આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડી.એન.એ.માં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરા ય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજાં નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.
સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સ-સન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રિયતા તો દેખાવી જોઈએને?
રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જો કે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ – ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.
સૂ કીના મીંઢા મૌનની ટીકા દક્ષિણ આફ્રિકાના આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યાં છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓન-લાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.
e.mail : divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017
![]()


ગુજરાતીઓ માટેની એક છાપ એવી છે કે તે ગણિતમાં બહુ પાકા. એ સાચી હોય તો પણ એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ ગણિત એટલે ભાસ્કરાચાર્યનું કે બ્રહ્મગુપ્ત કે પાયથાગોરસનું નહીં, સાંસારિક ગણતરીઓનું ગણિત. બાકી, અભ્યાસના વિષય તરીકે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવનારા મળી જાય, પણ ગણિતને પ્રેમ કરનારા – તેને સેવનારા કેટલા ને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારા કેટલા? અને એવા થોડા લોકો હોય તો પણ તેમનામાં રસ ધરાવનારા બાકીના લોકો કેટલા?
‘જીહાં હુજુર મૈં ગીત બેચતા હૂં’ – કાવ્યના સર્જક ભવાની પ્રસાદ મિશ્ર કવિ તરીકે ભારતભરમાં જાણીતા હતા. એ ગાંધીમાર્ગના સમર્પિત યાત્રી હતા. એમના સુપુત્ર અનુપમ મિશ્ર પાણી અને પર્યાવરણના જતન માટે સતત સક્રિય રહ્યા. વક્તા અને લેખક તરીકે એ વિશ્વવિખ્યાત થયા. અહિંસા સંસ્કૃિત કા દ્વૈમાસિક ‘ગાંધીમાર્ગ’નું સંપાદન કર્યું. માત્ર અડસઠ વર્ષ (1948થી 2016) જીવ્યા પણ શતાબ્દીથી પણ સવાયું કામ કર્યું. એમનાં ધર્મપત્ની મંજુશ્રીએ ગાંધી-માર્ગના છેલ્લા અંકમાં આપેલા જીવન-વૃત્તની વિગતો વાંચતાં આશ્ચર્ય થાય છે.
આજીવન દાસ બનાવવામાં આવતા ‘બંધુઆ મજદૂરો’નો સર્વે કર્યો. સને 1980થી પાણીનું કામ સંભાળ્યું. રાજસ્થાનની પાણી જાળવણીની પરંપરાનો અભ્યાસ કર્યો. બારેક વર્ષના અભ્યાસ પછી ‘આજ ભી ખરે હૈં તાલાબ’ પુસ્તક રચ્યું. આ પુસ્તક અનેક ભાષાઓમાં પહોંચ્યું. અનુપમજી પછીનાં વર્ષોમાં પાણી અને પર્યાવરણના પ્રશ્ને રજૂઆત કરવા વિશ્વના અનેક દેશોનાં સંમેલન કે સંસ્થાઓ દ્વારા આમંત્રણ મેળવે છે. સને 1977થી 2000 સુધીમાં પર્યાવરણ કક્ષ દ્વારા નાનાં મોટાં સત્તર પુસ્તકો પ્રગટ થયાં. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ની ચોત્રીસ આવૃત્તિઓ થઇ છે. ભારતની મોટાભાગની ભાષાઓમાં એના અનુવાદ છપાયા છે. કોપીરાઇટ જેવું કંઇ રાખ્યું જ નથી. છાપો, વાંચો, અમલ કરો.