પ્રાથમિક શિક્ષણ ને બે ભાગમાં સમજવાનું છે. પ્રથમ તબક્કો આત્મનિર્ભરતાનો છે. જન્મથી અત્યાર સુધી તે કોઈની દેખરેખ-સંભાળમાં રહ્યું છે. એટલે પ્રથમ તેને કુટુંબથી છૂટું પાડવાનું છે. તેને આત્મવિશ્વાસ બેસે કે તે એકલું રહી શકે છે, પોતાના કામ જાતે કરી શકે છે, પોતાની જરૂર બીજાને જણાવી શકે છે. બાળમંદિર કે કે.જી.ના આ તબક્કામાં તે પુસ્તકના નહીં, જીવનના પાઠ શીખે છે.
પછી શરૂ થાય છે બીજો તબક્કો ઔપચારિક શિક્ષણનો. તેમાં પ્રથમ તેને વિષયની ઓળખાણ કરાવવાની હોય છે. તેને વિષયની પાસે લાવવાનું હોય છે. અહીં કોઈ સાથે બેસીને જ તેને ભણાવી શકે. બાળકને ખબર નથી કે આ કબૂતર નો ‘ક’ છે કે એકડે એક છે. તેને પાસે બેસીને સમજાવવું પડે, જે ઑનલાઇન શક્ય જ નથી.
આમ પણ મોબાઇલ કે કમ્પ્યૂટર ચાલુ કરવા, સ્કૂલની લિન્ક ખોલવા કોઈ તો જોઈએ જ. ત્યાર પછી સાહેબ કહે તે પ્રમાણે બાળકને કરાવવા માટે પણ કોઈની જરૂર પડે. તેના કરતાં આપણે જ બાળકને કક્કો કે એકડો ઘુંટાવીએ તો વધુ સારું.
ઑનલાઇન શિક્ષણ માત્ર બાળકની આંખો નથી બગાડતું, પણ તેને ભણવા માટે અણગમો ઊભો કરે છે. તો પ્લીઝ, તમારા બાળક ને તમે જ કક્કો ઘૂટાવો …. પાસે બેસી ને. સ્કૂલ એ માટે દબાણ કરતી હોય તો ત્યાંના શિક્ષકો સાથે પણ વાતચીત કરી જુઓ અને શક્ય હોય ત્યાં સુધી, ટાળી શકાય એમ હોય ત્યાં સુધી આવી પરિસ્થિતિ ટાળો.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 05
![]()




આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.