પ્રણામ સૌને.
‘ઓપિનિયન’ની આ ઉજવણીમાં ભાગ લેવાનો અને એ નિમિત્તે તમને સૌને મળવાનો મને ખૂબ આનંદ છે. મારો આ આનંદ એટલા માટે કે ‘ઓપિનિયન’ પંદર વર્ષનું હતું ને, ત્યારથી હું એને ઓળખું. વાત એમ છે કે 2010માં અમે થોડો વખત ઈટલી હતાં ત્યારે ત્યાંના એક અનુભવ વિશે મેં થોડુંક લખ્યું. હાર્દિક મને કહે, “આ લેખ તું ‘ઓપિનિયન’વાળા વિપુલભાઈ કલ્યાણીને મોકલ.” મને થ્યું’ મારા જેવી એક અજાણીએ આમ અમસ્તાં જ લખેલું કંઈક વિપુલભાઈ શું કામ વાંચે કે છાપે ..! પણ તો ય મેં મોકલ્યું. તમને નવાઈ લાગશે કે તરત જ વિપુલભાઈનો જવાબ આવ્યો. એમણે મારો લેખ પ્રેમથી વાંચ્યો’તો એટલું જ નહીં, પણ ખૂબ મહેનતથી યોગ્ય જગ્યાએ એમણે છપાવ્યો પણ હતો.
ત્યારની ઘડી ને આજનો દિવસ, મારા જેવાં કેટલાંયને એ જ પ્રેમથી વિપુલભાઈ ‘ઓપિનિયન’ માં આવકારતા રહ્યા છે, અને એ પણ કોઈ પણ જાતના અહમ્ વિના ! અને એટલે જ એમણે વાવેલું ‘ઓપિનિયન’ આજે આટલું બધું વિસ્તર્યું છે, ને આપણે એને ઉજવવા ભેગાં થયાં છીએ. એનું ડિજીટલ વર્ઝન જ જુઓ, how inline it is with today’s online world ! ફેસબુક પર પણ એ લેખોની સતત અપડેટ્સ કરતા જ રહે છે. એકાદ લેખ વાંચવા એની ઉપર ક્લિક કરીએ ને સીધાં જઇ પહોંચીએ ‘ઓપિનિયન’ની વેબસાઈટ ઉપર. એ વેબસાઈટ પણ કેટલી રીડર ફ્રેંડલી છે! જોતાં જ ગમી જાય. અને એમાં વિષય; લેંગ્વેજ, લિટરેચર, આર્ટ, કલ્ચર, હિસ્ટ્રી, ગાંધી અને કેટલું બધું .. હજી તો બધું મને યાદ પણ નથી. જે રસ પડે એ વાંચી શકીએ. કોઈ એક વિષય પર ક્લિક કરીએ ને ખૂલ જા સિમસિમ. જુદી જુદી વ્યક્તિઓએ પીરસેલો એક થાળ હાજર થઈ જાય. મન થાય એ માણો. મને તો ક્યારેક એવું લાગે કે હું કોઈ સરસ લાઇબ્રેરીમાં પહોંચી ગઈ છું.
આ કામ સહેલું નથી, ખૂબ મહેનત માગી લે એવું છે, એ આપણે બધાં જ જાણીએ છીએ. આમાં વિપુલભાઈને મદદ કરનારા પંચમભાઈ, અશોકભાઈ, નીરજભાઈ જેવા લોકો ય જબરા છે, હો! તમને મારો જ એક અનુભવ કહું તો થોડા વખત પહેલાં ઓસ્ટ્રેલિયાના ઇતિહાસ પર મેં એક લેખમાળા કરી હતી. મને વિપુલભાઈએ કહ્યું કે મારે એ ઓપિનિયનમાં લેવી છે. હું તો સ્વાભાવિક રીતે ખૂબ રાજી થઈ. ત્યાં મને પંચમભાઈનો મેસેજ આવ્યો કે આ લેખ તમે યુનિકોડ ફોન્ટ્સમાં મોકલજો. હવે, યુનિકોડ ફોન્ટ્સ મારા માટે સાવ એલિયન. પણ પંચમભાઈએ મને ધીરજપૂર્વક, ફોડ પાડીને સમજાવ્યું કે લેખ જો યુનિકોડ ફોન્ટ્સમાં હોય તો એ ગૂગલ સર્ચમાં દેખાય, ને તો એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. વિચાર કરો કેટલી મહેનતનું અને તે પણ સ્પષ્ટ ને સ્પષ્ટ સેવાનું આ કામ, છતાં ય જુઓ એમની દરકાર, એમની કાળજી. વંદન છે આ સૌને.
જીવવા માટે, અને એ ય સારું જીવવા માટે સારું વાંચવાની, વિચારવાની, જોતાં રહેવાની ખૂબ જરૂર છે એ આપણને બધાંને ખબર છે, પણ અત્યારના આ અઘરા સમયમાં તો ખાસ જ છે. ત્યારે મને આપણા ખૂબ ગમતા કવિ વિનોદ જોશીની આ પંક્તિઓ યાદ આવે;
ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર !
આપણી હાલત અત્યારે આ પંખીથી કાંઈ બહુ જુદી નથી. પીંજરું હોય કે ન હોય, દેખાતું હોય કે ન હોય, પણ આપણે એક રીતે તો બંધાયેલાં જ છીએ. આવા સમયે આપણી સામે કોઈ આકાશ ઉઘાડતું હોય તો એ છે ‘ઓપિનિયન’. નવા નવા વિચારો, નવી નવી વાતો લઈને આપણા માટે સતત નવી નવી દિશાઓ ખોલી આપવા ‘ઓપિનિયન’ના આખા પરિવારનો હું ફરીવાર આભાર માનું છું . આટલું સરસ કાર્ય આટલા પ્રેમથી કરે છે એટલે જ આપણે આટલું વાંચતા રહીએ છીએ, વિચારતા રહીએ છીએ, અને એટલે જ જીવંત રહીએ છીએ. ફરી વખત એમનો ખૂબ આભાર અને આ પર્વ માટે ખૂબ શુભેચ્છાઓ.
~~~~~~~~
(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)
![]()


તમારા બધાંની જેમ જ મેં પણ અનુભવી એ વ્યગ્રતા, ચિંતા, પીડા, એકલતા અને બીક. અલબત્ત, બીજાનાં દુઃખ સામેનું મારું દુઃખ નગણ્ય હતું અને અંતે બધું સુખરૂપ પાર પણ પડ્યું. એટલે એ અનુભવો અહીં મૂકવાનો કોઈ અર્થ નથી. It's like revisiting the ordeal for me and ugly reminder to others. Why add to the painful moments? પણ એ સમય પણ વીતી ગયો અને હું વેરવિખેર ન થઈ એનાં પાયામાં કેટલાક બારસાખના ટેકા છે જેને ટેકે ઊભી રહી હું આવતીકાલના સૂર્યની રાહ જોઈ શકી. બસ, એમને સલામ કરવાનું ન ચૂકાય એટલે આ વાત. થોડી લાંબી થાય તો ય એને એક જ ભાગમાં પૂરી કરવી છે, અનિશ્ચિતાઓ વચ્ચે હવે કશું આવતીકાલ માટે બાકી રાખવું પરવડે એમ નથી.
કોરોનાને કારણે સતત મૃત્યુના આંકડા જ અપાયા કરે તો તેને લીધે વ્યક્તિમાં નિરાશા વ્યાપે એમ બને, એવે વખતે કેટલા સાજા થયા તેના આંકડા પણ અપાવા જોઈએ, પણ મૃત્યુ વિષે ચૂપ રહેવામાં જ જો પોઝિટિવિટી આવી જતી હોય તો એ બરાબર નથી. એ તો મૃત્યુ છુપાવવા કે નકારવા જેવું થાય. પત્રકારનો ધર્મ સત્ય છુપાવવાનો નથી. સરકાર મરણના આંકડા છુપાવે કે હોસ્પિટલની અસુવિધા વિષે હકીકત ન કહે કે ઓક્સિજનની અછત અંગે છાવરે તો કોર્ટ સાચી વાત જણાવવા દબાણ કરે છે. તો, એમ કહીશું કે કોર્ટ નકારાત્મક વલણ દાખવે છે? સરકાર આંકડા છુપાવે ને સાચું ચિત્ર લોકો સમક્ષ પ્રગટ ન કરે તો એ સરકારનું હકારાત્મક વલણ છે એમ કહી શકાશે? જેમ છુપાવવું હકારાત્મકતા નથી એમ જ હોય તેનાથી વધુ બતાવવું કે જોવું પણ હકારાત્મકતા નથી.