ઉમેશ સોલંકીનો તાજેતરમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘28 પ્રેમકાવ્યો’ અજાણી પ્રણયભૂમિની ઓળખ આપે છે. મેળામાં, બાગમાં, હોટલમાં મળતાં પ્રેમીઓની અહીં વાત નથી. ઉમેશ સોલંકીના પ્રેમીજનો ઉજ્જડ વગડામાં દેખાય છે, નિર્જન વોંઘામાં દેખાય છે. ધોવાતી જમીન અને નદી વચ્ચે ઊંડા વહેળા રચાતા હોય છે. એનો ઉપયોગ કુદરતી હાજત તેમ જ મળવા માટે થતો હોય છે એ વિશે વધુ નિખાલસતાથી ઉમેશ સોલંકી નોંધ મૂકે છે. તળના માણસની વાત કરવી છે અને અગવડોથી દૂર રહેતા ભાવક સુધી એનો ભાવ પહોંચાડવો છે.
સાપને પણ લાગે થાક
એવા વળાંક …
વળાંક પર વાડ
દૂધથી ફાટ ફાટ
થોરનો ઠાઠ,
કાંટા પણ લાગે વણબોટાયેલા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર.
ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે.
પ્રથમ રચના ‘વોંઘું’નો આરંભ વાંચતાં લાગે છે કે આ કંઈક નોખો અવાજ છે, અરૂઢ સર્જકતા છે. થોરની વાડને દૂધથી ફાટ ફાટ થતી કહેવા માટે આત્મીય નિરીક્ષણ જોઈએ. આદિવાસી સ્ત્રીઓ માટે કાંટા પણ હઠીલો શણગાર બની જાય એની જાણ છે, આ જાણકારીમાં કલ્પનાનો સંયોગ સધાયેલો છે. પછી સાથ-સંયોગનું વર્ણન છે. ત્યાં પણ એક કલ્પન ધ્યાન ખેંચે છે,
કોણીનો ટેકો લઈ
લટ તારી, આંગળ પર વીંટી
અને શરમાઈને મીઠું તેં
સહેજ ફેરવ્યું મોઢું તેં
તારી અનોખી આંખને મેં,
મોઢું દૂરથી દેખાય ખાલી,
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી.
ખખડીને તું હસી પડી …
ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે. ‘સફેદ પહાડની ગુફામાં શાંત બેઠેલી વાઘણ’ કહેતા નાયકને કવિ દૂર લઈ જઈને નજીક લાવે છે. કવિએ અમર પ્રેમની વાત નથી કરવી, કાલિવાસ ‘ભાવસ્થિરાવલિ જન્માંતર સૌહાધનિ’ના કરુણ મૃદુ સ્મરણનો શ્લોક રચી દુષ્યંતની મન:સ્થિતિની ઓળખ આપે ત્યારે એ સાચા લાગે છે. અહીં તળ ભાવભૂમિનો કવિ મિલનની ક્ષણિકતાનો નિર્દેશ કરી આગળ વધે છે,
ટેરવાંને ટેરવાંની માયા છૂટી,
એનાં ટેરવે ટેરવાં ફૂટ્યાં.
ટેરવાં મારાં હથેળીમાં ઘૂસ્યાં
અને એ એના રસ્તે હું મારા રસ્તે.
(પૃ. 5, 28 પ્રેમકાવ્યો)
મિલનના ઉપર્યુક્ત સંકેત પછી ઠોકર, ઝરણું, નદીના નિર્દેશ રૂપે સર્રિયલ – અતિ વાસ્તવની દિશામાં રચના આગળ વધે છે. અંતે વળી ઠોકર સરખી થાય છે અને ‘એ એના રસ્તે હું મારા રસ્તે …’ ‘ફૂદું’ રચતા એના લાઘવ, લયાત્મકતા અને સંકેતને કારણે કવિતા-સમૃદ્ધિમાં ઉમેરો કરે છે.
ગીતની ગેયતા ઉપાડમાં અનુભવાય છે,
ધૂળિયા ગામનું લીંપેલું ઘર.
ઘરના બારણે અલ્લડ શી સાંકળનું મીઠુંમધ ખટખટ,
ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન.
ખનખન પર છલકાતું હસવાનું કલકલ
અને આંગળથી ચાંદરણું પંપાળી પંપાળી,
ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ.
(પૃ. 11)
અહીં સમજાવવા જઈએ તો આસ્વાદમાં અવરોધ બને એવી વિશદતા છે. પ્રેમનું આનંદ સ્વરૂપ અહીં ઊઘડે છે અને કાવ્યને અંતે કરુણ ઘટનાનો સંકેત છે : ‘જાળીમાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.’
કવિ ક્યાંક અવળવાણી પ્રયોજે છે તો ક્યાંક પોતાની સામાજિક નિસ્બત જાહેર કરે છે,
તને તો ખબર છે
પ્રેમમાં પીડા છે,
તો ચાલને
સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પીડાતીને પ્રેમ આપીએ.
(પૃ. 16)
આપણી પીડા અને વગર વાંકે પીડાતાની સંવેદના એક થાય એ પ્રેમમાં પછી પીડા જેવું ન હોય. બાવળના રૂમાલથી
તડકાને ગાળીને
ગટગટ ગળા લગી એવો પીધો માણીને
કે આખોયે મગરો ઘેરાયો આંખમાં.
(પૃ. 32)
મગરો એટલે ડુંગર. એક વિશાળ દૃશ્ય થોડાક શબ્દોમાં પ્રત્યક્ષ થાય છે. ઉત્તર ગુજરાતના કવિને બાવળ-લીંબડા વહાલા હોવાના. પૂનાના મેહુલ માવજીભાઈએ આ સંગ્રહના પ્રકાશનમાં સાથ આપ્યો છે અને નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચે એનું પ્રકાશન કર્યું છે.
કવિનો ઈ-મેઇલ છે : umeshsol@gmail com
(પ્રકાશન તારીખ 19 August 2018, 'દિવ્ય ભાસ્કર')
![]()


ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.
આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.
સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.
અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં દેશના જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા અચૂક હાજરી આપે છે. સપ્તકમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે, તેવો દંભ કરતા શ્રોતાઓની ભીડ જામે છે. વર્ષ 1980ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલાં જ પોપ્યુલર છે કે જેટલાં તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં 'સિલસિલા' (1981), 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991), 'પરંપરા' (1993), 'ડર' (1993) વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ શિવ-હરિની ફિલ્મ સંગીતની સફર વિશે.
સૂરજીત સિંહ લિખિત પુસ્તક 'બાંસુરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા'માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌપ્રથમ ફિલ્મ 'કાલા પથ્થર'ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેનાં કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે આ નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે 'સિલસિલા' (1981) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવા લોકપ્રિય કલાકાર હતા. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. આ ફિલ્મથી જાવેદ અખ્તરે પહેલી વખત ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ 13 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ 1 જુલાઈ, 1938ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.
શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. 'સિલસિલા' ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. 'સિલસિલા'ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ, શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઈચ્છતા હતા તે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે 'સિલસિલા' ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની 'સિલસિલા'માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991) અને 'ડર'(1993)માં યાદગાર સંગીત આપ્યું. 'સિલસિલા' (1981), 'ચાંદની' (1989) અને 'ડર'(1993)માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ 1993માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.