રજૂઆતની કલા
સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે
શબ્દ લખાય છે, છપાય છે, એ તો ઠીક છે. પણ બોલાય છે, કેમ કે એ જીવન્ત વાણી છે. બોલાય છે, સાંભળવા માટે. શબ્દનો પહેલો શ્રોતા, બોલનાર પોતે હોય છે. ‘આપ કેમ છો?’ પૂછે – એ વખતે એ ત્રણેય શબ્દોને, પહેલાં તો, એ પોતે સાંભળતો હોય છે. પણ એ જો ગૂંચવણિયું બોલે કે ધીમું બબડે તો સામાવાળા પેલા ‘આપ’-ને એ નહીં સંભળાય. શબ્દ બરાબર સંભળાય એવી નિસબતથી રજૂ થવો જોઈએ. સરખી રજૂઆત વિના કોઈપણ વાણી-વચન સફળ નથી થતું. સાંભળનારે પણ બરાબર સાંભળવાની ગરજથી સાંભળવું જોઈશે. પેલો પૂછનાર ‘તું’ કે ‘તમે’ કેમ છો? એમ નથી બોલ્યો, ‘આપ’ બોલ્યો છે. ‘આપે’ એ પર ધ્યાન આપવું જોઈશે. ધ્યાન આપશે તો જ એ પ્રશ્નમાં વસેલા ભાવને અનુભવી શકશે. વાણીનું મૂળ પ્રયોજન અનુભવ છે. કાવ્ય, ટૂંકીવાર્તા કે નાટક વગેરે ભલે શબ્દમાં સરજાય, અનુભવવા માટે છે. એ પ્રયોજનને વીસરીને થયેલું સર્જન કે તેની રજૂઆત વ્યર્થ નીવડશે; નિષ્ફળ ‘અવાજ’ લાગશે.
માનવ-સભ્યતામાં બન્યું એમ કે વાણીનું સ્થાન લેખને લીધું અને લેખન છેલ્લે મુદ્રણ બની ગયું. વાણી પુસ્તકમાં ઠરી ગઈ. વાણીનો છેલ્લો અવતાર પુસ્તક છે. આ બહુ મોટું પરિવર્તન છે. મોટું એ રીતે કે એમાં ક્યાં ય બોલનારો હાજર નથી. તેમ જ કવિ વાર્તાકાર કે નાટ્યકાર હાજર નથી. શબ્દસૃષ્ટિ ખરી પણ એનો સર્જક અનુપસ્થિત. વળી, શબ્દસૃષ્ટિનો અનુભવ સામા માણસે જાતે મેળવવાનો …
હવે, સામો તો પોતાની શક્તિમતિ અનુસાર જ અનુભવવાનો ! ખાલી વાંચી જાય. કડકડાટ કે સડસડાટ, પણ વાંચી જાય. કેટલાક તો ગગડાવી જતા હોય છે. કેટલાક તો કાગડા કે ચકલાચકલીની જેમ અહીંતહીં ચાંચ મારતા જાય ને ગમતું ગમતું જ વાંચે. રચના ચૂંથાઈને મરણતોલ થઈ ગઈ હોય. કેટલાક નીવડેલા સાહિત્યકારો નવોદિતનું લખ્યું કેવીયે ગજબ રીતે વાંચી લેતા હશે, નથી ખબર. પણ નવોદિત ભટકાઈ જાય ત્યારે પ્રેમથી કહેતા જરૂર હોય છે — મધુસૂદન, ભાઈ, તારું એ કાવ્ય જોઈ ગયો ! ‘માધવી, તારી વાર્તા, જોઈ ગયો, સારી છે, પ્રયાસ ચાલુ રાખજે’. ‘જોઈ જવા’-થી કેવુંક વંચાય, નથી ખબર. એ મહાનોની એવી અટપટી રીત છે.

ઉપનિષદકાલીન ગુરુ-શિષ્ય
ઉપનિષદ-કાળે ઋષિ અને શિષ્ય એકબીજા સામે ઉપસ્થિત હતા. વૃક્ષની છાયામાં વ્યાઘ્રચર્મ પર ગુરુ બેસતા, શિષ્ય દર્ભાસને બેસતો. આજકાલ અધ્યાપક સામે વિદ્યાર્થી બેઠો હોય છે પણ ઉપનિષદ રચાય છે ખરું? અધ્યાપક ઊભાઊભ, સ્થિત, ને વિદ્યાર્થી બેઠેલા, સ્થિર. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં અને કૉલેજે કૉલેજે ગુજરાતી સાહિત્ય ભણાવનારા કેટલાયે અધ્યાપકો છે. પણ એમાંના કેટલા અધ્યાપકો વિદ્યાર્થીને અનુભવ લગી દોરી જતા હશે? જો કે આ સવાલ ક્લાસમાં સાહિત્યકૃતિ લઈને જનારા અધ્યાપકને જ લાગુ પડે છે. મારા વતન ડભોઈના ‘સયાજી સાર્વજનિક પુસ્તકાલય’-માં સામાન્ય પ્રજાજનોને મેં વાંચતા જોયા છે. ટેબલ પર કૉણીઓ ટેકવાઈ હોય ને પુસ્તક હથેળીઓમાં જતનથી સાહી રાખ્યું હોય — અનુભવમાં ગરકાવ થઈ ગયા હોય …
કાવ્ય, વાર્તા કે નાટકને ખાલી વાંચી જઈએ, નહીં ચાલે. સર્જક પોતે પોતાની રચના રજૂ કરે તો ફર્ક પડી શકે છે. જો કે ફર્ક તો જ પડે જો એને રજૂ કરતાં આવડતું હોય. આપણે ત્યાં કોઇ કોઇ કવિઓ છે જેઓ પોતાની જ રચનાની રજૂઆતમાં અડવડિયાં ખાતા હોય છે. ટ્રાફિક-જામ વેઠીને કવિસમ્મેલનમાં મહા મહેનતે પ્હૉંચેલા સભાજનો એને દયાળુ નજરે સહી લેતા હોય છે. આમે ય, અમુક કવિસમ્મેલનમાં વધારે તો, સ્હૅવાનું હોય છે.
કેટલાક વાર્તાકારો પોતાની રચનાને ઊંધું ઘાલીને ફટાફટ પતાવતા હોય છે — જાણે એમને ટ્રેન પકડવાની હોય. સામે બેઠેલા સાવધ શ્રોતાઓને જુએ જ નહીં. નો આઈ-કૉન્ટેક્ટ. એક વાર્તાકારમિત્ર પોતાની વાર્તા એમનાં પત્ની પાસે રજૂ કરાવે છે. કારણ જે હોય તે. મને એમની એ પ્રામાણિક નિખાલસતા ગમે છે. સભાને રચનાનો પરચો મળે છે અને પત્નીની આવડતનાં સૌને દર્શન પણ થાય છે. એઓ એ પ્રસંગે તો પત્નીને નતમસ્તકે સુણતા હોય છે.
આ લેખનો કેન્દ્રવર્તી મુદ્દો જ એ છે કે સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે. રજૂઆત એક કલા છે. હરેક સાહિત્યપ્રકારને રજૂ કરવાની રીત અલગ છે. કાવ્યનું ગાન થવું જોઈએ. ગાયન વિના સૉનેટ કે આખ્યાન રજૂ ન્હૉતાં થતાં. ગઝલને હંમેશાં તરન્નુમનો સાથ હતો. વાર્તા કહેવા-સુણવા અને નાટક જોવા-સાંભળવા માટે છે. હંમણાંના આપણે ત્યાં ‘કાવ્યપઠન’ અને ‘વાર્તાવાચિકમ્’ શબ્દો વપરાય છે તે યોગ્ય છે. કેમ કે પઠન અને વાચિકમ્ જો બરાબર થાય તો સીધાં વાણી સાથે જોડાઈ જાય. મુદ્રણ આડખીલી ન બને. નાટક અને વાર્તામાં સંવાદ તેમ જ દૃશ્યો ખડાં થાય એવાં આલેખન અને સ્થળ-કાળનાં વર્ણન હોય છે. નાટક ભજવાય ત્યારે એ ત્રણેયને જોઈ-સાંભળી શકાય છે. વાચિકમ્-માં એ ત્રણેયનો સાક્ષાત્કાર થવો જોઈશે. એ માટે વાર્તામાં જેટલાં પાત્રો હોય એટલા રજૂઆતકારો જોઈશે, એકથી ન ચાલે. એકથી ચલાવવું હોય તો એ આ ત્રણેયનું વહન કરી શકે એવો મહાન હોવો જોઈએ. જો કે ત્યારે પણ રજૂઆત કૃતક લાગવાનો સંભવ છે. યાદ રાખો કે વાર્તા કથનસૂર પકડીને સંભળાવવાની વસ્તુ છે, એને નાટકની રીતે રજૂ ન કરાય.
હરેક રચનાને રજૂ કરવાની રીત પણ અલગ છે. કોઈપણ કાવ્યને, અરે, હરેક કવિના હરેક કાવ્યને, એના લયમાં જ રજૂ કરાય. છાન્દસ રચનાને છન્દોલય સાચવીને જ. અક્ષરમેળને લઘુ-ગુરુ-યતિ સાચવીને જ. માત્રામેળને માત્રાઓ સાચવીને જ. ગઝલ પણ રદીફકાફિયાનું કાર્ય — ફન્કશન — ભૂલીને તો નહીં જ ! અછાન્દસ રચનાનો પણ લય હોય છે, વળી, એ તો કાવ્યે કાવ્યે બદલાતો હોય છે. એ બદલાવ પણ સચવાવો જ જોઈએ.
કાવ્ય ગદ્યમાં પણ હોય છે ને એને પણ લય હોય છે. ગદ્યકાવ્યના સંદર્ભમાં બૉદ્લેર યાદ ન આવે એવું ન બને. પણ એ વાત કોઈ બીજી વાર. સુબન્ધુ અને બાણ ભટ્ટ સંસ્કૃત કવિતાવિશ્વના મહાન ગદ્યકવિઓ છે. સુબન્ધુની ‘વાસવદત્તા’-માં અલંકાર-સમૃદ્ધિ અને પાણ્ડિત્ય-લક્ષ્મી બન્ને છે. બાણની ‘કાદમ્બરી’-માં ક્યારેક એક જ વાક્ય બેચાર પાનાં લગી ચાલતું હોય છે. એમાં સમાસ, શબ્દગુચ્છ, કલ્પનો, વર્ણનો કે આલેખનો એવાં તો લયાનુકારી કે રજૂ કરનારો વહ્યો જાય ને સાંભળનારો અવાક સુણતો રહે. હું ‘કાદમ્બરી’-ને અંગ્રેજીમાં ભણેલો ! પ્રૉફેસરબાનુ બોલતાં – ઍન્ડ ધેન ધ ડિસ્ક્રિપ્શન ઑફ અચ્છોદ-સરોવર સ્ટાર્ટ્સ … પછી અચ્છોદ-સરોવરને બાણના સંસ્કૃતમાં રજૂ કરતાં.
ગદ્યને સંસ્કૃત કાવ્યાચાર્યે ‘કવિની કસોટી’ કહ્યું છે તે વાર્તા કે નાટકના ગદ્યને પણ એટલું જ લાગુ પડે છે. એ વિધાન તેમના ઊંડા કલાનુભવોની નીપજ છે. દારુડિયાઓની જેમ એ લોકો સોમરસ પીને લુઢકી ન્હૉતા જતા. એમની જાગૃતિ જુદી જ વસ હતી. એ વિના થોડા કંઈ સર્જનના આવા મહા મર્મ ખૂલે?
પૂછવાલાયક સવાલ એ છે કે — શાળાકૉલેજોમાં આ વૈવિધ્યસભર રજૂઆતની કલા શીખવાય છે ખરી?
= = =
[શનિવાર તારીખ ૧/૨/૨૦૨૦-ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે]
![]()


સંવેદનશીલ સર્જક સમાજથી નિરાળો રહીને કંઈ કરી શકતો નથી. સમાજ અને સામાજિક સમસ્યાઓ સાથેની એની નિસબત એને સમસ્યાઓના આલેખન માટે પ્રેરે છે. ગુજરાતી નવલકથા સાહિત્યનાં વિદ્યમાન સ્ત્રી સર્જકો પૈકી સર્જક પિતાની દીકરીઓ, બે સેન્સિટીવ સિસ્ટર વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા સમસ્યામૂલક નવલકથાઓનાં સર્જન માટે જાણીતાં છે. એક વિદ્રોહી નારીવાદી લેખિકા તરીકે ઈલા આરબ મહેતાએ સ્ત્રી અત્યાચાર અને સ્ત્રી સમસ્યાઓ પર આધારિત ‘રાધા', 'બત્રીસ પૂતળીની વેદના’, 'પાંચ પગલાં પૃથ્વી પર’ જેવી અનેક સર્જનાત્મક કૃતિઓ આપી છે. 'વાડ' સામાજિક સમસ્યા અને નારી સમસ્યાને કેન્દ્રમાં રાખી લખાયેલી હેતુપ્રધાન નવલકથા છે. નવલકથાની પ્રસ્તાવના, 'ગ્રહીને હસ્ત હસ્તેથી'માં નિખાલસ કેફિયત આપતાં તેઓ કહે છે. – 'એક સર્જકની માઈન્ડ વર્કશોપ તો ક્યારે ય બંધ નથી હોતી ક્યાંક જોયેલું, ક્યાંક સાંભળેલું, ક્યારેક મનમાં ઊગી નીકળેલું – એમ બધી બાજુથી આ મનમાં હથોડા ટિપાયા કરતા હોય છે, ઘાટ ઘડાતા હોય છે. આમાંથી ક્યારેક સંઘેડાઉતાર કૃતિ નીપજી આવે તો વળી કોઈ વાર કાચાપાકા આકારો. આકારોના ટુકડા મનની ભીતર પડ્યા રહે. પછી કોઈ નવી કૃતિ રચાતી હોય ત્યારે આપોઆપ તે પ્રગટતા રહે, નવા સર્જનમાં ગોઠવાતા રહે’. (પ્રસ્તાવના પૃ. ૪) લેખિકા કૃતિની સર્જન પ્રક્રિયાને સહજ અને સરળ રીતે સમજાવે છે. 'વાડ' નવલકથાની રચના પ્રક્રિયા – કયા નિમિત્તે આ કૃતિનું કથાબીજ સર્જકની મનોભૂમિમાં રોપાયું અને અંકુરિત થયું તેમ જ એના વિકાસમાં કયા કયા પરિબળોએ સહાય કરી છે તેનું વિગતવાર અને નિખાલસ કબૂલાતનામું તેઓ આપે છે. 'જગત પરેમી' જેવા લગભગ દોઢસો વર્ષ પહેલાંના સામાયિકનો બાઈન્ડ સંપુટ, 'મધ્યકાલીન ભારત – (લે. ઓ.પી. સિંહ)' , 'હિસ્ટ્રી ઓફ જેરુસલેમ', 'ઓ જેરુસલેમ'. 'હિસ્ટ્રી ઓફ ગોડ' – (કેરેન આર્મસ્ટ્રોંગ)', 'બાઈબલ એજ અ હિસ્ટ્રી – (વર્નર કેલર)', 'ઇન ધ શેડો ઓફ ધ સ્વોર્ડ – (એમ.જે. અકબર)’, 'સીઝર એન્ડ ક્રાઈસ્ટ' અને 'એજ ઓફ ફેથ' (વિલ ડ્યુરાં) જેવા ગ્રંથોનો ગહન અભ્યાસ અને સુરેશ દલાલ સંપાદિત 'ધરતીનો છેડો ઘર' વાંચતા શરીફા વીજળીવાળાનો એક લેખ – એક સિંગલ મુસ્લિમ સ્ત્રીની ઘર શોધવાની મથામણમાંથી 'વાડ' નવલકથા નીપજી છે.
'વાડ' નવલકથાના કેન્દ્રમાં સૌરાષ્ટ્રના ગામડા ગામમાં વસતા એક સીધા સાદા મુસ્લિમ પરિવાર અને તેની દીકરી ફાતિમાના જીવનસંઘર્ષની કથા છે. સામાન્ય રીતે આપણા સમાજના લોકો, હિંદુ, મુસ્લિમ વર્ષોથી હળીમળીને રહેતા આવ્યા છે. ગામડામાં તો દરેક લોક પરસ્પર મદદની ભાવનાથી જીવતા …. કૌટુંબિક સંબંધો પણ મજબૂત હતા. સમાજમાં સમરસતાનું વાતાવરણ પ્રવર્તતું હતું. આમ છતાં મનમાં ઊંડે ઊંડે …. વિધર્મીની ભાવના ડંખ્યા કરતી. વિશેષ કરીને હિંદુસમાજની ચુસ્ત વર્ણવ્યવસ્થાની પરંપરાનાં મૂળિયાં ધારીએ છીએ તેના કરતાં વધુ ઊંડા નીકળ્યા. આજે 2020ના વર્ષે પણ સમાજ તો વર્ગોમાં વહેંચાયેલો જ છે. હિન્દુ ધર્મ કરતાં ઇસ્લામની જુદી પડતી ધાર્મિક વિધિઓ, માન્યતાઓને કારણે પ્રચ્છન્ન અણગમો તો પહેલેથી જ મનમાં હતો. એનાં કારણો શોધવા કદાચ દૂર ઇતિહાસમાં જવું પડે. સોમનાથ અને બાબરી બે એવી ઘટનાઓ હતી જેણે બંને પ્રજાઓ વચ્ચે અવિશ્વાસની દીવાલ ઊભી કરી દીધી. એમાં વળી પાકિસ્તાનનાં અડપલાં બળતામાં ઘી હોમવા બરાબર હતાં. બિનસાંપ્રદાયિક ભારતમાં સંપ્રદાયવાદ અને ધાર્મિક કટ્ટરતાનું જોર વધતાં વિચારધારાની લડાઈ શરૂ થઇ. ઈ.સ. ૧૯૯૦ પછી ભારતીય સમાજમાં પરિવર્તનની શરૂઆત થઇ. જાણે દરેકને પોતાની અસ્મિતાનું જ્ઞાન ને ભાન થયું !! આધુનિકતા તરફ આગળ વધતું વિશ્વ માનસિક સંકીર્ણતાનો શિકાર બન્યું . વર્ગ, વાડા અને વર્ણમાં જ લોકો સલામતી જોવા લાગ્યા ! એટલે 'આપણાવાળા', 'અમારા છે', 'અપને વાલે'માં સમાજ વહેંચાવા લાગ્યો ! લેખિકા કહે છે તેમ – 'અમુક તમુક ધર્મમાં માનનારી પ્રજાનું – સમસ્ત સમુદાયના માનસનું આવું પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે ? કોણ કરે છે ? કે એવું બને – પેઢી દર પેઢીના સંસ્કારો રક્તમાં એવા ભળી જાય કે તે તે કોમના સામૂહિક અસ્તિત્વનો ભાગ બની જાય છે. કોમની ઓળખ બની જાય છે …' (પૃ. ૭, ૮) આ ઓળખને ટકાવી રાખવા ઝનૂની ધર્મરક્ષકો ચોકી પહેરો મૂકી દે છે. અધૂરામાં પૂરું કર્યું પ્રિ-ગોધરા અને આફ્ટર ગોધરાએ !
૧૯મી સદીમાં ગુજરાતમાં સમાજ સુધારાની જે પ્રવૃત્તિ જોરશોરથી ચાલી તેના પ્રત્યેના કવિ દલપતરામના અભિગમને આ પંક્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે: