મનને બહુ આગ્રહ કરી કરીને શ્રેયસાધક બની રહેવાનું કહું છું. અંદરથી એવું ય અનુભવાય છે કે શ્રેયસાધક કહેવાય તેઓનું જગતમાં સંખ્યાબળ પણ કેટલું ? પણ આમ્રવૃક્ષ બાવળ શી રીતે બની શકે ?
આસપાસ મોટા ભાગના જીવો પ્રેયસાધક જ જોવા મળે છે . બાહ્ય દેખાવ શ્રેયસાધકનો; પણ અંદરથી તો પ્રેયના જ પૂજારી – વધારે યોગ્ય શબ્દ વાપરવો હોય તો પાપના પૂજારી પણ પ્રયોજી શકાય ! મોટા ભાગનાનું મન એવું કે અનૈતિકતા, અપ્રામાણિકતા, ગમે તે માર્ગે – ગમે તે રસ્તે જેટલું ધન મેળવી શકાય, રળી શકાય એટલું ઉસેડી લેવાનું; આ રોગ ઊગીને ઊભા થાતા નાનકડાં છોકરાંઓમાં ય નરી આંખે જોઈ શકાય છે; જેને મળીએં એ શખ્સ “નીરજ” કહે છે તેમ “सब का तेरी जेब से नाता, तेरी जरुरत कोई नहीं ।”ની મનોવૃત્તિવાળો જ જોવા મળશે !
આશ્ચર્યની વાત તો એ છે કે આમ તો positive thinking – એટલે કે હકારાત્મક વિચારણાનો મહીમા ચારે તરફ જોવામાં આવશે; પણ મોટા ભાગના આધેડો અને ખાસ કરીને યુવાનો પાસે નૈતિકતાની અને પ્રામાણિકતાની વાત કરીએ એટલે એ આક્રમક રીતે દલીલોથી ઉદાહરણ સહિત વિરોધ કરવા રીતસરના તૂટી જ પડે છે; એમનો બિલકુલ દોષ નથી રોજિંદા જીવનમાં તેઓ જે જૂએ છે – જાણે છે – જીવે છે એ જ અણગમતી બાબતની પ્રતિક્રિયા તો એ આપે જ ને !
આમ તો પૃથ્વી પર મનુષ્ય જનમ્યો અને એનું મન વિચારતું થયું હોય ત્યારથી જ શુભની સાથે જ અશુભની પણ વિચારણા શરૂ થઈ હશે. “રામાયણ”, “મહાભારત” પણ શુભ-અશુભની જ સંમિશ્રિત કથા છે ને ? પણ પાછલે પગલે જેમ જઈએ એમ શુભનું – શ્રેયનું બળ વધુ જોવા મળશે. એથી જ એ કાળે લોકો પર ધર્મનો પ્રભાવ અને ડર પણ વિશેષ જોઈ શકાશે. કિન્તુ, કહેવાય છે કે જગતમાં બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે જગતમાં નૈતિક મૂલ્યોનો તમામ ક્ષેત્રમાં હ્રાસ થયો ! સંઘરાખોરી, કાળાબજાર, અઢળક ધન રાતોરાત મેળવી લેવાની લાલસા, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરે અનિષ્ટો આ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન વિશેષ જોવા મળ્યા. હવે આધુનિક યુગના મશીનછાપ માનવીનો ચહેરો નજરે આવ્યો. ઉમાશંકર જોશીના નિબંધસંગ્રહ “ગોષ્ઠિ”ના એક નિબંધમાં પણ આ બીજા વિશ્વ યુદ્ધ પછી અમદાવાદની યુવાન પેઢીમાં આવેલ આ પરિવર્તનની નોંધ લેવાઈ છે .
આ શ્રેયમાર્ગથી બીજા વિશ્વ યુદ્ધની આબોહવાએ આપણને ઘણાં દૂર લાવી મૂક્યા છે. આપણે અનૈતિકતા, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ-રૂશ્વતને નામશેષ કરવાની મહેચ્છા રાખીએ છીએ, પણ એ તો `રક્તબીજʼની જેમ વધારે ને વધારે ફાલતાફૂલતા જાય છે !
હજુ ધરતી સાવ વાંઝણી તો નથી જ થઈ; શ્રેયાર્થીઓ પણ નથી જ એવું તો નથી; પણ આપણે આપણા રોજિન્દા અનુભવોને આધારે એટલી હદે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ કે કોઈ વ્યક્તિને આપણે શ્રદ્ધેય તરીકે સ્વીકારી શકતા નથી. આ અશ્રદ્ધાની વચ્ચે – સાથે જીવવું એ નાનીસૂની સજા નથી!
તા. ૧૪-૦૮-૨૦૨૨
![]()



સૉક્રેટિસ-પ્લેટોનાં મન્તવ્યોની ચર્ચા માટે દેરિદાના Dissemination પુસ્તક પાસે પ્હૉંચી જવું મને વધારે જરૂરી લાગ્યું છે. મેં Disseminationને પુસ્તક કહ્યું એ તો ઠીક પરન્તુ હું એને લેખોનો સંગ્રહ કે સળંગસૂત્ર ગ્રન્થ નથી કહી શકતો. કેમ કે એમાં Plato’s Pharmacy એક ખણ્ડ છે, અન્ય વિષયમુદ્દાઓ વિશે જુદા જુદા ખણ્ડોમાં વિવિધ લેખનો છે. એ જુદી વાત છે કે સગવડ ખાતર એ દરેક ખણ્ડને પ્રકરણ કહેવાય છે.
તેઓ કહે છે કે જેને લેખન ગણીએ છીએ એ કક્કો-બારાખડી નથી પણ ભાષાનો પાયો છે. ભાષા વાણીરૂપે હોય કે લેખનરૂપે, એમાં અર્થ હમેશાં તફાવત વિલમ્બન અને નિશાનોની આન્તરલીલાથી જ પ્રગટે છે. એટલે લેખન દ્વૈતીયિક નથી કેમ કે જે લક્ષણોને આપણે મહત્તા અર્પીએ છીએ, અને પ્લેટો જેની ટીકા કરે છે, એ લક્ષણોથી તો ભાષા કાર્યકર થઈ શકે છે.
આપણા દેશમાંના સંગ્રહની યાદી જોતાં ૧૯૦૭ સુધી કોઈ ગુજરાતી પુસ્તક આ કાયદા હેઠળ જપ્ત થયું હોય તેવું જાણવા મળતું નથી. ૧૯૦૭માં ‘સ્વદેશ કીર્તન’ નામના પુસ્તકનો પહેલો ભાગ જપ્ત થયો હતો. ૩૨ પાનાંનું આ પુસ્તક અમદાવાદના સસ્તું સાહિત્ય પ્રચારક મંડલ દ્વારા પ્રગટ થયું હતું. બ્રિટિશ શાસન દરમ્યાન જપ્ત થયેલું છેલ્લું પુસ્તક હતું લાભુબહેન મહેતાએ ‘વીર જવાહરલાલ’ નામે લખેલું પંડિત જવાહરલાલ નેહરુનું જીવન ચરિત્ર. ૧૯૪૧માં અમદાવાદના ભારતી સાહિત્ય સંઘ દ્વારા તે પ્રગટ થયું હતું. જેનું પુસ્તક બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હોય તેવાં એકમાત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન છે. એ વખતે એમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.
કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકનાં તથા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેનાં એક સો કરતાં વધુ પુસ્તકો લખનાર નારાયણ વસનજી ઠક્કુર (૧૮૮૪-૧૯૩૮) એમના જમાનાના એક અત્યંત લોકપ્રિય લેખક હતા. ૧૯૧૧માં તેમની એક સામાજિક નવલકથા પ્રગટ થઇ : ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા?’ ૩૫૨ પાનાંની આ નવલકથામાં ક્યાં ય એક શબ્દ પણ સરકારની વિરુદ્ધનો હોય તેવો જોવા મળતો નથી. તો પછી સરકારે આ પુસ્તક જપ્ત કેમ કર્યું હશે? સંભવિત કારણ એ છે કે તેમાં સામાજિક સુધારાનો આત્યંતિક વિરોધ કરવામાં આવ્યો છે. અને કહેવાતી ભારતીય પરંપરાને ઉજળી બતાવવા ખાતર લેખકે બ્રિટિશ પદ્ધતિનાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, વહીવટી તંત્ર વગેરેને ઉતારી પાડ્યાં છે અને આ પરદેશીઓ માંસ, દારુ વગેરે છૂટથી ખાય-પીએ છે તેની આકરી ટીકા કરી છે. કથાનો આરંભ થાય છે મુંબઈની ‘તાતાની તાજ મહેલ’ હોટેલમાં. ગુજરાતમાં એક બાજુથી સમાજ સુધારાની ચળવળ જોરશોરથી ચાલી રહી હતી અને તેની તરફેણમાં લખનારાઓ ઘણા હતા, તો બીજી બાજુ તેનો ઉગ્રપણે વિરોધ કરનારી એક નાની પણ બોલકી ટોળકી પણ હતી. નારાયણ વસનજી ઠક્કુર આ ટોળકીના સભ્ય હતા. એટલે, ભલે આ પુસ્તકમાં સરકારની ટીકા ન હોય, પણ બ્રિટિશ જીવન-પદ્ધતિની ટીકા હતી, તેનો ઉપહાસ પણ હતો તેથી સરકારને આ પુસ્તક વાંધાજનક લાગ્યું હશે.
પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં ‘ગાંધીકૂચ’ (આલ્બમ) એવું નામ જોયું ત્યારે થોડી નવાઈ લાગેલી. ગાંધીજીના ફોટાના આલ્બમ પર પ્રતિબંધ મૂકવા પાછળ શું કારણ હશે? સારે નસીબે એ પુસ્તક જોવા મળ્યું અને જોતાંવેંત મનમાંની શંકા દૂર થઇ. બધા ફોટા ૧૯૩૦ની દાંડીકૂચના, સાથેના લખાણમાં બ્રિટિશ સરકારની ભારોભાર ટીકા, અને ગાંધીજીનાં ભાષણો અને લેખોમાંથી આપેલા સંખ્યાબંધ ઉતારા. ફોટા સાથેનું લખાણ લખેલું આપણા જાણીતા સાહિત્યકાર રસિકલાલ પરીખે (૧૮૯૭-૧૯૮૨). આ પુસ્તક પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કર્યું હતું, જેની સાથે રામનારાયણ વિ. પાઠક સંકળાયેલા હતા.
૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી. પણ આપણી આઝાદી માટેની લડત દરમ્યાન તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં અને પ્રભાતફેરી, સભા-સરઘસ વગેરેમાં નિયમિત રીતે ગવાતાં. આ પુસ્તિકા સરકારે જપ્ત કરી હતી. કારણ તેના એકે એક પાના પર જે ગીત હતાં તેમાં સરકાર વિરુદ્ધનો દારુગોળો ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એક ગીતના આરંભની પંક્તિઓ :
આપણાં ભાષા-સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ એટલો તો વ્યાપક હતો કે ૧૯૨૦ પછીનાં ત્રીસેક વર્ષના ગાળાને આપણે ‘ગાંધીયુગ’ તરીકે ઓળખીએ છીએ. પણ આ યુગના અગ્રણી સાહિત્યકારોમાંથી બહુ ઓછાનાં પુસ્તકો જપ્ત થયાં હોય તેમ જણાય છે. તેમાં બે અપવાદ છે : એક, ઝવેરચંદ મેઘાણી અને બીજા મનુભાઈ પંચોળી ‘દર્શક.’ માત્ર ૩૦ પાનાંનો મેઘાણીનો કાવ્યસંગ્રહ /સિંધૂડો/ ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. સવિનય કાનૂનભંગની ચળવળ તે જ દિવસે શરૂ થઇ. પુસ્તકની દસ હજાર નકલ છપાયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. છતાં લોકોની માગ તો ચાલુ જ હતી. એટલે રતુભાઈ અદાણીએ પોતાના સુંદર હસ્તાક્ષરમાં ‘સિંધુડા’ની નકલ કરી હતી અને
આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો ‘વીરની હાકલ’ નામે બે ભાગમાં પ્રગટ થયાં. આ પુસ્તકના પહેલા ભાગની પહેલી આવૃત્તિની દસ હજાર નકલ છપાયેલી, જે જોતજોતામાં વેચાઈ ગયેલી. થોડા મહિના પછી પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો. ત્યારે સરકારે બંને ભાગ જપ્ત કર્યા. મહાદેવભાઈ દેસાઈ એક પોલિસ સ્ટેશનમાં ક્યારે ધરપકડ કરવામાં આવે તેની રાહ જોતા બેઠા હતા ત્યારે તેમણે પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું : “એવો કયો ગુજરાતી હશે કે જે સરદારની વાણી સાંભળીને તેમાંના કોક નહિ તો કોક ઉદ્ગારને યાદ કરતો ન હોય, સંઘરી રહ્યો ન હોય. એ હાકલના શબ્દેશબ્દમાં જે જોમ ભર્યું છે, જે આગ ઝરે છે તેનાથી કયું હૃદય સ્પર્શ થયા વિના રહ્યું હોય?” પહેલા ભાગમાં જે ભાષણો મૂક્યાં છે તે સરદારની દેખરેખ નીચે પ્રગટ થયેલી બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓમાંથી લેવાયાં છે અને એટલે તે વધારે પ્રમાણભૂત છે. જ્યારે બીજા ભાગમાંનાં ભાષણો અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલોને આધારે તૈયાર કર્યાં છે. જો કે બને તેટલા પ્રમાણભૂત થવાના આશયથી દરેક ભાષણ માટે કોઈ એક અખબાર પર આધાર ન રાખતાં ત્રણ-ચાર અખબારોના અહેવાલોનો આધાર લઈને સંકલન કર્યું છે. બન્ને ભાગનું સંપાદન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી (જોડણી પુસ્તક પર છાપ્યા પ્રમાણે) એ કર્યું છે અને પ્રકાશન પ્રસ્થાન કાર્યાલયે.
કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા સંપાદિત ‘સ્વરાજ્યનાં ગીતો’ પુસ્તકની પહેલી આવૃત્તિમાં કૂલ ૧૫૫ ગીતો હતાં અને તે ૧૯૩૧માં ગાંધીજીના જન્મ દિવસે પ્રગટ થઇ હતી. અમદાવાદના ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તે પ્રગટ કરી હતી. તેમાં ગીતોને સાત ખંડોમાં વહેંચીને મૂક્યાં છે : પ્રભાત ફેરીનાં ગીતો, તિરંગાગાન, સભાનાં ગીતો, સરઘસનાં ગીતો, રાષ્ટ્રીય રાસ, વાનરસેનાનાં ગીતો અને મિજલસ ગીતો. આઝાદીની લડત શરૂ થઇ એ પહેલાં ગાંધીજીની રેંટિયાપુરસ્કાર અને મદ્યનિષેધની પ્રવૃત્તિથી ગુજરાતના આદિવાસીઓના જીવનમાં કેવું ચૈતન્ય આવ્યું હતું તેની પ્રતીતિ કરાવતાં ચોધરી, ગામિત, ઢોડીયા, વગેરે જાતિના કવિઓએ લખેલાં કેટલાંક ગીતો તેમની બોલીમાં જ અહીં મૂક્યાં છે તે આ સંગ્રહની એક આગવી વિશિષ્ટતા છે. ગામિત બોલીમાંના એક ગીતની આરંભની પંક્તિઓ છે :
‘ક્રાંતિને માર્ગે’ પુસ્તક લખાયું ૧૯૩૦માં, પણ પ્રગટ થયું ૧૯૩૨માં. તેના લેખક પ્રભાકર બિહારીલાલે તેની પ્રસ્તાવના લખવાની વિનંતી કાકાસાહેબ કાલેલકરને કરી અને પુસ્તકની હસ્તપ્રત તેમને વાંચવા મોકલી. મુસાફરી દરમ્યાન વાંચવાના આશયથી કાકાસાહેબે એ હસ્તપ્રત પોતાની બેગમાં મૂકી. પણ મુસાફરી દરમ્યાન તે બેગ ચોરાઈ ગઈ. કાલેલકરે ગુજરાતી તથા મરાઠી છાપામાં જાહેરખબર છપાવીને ચોરને વિનંતી કરી કે બીજું કાંઈ નહિ તો પણ તે હસ્તપ્રત તેમને પાછી મોકલી દે. પણ હસ્તપ્રત મળી નહિ. સારે નસીબે લેખક પાસે બીજી નકલ હતી. તેને આધારે કાલેલકરે પ્રસ્તાવના લખી. પણ આ બધામાં સારો એવો સમય ગયો એટલે પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થઇ શક્યું. પણ પ્રગટ થતાં વેંત સરકારે તેની નકલો જપ્ત કરી. લેખકના કેટલાક વિચારો તો આજે પણ વધુ પડતા જલદ લાગે તેવા છે. જેમ કે: “આપણા દેશમાં, સત્યાગ્રહની ચળવળ દરમ્યાન જે ધનિકો આગેવાન તરીકે ગણાયા છે તે સાચા આગેવાન નથી, પણ સહાયક છે. જો તેમને સાચા આગેવાન થવું હોય તો તેમણે ધનિક મટી જ જવું જોઈએ. ગરીબનો આગેવાન ગરીબ જ હોય. જ્યાં સુધી નેતા અને અનુયાયીમાં, માનસિક શક્તિ સિવાય બીજી બધી રીતે સામ્ય ન હોય ત્યાં સુધી નેતા અને અનુયાયીનો સાચો સંબંધ હોઈ જ ન શકે.”
મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં બે નાટકો ઉપરાઉપરી પ્રગટ થયાં : ૧૯૩૪માં ‘જલિયાંવાલા’ અને ૧૯૩૫માં ‘૧૮૫૭.’ બંને નાટકો પર સરકારે તરત જ પ્રતિબંધ મૂકેલો. તે માટેનું કારણ દેખીતું છે. આ નાટકો પ્રગટ કરતાં પહેલાં લેખકને પાકો વહેમ તો હતો જ કે સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે. એટલે ‘૧૮૫૭’ની પ્રસ્તાવનામાં તેમણે ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે : “સરકાર સામે ધિક્કાર ફેલાવવાનો આશય હોવાની કલ્પના સાવ નિર્મૂળ છે. ‘જલિયાંવાલા’ કે ‘૧૮૫૭’ને ધ્યાનપૂર્વક વાંચનારાને પણ એ સ્વીકાર્યા વિના નહિ ચાલે.” પછીનાં વર્ષોમાં દર્શક આપણા એક મૂર્ધન્ય સારસ્વત, શિક્ષણશાસ્ત્રી, અને જાહેર જીવનના અગ્રણી તરીકે આગળ આવ્યા. પણ આ બે નાટક પ્રગટ થયાં ત્યારે હજી સાહિત્યના ક્ષેત્રે તેમનો પ્રવેશ તાજો જ થયેલો હતો. નાટક તરીકે આ બંને કૃતિઓ સારી એવી નબળી છે. રઘુવીર ચૌધરીએ તેમને દર્શકે લખવા ધારેલાં નાટકોના કાચા ખરડા તરીકે ઓળખાવ્યાં છે. દર્શક આ અંગે પણ સભાન હતા. લખે છે : “સાહિત્યમાં જલિયાંવાલા કે ૧૮૫૭ એ કયા ખાનામાં જાય તેની મને ખબર નથી. તેને નાટક કહેવાય કે કેમ એ હું કહી શકું એટલું મારું નાટ્યશાસ્ત્રનુ જ્ઞાન નથી. મને આ રીતે મૂકવું ફાવ્યું છે એટલું જ કહેવું બસ થશે.” ૧૮૫૭ની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને પછીથી દર્શકે બંધન અને મુક્તિ નામની નવલકથા લખી તે નાટક કરતાં વધુ સંતોષપ્રદ બની છે. પણ ૧૮૫૭ નાટકની પ્રસ્તાવના આજે વધુ ધ્યાન ખેંચે એવી છે. આપણા અગ્રણી પત્રકાર અમૃતલાલ શેઠે એ પ્રસ્તાવના લખી છે. અંગ્રેજો ૧૮૫૭ની ઘટનાને ‘સિપાઈઓનો બળવો’ તરીકે ઓળખાવતા હતા તે સાથે અમૃતલાલ શેઠ સહમત ન થાય તે તો દેખીતું છે. પણ સાવરકર અને તેમના સાથીઓ ૧૮૫૭ની ઘટનાને ‘પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે ઓળખાવતા હતા એ વાત સાથે પણ શેઠ સહમત થતા નથી. શેઠ કહે છે કે એ વખતે કેટલાક રાજાઓને પોતાનું રાજપાટ પાછું મેળવવામાં જ રસ હતો અને તેથી તેમણે ચળવળને ટેકો આપ્યો હતો. અંગ્રેજોને બદલે લોકોનું રાજ્ય સ્થપાય એવો ઉદ્દેશ તેમાંના કોઈ રાજાના મનમાં પણ હતો નહિ. શેઠ એમ પણ કહે છે કે ૧૮૫૭ની ઘટનાને પરિણામે રાજાઓ વધુ મજબૂત બન્યા, કારણ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ની લટકતી તલવાર તેમને માથેથી દૂર થઇ હતી. શેઠ ઉમેરે છે કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો દેશના ઘણાખરા ભાગ પર બ્રિટિશ સરકારની હકૂમત સ્થપાઈ ગઈ હોત અને તો દેશ વધુ સુગ્રથિત બન્યો હોત. પ્રસ્તાવનામાં શેઠે જે વિચારો વ્યક્ત કર્યા છે તે સાથે આપણે સહમત થઈએ કે નહિ તે જુદી વાત છે, પણ પોતાને જે લાગ્યું તે બેધડકપણે લખવા માટેની તેમની હિંમતને તો આપણે દાદ દેવી જોઈએ. દર્શકનાં આ બંને પુસ્તકો રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયે પ્રગટ કર્યાં હતાં.