ વટહુકમી જાહેરાત થકી પગારવધારો લેવા સબબ નન્નો ભણનાર જસ્ટિસ માર્લાપલ્લેને.
આરંભે કહ્યું કે નક્કી નથી કરી શકાતું , પણ આ લખતે લખતે એમ લાગે છે કે સ્પીકર સોમનાથ ચેટરજીની ભૂમિકાને કદાચ એટલી નવાઈ નથી જેટલી ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર સાથે સંકળાયેલાઓ પૈકી જસ્ટિસ માર્લાપલ્લેની છે. વાસ્તે, સ્પીકરબાબુ બાબતે બાઅદબ આદર અકબંધ રાખીને ટુ (બલકે થ્રી) ચિયર્સ ફૉર હિઝ લૉર્ડશિપ.
તમે જુઓ કે જસ્ટિસ માર્લાપલ્લેનું આ વલણ ત્યારે પ્રગટ થઈ રહ્યું છે જ્યારે દેશનું ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર, એક જાહેર સેવાને નાતે, લોકને પોતાની માલમિલકત બાબતે બિનવાકેફ રાખવા માટે ન્યાયતંત્રની સ્વતંત્રતા કે સ્વાયત્તતા અને ગરિમા – હા, ગરિમા-ની દુહાઈ દઈ રહ્યું છે. માહિતી અધિકાર અન્વયે કોઈ આ બધી વિગતો માગતું આવે તો નામદાર સાહેબોને એમાં હોદ્દાની અવમાનના અને અવહેલના અનુભવાય છે. કેમ જાણે, લોકતંત્રનું ભાવિ આ તંત્રના અદકા અંગરૂપ ન્યાયતંત્રના કર્તાકારવતાઓની આવકજાવકને આમજનતાથી ઓઝલ રાખવા પર જ ન અવલંબતું હોય !
હમણાં ગુરુગોવિંદ બેઉ વચ્ચે કોને પરથમ પાયલાગણ ઘટે એવી એક અભિજાત અમૂઝણ વ્યક્ત કરવાનું બન્યું હતું, એને સારુ એક ધક્કો અલબત્ત સ્પીકર મોશાયના ગૃહ સમક્ષના એ ઉદ્ગારોથી વાગેલો હતો કે મને ઉમેદ છે કે વટહુકમ વાટે આવનારો પગારવધારો ન્યાયમૂર્તિઓ નહીં સ્વીકારે. તેજીને ટકોરો બસ થઈ પડે એવા આ ઉદ્ગારો હતા, અને છે; પણ અહીં તો ટોકરી શું ટોકરો વગાડ્યા કરે અને કર્ણસુખરામો એય ગરિમાના ક્ષીરસાગર પરે સ્વાયત્તતારૂપી શેષશય્યે પોઢ્યા કરે એવો ઘાટે છે.
પણ સ્પીકરે દેશ આખો સાંભળી શકે એ રીતે આવી ટકોર કરી ત્યારે એમને ખબર નહોતી કે મુંબઈ હાઈકોર્ટમાં જસ્ટિસ માર્લાપલ્લે નામે એક મૂર્તિ વિરાજે છે જેણે વટહુકમી પગારવધારો નહીં સ્વીકારવાનો નિર્ણય ક્યારનોયે અમલમાં મૂકેલો છે. એટલું જ નહીં, રૂડું તો એ બની આવ્યું કે સ્પીકરની ટકોરના આ આગોતરા પાલણહારે વધારામાં એવોયે આગ્રહ વ્યક્ત કર્યો કે ઉચ્ચતર ન્યાયતંત્રે, શું સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ કે શું રાજ્યોની વડી અદાલતોના ન્યાયમૂર્તિઓએ, પોતાની આવક અને અસ્ક્યામતો વરસોવરસ જાહેર કરવી જોઈએ. જજબાબુને આમ કહેવાનો અધિકાર અવશ્ય છે; કેમકે તેઓ વરસોવરસ આ વિગતો જાહેર કરતા રહ્યા છે એટલું જ નહીં પણ થોડા વખત પર પુત્રીનાં લગ્ન પાર પાડ્યાં ત્યારે પણ એમણે ખર્ચની વિગતો પ્રગટ કરી હતી.
જસ્ટિસે માર્લાપલ્લે નિમિત્તે આ ચર્ચા કરવાનો હેતુ આપણાં જાહેર તંત્રોને હાલના વસમા સંજોગોમાં સંવેદન, સમર્થન અને શક્તિનું ટાંચું ન પડે તે જોવાનો છે. આ નોંધ લખાઈ રહી છે ત્યારે જ અખબારોમાં એવો હેવાલ જોવા મળે છે કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનંત સુરેન્દ્રરાય દવેએ, રાજ્ય સરકારના મંત્રી માયા કોડનાની તેમજ વિહિપ નેતા જયદીપ પટેલને નીચલી અદાલતે આપેલ આગોતરા જામીન ( એન્ટિસિપેટરી બેલ) રદ કરવા માટેની અરજી સાંભળવાની ના પાડી છે.
ન્યાયમૂર્તિ અનંત દવેની આ 'નોટ બીફોર મી' મુદ્રામાં શું વાંચશું વારુ? અગાઉ સોરાબિદ્દીન – ખ્યાત નકલી મુઠભેડ (ફેક ઍન્કાઉન્ટર)માં સંડોવાયેલા ગુજરાત – રાજસ્થાનના પોલીસ અઘિકારીઓની જામીન અરજી રદ કરતાં એમણે સંકોચ નહોતો કર્યો. પ્રસ્તુત પૂર્વરંગના પ્રકાશમાં એવા અનુમાનને અવશ્ય અવકાશ રહે છે કે સોરાબુદ્દીન પ્રકરણ નો – નોન્સેન્સ ન્યાયતંત્રી ભૂમિકાનું નિર્વહણ કર્યા પછી ન્યાયમૂર્તિ દવે પર સત્તાપરિવારી ધોંસ અને ભીંસ વધી હશે.
ગમે તેમ પણ, ધોંસ ને ભીંસના આ દોરમાં તેમજ પ્રલોભનોના આ પરિવેશમાં, એકાદ સોમનાથ ચેટરજીનો અગર એકાદ માર્લાપલ્લેનો જમાતજુદેરા સૂર ઊઠવો એ કોઈ કમ આશ્વસ્તકારી બીના નથી.
![]()
તેઓ મુંબઈ ઘટનાને કારણે એક રીતે નવેસર કેન્દ્રમાં આવ્યા હતા, અને હવે લાહોર ઘટના સાથે તત્ક્ષણ નવેસર પ્રકાશ્યા છે : અમારો સંકેત અલબત્ત કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની એ પ્રારંભિક પ્રતિક્રિયા પરત્વે છે કે લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટપટુઓ પર થયેલા આતંકી હુમલા સાથે, આપણે ત્યાં એપ્રિલ ૧૦થી મે ૨૪ના ગાળામાં ઇન્ડિયન પ્રિમિયર લીગનો ક્રિકેટોત્સવ યોજવાનો તો સવાલ જ નથી; કેમકે લોકસભાની ચૂંટણીમાં રોકાયેલ અર્ધલશ્કરી બળો અને બીજાને આ ક્રિકેટપટુઓની સુરક્ષા માટે ફાળવવાનું નથી સહેલું કે નથી સલાહભર્યું.
અને આ વાત ઊંચકાઈ છે પણ એકદમ… કેન્દ્ર સરકારે, કેમકે 'કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે', રાજ્ય સરકારોને પુછાવ્યું છે કે આઈપીએલ મેચો વખતે સલામતી બંદોબસ્ત જાળવવા માટે તમારી અનુકૂળતા અને તૈયારી છે કે કેમ.
કદાચ, પહેલો જ ઉત્તર કોલકાતાથી આવ્યો છે – ૧૩મી મેના દિવસે અમારે ત્યાં મતદાન છે, અને એ જ દિવસે આઈપીએલ મેચ ખેલાવાની છે. બંદોબસ્તની દૃષ્ટિએ અમારે માટે એક જ દિવસે આ બેવડી જવાબદારીઓ નભાવવાનું શક્ય નથી એમ પોલીસ કમિશનર ગૌતમ ચક્રવર્તીએ કહ્યું છે.
દરમ્યાન, માધ્યમોનો એક વગદાર વર્ગ લગભગ વૃંદવાદનની પેઠે મચી પડ્યો છે કે આઈપીએલ મેચો દેશમાં પૂર્વનિર્ધારિત સમયગાળામાં ખેલાવી જ જોઈએ. હિંદી ફિલ્મના હીરોની પેઠે એણે કેન્દ્રસરકારના 'વજૂદ' અને 'ઝમીર' ને લલકાર્યાં છે : ફાટીમુઆઓ, દુનિયાનું છઠ્ઠું મોટું લશ્કર લઈને બેઠા છો અને આટલી જવાબદારી લઈ શકતા નથી? ઢાંકણીમાં પાણી લઈને બૂડી મરો, હાથે કરીને તમારે તમને પોપાભાઈ જાહેર કરવા છે – અ 'ફેઈલ્ડ સ્ટેટ' ઈનડીડ ! ૨૬/૧૧ પછી મુંબઈ જો રાબેતા મુજબનું થઈ શકતું હોય અને 'બિઝનેસ ઍઝ યુઝ્વલ'ને કારણે એનો ને દેશનો સિક્કો પડતો હોય તો એક અમથો આઈપીએલ ઓચ્છવ ન મનાવી શકીએ – તમે તે 'રાજ' છો કે શું છો.
વસ્તુત: આખી ચર્ચા આરંભથી જ આડે પાટે ચડી ગઈ છે અગર ચડાવી દેવાઈ છે. આઈપીએલ ઓચ્છવ સાથે ચોવીસ કલાકની ચેનલો અને અખબારોને જે જાહેર ખબરી તડાકો પડે છે એને કારણે કે અન્યથા પણ તેઓ આટલો શોરબકોર મચાવવામાં મંડી નહીં પડ્યા હોય ને, એવોયે વહેમ પડે છે.
માત્ર, વહેમની જ નહીં, ફાળ અને ફિકરનીયે વાત આ તો છે. કારણ, સાદો હિસાબ છે કે એપ્રિલ અને મે દરમ્યાન ભારતવર્ષ ભાગ્યનિર્ણયના સમરમાં હશે. આવનારા પડકાર દિવસોમાં દેશનું સુકાન કોના અને કેવા હાથોમાં હશે, એનાં લેખાંજોખાં સમેતનો લેખ દેશજનતાએ ત્યારે લખવો રહેશે. એવે વખતે 'બિઝનેસ એઝ યુઝ્વલ'ને નામે અને પોપાભાઈ નહીં પણ બહાદુરખાનજી છીએ એવી તીસમારખાં મુદ્રા ઉપસાવવાની ફિરાકમાં પ્રજામતને સ્પષ્ટ અને સક્રિય થવાનો મોકો નહીં આવતાં ધ્યાન બીજે દોરવાની ચેષ્ટા રૂપ ઓચ્છવવાળી સૂઝે છે. મીડિયા માસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો – પણ લોકો અને લોકસભાની ચૂંટણીનેય તમારે આઈપીએલ ઓચ્છવિયા સારુ કંચની દાવમાં જોતરવાં છે ?
દેશમાં અને માધ્યમોમાં અમે ખરા મુદ્દાઓની ને પૂરા કદની બહસ ઇચ્છીએ છીએ ત્યારે આઈપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે અણી ટાંકણે લોકમાનસને બેધ્યાન અને બધિર બનાવવાના આયોજનમાં સહભાગી થવું.
મિસ્ટર હોમ મિનિસ્ટર, તમે જે સુરક્ષા બંદોબસ્તની દુહાઈ આપો છો એની બધિર ને બેધ્યાન બનાવતા આયોજન વચ્ચેનો સંબંધ સમજાય છે ?
![]()

