
'ઈર્શાદ' હવે આજ પછી એક શબ્દ થઇ ગયો,
પર્વતને નામે પથ્થર ને પાણી બની વહી ગયો.'
વસંતના પૂરબહાર દિવસોમાં, ૧૯મી માર્ચ ૨૦૧૭ના દિવસે, શબ્દસ્થ થયેલા સર્જક ચિનુ મોદીની વિદાયથી ગુજરાતી સાહિત્યમાં ન પૂરી શકાય એવો અવકાશ ઊભો થયો છે. એમના શબ્દો પ્રમાણે –
'શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો
તાંતણો કેવો હતો? તૂટી ગયો'
ગુજરાતી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક અને ઝિંદાદિલ શાયરને 'અભિદ્રષ્ટિ' સાદર શ્રદ્ધાંજલિ – શબ્દાંજલિ પાઠવે છે ત્યારે રમેશ પારેખના આ શબ્દો યાદ આવે છે.
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહિ મૌનમાં શું બોલીએ ?
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં શું બોલીએ ?
સર્જક ચિનુ મોદીનાં વ્યક્તિત્વના બે પાસાં છે, એક સાહિત્યિક અને બીજું બિન સાહિત્યિક, અંગત છતાં બિનઅંગત એવાં એમના બંને પાસાં ખૂબ પ્રબળ છે. એટલે જ તો કવિ ખુમારીપૂર્વક કહી શકે છે. –
'ઠાઠ ભપકા એ જ છે ઇર્શાદના !
ઘર બળે તો તાપી જોવું જોઈએ.'
વતનનું ગામ કડી, જન્મ વિજાપુરમાં, ઉછેર મોસાળ ધોળકામાં અને ઘડતર અમદાવાદમાં ૩૦મી સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ માતા શશિકાન્તાબહેન અને પિતા ચંદુલાલ મોદીના ઘરે જન્મેલ ચિનુ મોદી બાલ્યાવસ્થાથી જ વિદ્રોહી સ્વભાવના હતા. પાંચમાં પૂછાતા પ્રતિષ્ઠિત પિતાની ઈચ્છા હતી કે પુત્ર 'કાવ્ય ફાવ્યના ચાળા છોડી' I.A.S.ની પરીક્ષા આપે. પરંતુ સ્વતંત્ર મિજાજના ચિનુભાઈએ પિતાને ધરાર ના પાડી. – 'એ નહિ બને.' પિતાનો પિત્તો છટક્યો અને વ્યંગસભર વાકબાણ નીકળ્યાં – 'તો ગુજરાતી લે જો ને માસ્તર થજો' સાચે જ ચિનુ ભાઈએ પિતાના આ શબ્દોને સાચા ઠેરવ્યા ! એસ્થર ડેવિડ જેવાં વિદુષી એમને વિષે નોંધે છે કે -' Chinu Modi is a Poet born out of rebellion, everything in his life more or less against 'THE SYSTEM’. (પૃ. ૯૩, ઈંટર વ્યુ) બંડખોર મિજાજના ચિનુભાઈને હંમેશાં 'ઓથોરિટી' સામે સખત વિરોધ રહ્યો છે. પછી એ પિતા હોય કે પરમાત્મા !! નમતું ન જોખે , નમે પણ નહિ, જીવનમાં અને સર્જનમાં ક્યારે ય સમાધાન ન કરે એવા ખુમારીવાળા સર્જક. જે.કૃષ્ણમૂર્તિના આ શબ્દો એમને માટે બિલકુલ યથાર્થ છે. 'મન, વિચાર અને માન્યતાથી મુક્ત હોય છે ત્યારે જ (સર્જક) સાચી રીતે સક્રિય બને છે.' એમના જીવનનું પ્રતિબિંબ એમના આ શેરમાં જોઈ શકાય છે કે –
'કયારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી'
આમ છતાં હિંમત હાર્યા વિના સતત સંઘર્ષ કર્યો, સંઘર્ષ પણ કેવો ? ગામડેથી અમદાવાદ આવ્યા ત્યારે સતત લઘુતાગ્રંથિથી પીડાય. બાહ્ય દેખાવ પણ સાવ ભદ્દો અને ભોટ જેવો, એમાં પાછી ઊંચાઈ ઓછી … મોંમાંથી લાળ નીંગળે, નાકમાંથી લીંટ …! શિક્ષકોનો માર અને મિત્રોની મશ્કરી સહન કરી અંદર અંદર મૂંઝાય, આંસુ સારે, દસમું પાસ કર્યા પછી પ્રિ.આર્ટસના વર્ગમાં સ્કૂલ યુનિફોર્મ પહેરીને ગયેલા અને તેમાં પાછા મોડા પડ્યા. વર્ગમાં જવા એસ.આર. ભટ્ટ સાહેબની રજા માંગી તો ભટ્ટ સાહેબે સ્કૂલનો છોકરો ગણી કહેલું કે – 'બાબાભાઈ આ તો કોલેજ છે, સ્કૂલ નથી’. પોતાનું નાનકડું શરીર અને બેંચો મોટી ! આથી ભટ્ટ સાહેબે છોકરીઓની બેંચ પર બેસાડેલા !
આટલી બધી તકલીફોમાંથી ચિનુ મોદી કેવી રીતે બહાર આવ્યા હશે ? કેવી રીતે આટલી બધી કન્યાઓના પ્રિય બન્યા હશે ? કેવી રીતે કવિતા કે ગઝલ કરતાં શીખ્યા હશે ? જિંદગીના આ ઉબડખાબડ રસ્તાઓ વચ્ચે માર્ગ કાઢી કઈ રીતે નરસિંહ મહેતા જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો હશે ? કઈ રીતે વિદ્યાર્થીઓમાં આટલી બધી લોકપ્રિયતા મેળવી હશે ? એમના વિદ્યાર્થીઓ કહેતા કે – 'આવતે જન્મે બાપ બદલાય તો ચાલશે પણ અધ્યાપક તો તમે જ અને વિદ્યાર્થિનીઓ કહેતી કે આ જન્મે વર ગમે તે મળે પણ સર તો તમે જ !!' સલામ છે આ માણસને વ્યક્તિત્વનો આટલો વિકાસ ! એમનું ખમીર અને ખુમારી જ એમને અહીંયા સુધી લઇ ગયા.
ચિનુ મોદી સમયની સાથે સતત બદલાતા રહેલા સર્જક છે. જાતની કોઈ પણ નબળાઈ ને હિંમતપૂર્વક કબૂલી લેવાની એમની ભાવના. અનુભૂતિની સચ્ચાઈના સંવેદનને આલેખનાર ચિનુ મોદીને છુપાવવા જેવું કાંઈ નથી. જેવા છે તેવા જ દેખાય છે. 'જેઓ એમને ચાહે છે, એમના માટે ચિનુ મોદી છત બની જાય, જો કોઈ એમને સળી કરવા જાય તો કવિમાંથી કરવત બની જાય.' ચિનુભાઈ એ જાણતા કે મૈત્રી સાચી પણ હોય અને મૈત્રી કાચી પણ હોય છે, મૈત્રી સુખની અને સગવડની હોય છે, મિત્રોમાં કેટલાક તાળી-મિત્રો, થાળી-મિત્રો અને પ્યાલી-મિત્રો પણ હોય છે. આવી કહેવાતી મૈત્રી એ પામર મૈત્રી છે. કદાચ એટલેજ આ શેર આવ્યો હશે.
-'પથ્થરો પોલા હશે કોને ખબર ?
મિત્રો સહુ બોદા હશે કોને ખબર ?
એમની આંખો ભીંજાઈ 'તી ખરી,
આંસુઓ કોરા હશે કોને ખબર ?'
પરંતુ ચિનુ મોદીની મિત્રતા ઉદાહરણરૂપ હતી. તેઓ મિત્રોના મિત્ર હતા. 'આદિલ' મન્સૂરી અને લાભશંકર ઠાકર સાથેની એમની મિત્રતા અનોખી છે. મનહર મોદી, રમેશ શાહ, સરૂપ ધ્રુવ, દલપત પઢિયાર જેવાં અનેક સમકાલીનો સાથે એમને પાકી મિત્રતા રહી એ એમના સ્વભાવની નિખાલસતાને કારણે જ.
ચિનુ મોદી, આદિલ મન્સૂરી અને લાભશંકર ઠાકરની ત્રિપુટીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા સંદર્ભે નવોન્મેષ પ્રગટાવ્યો. ગુજરાતી સાહિત્ય જગતમાં એમના પરાક્રમો ખૂબ જાણીતા છે. છંદના મહારથી એવા આ ત્રણે સર્જકોએ છંદ છોડી અછાંદસ લખવાનો નિર્ણય કર્યો અને આદિલના શબ્દોમાં 'છંદ પરંપરામાંથી સ્પિરીચ્યુઅલ વોકઆઉટ' કર્યો. 'કુમાર'ના બચુભાઈને આનાથી ભારે આઘાત લાગ્યો હતો. પરંતુ નવા પ્રયોગો માટે કટિબદ્ધ બનેલા આ ધુરંધરોએ ' રે ' નામનું પરંપરાભંજક મેગેઝિન શરૂ કર્યું અને શરૂઆત એના સ્પેલિંગથી જ કરી, આદિલ મન્સૂરીએ 'રે'નો ઉટપટાંગ સ્પેલિંગ 'ZREAYGH' રાખી સૌને બોચી ખંજવાળતા કરી દીધેલા. આ ઉપરાંત 'ઉન્મૂલન', 'ઓમિસિયમ' જેવા પરંપરાથી ઊફરા ચાલનાર સામયિકો ચલાવ્યા. ચિનુ મોદીએ આમાં તંત્રી તરીકે સેવા આપેલી.
'રે'ની પાછળ ‘મઠ' લગાવી 'રે મઠ’ નામની સંસ્થા સ્થાપી, લા.ઠા.ની ક્લિનિકના ઉપરના માળે એનું કાર્યાલય રાખ્યું અને સરનામું પણ કેવું આપ્યું ? – 'રે મઠ' સારંગપુર ચકલા, મૂતરડી સામે, સાક્ષરભૂમિ, અમદાવાદ. આ સંસ્થાના ઉપક્રમે અનેક પ્રયોગશીલ કૃતિઓ રચાઈ તો વળી આ સંસ્થાએ થોડા અજુગતા લાગે તેવા કાર્યક્રમો પણ આપ્યા. જેમાં ખાસ કરીને સંસ્થાના સભ્યોએ જાહેરમાં બુટપોલિશ કરવાનો, ગળતેશ્વર નદીના પટમાં જીવતે જીવ મરી ગયેલા સાક્ષરોને અંજલિ આપવાનો (આ કર્મકાંડ અબોટિયું પહેરી નદીમાં ઊતરીને રાજેન્દ્ર શુક્લએ કરેલો) અને સાહિત્યકારને ઘોડાની નાળ ચંદ્રકરૂપે આપવાનો ટીખળી અને તોફાની કાર્યક્રમ કરી વિદ્રોહનું સૂચન કરી દીધું . 'આકંઠ સાબરમતી' અને 'શનિ સભા' પણ એમની આધુનિક વિચારધારાની સંસ્થાઓ રહી.
કવિ ચિનુ મોદી ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ સર્જક હતા. જીવનને તેઓ પોતાની શરતોથી જીવ્યા. એસ્થેટિક પ્લેઝર – આનંદ એ જ એમની સર્જનાત્મક પ્રવૃત્તિનો ઉદ્દેશ હતો. સમાજ અને સાહિત્યના વિધિ નિષેધો સામે હંમેશાં બંડ પોકારનાર ચિનુ મોદીને આ કારણથી ઘણું વેઠવું પડ્યું. 'વિધાન' માટે સુમન શાહે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતાં તેઓ નિખાલસ કબૂલાત કરે છે કે – 'મારા અસ્વીકાર માટે મારી કૃતિઓ કરતાં, મને જે લાગ્યું તે કહેવાની ટેવ કારણરૂપ છે. ઉમાશંકરથી માંડીને મેં કોઈને છોડ્યા નથી . 'ઉન્મૂલન'માં મેં ઘણાના ઢીમ ઢાળી દીધેલાં; પણ, એમાંના કેટલાક જીવતાં રહ્યા તે ગણી ગણીને વેર વાળી રહ્યા છે. વાંક મારો છે, અન્યનો નથી. સત્યની કિંમત ચૂકવવાનો આનંદ અનેરો છે.' (પૃ. ૩૬, ઈંટરવ્યુ) એટલે જ આ શેરમાં તેઓ કહે છે કે –
'કયારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી'
બહુમુખી પ્રતિભાના સ્વામી ચિનુ મોદીના વ્યક્તિત્વના વિવિધ રંગો આપણને એમની સાચી ઓળખ કરાવે છે. એક વાર સાહિત્ય અકાદમીના એક કાર્યક્રમમાં કાવ્યપઠન નિમિત્તે મિત્રો સાથે હૈદ્રાબાદ જવાનું થયેલું. ત્યાં ઉતારે ચિનુભાઈ લુંગી – ચુંગી(સિગારેટ)ના બિન્દાસ્ત વેશમાં પત્તાબાજીમાં મશગૂલ, વિનોદ ભટ્ટે ચિનુભાઈના આ અભદ્ર સંનિવેશ અંગે ટકોર કરી તો એમણે બેધડક ચોપડાવેલું – 'તું જાણે છે કે હું તો નાગો માણસ છું' (પૃ.૨૪, ઈંટરવ્યુ) તો વળી એકવાર વર્ગમાં ગુરુ ઉમાશંકર જોશીએ એક સોનેટ પાછું ફરી સુધારવા આપ્યું. ચિનુ મોદીએ ઉમાશંકર જોશીને – 'પેલું કરી કાઢ્યું' એમ કહેલું તો હળવા મૂડમાં ઉમાશંકર જોશીએ કહ્યું કે – 'આ તો તમે લઘુઓ જ બદલ્યા છે.' હાજર જવાબી ચિનુ મોદીએ તરત કહેલું કે – 'ગુરુઓ તો ક્યાંથી બદલાય ?' કવિના મજાકિયા સ્વભાવના આ ઉદાહરણ સાથે એમની સંવેદનશીલતાને દર્શાવતો આ પ્રસંગ જુઓ – 'એક વાર ત્રણ દરવાજાથી ભઠિયારગલી પાસેના પાનના ગલ્લાવાળા બારેક વર્ષના એક મુસ્લિમ છોકરાએ ચિનુ મોદીને કવિ હોવાને લીધે કપૂરી, કમ ચૂના, લવલી, ઈલાયચી, સેવર્ધનવાળું પાન પોતાના તરફથી વગર પૈસે ખવડાવેલું ત્યારે આવા નિર્વ્યાજ પ્રેમે એમની આંખમાં આંસુ લાવી દીધેલા. આ સંદર્ભે કવિ કહે છે કે આવા અપેક્ષારહિત સંબંધ બાંધનારા મને મળ્યા નથી અને એટલે હું ગઝલ લખ્યા કરીશ. એક વ્યક્તિના કેટકેટલા રંગો ?
પોતાનાં કાર્યો પ્રત્યે સ્પષ્ટ હોવાને કારણે જીવનમાં કદીયે ગિલ્ટનો અનુભવ કર્યો નથી. તેઓ પોતે કબૂલે છે કે '…. એવું હું કરતો જ નથી કે જે મને ખોટું લાગતું હોય. સમાજને કદાચ ખરાબ લાગતું હોય, ખોટું લાગે, અનિષ્ટ લાગે, અનૈતિક લાગે પણ હું મને જે અનૈતિક લાગે એવું ક્યારે પણ કરતો નથી. ' (પૃ. ૮૪, ઈંટરવ્યુ) પોતાના બીજા લગ્ન વિશે પણ નિખાલસ અને પેટ છૂટી વાત કરતા કહે છે. ત્રણ ત્રણ વાર સમજાવીને પાછી કાઢેલી છોકરી 'જ્યારે ચોથી વાર ઘર છોડીને આવી ગઈ ત્યારે મને લાગ્યું કે આ છોકરી મારા વગર જીવી નહિ શકે. હું એની સાથે પરણવા તૈયાર થઇ ગયો' (પૃ. ૬૩, ઈંટરવ્યુ ) ૧૯૭૭ના મે માસની ૧૬મી તારીખે ચિનુ મોદીમાંથી 'ઈર્શાદ' અહેમદ ઈર્શાદ બન્યો. ધર્મપરિવર્તન કરી મુસલમાન બનેલા ચિનુભાઈએ સરૂપ ધ્રુવ અને દલપત પઢિયાર જેવા મિત્રોની સાક્ષીએ મીનાક્ષી સાથે નિકાહ પઢી. તેવીસ દિવસનો પ્રેમ ચિનુભાઈની ચેતનાને ચલિત કરી ઈર્શાદ બનાવે છે અને ચોવીસમાં દિવસે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પણ આ લગ્ન ૨૪ કલાક પણ ન ટક્યા !! દુલ્હનના પિતાએ ભોળપણનું એવું ષડયંત્ર રચ્યું કે મીનાક્ષીની ચેતવણી – 'તમે મારા બાપના વચનમાં વિશ્વાસ ન મુકશો; એ મને … તમારા હાથમાં નહી સોંપે.' (પૃ. ૬૫, ઈંટરવ્યુ) છતાં હું સસરાની જાળમાં ફસાયો અને ૨૪ કલાક પહેલાં જ દુલ્હન ગુમાવી. મારો 'ઈર્શાદગઢ' તૂટીને ધરાશાયી થઈ ગયો. બીજી વારની પત્ની પાસેથી મને માત્ર અને માત્ર એક તખલ્લુસ મળ્યું 'ઈર્શાદ' ! પ્રેયસી અને પત્ની ગુમાવ્યાં પછી કવિની ગઝલ વધુ ચોટદાર બની. પ્રિયતમા ગુમાવવાની એ વેદના ક્યાંક ને ક્યાંક મૃત્યુપર્યંત આ રીતે અભિવ્યક્ત થતી રહી.
– 'આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.'
ચિનુ મોદી બિલકુલ ટ્રાન્સપરંટ – પારદર્શક માણસ હતા. તેઓ પોતાના એક ઈંટરવ્યુમાં કહે છે કે – 'મારું જીવન એક્સ રેની પ્લેટ જેવું છે. બધું આરપાર જોઈ શકાય તેવું. એમાં ક્યાંક કાળાં ધાબાં છે તો એ પણ જોઈ શકાય તેવા છે. ' (પૃ. ૬૩, ઈંટરવ્યુ) કવિની કુંડળીમાં શુક્ર સંદર્ભે અભિનવ કાન્તાગ્રહ સતત સળવળાટ કરતો રહ્યો છે. એને કારણે એમના વિશે અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સુભાષ શાહને એમણે એક વાર કહેલું કે – 'મારા વિશે જેટલી લોકોને જાણ હોય છે એટલી મને નથી હોતી. એટલે કોની સાથે મને સંબંધ થયો, કોની સાથે ના થયો !! મારી એક વાત નક્કી છે કે પુરુષોની ઈર્ષાએ મને બહુ પોપ્યુલર બનાવ્યો છે.' (પૃ. ૫૨, ઈંટરવ્યુ ) અને આમ પણ 'ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાય એ પછી જ પારધીઓની નજર તમારા પર પડતી હોય છે.' ( એકત્રીસ સુ.મુ. પૃ.૨૩૦) 'ઈર્શાદ'ને જેટલા વગોવવામાં આવ્યા છે એટલા ખરાબ જણ એ નથી. એનું એક જ ઉદાહરણ કાફી છે. ચિનુભાઈની વિદ્યાર્થિનીઓ જ્યારે એમ કહે કે – 'આ જન્મે વર ગમે તે મળે પણ સર તો ચિનુ મોદી જ' અને એટલે જ કદાચ સાહિત્યકાર કરતાં શિક્ષક તરીકે તેઓ વધુ સંતોષ વ્યક્ત કરે છે.
ગુજરાતી સાહિત્યના આ મહાન સર્જકની શબ્દોપાસના તરફ પણ એક નજર કરીએ તો એમના સર્જક વ્યક્તિત્વની ઊંચાઈને પામી શકાય.
– 'પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
'ઈર્શાદ' આપણે તો ઈશ્વરને નામે વાણી.'
કવિતાને પોતાનો FIRST LOVE ગણતા ચિનુ મોદી, ગઝલને પોતાની રોજનીશી કે આત્મકથા તરીકે ઓળખાવે છે. આથી અનેકોના આગ્રહ છતાં એમને આત્મકથા લખવાની ખાસ ઈચ્છા નહોતી પરંતુ પછી – 'સ્વયંને જ કહેવાની ઈચ્છા થઇ' અને ગુજરાતી ભાવકોને જલસા કરાવી દે એવી આત્મકથા ' જલસા અવતાર ' આપી. કવિતામાં 'ઊણઁનાભ', 'દેશવટો, 'ક્ષણોના મહેલમાં' અને 'ઈર્શાદગઢ' એ સિવાય નાટક, નવલકથા, નવલિકા, ખંડ કાવ્ય, આખ્યાન, સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ જેવા વિવિધ પ્રકારોમાં સફળતાપૂર્વક કલમ ચલાવી લગભગ ૫૫ જેટલાં પુસ્તકો આપનાર ચિનુ મોદીના મતે કવિતામાં એમને પોતાની ગઝલો પ્રત્યે અનન્ય લગાવ છે. આ સિવાય ૭,૦૦૦ પંક્તિઓમાં લખાયેલું દીર્ઘકાવ્ય 'બાહુક', એક જ છંદ શિખરીણીમાં ૩૦૦ પંક્તિઓ રચી 'વિ – નાયક' આપ્યું, પ્રેમાનંદની આખ્યાનશૈલી પ્રમાણે રચાયેલું 'કાલાખ્યાન' એ એમને પ્રિય કૃતિઓ છે. નાટકને Make believeની કલા માનનાર સર્જક, નાટકને પ્રેક્ષકના જીવાતા જીવન સાથે સંબંધિત હોવું અનિવાર્ય પણ માને છે. પ્રેક્ષકોની કલ્પનાશક્તિ પર ભરોસો રાખનાર આ સર્જક – દિગ્દર્શક પાસેથી ‘જાલકા', 'ઔરંગઝેબ', ‘અશ્વમેઘ', જેવાં નોંધપાત્ર નાટકો મળ્યાં છે. નવલકથામાં 'કાળો અંગ્રેજ' અને લિસોટા (લીલા નાગ) ખૂબ ગમે છે. એકાંકીઓ 'ડાયલના પંખી', 'કોલબેલ', 'હુકમ માલિક' તેમ જ એબ્સડઁ એકાંકીઓ બધા જ ગમે. નવલિકાઓમાં 'ઘોડો', 'તડકો' અને ' સાદી સમજ' ને તેઓ શ્રેષ્ઠ ગણે છે. સંશોધન ક્ષેત્રે – 'ખંડ કાવ્ય સ્વરૂપ -વિકાસ' વિશે નોંધપાત્ર કામ કર્યું. 'વસંત વિલાસ'નો અનુવાદ પ્રારંભે કરેલું મહત્ત્વનું પ્રદાન છે. આટલું માતબર પ્રદાન કરનાર ચિનુ મોદીનો પ્રથમ પ્રેમ તો ગઝલ જ છે. જુઓ એમના જ શબ્દોમાં –
'લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ ?
આપણી પાસે ફક્ત 'ઈર્શાદ'નું દ્રષ્ટાંત છે.'
ચિનુ મોદીની 'ગરલ' વિજાપુરીમાંથી 'ઈર્શાદ' બનવા સુધીની જીવન અને સર્જનયાત્રા અનેક ઉતાર ચઢાવવાળી અને રોમાંચક રહી છે. સૌ પ્રથમવાર જવાહરલાલ નહેરુ પર કવિતા લખી બીતાં બીતાં નિરંજન ભગતને બતાવી. ભગત સાહેબે ગુરુમંત્ર આપ્યો – 'તને આ ઉમરે જે થાય છે તેની કવિતા લખ અને છંદમાં લખ …. છંદ શીખી જા'. ૧,૬૦૦ વીઘાં જમીનનો વારસદાર કવિ ન બની શકે, પણ ૧૬ વર્ષની સુંદરીએ આ ચમત્કાર કર્યો .. અમદાવાદમાં પડોશમાં રહેતી એક ખ્રિસ્તી છોકરી સાથે ચિનુ મોદીને પ્રેમ થયો અને પ્રથમ કાવ્ય રચાયું ..
– 'અંતર મારું એકલવાયું કોને ઝંખે આજ,
કામણ કોના થઇ ગયા કે ના સૂઝે રે કાજ'.
ભગત સાહેબને આ કાવ્ય ખૂબ ગમ્યું. કવિ બનવાની લગની એવી લાગી કે રતિલાલ જોગી પાસેથી છંદ શીખ્યા, મનહર દિલદાર નામના મિત્રએ રદિફ – કાફિયા, મત્લા-મક્તાની તાલીમ આપી અને કવિ ગઝલ તરફ વળ્યા. માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક, જીવન પ્રત્યેની નિર્ભ્રાંતી, જીવનની એકવિધતા અને કંટાળો જેવા વિષયો અને આધુનિક સંવેદના એમની ગઝલની ઓળખ બનવા માંડી. એમની આ વિદ્રોહી વિચારધારાને 'રે મઠ' અને 'આકંઠ સાબરમતી' જેવી પરંપરાભંજક સંસ્થાનું platform મળ્યું. આથી નૂતન અભિગમવાળી પ્રયોગશીલ રચનાઓ ચિનુ મોદી અને મિત્રોએ આપી.
ચિનુ મોદી નિરીશ્વરવાદી હતા છતાં તેમની ગઝલોમાં, ઈશ્વર અને મૃત્યુ જેવા વિષયો સતત પડઘાતા રહ્યા છે. કદાચ આ એક નિરીશ્વરવાદી કવિની પોતાના શબ્દ પ્રત્યેની આસ્થા છે. 'ઈર્શાદ'ને મરવું ગમતું નથી, મૃત્યુની એમને બીક લાગે છે. સમય સામે સંઘર્ષ કરવા તેઓ છેલ્લી ક્ષણ સુધી લઢી લેવા ઈચ્છે છે. તેઓ તો કહે છે કે –
'મને એ ખબર પડતી નથી કે મારે શા માટે મરવું પડે,
જીવવામાં જલસા પડે છે. ' (પૃ. ૧૧૬, ઈંટરવ્યુ)
– 'હવે થોડા સમયમાં આ જગાને છોડવી પડશે
તમારે, ઓ ખુદા, આવી પ્રથાને છોડવી પડશે.
મને અઢળક મજા આવી રહી છે જીવવામાં, તો
મને સમજાવશો, શાને ધરાને છોડવી પડશે ?'
આ જિજીવિષાને કારણે જ તેઓ ભીષ્મની જેમ ઈચ્છામૃત્યુનું વરદાન ચાહે છે. પરંતુ પેલી તુર્કી કહેવત પ્રમાણે 'મૃત્યુનું કાળું ઊંટ એક વાર તો જરૂર દરેકને બારણે આવીને ઊભું રહે છે. '(ઝલક. પૃ.૨૬) એમ ૧૯મી માર્ચ ૨૦૧૭ના રોજ એમને પણ મૃત્યુ આપણી વચ્ચેથી દૂર લઇ ગયું. યમને કોઈ નિયમ નથી હોતા, મૃત્યુ મારી જીવવાની ઈચ્છાને ચલાવી લેવાનું નથી એવું તેઓ જાણે છે. ગઝલગુરુ ગાલીબના શબ્દોમાં એ પોતાને પણ જુએ છે કે – 'મર્યા પછી જ મારું ખરું મૂલ્યાંકન થવાનું છે, દરેક સર્જક માટે સાચા સિદ્ધ થવાનો આ એક જ ઉપાય છે : મૃત્યુ'. 'આપણો જન્મ એ આપણી ઈચ્છાનું પરિણામ નથી એમ આપણું મૃત્યુ પણ હંમેશાં આપણી ઈચ્છાની વાત નથી’ (ઝલક. પૃ.૧૫). પરમ આગળ આપણે પામર છીએ એટલું જાણી જઈએ તો એ પણ પરમ તરફ જવાનો પુરુષાર્થ જ છે. કદાચ નિરીશ્વરવાદી ચિનુ મોદી એ જાણી ચુક્યા હતા એટલે જ તો ખુમારીથી કહી શકે છે.
– 'સ્વર્ગની લાલચ ન આપો શેખજી ,
મોતનો પણ એક મોભો હોય છે.'
સર્જકની અસંપ્રજ્ઞાત ચેતનામાં પડેલ મૃત્યુ જાણે – અજાણ્યે એમના સર્જનમાં અભિવ્યક્ત થતું રહ્યું છે. પણ એમાંયે બેફિકર અને બિન્દાસ્ત મિજાજના શાયર મૃત્યને હંમેશાં પડકારતા રહ્યા છે. જુઓ આ શેર –
– 'પાંદડાઓ ખરે તો ડરતો નહિ,
વૃક્ષને 'ઈર્શાદ' કરગરતો નહિ.'
ચિનુ મોદીની સર્જક્તાએ એમને શીખવ્યું છે કે વિચાર, મૃત્યુ અને કળાકૃતિ સદાના અતિથિ છે, એમને પોંખવા ક્ષણે ક્ષણે જાગતા રહેવું પડે. એમને આવવાનું કોઈ મુહૂર્ત નક્કી નથી હોતું. આ સંવેદનને કવિ આ શબ્દોમાં મૂકે છે. –
'પોંખવાની પૂરી તૈયારી થઇ
આવવા હા – ના હવે કરતો નહિ. આ સંદર્ભે'
અનિલ ચાવડાનો શેર જાણે ચિનુભાઈને માટે હોય એવું લાગે છે. જુઓ –
– 'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?’
(અનિલ ચાવડા)
ખરેખર પ્રેમાળ સર્જક ચિનુ મોદી આપણને એકલા મૂકી અનંતની વાટે ચાલી નીકળ્યા છે ત્યારે, આ લખનારને ગુજરાતી ભાષાના આ ઝિંદાદિલ શાયરનો પ્રેમ સંપાદન કરવાની નજીકના ભૂતકાળ જે એક – બે તક મળી એને મારું સદ્દભાગ્ય સમજુ છું એમની વિદાય રમેશ પારેખના શબ્દોમાં વર્ણવું તો –
– 'સાત જનમનો ડૂમો મારી આંખમાં ઘોળાતો,
ડૂસકે ડૂસકે જાય ઢોળાતી વણબોલાતી વાતો.' ( ર.પા. ત્વ પૃ.૧૪૧ )
મારા મુરબ્બી સર્જક પ્રત્યેનો આદર અહીં શબ્દાંજલિ રૂપે અર્પું છું પણ ….. ચિનુભાઈ તો એના પણ મોહતાજ નથી. એક સંતની અદાથી તેઓ તો કહે છે કે …
– 'કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઈચ્છા છે, હવે એ પણ ન હો.'
સી.યુ. શાહ આર્ટ્સ કૉલેજ, અમદાવાદ 380 001
**************
સંદર્ભ ગ્રંથ –
૧, જલસાઘર – ચિનુ મોદી
૨, ઈંટર વ્યૂ – સંપાદક : ડૉ. જીતેન્દ્ર મેકવાન
૩, ઝલક – સુરેશ દલાલ
૪, એકત્રીસ સુવર્ણમુદ્રાઓ – સૌરભ શાહ
૫, રમેશ પારેખની કાવ્યકળા – ડૉ. વર્ષા પ્રજાપતિ
![]()


“આપણી પાસે વ્યાપારી કે ધનિક વર્ગમાં રસિકતાની દ્રષ્ટિ હોતી નથી. આ તેમનો દોષ હોતો નથી, ચાતુર્વણ્યનો છે. ચાતુર્વણ્યમાં જે વર્ણભેદ પડેલો છે તેમાં કોણે શું કરવું તેનો ખુલાસો કરેલો છે. બ્રાહ્મણોએ સંસ્કૃતિ અને કળાનું સંવર્ધન કરવું, વૈશ્ય લોકોએ વ્યાપાર કરવો એવા ધાર્મિક સમજણના નિયમોને હોવાને કારણે પ્રત્યેક જણ નક્કી કરેલી દિશા તરફ જુએ છે … આપણી પાસે કળા વિશે અનાસ્થા જોવા મળે છે તેનું કારણ ચાતુર્વણ્યને કારણે હિંદુ ધર્મના લોકોની રસિકતાનું પણ અપહરણ થયું છે.”૧
માનવ અધિકારો વિશે સાચા અર્થમાં વિચાર કરીને દરેક વ્યક્તિને તેના પોતાના અધિકાર ખુશીથી તેમ જ ખુલ્લા મનથી આપી નથી શકાતા તથા તેમના હાલના વર્તનથી લાગે છે કે, ભવિષ્યમાં પણ તેઓ આપી શકશે નહીં, એવા લોકોએ બોલાવેલી સભાઓ અને એમનાં દ્વારા લખેલાં પુસ્તકોના ભાવાર્થ સાથે અમારાં પુસ્તકો અને સભાઓનો કોઈ મેળ બેસતો નથી. કેમ કે એમના પૂર્વજોએ અમારો બદલો લેવાના ઈરાદાથી અમને દાસ બનાવ્યા અને આ વાત પોતાના જૂઠા ગ્રંથોમાં જાણીબૂઝીને દબાવી દીધી. એના સાક્ષી એમના જૂના ગ્રંથો જ છે. અમારા જેવા શુદ્ર-અતિશુદ્રોને કેવી કેવી આપત્તિઓ તથા તકલીફો સહન કરવી પડે છે એ વાત ઊંટ પર સવાર થઈને ઘેટાં ચરાવનાર ગ્રંથકારો (લેખકો) અને મોટી મોટી સભાઓમાં ભાષણ આપનારાઓને કેવી રીતે સમજાશે? ખરેખર તો આ સાર્વજનિક સભાના આયોજકો આ બધી વાતોથી સારી રીતે પરિચિત છે … સંક્ષેપમાં, એમનો સાથ આપવાથી અમારા શુદ્રાતિશુદ્ર સમાજને કોઈ લાભ થવાનો નથી, એ વિશે અમારે પોતે જ વિચારવું પડશે. જો આ મોટાભાઈ (!) સાચે જ બધાની એકતા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તેઓ તમામ માનવજાતિ વચ્ચે અતૂટ ભાઈચારો સ્થાપિત કરવાનો નક્કર ઉપાય શોધે તથા પુસ્તક દ્વારા એ વિચારને પ્રકાશિત કરે. આવા સમયે આંખો બંધ કરવી યોગ્ય નથી.૨ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ વિચારોથી સ્પષ્ટ થઈ જાય છે કે, કપોળકલ્પિત સાહિત્ય સામાજિક ક્રાંતિનો પર્યાય બની શકતું નથી. સામાજિક વાસ્તવ જ્યાં સુધી સાહિત્યમાં નિરૂપિત ન થાય અને સામાજિક પ્રતિબદ્ધતા જ્યાં સુધી સાહિત્યમાં પ્રગટે નહીં ત્યાં સુધી સાહિત્ય માત્ર મુઠ્ઠીભર સામંતીઓ અને જાગીરદારો બ્રાહ્મણોના મનોરંજનનું સાધન બનીને રહી જશે. સાહિત્ય એ સામાજિક પરિવર્તનનું અત્યંત પ્રભાવક પરિબળ છે, તેના દ્વારા સામાજિક ક્રાંતિ સંભવ છે એમ દ્રઢપણે માનતા જોતિરાવ ફૂલે માનવીય શોષણ કરતી અમાનવીય પરંપરાને મૂળથી નષ્ટ કરવા તત્પર બને છે. સાહિત્ય વિશેની એમની સમજણ એક વિચક્ષણ મર્મી અને પ્રખર સંશોધકની રહી છે. સત્યશોધક સમાજની રચના જ એક ઉત્તમ સંશોધકની ગરજ સારે છે. એક નિષ્ઠાવાન સમાજહિતચિંતક અને ગહન અભ્યાસુ તરીકેની તેમની છબિ સામાજિક પ્રતિબદ્ધતાની દ્યોતક છે. સમ્યક વિચારનો મહિમા આ રીતે તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. સાહિત્યનું સમ્યક મૂલ્યાંકન સર્જકની માનસિકતાને ઘડે છે. સર્જકની સમ્યક ભાવના વધુ પાકટ બનતી અનુભવાય છે. સામાજિક વિષમતા સામે ઝીંક ઝિલતાં પાત્રોની ખુમારી અને માનવીય પરિબળોને સર્જક માનવીય સંવેદનાની નજરે જુએ તો જ સકારાત્મક સર્જકતા પ્રગટે છે. એ અર્થમાં સમ્યક સાહિત્યની ચર્ચા અસ્થાને નહીં ગણાય. દલિત સાહિત્યમાં દલિત સમાજની વાસ્તવિક્તાનું ચિત્રણ, વિષમ સામાજિક વ્યવસ્થા, પરંપરાગત વિધિનિષેધો, તમામ કાલ્પનિક શાસ્ત્રો-મહાકાવ્યો દ્વારા સ્થાપિત લાદવામાં આવેલી મનુવાદી વર્ણ-જાતિવ્યવસ્થા સામેનો પ્રતિકાર, વિદ્રોહની અભિવ્યક્તિ જોવા મળી હતી જ્યારે સમ્યક સાહિત્ય દ્વારા નવી સમાજરચનાનો પુરસ્કર, સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વભાવાદિની સાથે પ્રજ્ઞા, શીલ અને કરુણા દ્વારા સાહિત્યમાં નૈતિક મૂલ્યોની માવજત કરી સમતામૂલક સમાજરચનાનો આવિષ્કાર કરવાનો દ્રઢ નિર્ધાર સમ્યક વિચારમાં નિહિત છે.
કરે છે. સાહિત્યકાર ધર્મના ઓછાયામાં જીવતો હોય ત્યારે તેના સર્જનમાં ધર્મનો તંતુ જોડાયેલો હોય છે. કોઈ એક ધર્મની વિચારણાને વિકસિત કરવાને બદલે ધાર્મિક સંસ્કારોનું પ્રાબલ્ય વધતું જોવા મળે ત્યારે તાર્કિક રીતે તેના વૈચારિક સંદર્ભો મેળવીને અવ્યવહારિક બન્યા વિના માનવીય વિશેષોને પ્રગટ કરવાની આકલનશક્તિ વિવેચક માટે અપરિહાર્ય બને છે. વિવેચન તો માનવજીવનની બદલાતી સ્થિતિઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરે છે. પ્રતિક્ષણ બદલાતા માનવીય સ્વભાવને તંતોતંત પ્રત્યક્ષ કરી આપવાનું અને મૂળભૂત કારણોની તપાસ આદરવાનું સમર્થ કાર્ય વિવેચનની આદર્શ શરત હોય છે. જો વિવેચન એકપક્ષીય બને તો તે સર્જન માટે પણ અમર્યાદ અને તેથી અતિરેકી બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યનું પોતાનું આગવું વિવેચનશાસ્ત્ર છે. અને તેથી પોતાનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે. દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્રમાં શરણકુમાર લિંબાળે દલિત સાહિત્ય અધ્યાત્મવાદ અને ગૂઢવાદને નકારે છે એ કારણે માનવું પડશે કે, આ સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર અધ્યાત્મવાદી નહીં પરંતુ ભૌતિકવાદી છે૭ એમ કહે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે, અહીં વાસ્તવજીવનનો મહિમા અને એને અનુષંગે માનવજીવનમાં વ્યાપ્ત કપોળકલ્પિત, વાયવી સૃષ્ટિનો સદંતર છેદ ઊડે છે. કાળનો આધાર કલ્પના નથી પણ વાસ્તવ છે. વાસ્તવને સમૃદ્ધ કરવાના સર્જકના પ્રયાસો, માનવીય મૂલ્યો જેવાં કે કરુણા, પ્રજ્ઞા, શીલ વગેરે ઉદાત્તતત્ત્વોનું નિરૂપણ સમ્યક સાહિત્યમાં નિહિત છે. ‘અવિદ્યાનો નાશ’ એ સમ્યક દ્રષ્ટિનો અંતિમ ઉદ્દેશ છે. અહીં મિથ્યા-દ્રષ્ટિનો તીવ્ર વિરોધ છે. અવિદ્યાનો અર્થ છે કે, મનુષ્ય દુઃખને જાણી ન શકે, મનુષ્ય દુઃખના નિર્મૂલનના ઉપાયો ન જાણી શકે, મનુષ્ય આ આર્યસત્યને ન જાણી શકે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે, મનુષ્ય કર્મકાંડના ક્રિયાકલાપોને વ્યર્થ સમજે. મનુષ્ય શાસ્ત્રોના મિથ્યા વિશ્વાસમાંથી મુક્ત બને. મનુષ્ય મિથ્યા વિશ્વાસથી મુક્ત બને. મનુષ્ય એમ ન માની લે કે કોઈ પણ બાબત પ્રકૃતિના નિયમો વિરુદ્ધ બની શકે છે. સમ્યક દ્રષ્ટિનો મતલબ છે કે, મનુષ્ય એવી તમામ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય જે માત્ર માનવીના મનની કલ્પનાઓ જ છે, અને તેનો અનુભવ અને વાસ્તવજીવન સાથ કોઈ સંબંધ નથી. સમ્યક્ દ્રષ્ટિનો અર્થ છે કે મનુષ્યનું મન સ્વતંત્ર બને. મનુષ્યના વિચારો સ્વતંત્ર બને.૮ વિવેચન-સંશોધન માટે તર્કપૂર્ણ વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ આગ્રહ રાખવામાં આવે છે. તર્ક એ વિવેચનની કે સંશોધનની પ્રાથમિક અવસ્થા છે જેના વિના વિવેચન કે સંશોધનના જટિલ વિસ્તારમાં પ્રવેશવું લગભગ અસંભવ બને છે. ‘જેવું સર્જન તેવું વિવેચન’ એમ કહીએ છીએ ત્યારે વિવેચનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ વર્તાઈ આવે છે. માત્ર જન્મ, વંશ, જાતિ કે વર્ણના કારણે પાત્રોને મહાન ચિતરવાના કાલ્પનિક પ્રયાસો અવિરત થતા રહ્યા છે. વર્ણવ્યવસ્થાના ક્રમમાં પાત્રોને જડબેસલાખ મૂકીને તેમની પાસેથી કોઈ ઉત્તમ વિચારની અપેક્ષા રાખવી તે નરી મૂઢતા છે. આવું સર્જકકર્મ અવિદ્યાનું દ્યોતક બની રહે છે. દા.ત. સરસ્વતીચંદ્રનાં પાત્રોની ચર્ચા થઈ શકે. સર્જક પાત્રોમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના અંગત ગણા-અણગમાને પણ તેમાં મૂકી આપે છે. ભેદભાવપૂર્ણ વાસ્તવને ઉજાગર કરવામાં કોઈ પક્ષપાતને સ્થાન ન હોવું જોઈએ. સમ્યક વિચાર સાહિત્યસર્જન માટે પ્રેરકબળ સમાન છે. સમાજમાં સામાજિક વિષમતાના અવૈજ્ઞાનિક વિચારને નષ્ટ કરવા માટે સમ્યક દૃષ્ટિ અત્યંત જરૂરી છે. નૈતિક મૂલ્યો હોવા છતાં સામાન્ય ગણાતાં પાત્રની અવહેલના અને અનૈતિક આચરણ હોવા છતાં ઉચ્ચ જાતિ હોવાને કારણે થતી અદૃબ સલામી સર્જકત્વ માટે કલંકરૂપ ઘટના બની રહે છે.
છતાં, વિદ્યાની યાત્રાનો યાત્રિક છું એટલા માટે કેટલુંક વધારે કહેવું જરૂરી જણાય છે. ખાસ તો, મારે વિશેની અફવાઓ અંગે ફોડ પાડીને કહેવું જોઈએ કેમ કે એ અફવાઓ મારા યાત્રામાર્ગની બન્ને બાજુએ ઊભીને મારી મશ્કરીમાં ખિલ ખિલ હસતી પૂતળીઓ જેવી લાગે છે.
