નિર્વાચિત (ખરું જોતાં, હજુ શપથછેટા એથી પદનામિત) અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો રંગપ્રવેશ એક રીતે પરંપરાજુદેરો અનુભવાય છે એમ જ કહેવું જોઈશે; કેમ કે એમની ફતેહજાહેરાતને અમેરિકામાં એક છેડેથી બીજે છેડે એમ સર્વત્ર વિરોધદેખાવોથી વધાવવાનો સિલસિલો પહેલી કાચી મિનિટથી આ લખાય છે ત્યાં સુધી સળંગ ચાલુ છે. ભારતીય મૂળનાં કમલા હેરિસે સેનેટમાં ચુંટાઈને વિક્રમ સર્જ્યા બદલ અભિનંદનો સબબ આભાર માનવા સાથે સોશિયલ મીડિયા પર શતસહસ્ત્ર સમર્થકો અને ચાહકો જોગ સંદેશમાં એ હકીકતની નોંધ લીધી છે કે આ પ્રમુખીય પરિણામે લાખો સાથી-અમેરિકનોમાં પોતે જાણે કે આવી રહેલા દિવસોમાં અસહાય બની રહેશે એવી ભીતિ જગવી છે.
ચૂંટણીપ્રચારની ડમરી આછરી ગઈ અને પરિણામ પણ આવી ગયું. તે પછી ચુંટાયેલ પ્રતિભા સામે તત્કાળ વિરોધદેખાવોનો સિલસિલો જાહેર જીવનની ગરિમા વિષયક પ્રશ્નો જગવે છે, એવું જે એક સામાન્ય નિરીક્ષણ શક્ય છે તે ટ્રમ્પાયન સંદર્ભે સદ્યગ્રહ્ય ન લાગતું હોય તો એનુંયે એક ચોક્કસ લૉજિક ખસૂસ છે. કારણ, ટ્રમ્પનો આખો પ્રચાર વિભાજક એવી વિષાક્ત તરજ પર હતો. એક પછી એક સમુદાય – અશ્વેતો (આફ્રિકન અમેરિકન), હિસ્પાનિક (ક્યુબન, મેક્સિકન, પ્યુએર્ટોરિકન આદિ સ્પેિનશ સાંસ્કૃિતક મૂળકૂળના લોકો) પરદેશથી કામઠામ જોગ આવતા લોકો (ઇમિગ્રન્ટ્સ); ટૂંકમાં, ગોરાઓ સિવાયના સઘળા-ને એ નિશાન કરતા ગયા. બેહદ ધ્રુવીકૃત પ્રચાર કરતા ગયા. તેથી આ બધાં બાણજૂથો ટ્રમ્પના વિજયની ક્ષણે ખુલ્લંખુલ્લા વિરોધમિજાજમાં બહાર આવ્યાં છે. એમની સંખ્યા, ટ્રમ્પની વિજયી સરસાઈ છતાં ઓછી નથી. વ્યક્તિગત મતની દૃષ્ટિએ ટ્રમ્પ પાછળ છે. પણ બહુમતી બેઠકોને ધોરણે જે તે રાજ્યની સઘળી બેઠકોનો મતભાર ટ્રમ્પની તરફેણમાં જતાં એ વિજયી બન્યા છે. પૂર્વે પણ આવા કિસ્સા નથી નોંધાયા એમ નથી. પણ ઓછા વ્યક્તિગત મતે વિજયી બનેલા કોઈ પૂર્વપ્રમુખનો ચૂંટણીપ્રચાર આવો વિભાજક, વિઘાતક ને વિષાકત નહોતો. વિરોધદેખાવોના હાલના સિલસિલાના સગડ એમાં પડેલા છે.
ભારતછેડેથી આ બધું ચર્ચવા સારુ આરંભે જ જેમ કમલા હેરિસનો સંદેશ ઉતાર્યો તેમ એક બીજા અંતિમ જેવો હરખપદૂડો સૂર પણ ઉતારવા જેવો છે. ઉત્તર પ્રદેશમાં લગભગ ચૂંટણીપ્રચારની રીતે આ દિવસોમાં રાજનાથ સિંહ શું બોલ્યા છે, સાંભળોઃ
“અમરિકા જો દુનિયા કા સબસે તાકતવર દેશ માના જાતા હૈ, વહાં રાષ્ટ્રપતિ કા ચુનાવ હો રહા થા. એક મિસિસ ક્લિન્ટન થી ઔર એક મિ. ટ્રમ્પ. ટ્રમ્પ કાર્ડ – તાશવાલા ટ્રમ્પ કાર્ડ નહીં. મિ. ટ્રમ્પ. મિ. ટ્રમ્પને ચુનાવ કૈસે લડા હૈ? ટ્રમ્પને અપને અમરિકા મેં કહા હૈ કિ અગર મૈં અમરિકા મેં રાષ્ટ્રપતિ બન જાતા હૂં તો અમરિકા મેં જો શ્રી નરેન્દ્ર મોદી કી નીતિયાં હૈં ઉન્હીં નીતિયોં કે આધાર પર કામ કરુંગા. ઉસ ટ્રમ્પ કો વિજય હાંસિલ હુઈ હૈ.”
ભારતીય મૂળનાં યશસ્વી સેનેટર કમલા હેરિસને જે વિજય ઘટનામાં શતસહસ્ત્ર સાથી નાગરિકો (મોટા ભાગની બિનગોરી લઘુમતીઓ)માં ઝળુંબતી ભયલાગણી વંચાય છે એ વિજયઘટનામાં રાજનાથ સિંહને ટ્રમ્પ નમોને અનુસર્યા અને અનુસરશે એવા ખયાલવશ શેર લોહી ચડે છે, અને જાણે નાચું નાચું એવી થનગન-થિરકનનો અહેસાસ જાગે છે. ટ્રમ્પ અને નમોને એકશ્વાસે સંભારાય છે ત્યારે બીજું શું કહીશું, સિવાય કે ધ કૅટ ઈઝ આઉટ ઑફ ધ બૅગ! તમે જુઓ કે કોમી ધ્રુવીકરણ જગવતા વિભાજક પૂર્વરંગ પછી આવી પડેલું સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’નું છે, જેમ વિજય જાહેરાત પછી ટ્રમ્પના પહેલા જાહેર ઉદ્ગારો એ મતલબના છે કે હું સઘળા (રિપીટ, સઘળા) અમેરિકનોનો પ્રમુખ છું.
નમો અને ટ્રમ્પ, કોણ કોને અનુસર્યું એ ગૌરવચર્ચામાં ન જઈએ તે જ ઠીક; કેમ કે ટ્રમ્પની ફતેહનાં આગોતરાં એંધાણ ચોમ્સ્કીએ છેક ૨૦૧૦માં પારખ્યાં હતાં. હજુ ઓબામાની બીજીવારની (૨૦૧૨ની) ચૂંટણી આઘી હતી અને ટ્રમ્પ જે રીતે બોલતાચાલતા હતા એ જોઈને ચોમ્સ્કીએ કહ્યું હતું કે હું બધાંને બધ્ધેબધ્ધું આપીશ એ મતલબનું વિધાન (પોતાનું દરેકે દરેક વિધાન એકમેકનો છેદ ઉડાડતું હોય એની લગારે પરવા વગર) કરીને સૌને આકર્ષતા, પોતાને તારણહાર સુપર હીરો તરીકે રજૂ કરતા કથિત કરિશ્માતી નેતાઓ આગળ ચાલતાં પોતે તો નાશ પામે જ છે, પણ આ પ્રક્રિયામાં લોકોનો તો છેવટે ખોડો જ નીકળી જાય છે. આ અવલોકન સાથે ચોમ્સ્કીએ ત્યારે એમ પણ કહ્યું હતું કે હવેના દિવસોમાં આપણે રિપબ્લિકન પ્રમુખ માટે તૈયાર રહેવાનું છે જે તમને એક ગોરા પુરુષ તરીકે પીડિત-પદાક્રાન્ત લઘુમતીની લાગણી જગવી શકે અને આ લાગણીનો ઉગાર લશ્કરસજ્જ રાષ્ટ્રીય અભિમાનમાં છે એમ સમજાવી શકે અને ઘરઆંગણે સામાન્ય માણસોના અધિકારોને કચડવામાં સાર્થકતા શોધી શકે.
ચોમ્સ્કીનો હવાલો આપતી વેળાએ, તંત્રીએ સાથી-વાચકને એમની પ્રતિભા અને ભૂમિકાનો આછો પણ ખયાલ આપવો જોઈએ, એમ સમજીને સાદી માહિતીરૂપે કહું કે એ આપણા સમયના શીર્ષસ્થ ભાષાવિજ્ઞાની અને માનવહિતચિંતકો પૈકી છે. ખાસ કરીને, વિયેટનામમાં અમેરિકી યુદ્ધસંડોવણીના વારાથી એમની પ્રતિભા એક પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ તરીકે ઊભરી છે. સોવિયેત રશિયાની બંધ દુનિયામાં એચ-બોમ્બના જનક સાખારોવ જેમ ઉત્તરોત્તર માનવ અધિકારના હામી તરીકે ઊપસી આવ્યા હતા એમ અમેરિકાની મૂડીવાદી ઘેરાબંધ વ્યવસ્થામાં ચોમ્સ્કીની હાજરી છે. ‘સલામતી’નાં કારણોસર (વસ્તુતઃ ‘રહસ્ય’ જાળવણીસર) જેમ સાખારોવનું નામ સોવિયેત ડિરેક્ટરીમાં નહોતું તેમ ભલે જુદા કારણસર પણ અમેરિકાના મોટા મીડિયા સહિત સઘળે તમને ચોમ્સ્કી પર એક પડદા જેવું જણાશે. પણ માઉસકૃપાએ ગુગલે ચડી એક પ્રભાવક સમાંતર ધારાના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ચોમ્સ્કીનાં કદ ને કાઠી વૈશ્વિકથી ઓછાં નથી. એમના જેવા સમર્થોત્તર ભાષાવિજ્ઞાની (સંસ્કૃત પરંપરામાં અક્ષરશઃ અનુત્તમ-ઇનકમ્પેરેબલી ‘ધ બેસ્ટ’) આવા તેવા વિરોધમાં શક્તિ નહીં વેડફતાં એકાન્તિક જ્ઞાનસાધનામાં જ શીદને મોક્ષ ન શોધે, એવી સરળભોળી બલકે નિરીહ નુક્તેચીનીનો એમનો જવાબ કદાચ એવો જ હશે જેવો જૈફ બર્ટ્રાન્ડ રસેલે – તમે ગણિત ને ફિલસૂફી છાંડીને નિઃશસ્ત્રીકરણનાં નિદર્શનોમાં શીદ શક્તિ વેડફો છો એવા સવાલનો આપ્યો હતો : ભાઈ, મનુષ્યનું અસ્તિત્વ જ નહીં રહે તો ‘જ્ઞાન’નું શું થશે.
વસ્તુતઃ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રભાવક ઉદય આપણે જે અમેરિકાને ઓળખતા અને ચાહતા, કદરબૂજ કરતા થયા એની સામે પડકારરૂપ છે. થોરો સાથેની ગાંધીગોત્રની દોસ્તીદિલ્લગી માનો કે પળવાર વિસરી પણ જઈએ – પણ મનુકુળ ઇતિહાસમાં લિંકન ઘટના તો કદાપિ વિસરી ન વિસરાય એવી છે. બંને બાજુએ ગોરા ખ્રિસ્તીઓ અશ્વેત સમુદાયની ગુલામી વિ. મુક્તિના મુદ્દે સામાસામે જંગે ચડ્યા અને લિંકન મુક્તિદાતા રૂપે ઉભર્યા. ખ્રિસ્તી સંસ્કાર અને અમેરિકિયતની એ શગ ઘટના હતી. હજુ સાડા પાંચ દાયકા પરનાં જ એ કેનેડીવચનો કર્ણપટે મંજુલ રવ જગવે છે કે આપણે પરદેશી નાગરિકોનો દેશ છીએ. અમેરિકાના પહેલા કાળા પ્રમુખ એવી ટીકાત્મક પણ હુલામણી ઓળખ રળનાર ક્લિન્ટન અને ટિ્વન ટાવર્સ તરસનહસ થયા પછી પણ પ્રમુખ બની શકતા, મુસ્લિમ મધ્યનામધારી ને વળી અશ્વેત પિતાના પુત્ર બરાક હુસેન ઓબામા, એ તો હજુ હમણેની હાલ પણ ચાલુ બીના છે. આ લિંકન-ઓબામા પરંપરા સામે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં ઊભા છે? જે એક સર્વ સમાવેશી ઉદાર માનવ્યે મંડિત અમેરિકિયત વિકસતી અનુભવાતી હતી એના એન્ટિથીસિસ જેવા એ છે. નવી દુનિયાને જેનો ખપ છે અને અમેરિકાની જે આગવીઅનેરી ઓળખ હોઈ શકે છે એના એન્ટિથીસિસ જેવી ટ્રમ્પની ચૂંટણીફતેહ આ ક્ષણે સામે આવે છે.
નહીં કે લિંકન, કેનેડી, ક્લિન્ટન, ઓબામા (વચલાં વર્ષોમાં એફડીઆર) આ સૌની કોઈ મર્યાદાઓ નહોતી. ઇતિહાસવસ્તુ તરીકે તે જરૂર નિરૂપી શકીએ અને તવારીખની તેજછાયાને અનુલક્ષીને ટીકાટિપ્પણ પણ નિઃસંકોચ કરી શકીએ. બલકે કરીએ પણ ખરાં. પણ આ સૌ મહાન અમેરિકી પ્રમુખોએ નવી દુનિયાનાં મૂલ્યો અને વૈશ્વિક પરિમાણોની કદરબૂજ સાથે અમેરિકી રાષ્ટ્ર-રાજ્યનો મેળ પાડવાની આવડે એવી કોશિશ કરેલી છે. બૃહદારણ્યકના ઋષિએ જેની ‘ક્ષુરસ્ય ધારા’ કહેલી છે અને રાજકીય નિરીક્ષકો જેને તંગ દોર પરની નટચાલ કહી શકે એવી એમની ગતિરીતિ રહી છે. ગતિ પણ, નિયતિ પણ.
વાતનો બંધ વાળતાં, અગર તો નવપ્રસ્થાનબિંદુએ પહોંચતાં, એક મુદ્દો ટ્રમ્પની તરફેણમાં નહીં પણ ટ્રમ્પ ઘટનાને સમજવાની રીતે કરવો જોઈએ. અને તે એ કે બિનગોરી ને બીજી લઘુમતીઓનો મોટો હિસ્સો હિલેરીની સાથે રહ્યા છતાં એનું પ્રમાણ ઓબામાને અગાઉ મળેલ મતો કરતાં ઓછું હતું એ હકીકત છે. દેખીતી રીતે જ, એનો અર્થ એ થયો કે સુશાસનનો સુખાનુભવ ઓછો થયો છે. ટ્રમ્પ હો કે ઓબામા અગર હિલેરી, હર કોઈ પ્રમુખે – પ્રમુખપદવાંછુએ સુશાસનની બાલાશ તો જાણવી રહે જ.
અમેરિકી લોકમતે આ બધું ઓળાંડીને અમેરિકિયત – એક સર્વસમાવેશી ઓળખ-ની ઇતિહાસગતિને અનિરૂદ્ધ જારી રાખવાપણું છે. ખબર નથી, નમો ટ્રમ્પ ગાગાલગા મંડળીને આ વાનું પકડાશે કે નહીં.
નવેમ્બર ૧૨, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 01, 02 અને 17
![]()



આજે મનુભાઈ આપણી વચ્ચે નથી, છતાં પણ તેઓ આપણને વૈશ્વિક સ્તરે વિચારવા હંમેશાં પ્રેરણા આપતા રહે છે. ‘દર્શક’ની આ પ્રેરણાને સ્વતંત્ર વિચારવિમર્શને ધોરણે વધુ ને વધુ લોકો સુધી વિસ્તારવાના જ એક પ્રયાસ રૂપે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ‘ઓપિનિયન’ પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રસારિત થતા સામયિક ‘ઓપિનિયન’ની પહેલથી, (ખાસ તો સદ્ગત હીરજીભાઈ શાહ અને વિપુલ કલ્યાણીની હોંશથી), ‘દર્શક’ના વિદેશવાસી ચાહકોએ એકત્ર કરેલ નિધિમાંથી આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થઈ શક્યો. આ વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડ ખાતે થયા. દર્શક વ્યાખ્યાનમાળા વ્યવસ્થાપક સમિતિએ પ્રથમ વ્યાખ્યાન માટે રાજકીય ચિંતન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રતિષ્ઠિત વિદ્વાન અને ઇંગ્લેન્ડના હાઉસ ઑફ લૉડ્ર્ઝના સભ્ય એવા પ્રોફેસર ભીખુ પારેખ પર પસંદગી ઉતારી હતી. પ્રો. ભીખુ પારેખે પોતાના તાજા પ્રકાશિત પુસ્તક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના આધારે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
સભ્ય એવા પ્રકાશ ન. શાહે બોબ ડિલન અંગે સલમાન રશ્દીએ વાપરેલા ‘બાર્ડિક ટ્રેડિશન’ એ શબ્દોનો હવાલો આપીને ડિલનને માટે ગુજરાતીમાં નર્મદને યાદ કરીને ‘કડખેદ’ શબ્દ વાપર્યો હતો અને ડિલનને નોબેલ મળ્યાના સમાચારને વધાવ્યા હતા. પ્રકાશભાઈએ કાર્યક્રમના નિર્ધારિત અધ્યક્ષ હસમુખભાઈ શાહ શારીરિક તકલીફને કારણે હાજર રહી શક્યા નથી, એની વાત કરીને હસમુખભાઈના અધ્યક્ષીય પ્રવચનના ટાંચણના આધારે તેમની ભાવનાને વાચા આપી હતી. હસમુખભાઈએ ભીખુભાઈ જેવી મેધાવી વ્યક્તિ સંબોધવાની છે, એ બાબતનો રાજીપો વ્યક્ત કર્યો હતો. હસમુખભાઈએ મનુભાઈની લેખક, સાહિત્યકાર, ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભાની વાત કરીને તેમણે સમગ્ર જીવનનાં પાસાંઓને આવરી લેતું શિક્ષણ આપવાનું કામ કર્યું, તેને વિશેષ સંભાર્યું હતું તેમ જ ઇતિહાસને સમજવા માટેના તેમના ખંત અને પ્રતિબદ્ધતાને યાદ કર્યા હતા. કૃષિ માટેની તેમની ખાંખતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રકાશભાઈએ દેશ-વિદેશથી આવેલા અન્ય મહાનુભાવોના સંદેશાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ વ્યાખ્યાનમાળામાં પાયાના પથ્થરથી માંડીને મોભ સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરનારા વિપુલ કલ્યાણીને પ્રકાશભાઈએ (ભલે તેઓ ઇંગ્લંડની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ હોય, પણ) ‘સ્વભાવના કાર્યકર’ ગણાવીને પ્રારંભિક વક્તવ્ય માટે આમંત્રિત કરેલા. વિપુલભાઈએ આ સમગ્ર વ્યાખ્યાનમાળાનો ઉપક્રમ કઈ રીતે સાકાર થયો, તેની સંક્ષિપ્તમાં વિગતો આપી હતી. વિપુલભાઈએ સમગ્ર કાર્યક્રમ માટે સહયોગ આપનારા સાથીઓમાં પ્રકાશભાઈ શાહ, નયનાબહેન શાહ, કેતનભાઈ રૂપેરા અને રાજેન્દ્રભાઈ ખીમાણી (વિદ્યાપીઠના કુલસચિવ) વગેરેનો નામજોગ ઉલ્લેખ કરીને આભાર માન્યો હતો. આ વ્યાખ્યાનમાળા કઈ રીતે શરૂ થઈ, તેની વાત કરતાં વિપુલભાઈએ ૨૦૦૨ની સાલમાં ૪૦મા નાનાભાઈ સ્મૃિતવ્યાખ્યાન વખતે વક્તા રઘુવીરભાઈ ચૌધરી અને અનિલભાઈ ભટ્ટ વચ્ચે મનુભાઈના નામે કાયમી વ્યાખ્યાનમાળા શરૂ કરવા અંગે થયેલી ચર્ચા સંભારી હતી. મનુભાઈના વ્યક્તિત્વ અને સાહિત્યના વિદેશવાસી ચાહકોને ‘ઓપિનિયન’ના માધ્યમથી બીજી ફેબ્રુઆરી, ૨૦૦૪થી આ વ્યાખ્યાનમાળા માટે દાન આપવાની ટહેલ નાખવામાં આવેલી, જેને બહુ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૦૪થી દાનનો પ્રવાહ શરૂ થયેલો. વિપુલભાઈએ સદ્ગત હીરજી ધરમજી શાહનો વિશેષ ઉલ્લેખ કરીને તેમણે આપેલા મોટા સહયોગને સંભાર્યો હતો અને સાથે સાથે હીરજીભાઈના ગયા પછી તેમનાં પત્ની મણિબહેનની પ્રતિબદ્ધતાને પણ બિરદાવી હતી. વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાન માટે ભીખુભાઈ સાંપડ્યા, એને સૌભાગ્ય ગણાવ્યું હતું. વિપુલભાઈએ પોતાના વક્તવ્યમાં એક વાત બહુ માર્કાની કરેલી કે આઝાદીનાં ૭૦ વર્ષ પછી આપણે એક વસ્તુ જાણે કોરાણે મૂકી દીધી છે, એ છે વિચારવાનું. વ્યક્તિ નહિ, વિચારની શક્તિ અગત્યની છે. અમદાવાદથી શરૂ થયેલો આ વિચારનો યજ્ઞ સતત ફેલાતો રહેશે એવી આશા છે. વક્તવ્યના અંતે વિપુલભાઈએ આહ્વાન કરેલું કે આપણે એક એવો કેડો ઊભો કરીએ, આશાનો એક પહાડ ઊભો કરીએ, જેથી આપણી આવનારી પેઢી મજબૂત બને.
ભીખુભાઈએ વિપુલભાઈના આગ્રહને માન આપીને ગુજરાતીમાં જ ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ પર વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનના પ્રારંભે ભીખુભાઈએ મનુભાઈના નામ સાથે સંકળાયેલી વ્યાખ્યાનમાળામાં બોલવાનું થયું, એનો આનંદ પ્રગટ કર્યો હતો. મનુભાઈના વિચારો અને વિવિધ ક્ષેત્રોનાં કાર્યોને સંભારીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક અંગે કહ્યું હતું કે આ પુસ્તક જો અંગ્રેજીમાં અનુવાદ પામે તો મનુભાઈની પ્રતિભાનો ખ્યાલ આખી દુનિયાને આવી શકે. વધતા જતા અંધારામાંથી રસ્તો કાઢવામાં મનુભાઈ દીવાદાંડી રૂપ બની રહેશે. આટલી માંડણી પછી ભીખુભાઈએ જે વક્તવ્ય આપેલું તેના મુદ્દાઓ મુખતેસર જોઈએ :

ડૉ. ઘનશ્યામભાઈ શાહે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ભીખુભાઈને દાયકાઓથી સાંભળતો આવ્યો છું ને તેમની પાસે ભણ્યો પણ છું. ઘનશ્યામભાઈએ ગુજરાતમાં જાણ્યે-અજાણ્યે વિચાર કરવાનું, ચર્ચા કરવાનું માંડી વળાયું છે, એ મામલે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. અમદાવાદ જેવા શહેરમાં પણ ચર્ચા કરવાનો અવકાશ નથી મળતો, તેનું દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભલે અસહમત થઈએ છતાં ચર્ચા કરીએ, એ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ૧૯૮૯થી ગુજરાત સામે અનેક સવાલો આવ્યા, તેને આપણે અવગણતા આવ્યા છીએ, જે સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક છે. કોઈને ચુપ કરાવી દેવાથી વિચારને કે વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી. આપણે ક્યાં આવીને ઊભા છીએ, એની આપણે ચિંતા કરતા નથી. સમાજ તરીકે આપણે સવાલોનો સામનો ટાળીએ છીએ. આજે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજાની સત્તા રાજા પૂરતી મર્યાદિત નથી, એ લોકો પાસે પણ છે ત્યારે લોકોએ જાગૃત થઈને ચર્ચા કરવી પડે. આપણે ત્યાં રાજ્યસત્તા છે, એ સિવાય પણ સત્તાનાં જુદાં જુદાં કેન્દ્રો છે, પરંતુ સરકાર ઉપરાંતનાં સત્તાનાં કેન્દ્રો સાથે ચર્ચા કરવાનો કેટલો અવકાશ છે, એ વિચારવા જેવું છે.
લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ આભારદર્શન કર્યું હતું. અરુણભાઈએ વ્યાખ્યાન અંગે આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરીને સૌથી પહેલા તો વ્યાખ્યાન સાંભળવા માટે મોટી સંખ્યામાં પધારેલા શ્રોતાઓનો આભાર માન્યો હતો. ત્યાર બાદ મુખ્ય વક્તા, સભાના અધ્યક્ષ, સંચાલક તથા ગૂજરાત વિદ્યાપીઠ પરિવારનો પણ આભાર માન્યો હતો.


