લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.
કોરોનાનો પ્રકોપ હજુ જરા ય ઓસર્યો નથી અને એ નહીં પ્રસરે, એવું તો જરા ય કહી શકાય તેમ નથી. એવા સંજોગોમાં સરકારી નિર્ણય આંધળુકિયું પણ લાગે. સામે પક્ષે એવી દલીલ કરી શકાય કે, આવા સંજોગોમાં બીજું થઈ પણ શું શકે? એક વાર આર્થિક પ્રવૃત્તિ પહેલાંની જેમ ધમધમતી થઈ જાય, એટલે બધું બરાબર થઈ જશે, એવો આશાવાદ આવા સમયે મન પર સવાર થતો હોય છે. આવા બંને બાજુના વિચાર પછી પણ, ‘બધું ખોલી નાખવાનો નિર્ણય સવળો ન પડ્યો ને અવળો પડ્યો તો તેના માટે કોઈ ‘પ્લાન બી’ સરકાર પાસે હશે?’ એવો સવાલ ચોક્કસ થાય. પછી યાદ આવે કે આખી કોરોના-કટોકટીમાં જે સરકાર પાસે ‘પ્લાન-એ’ જ ન હતો, તેમની પાસેથી આવી અપેક્ષા શી રીતે રાખી શકાય? અને કોઈ પણ સરકાર પાસે જવાબદારી બીજા પર ઢોળી દેવાનો સનાતન ‘પ્લાન-બી’ તો હોય જ છે.
કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, કોરોનાકાળમાં તેમનો વહીવટ પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવો પડે એવો બની રહ્યો છે. અલબત્ત, એ પ્રકરણનું મથાળું હશેઃ ‘આયોજન કેવી રીતે ન કરવું’. કાર્નિવાલો ને મેળાવડા ને જગતના સૌથી લાંબા ચાલતા ડાન્સ ફૅસ્ટિવલ ને વાઇબ્રન્ટ ને પ્રવાસી ભારતીય દિવસથી માંડીને ‘નમસ્તે ટ્રમ્પ’ સુધી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે બીજું ગમે તે હોય, આપણી સરકારો ને આપણા સાહેબોનું આયોજન એટલે કહેવું પડે. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરોમાં થતા એ તાયફાના જોશીલા પ્રચારની રંગતમાં એ તો ભૂલી જ જવાયું કે આમાનાં મોટા ભાગનાં આયોજનો સરકારનું કામ જ નથી. પ્રજાને મનોરંજનમાં ગુલતાન રાખીને મહત્ત્વના મુદ્દા ભૂલાવી દેવાનું મૉ઼ડેલ તો રોમનું હતું. એકવીસમી સદીમાં લોકશાહીમાં સરકારો એવું શી રીતે કરી શકે? અને એટલું ઓછું હોય તેમ, તેના આયોજન બદલ જશ પણ ઉઘરાવે? બીજી હકીકત એ કે શહેરી આયોજનોમાં કેટલા ચાલુ રૂટની એસ.ટી. બસો બંધ રાખીને, એ બસોને કાર્યક્રમની સફળતા માટે ફાળવાઈ અને એ રુટ પર તે દિવસે લોકોને વિના વાંકે કેટલી હાડમારી વેઠવી પડી, એ મિસમૅનેજમૅન્ટ કે અસંવેદનશીલતાનો હિસાબ માંડવાની સરકારને પરવા ન હતી અને ઘણા નાગરિકોને એ દેખાતો કે જોવો ન હતો.
કોરોના-કટોકટીએ સરકારની આયોજન-કુશળતાનો પ્રચારવાયુથી ફાટફાટ થતો ફુગ્ગો ફોડી નાખ્યો છે. વડાપ્રધાનથી માંડીને ગુજરાતના મુખ્ય મંત્રીએ પુરવાર કરી આપ્યું છે કે આટલાં વર્ષે પણ તેમને આયોજન કરતાં આવડતું નથી. એટલું જ નહીં, તેમને એની જરૂર પણ નથી લાગતી. કોમી ધ્રુવીકરણ-રાજકારણના કુટિલ કાવાદાવા – કોઈ પણ ભોગે પોતાના વાવટા ફરકાવવા સિવાયની બીજી બધી ક્ષમતાઓ તેમને મન ગૌણ લાગે છે અને પોતાનું રાજકીય હિત મુખ્ય. વડાપ્રધાન એ ખેલમાં સૌથી મોટા ખેલાડી છે. એટલે લોકરંજનીના ફૂટેજ ખાઈ લીધા પછી હવે જવાબદારી લેવાની આવી ત્યારે તેમણે હાથ ખંખેરી નાખ્યા છે. તેમને લાગે છે કે કોરોનાની ઐસીતૈસી, દિલ્હીના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવાથી ઇતિહાસમાં તેમનું નામ અમર થઈ જશે. એટલે, આર્થિક તંગીના આવા વસમા ગાળામાં પણ તેમના લાડકા પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી મળી ગઈ છે. દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવી દીધા પછી પણ તેમને ધરવ થયો નથી. ઘણા સમય પહેલાં એક લેખમાં આ પદ્ધતિને મૅનેજમૅન્ટના ‘ડિઝનીલૅન્ડ મૉડેલ’ તરીકે ઓળખાવી હતી, જેમાં દર થોડા સમયે તમારે (કશું નક્કર નહીં કરવાની અવેજીમાં) નવી રાઇડ ઉમેરતા રહેવું પડે.
લૉક ડાઉનના બબ્બે મહિના થવા આવ્યા. છતાં સડકો પર ચાલતા ને વતન પાછા જવા માટે હિંસાનો આશરો લેતા શ્રમિકો આ સરકારોની ફક્ત નિષ્ફળતા જ નહીં, અસંવેદનશીલતાનું પણ પ્રતીક છે. આ મામલે સરકારી અસંવેદનશીલતાની ઊંચાઈ સરદારના પૂતળાને પણ આંબી ચૂકી છે. વડાપ્રધાનને એ વાતની હૈયાધારણ હશે કે ચૂંટણીઓ તો હજુ ચાર વર્ષ દૂર છે. ત્યાં સુધી આપણા ડિઝનીલૅન્ડમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી એકાદી એકાદ ‘એડવૅન્ચર રાઇડ’ આણી દઈશું એટલે થયું. તેમનો આવો આત્મવિશ્વાસ ખોટો પાડવાનું કામ કોઈ રાજકીય પક્ષ નહીં કરે. એ નાગરિકોએ જ કરવું પડશે.
દરમિયાન, માસ્ક ચુસ્ત રીતે પહેરવો, માસ્કના આગળના ભાગને હાથ અડાડવો નહીં, રોજ માસ્ક સાબુના પાણીથી ધોવો, હાથ પણ સાબુથી ધોતા રહેવું — આ બધી કોરોનાકાળના આરંભે અપાયેલી જાણકારીનો હજુ પણ ચુસ્તીપૂર્વક જ અમલ કરવાનો રહે છે. બહાર હરવાફરવાનું શરૂ કરી દેનારા સૌએ તો ખાસ — અને તે સરકારે કહ્યું છે માટે નહીં, પોતાની ગરજે, પોતાના પરિવાર માટે. કેમ કે, કોરોના વાઇરસને આપણે આશાવાદી હોઈએ કે નિરાશાવાદી, તેનાથી કશો ફરક પડતો નથી.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020
![]()


“કોરોના-કોરોના કરીને ઘરમાં બહુ જ રહી લીધું, હવે કામધંધે વળગો” – એ મતલબના શબ્દો, એક અખબારી મુલાકાતમાં, ગુજરાતના જુનિયર ચીફ મિનિસ્ટરે હજુ તો ત્રીજું લૉક ડાઉન ચાલતુ હતું ત્યારે કહ્યા હતા. આ મહાશયે મોદી-અમિત શાહ સામે રિસામણે બેસીને જે ‘ખાતાં’ મેળવ્યાં હતાં, તેમાંનું એક આરોગ્ય ખાતું છે. તેમના હસ્તકના આરોગ્ય ખાતાનાં ભોપાળાં અને બિનકાર્યક્ષમતા રોજેરોજ ઉજાગર થઈ રહ્યાં છે. તેનાથી લાજવાને બદલે તેઓ વેપારમંત્રીનો રોલ નિભાવતા કંઈક એમ કહે છે કે ઘરમાં બહુ રહી લીધું, હવે કામધંધે વળગો.
ભારત સરકારે 9મી મેના રોજ કોવિડ-19 માટે ટેસ્ટિંગની નવી માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (ICMR) તરફથી ‘રિવાઇઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પૉલિસી’ની જાહેરાત કરીને કોવિડ-19ની સારવારમાં અનેક મોટા ફેરફારો લાગુ કર્યા છે. ટેસ્ટ અંગેની આ નવી માર્ગદર્શિકા શું છે, તે સૌથી પહેલાં આપણે જાણીએ