અમે એ સંભાવનાથી સંપૂર્ણપણે સુજ્ઞાત છીએ કે અમારી વાસરિકાના આજના પૃષ્ઠનું પઠન કર્યા પશ્ચાત્ અમારા મસ્તકે મત્સ્ય-પ્રક્ષાલન કર્તુમ્ ઉત્સુક એવા સંસ્કૃતપ્રેમીઓની સુદીર્ઘ રેષા અત્ર, તત્ર, સર્વત્ર દૃશ્યમાન થશે. (હવે તેનો ‘શુદ્ધ’ ગુજરાતી અનુવાદ : અમને એ હકીકતની ખબર છે કે અમારી ડાયરીનું આજનું લખાણ વાંચ્યા પછી અમારે માથે માછલાં ધોવાની હોંશવાળા સંસ્કૃત પ્રેમીઓની લાંબી લાઈન અહીં, તહીં, બધે, જોવા મળશે. અને હવે પછીનું બધું લખાણ બહુમતિ વાચકો ખાતર ‘શુદ્ધ’ ગુજરાતીમાં જ.)
પણ રાજા નાગો ન હોય તો ય તેનાં જૂનાં પુરાણાં કપડાં બદલવાનો સમય આવી ગયો છે એમ કોઈક પીપીંગ ટોમે તો કહેવું પડે ને? ગૂજરાત (કોઈ સાચો ગુજરાતી ‘ગૂજરાતી’ એવી જોડણી ભાગ્યે જ કરે, પણ આ વિદ્યાપીઠ તેવી જોડણી કરે છે અને એટલા જ એક માત્ર કારણથી વૈકલ્પિક જોડણી તરીકે ‘ગૂજરાત’ને સ્વીકારે છે.) વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાતી શબ્દોની જોડણી માટે સર્વમાન્ય અને સર્વોપરી હોવાનું કહેવાય છે. (હકીકત તેના કરતાં જૂદી હોવાનો સંભવ છે.)
આ કોશમાં સાચી જોડણી કરવા માટેના ૩૩ નિયમો આપ્યા છે. તેમાં સૌથી પહેલો નિયમ કયો છે, ખબર છે? “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.” આ કોશની પહેલી આવૃત્તિ ૧૯૨૯માં પ્રગટ થઈ હતી. તે વખતે પરિસ્થિતિ જરા જુદી હતી. આજના કરતાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું. પણ જે લોકો મેટ્રિક સુધી પણ પહોંચે તે ભલે થોડે ઘણે અંશે, પણ સંસ્કૃત ભાષાથી અને તેના વ્યાકરણથી પરિચિત હતા. આજે સ્થિતિ સાવ જુદી છે.
પી.એચડી, એમ.બી.એ. કે એમ.ડી. થયેલા હોય છતાં સંસ્કૃતથી બિલકુલ પરિચિત ન હોય એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. કારણ સ્કૂલ-કોલેજના ભણતરમાંથી આપણે સંસ્કૃતનો એકડો જ કાઢી નાખ્યો છે. એટલે પહેલી વાત તો એ કે અમુક શબ્દ તત્સમ છે કે બીજા કોઈ પ્રકારનો, તેની ખબર આજના મજૂરથી માંડીને ચીફ મિનિસ્ટર સુધીના લોકોને કઈ રીતે પડે? ‘સૂર્ય’ ‘ચંદ્ર’ ‘નહિ’ જેવા શબ્દો તત્સમ છે જ્યારે ‘સુરજ’ ‘ચાંદો’ ‘નહીં’ જેવા શબ્દો તત્સમ નથી પણ તદ્ભવ છે એ કઈ રીતે તેઓ જાણતા હોય? છતાં, ધારો કે કોઈક રીતે એમણે એ જાણ્યું, તો ય મૂળ સંસ્કૃતમાં તેની જોડણી (‘જોડણી’ માટેનો સંસ્કૃત શબ્દ?) કઈ રીતે થાય એ તો એમને ખબર ન જ હોય.
એક અંદાજ પ્રમાણે ગુજરાતીમાં વપરાતા શબ્દોમાંથી ચાલીસ ટકા જેટલા શબ્દો તત્સમ છે. તો ઘણા મોટા ભાગના લોકોએ આ ચાલીસ ટકા શબ્દોની જોડણી તો ભગવાનને ભરોસે રહીને જ કરવાની રહે ને? પોતાની કોઈ ભૂલચૂક વિના સંસ્કૃતથી અજાણ રહેનારી બહુમતી ઉપર સંસ્કૃત જાણનારી એક બહુ જ નાનકડી લઘુમતીનો આ તો ભારે અત્યાચાર ગણાય. અમેરિકાનો રહેવાસી ભારત આવે ત્યારે તે ભારતના નિયમ પ્રમાણે નહિ, પણ પોતાના દેશના નિયમ પ્રમાણે રસ્તાની જમણી બાજુએ મોટર ચલાવશે, એવો નિયમ ભારત ક્યારેય કરે ખરું? પણ આપણે ગુજરાતીઓએ કર્યો અને કહ્યું કે સંસ્કૃત શબ્દોની જોડણી તે ભાષાના નિયમ પ્રમાણે કરવી. આ બાબતમાં મરાઠીભાષી લોકો આપણા કરતાં વધુ વ્યવહારિક બન્યા. તેમણે પહેલો નિયમ એ કર્યો કે મરાઠી ભાષામાં વપરાતો દરેક શબ્દ મરાઠી ભાષાનો છે એમ માનીને મરાઠી શુદ્ધ લેખન (આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે)ના નિયમો પ્રમાણે તેની જોડણી થશે. શબ્દને અંતે આવતો ‘ઈ’ હંમેશા દીર્ઘ કરવો એવો નિયમ કર્યો છે એટલે મરાઠીમાં કવી, રવી એમ જ લખાય છે, સંસ્કૃતને અનુસરીને કવિ રવિ નહિ.
આપણે ગુજરાતી માટે પણ તત્સમ-તદ્ભવના ભેદ કાઢી નાખીને સમાન જોડણી વ્યવસ્થા કરવાની જરૂર છે. કારણ છેવટે તો જોડણીકોશ કોને માટે છે? બસો-પાંચ સો પંડિતો કે વિદ્વાનો માટે? તેઓ તો એટલા જ્ઞાની છે કે તેમને કોશની જરૂર ભાગ્યે જ પડવાની. કે મારા, તમારા, આપણા જેવા કરોડો ગુજરાતીભાષીઓ માટે કોશ છે? અને તો પછી સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવાનું કહેતો આ પહેલો નિયમ વહેલામાં વહેલી તકે કોશમાંથી દૂર કરવો જોઈએ.
હવે અમે નત મસ્તક સ્થિતિમાં ઊભા છીએ. જેને જેટલું મત્સ્ય-પ્રક્ષાલન કરવું હોય તેટલું છો અમારા મસ્તક પર કરતા.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, ડાયરી : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014
![]()


ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીનાં જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ: વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), બુદ્ધિપ્રકાશ (૧૮૫૦), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, જ્ઞાન, સત્ય,બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. બ્રિટીશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે જે નવી નવી વિદ્યાશાખાઓ આપણી નજર સામે ખુલી રહી હતી તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આ વ્યાખ્યાન સાથે જેમનું નામ જોડાયેલું છે તે આપણા અગ્રણી વિવેચક અનંતરાય રાવળે બહુ યોગ્ય રીતે કહ્યું હતું તેમ “અંગ્રેજો દ્વારા પ્રવૃત્તિપુરુષાર્થી પશ્ચિમનું, એટલે વૈજ્ઞાનિક અને અન્ય સાધનો દ્વારા ભૌતિક ઉત્કર્ષની સાધના પુરસ્કારતી અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનું, ભારતમાં થયેલું આગમન અને તેણે સ્ફુરાવેલ જાગૃતિ અને નવચૈતન્ય, અંગેજી કેળવણી, મુદ્રણકળા, એ બધાંએ બદલી નાખેલી હવામાં જ સાંસારિક સભાનતા પ્રગટી. તેણે સાહિત્યનું સુકાન બદલી નાખતાં અર્વાચીન સાહિત્ય પ્રભુલક્ષી મટી માનવલક્ષી અને સંસારલક્ષી એટલે જીવનાભિમુખ બન્યું. પરિણામે સમાજ સુધારો, ધર્મસુધારણા, રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રાગટ્ય, વગેરેએ આપણા અર્વાચીન સાહિત્યને ઉપાદાનભૂત જીવનસામગ્રી પૂરી પાડી છે.”1 આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તેને માટે આ જ લેખમાં રાવળસાહેબે ‘જાગૃતિ યુગ’ એવી વધુ વ્યાપક સંજ્ઞા પ્રયોજી છે. એટલે સુધારક યુગનું સાહિત્ય એવી ઓળખને બદલે પ્રબોધન યુગનું અથવા જાગૃતિ યુગનું સાહિત્ય એવી ઓળખાણ વધુ સાચી ઓળખાણ બની રહે. આજે આપણે જેને પંડિત યુગના સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે પણ હકીકતમાં તો આ પ્રબોધન યુગના સાહિત્યનું જ એક્સટેન્શન – વિસ્તરણ – હતું. એટલે ૧૯મી સદીના સાહિત્યને બે ભાગમાં વહેંચવા કરતાં આખી ઓગણીસમી સદીના સાહિત્ય માટે ‘પ્રબોધન યુગનું સાહિત્ય’ એવી સંજ્ઞા યોજવાનું વધારે ઉચિત ગણાય.
ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ …