અંગ્રેજી રાજની રીત હતીઃ ભાગલા પાડો ને રાજ કરો. વર્તમાન રાજની પદ્ધતિ છેઃ ધ્રુવીકરણ પ્રેરો ને રાજ કરો. નાનામાં નાના મુદ્દે પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જવા જોઈએ. તેમાંથી સરકારતરફી લોકોને પોતાની અસીમ શ્રદ્ધા કે વડાપ્રધાનના ટીકાકારો પ્રત્યેનો અભાવ ટકાવી રાખવાના મુદ્દા મળતા રહેવા જોઈએ. ટીકાકારોના વિવિધ પ્રકારની – પ્રકારભેદની પરવા કરવાની જરૂર નથી — તેમની ટીકામાં તથ્ય હોય તો પણ નહીં.
ઉપેક્ષા ફક્ત ટીકાની જ થતી નથી. ચિંતાની વાત એ છે કે આરોગ્ય અને અર્થતંત્રથી માંડીને સરહદ સુધીના ગંભીર મુદ્દા સળગ્યા છે અને સરકાર બીજા કોઈ, સમાંતર વિશ્વમાં રાજ કરતી હોય તેમ, એ મુદ્દે નાગરિકો સમક્ષ કશી ચોખવટ કરતી નથી. એટલું જ નહીં, સચ્ચાઈ બહાર લાવવા મથતા લોકોને જૂઠા પાડવાનો કે પછી તેમની સામે આડેધડ કાર્યવાહીનો દૌર ચાલુ જ રહ્યો છે. કોરાના હોય કે ચીન, સરકારની નિસબત એટલી જ જણાય છે કે વડાપ્રધાનની છબિ પર છાંટા ન ઉડવા જોઈએ અને છાંટા તો શું, આખેઆખું કાળી શાહીનું પીપડું રેડાઈ જાય, તો પણ પાળીતાં વાજિંત્રોએ તો મંગલગાન ચાલુ જ રાખવાં — કદી દેશપ્રેમના નામે, તો કદી રાષ્ટ્રવાદના નામે.
કોવિડ-૧૯ના કેસ વધી જ રહ્યા છે, પણ આરોગ્ય-મંત્રીને છેલ્લે ક્યારે જોયા હતા? રોજરોજ સરકારી અખબારી યાદીનો પોપટપાઠ કરતા પેલા લવકુમાર અગ્રવાલ પણ કેસોની સંખ્યા ધડાધડ વધ્યા પછી જોવા મળ્યા નથી. અર્થતંત્રમાં તળિયે છે. ‘મોદીનૉમિક્સ’(મોદી-અર્થશાસ્ત્ર)નો અંગ્રેજીમાં ફુલાવાયેલો વિરાટ ફુગ્ગો ફૂસ્સ થઈ ગયો છે. પણ પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાનો ઈજારો કોઈ કોમવિશેષનો થોડો છે? ‘હાર્વર્ડ’ અને ‘હાર્ડ વર્ક’ની બાલિશ તુકબંદીઓ વડાપ્રધાનને ફાવતો વિષય છે. પાંચ ‘સી’ ને ચાર ‘ઇ’ ને ત્રણ ‘પી’-ના પ્રાસ બેસાડવા માટે લખો યા મળો. પણ કશી મુદ્દાની-નક્કર-ભરોસાપાત્ર હકીકતની આશા અચૂક ઠગારી નીવડે છે.
અમેરિકાના ગણતરીબાજ ચક્રમ પ્રમુખ ટ્રમ્પ સાથેની વડાપ્રધાનની ‘દોસ્તી’ની મુઠ્ઠી પણ ખૂલી ચૂકી છે ને અંદરથી ફોંતરાં સિવાય કંઈ નીકળ્યું નથી. ભારતીય વિદ્યાર્થીઓને પાછા મોકલવાના ટ્રમ્પના તઘલકી નિર્ણયને અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓએ પડકાર્યો, ત્યારે ટ્રમ્પને પાછી પાની કરવી પડી. બાકી, વડાપ્રધાનની કશી શરમ તેમના ભાઈબંધે ભરી નહીં. ચીની પ્રમુખ સાથે ભાઈબંધીના ભરમ પછી તે લદ્દાખમાં ઊંઘતા ઝડપાયા. હજુ પણ ચીની સૈન્ય અમુક વિસ્તારોમાં લાઇન ઑફ કન્ટ્રોલથી ભારતની બાજુએ છે. ‘દોભાલનો ફોન ગયો ને બધું પતી ગયું’ – એવા દાવા, સરકારની આબરૂ પ્રમાણેના, હવાઈ નીવડ્યા છે. પરંતુ સરકાર આ મુદ્દે કશું બોલતી નથી. આ જ પલટન વિપક્ષમાં હોત તો? ભોગ આપણા કે સરકારનો કાંઠલો પકડે એવો વિપક્ષ પણ દેખાતો નથી.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 01
![]()


વાતની શરૂઆત સુરતથી કરીએ તે ઠીક રહેશે. કોરોનાનો કેર જોતાં આજે સોમવાર[27 જુલાઈ]થી દસ દિવસ સુધી સુરત જતી જાહેર અને ખાનગી બસોને સત્તાવાર બંધી ફરમાવાઈ છે. આ એ જ સુરત છે જ્યાં હજુ બેત્રણ દિવસ પર નવનિયુક્ત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું ફૂલેકું — અને તે પણ સહસ્રાધિક કાર રેલીએ — ચડાવવાનું હતું. જેવી આ જાહેરાત આવી એની વાંસોવાંસ હાર્દિક પટેલના સમર્થકો પણ રેલી કાઢશે એવા સમાચાર આવ્યા. બને કે સી.આર. માટેનું આયોજન રદ કરવાનું કારણ, વખત છે ને હાર્દિકની રેલી મોટી નીકળે અને ભા.જ.પ. ભોંઠો પડે એવી ગણતરીસરનું હોય. વળી, જો પાટીલ માટે હા પડાઈ તો હાર્દિક માટે કેમ નહીં, એ સવાલ પણ બારણે હથોડામાર આવી પડે.
વિસ્તારવાદી ચીને એક સાથે દુનિયાના અનેક દેશો સામે મોરચો માંડ્યો છે. બીજું વિશ્વયુદ્ધ જર્મનીના વિસ્તારવાદમાંથી ઊભું થયું હતું અને તેના મૂળમાં હિટલર હતો. ચીનના આજના વિસ્તારવાદના મૂળમાં તેના આજીવન પ્રમુખ થઈ બેઠેલા પ્રમુખ શી જિનપીંગ છે. ચીને લદ્દાખ મોરચે લશ્કરી કાર્યવાહી કરીને પોતાની સરહદ વિસ્તારવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. આમાં ભારતના ૨૦ સૈનિકોની કરવામાં આવેલી હત્યાથી દેશમાં ચીન સામે ભારે આક્રોશ સર્જાયો. એ સૂચક છે કે આ આક્રોશ આર્થિક મોરચા તરફ વળી ગયો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની હરકતમાં એકની સામે દસ માથાંની માગણી કરનારા રાષ્ટ્રવાદીઓ ચીન સામે એવાં જ પગલાંની માગણી કરવાના વિકલ્પે ચીનનાં માલના બહિષ્કારની માગણી કરી રહ્યા છે. આમાંથી ચીનનાં આર્થિક તાકાત અને ભારત ચીન વચ્ચેના આર્થિક સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે.