જીવું કે હું મરું, બોલ તું,
ભૂખમાં શું કરું, બોલ તું.
નાવ મારી છે મઝધારમાં,
કેમ દરિયો તરું, બોલ તું.
ગોદડી હોય તો પાથરું,
પેટ ક્યાં પાથરું, બોલ તું.
ક્યાં જવું, ક્યાં રહેવું હવે,
ના રહ્યું છાપરું, બોલ તું.
મૂળમાં ઘા લાગ્યો કારમો,
કેમ હું પાંગરું, બોલ તું.
વાત હું મનની કોને કહું,
કેટલું કરગરું, બોલ તું.
ભૂખમાં દેહ સોંપી દીધો,
ક્યાં રહી આબરૂ, બોલ તું.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020
![]()


બૅટરીના બે ધ્રુવ હોય છેઃ ધન અને ઋણ, જેને અંગ્રેજીમાં ‘પૉઝિટિવ’ અને ‘નેગેટિવ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણું વિશ્વ, તેમાં બનતી ઘટનાઓ, તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને બીજી અનેક બાબતો કંઈ બૅટરી નથી કે તેમાં માત્ર બે જ ધ્રુવ હોય! આ બે ધ્રુવની વચ્ચે આખો રંગપટલ હોય છે. ‘પૉઝિટિવ થિન્કિંગ’ એટલે કે હકારાત્મક વિચારસરણી શીખવતી આખી શાખા હવે તો વિકસી છે. ઘણા વાક્ચતુરો આ કૌશલ્ય થકી આજીવિકા રળી રહ્યા છે. આ પ્રકારનાં પુસ્તકોનું પણ આગવું બજાર ઊભું થયું છે. અહીં સુધી ઠીક છે, કેમ કે, આખરે આ બધું શ્રોતા કે વાચકોની ઈચ્છા પર અવલંબિત હોય છે. પણ કેટલાંક પ્રસાર માધ્યમોને આ રોગ લાગુ પડી રહ્યો છે એ ચિંતાજનક છે. પ્રસાર માધ્યમો તેમ જ તેની સાથે સંકળાયેલા લોકોનો ધર્મ સમાચાર રજૂ કરવાનો છે. સમાચાર આખરે સમાચાર હોય છે, પણ હવે તેને ‘પૉઝિટિવ’ કે ‘નેગેટિવ’નો ઢોળ ચડાવવાનો સગવડિયો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકો પણ વિવિધ મુદ્દાઓને આ બે જ ખાનામાં વિભાજિત કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ‘હકારાત્મકતા’નો વર્તમાન સંદર્ભમાં મતલબ થાય છે શાસકતરફી લખાણ. શાસકની કે શાસનપદ્ધતિની ટીકા થતી હોય એવા સમાચારને અને એવી ટીકા કરનારને સહેલાઈથી ‘નકારાત્મક’ ગણી લેવામાં આવે છે. એક રીતે જોઈએ તો, હકારાત્મકતાના ઓઠા હેઠળ પરિસ્થિતિની વાસ્તવિકતા, ગેરવહીવટ કે ગેરવ્યવસ્થા સામે આંખ આડા કાન કરવાની એ વૃત્તિ છે.
કોરોના સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યાં છે. ભારતમાં લૉક ડાઉનની તકલીફો સાથે હજારો સ્થળાંતરિત મજૂરોની આપદા જોવા મળી, જે હજુ ચાલુ છે. દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહીં તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઊણપો સામે આવી રહી છે. લૉક ડાઉનનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે, ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. પણ તેમાં કેટલાક અપવાદો બાદ કરતાં કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો પૂરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાનાં આ વાતાવરણમાં આપણું પૂરતું ધ્યાન તે તરફ જતું નથી. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણ અને તેને લગતી નીતિમાં ફેરફારની હિલચાલ.