૨૧ એપ્રિલ, ૨૦૧૧.
પપ્પાના ઓપરેશન આડે ગણતરીના દિવસો બાકી હતા. આ બાબુભાઈ રાણપરા સાંજના સમયે અમારા ઘરે આવેલા. ચારેક વાગ્યાના અરસામાં. થોડી આડીઅવળી વાતો..ખાતર બરદાશ્ત પછી બાબુભાઈએ પપ્પા સાથેની એમની મુલાકાત વિષે જણાવ્યું, ‘કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે, બેનબા, તમારા બાપુજીએ મારો હાથ પકડેલો.’
બસ આટલી જ વાત પછી એમની આંખ અને અવાજ બંને ભરાઈ ગયેલા. થોડીવાર પછી સ્વસ્થ થયા અને પોતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા ઈચ્છે છે એમ કહ્યું. પપ્પાએ હા પાડી, પછી જે બુલંદ અવાજે એમણે હનુમાન ચાલીસા લલકાર્યા. અવાજની એ બુલંદી ને અક્ષરદેહ આપવા કદાચ કોઈ કલમ સમર્થ નહિ હોય. ઘરમાં વાતાવરણ એકદમ ભક્તિ સંગીતમય બની ગયું.
અમારો પરિવાર મૂળે આર્યસમાજિસ્ટ, એટલે ઘરમાં ક્યાં ય મંદિર કે દેવદેવીના ફોટા કશું મળે નહિ, પણ બાબુભાઈનો અવાજ એ કશાનો મોહતાજ ક્યાં હતો !!!!
હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થયો પછી, લિટરલી ઘરમાં સોપો પડી ગયો. બધા જ ભાવાવેશમાં ….પાંચેક મિનિટ પછી વાતાવરણ પૂર્વવત્ થયું ને ફરીથી વાતો – અખૂટ વાતો શરૂ થઈ. જેમાંથી એક વાત હજુયે યાદ રહી ગઈ છે, :
‘એક દિવસ શ્રાવણ મહિનામાં આ બધા મેડલોનો કોથળો લઈને ભોગાવો નદીમાં મારા દીકરા સાથે ઊભો રહ્યો. નદીમાં પાણી ઊંચા આવતા જતા હતા ને હું ઊભો હતો. થોડીવાર પછી, હાથમાંનો મેડલોવાળો કોથળો ડૂબી ગયો. એ જ ક્ષણે મને સ્ફૂર્યું કે જે મેડલ પોતે જ નથી બચી શક્યા એ મને શું તારવાના ? …. ને બધા મેડલ વહી જવા દીધા … હું જોતો રહ્યો … ”
કેટલી નિસ્પૃહતા !!!!
બાબુભાઈ રાણપુરાને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અૅવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.
સ્વ. બાબુભાઈ રાણપુરાના આત્માને પરમાત્મા અસીમ શાંતિ બક્ષે એવી જ અભ્યર્થના .. હરિ : ઓમ
સૌજન્ય : https://www.facebook.com/desai.shilpa.7?fref=nf
![]()


ગુરુ-શિષ્ય પરંપરા આપણા દેશની ધરોહર ગણાય છે. આ વિષય મુખ્યત્વે અધ્યાત્મને લગતો ગણવામાં આવે છે. જૂજ લોકોને બાદ કરતાં લગભગ મોટાભાગના લોકોએ ગુરુમહિમા કર્યો છે. ધર્મ અને અધ્યાત્મમાં ગુરુનું વેણ એ જ અંતિમ સત્ય તેવી આ પરંપરાને લીધે ધર્મ-અધ્યાત્મનો વિકાસ તો શક્ય બન્યો, પણ આ જ પરંપરાને લીધે ભારતીય તત્ત્વજ્ઞાન અને જ્ઞાનમાર્ગનો વિકાસ પશ્ચિમના દેશોની સરખામણીમાં રૂંધાયો તેમ પણ કેટલાક વિદ્વાનો માને છે. ગુરુ અને શિષ્ય વચ્ચે ફક્ત આજ્ઞા અને આજ્ઞાપાલનના સંબંધ થકી જે મૌખિક-મૌલિક જ્ઞાન હતું તે જળવાયું, પણ તેમાં ઉત્તરોત્તર વધારો થવો જોઈતો હતો તે ન થયો. અથવા તો એ જ્ઞાન ફક્ત શ્રદ્ધાનો વિષય બનીને રહી ગયું અને તેમાં આલોચનાત્મક અભ્યાસ થકી પુરાવાઓ જોડી ન શકાયા. આત્માની આસપાસ ચકરાવો લેતું ભારતીય તત્ત્વચિંતન બેશક સમૃદ્ધ છે, પણ આજની મુખ્ય એવી વેસ્ટર્ન ફિલોસોફી પર તેની નહીં, પણ ગ્રીક તત્ત્વચિંતનની અસર ગણવામાં આવે છે. આ સમજણ આપણને ના ગમે તો પણ માનવી પડે તેવી છે. આનું એક ઉદાહરણ જોઈએ તો પાયથાગોરસનો ત્રિકોણનો નિયમ આપણા શૃંગશાસ્ત્રમાં છે. તેના લેખક બોધાયન ગણાવાય છે. શાળાઓમાં પાયથાગોરસ ભણાવવામાં આવે છે, કેમ કે તેમાં ફક્ત નિયમ નહીં, પરંતુ નિયમને પ્રતિપાદિત કરતા પુરાવાઓ પણ છે.
ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં: રૂ. ૨૦૦