વીરોની આ ધરતીમાં નમાલા શેં ભટકાય?
ઓ ભૂમિ! દૈવત બચ્યું હોય તો હવે તો દેખાડ
રે હશે આ હાથરસની દ્રૌપદીની હાય?
મધરાતે બાળી, હવે ચોતરફ ચિતાઓ ખડકાય
સભા ગજવે દુર્યોધનો, વિદુર બેઠા મૂક
અન્યાય સામે પડનાર વિકર્ણ એકાદ દેખાડ
આપ્તજનોને રૂંધાતા ભાળી અર્જુન કરે વિષાદ
લડી લૈશું હજી પણ, રાહ ચીંધનાર કૃષ્ણ દેખાડ
ધન્વંતરિ બધા નિઃસહાય, હનુમંત મૂંઝાય
વા વલોવી પ્રાણવાયુ દે અને સંજીવની દેખાડ
ના અમ પાસ મીરા શી ભક્તિ, ના શિવશક્તિ
ઓ ભૂમિ! વિષ કાપવા, કૌવત વિજ્ઞાનનું દેખાડ
•••••
(પ્રેરણા : ૨૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ગુજરી ગયેલા પદ્મશ્રી ગુજરાતી કવિ "દાદ બાપુ"ની રચના "આ ભૂમિમાં દૈવત"
આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે
છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે
કૃષ્ણનાં ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટૂકડાં સંજીતા નીકળે
ગુરુ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ઘૂણા ગિરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભૂમિની હજી રાજા
જનક જેવા હળ હાકે તો સીતા નીકળે
![]()



સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.