વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …
પ્રશ્ન : કુંજબહેન, વતન મુંબઈને છોડીને વિલાયત કયા સંજોગોમાં જવાનું થયું ?
જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.
પ્રશ્ન : વિદેશ જતાં ઉખડ્યાની લાગણી થયેલી ?
જવાબ : ના, કારણ કે એ એક સમજણપૂર્વકનો નિર્ણય હતો. પરદેશ જવું છે એ નિર્ણય જાતે કરેલો એટલે એવું નહોતું લાગતું, પણ હા, એકલતા ખૂબ સાલતી હતી. પણ પછી ધીમેધીમે એની પણ ટેવ પડતી ગઈ. બહુ શરૂઆતમાં એવું લાગતું હતું કારણ કે એક તો પ્રેગ્નન્ટ હતી, પહેલું બાળક હતું અને અહીંની જે ઠંડી હતી, કારણ કે હું ડિસેમ્બરમાં આવી. બરફ જોવાનું ગમતું હતું ખૂબ, પણ એનાથી એક થડકો લાગ્યો કે હું મુંબઈની ગરમી મૂકીને અહીં, આટલે દૂર, આટલી ઠંડીમાં આવી ગઈ. હું સૌ પ્રથમ હિથ્રો એરપોર્ટ પર ઊતરી અને સીધી લેસ્ટર ગઈ હતી. પછી જ્યારે લંડન ગઈ ત્યારે ત્યાંના અમુક રસ્તાઓ, અમુક મકાનો બધું જોઈને મુંબઈ ખૂબ યાદ આવેલું. મુંબઈનો કોલાબા, ફ્લોરા ફાઉન્ટન, બેલાર્ડ પિયર, એ વિસ્તારમાં જ્યાં હું પહેલાં કામ કરતી હતી એ બધી જગ્યાઓ સાથે લંડનનાં અમુક મકાનો જોઈને હું જોડાણ અનુભવતી હતી. પહેલા દિવસે હું એરપોર્ટ પર ઊતરી અને ઈમિગ્રેશન ઓફિસરે અંગ્રેજીમાં સવાલ પૂછ્યો. એણે પૂછ્યું કે તમને દુભાષિયાની જરૂર છે ? મેં કહ્યું કે હું અંગ્રેજી બોલું છું ત્યારે એને ખૂબ નવાઈ લાગી કે એક સાડી પહેરેલી ગુજરાતી મહિલા આ રીતે ખંચકાયા વિના સ્પષ્ટ અંગ્રેજી બોલી શકે છે. એ વખતે એમના મનમાં એવું ખરું કે ભારતથી આવતા લોકોને બરાબર અંગ્રેજી બોલતાં નથી આવડતું. એ જરાક ખૂંચ્યું હતું.
પ્રશ્ન : શરૂઆતના દિવસો કેવા હતા ? સંઘર્ષો પણ આવ્યા હશે.
જવાબ : સંઘર્ષો તો, આરાધનાબહેન, દરેકના જીવનમાં આવવાના જ, પછી એ લંડનમાં હોય એક મુંબઈમાં. સંઘર્ષ મને એટલા માટે લાગ્યો કે મારી પહેલી સુવાવડ મારાં નણંદનાં ઘરમાં થયેલી. એમનું સયુંકત કુટુંબ, ઘરમાં પંદરેક માણસ, અને એમાં હું આવી. એ બંને જણ ફૂલ-ટાઈમ કામ કરે. મેં સુવાવડ પછી કામ શરૂ કર્યું અને એ પણ સાંજે પાચથી દસ. મારાં નણંદ કામ પરથી ઘરે આવે, કુન્તલને સંભાળે અને હું પાંચથી દસ વાગ્યા સુધી એક વૃદ્ધાશ્રમમાં વાસણ ધોવાનું કામ કરતી. ત્યાં એ લોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ખાવાનું પીરસતાં, એનાં વાસણો ધોવા પડતાં. રડવું આવતું. થતું કે મુંબઈ હતી અને નોકરી કરતી ત્યારે મારી નીચે કેટલા બધા માણસો કામ કરતાં અને અહીં મારે આવું કામ કરવું પડે છે. પણ મેં પહેલાં કહ્યું એમ કે એ મારો સ્વેચ્છાએ લીધેલો નિર્ણય હતો. બાળઉછેરનો મને કોઈ અનુભવ નહોતો અને નણંદનું સયુંકત કુટુંબ, પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત. એટલે મને જેમ સમજણ પડે એમ હું કુન્તલને ઉછેરતી ગઈ અને અનુભવ મેળવતી ગઈ. મારું અને વિપુલનું પ્રેમલગ્ન હતું અને પાછું આંતરજ્ઞાતીય – હું જૈન અને વિપુલ બ્રાહ્મણ. અમારાં લગ્ન કાકા કાલેલકરે રજિસ્ટર પદ્ધતિથી કરાવેલાં. અમે ફેરા નહોતા ફર્યાં. લંડન આવીને ઘરઝૂરાપો લાગતો, પણ મેં વિપુલને અને મારા ઘરે પત્રલેખન કરવાનું રાખેલું. એ દિવસોમાં એર-લેટર લખતી કારણ કે કવર લખવાનું પોષાય નહીં, એટલે એર-લેટરમાં જેટલું લખાય એટલું ખીચોખીચ લખીને મોકલતી. અને ત્રણ-ચાર મહિને એક ફોન ત્રણ મિનિટ માટે કરવા મળે એમાં તો ‘કેમ છો, કેમ નહીં’ એટલું કહેવામાં જ સમય પસાર થઈ જતો. પછી થયું કે આમાં સંતોષ નથી થતો એટલે હું ઓડિયો કેસેટમાં રેકોર્ડીંગ કરતી. નેવું મિનિટની કેસેટ ભરીને ખૂબ બધું બોલતી અને કોઈ જતું-આવતું હોય એની સાથે મોકલી આપતી. પણ આ દરમ્યાન એ ઝૂરાપાને લીધે મારા પત્રો બહુ સારા લખાયા. હવે તો પત્રો લખવાના રહ્યા જ નથી. એ દિવસોમાં જે મનમાં આવતું, જે સ્ફૂરતું એ સુંદર રીતે વ્યક્ત કરી શકતી.
પ્રશ્ન : કુન્તલનો ઉછેર કરતાં કરતાં એક મા તરીકે શું અનુભવ્યું ?
જવાબ : મને મુશ્કેલી તો પડતી જ હતી. કોઈ અનુભવ નહોતો, કોઈ સપોર્ટ નહોતો. કુંતલના જન્મ પછી હું મુંબઈ ચાલી ગઈ હતી. હું ત્યાં કોમર્શિયલ બેન્કમાં નોકરી કરતી હતી. અને વિપુલ યુ.કે. આવી ન શકે એટલે હું પાછી મુંબઈ ગઈ હતી. અને પાછી ૧૯૭૫ના મે મહિનામાં કાયમી રીતે યુ.કે.માં વસવાટ કરવા આવી. ત્યારે પહેલાં એક મિત્રને ત્યાં અને પછી એક રૂમ ભાડે રાખીને અમે રહ્યાં. ત્યારે એક જ રૂમમાં અમે ત્રણ જણ અને અમારી સાથે બીજાં ત્રણ કુટુંબો રહેતાં. ખૂબ મુશ્કેલી પડતી કારણ કે કોઈ નાનું બાળક જોઈને રૂમ ભાડે આપે નહીં. પહેલાં કહે કે રૂમ ખાલી છે અને પછી નાનું બાળક જુવે એટલે કહે કે હમણાં જ ડિપોઝિટ લેવાઈ ગઈ છે, એવું આપણા લોકો પણ કરે. આ બધી મુશ્કેલીમાંથી આગળ વધ્યાં, અને એક શીખ કુટુંબે સાથ આપ્યો. ધીરેધીરે આગળ વધતાં ગયાં. એક રૂમમાંથી બીજી રૂમમાં, એમાંથી કાઉન્સિલના ફ્લેટમાં, પછી પોતાના ફ્લેટમાં, એમ પગથિયા ધીમે ધીમે ચડ્યાં. વિપુલે નોકરી કરવાની, હું પણ પાર્ટ-ટાઈમ નોકરી કરું, એટલે માતૃત્વ બહુ જ અઘરું તો લાગ્યું હતું. પણ સંઘર્ષ આપણને ઘણું શીખવે છે. હું કેરિયરમાં માનતી નહોતી એટલે જયારે કુન્તલ સ્કૂલે જાય ત્યારે હું થોડુંઘણું કામ કરી લેતી.
પ્રશ્ન : એટલે ત્યાં જઈને તમારે કારકિર્દીમાં ઘણી સમજૂતી કરવી પડી. જીવનની દિશા બદલાઈ ગઈ ?
જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.
પ્રશ્ન : ભાષા – વાંચન-લેખનને લગતા અનેક ઉલ્લેખો તમે કર્યા. તમારો ભાષા-પ્રેમ ક્યાંથી વિકસ્યો ? લગ્ન પહેલાંથી એ હતો કે લગ્ન પછી એ વાતાવરણમાં આવ્યાં તેથી એ કેળવાયો ?
જવાબ : મુંબઈ, પિયરમાં હતી ત્યારે પણ વાંચવાનું તો હતું. મુંબઈમાં ગુજરાતી છાપાં અને સામયિકો વાંચતી. અહીં આવ્યા પછી પણ, એકે છાપું એવું નહીં હોય જે અહીં નહીં આવતું હોય. એ ઉપરાંત ઘણાં સામયિકો – કુમાર, અખંડ આનંદ, નવનીત-સમર્પણ, ભૂમિપુત્ર, એ બધું વાંચીને વાંચનશોખ સચવાઈ જાય છે. મને હળવું વાંચન ગમે છે, બહુ ઇન્ટેન્સ કે ગંભીર વાંચન હું બહુ નથી કરતી. સામાજિક મુદ્દાઓને આવરી લેતું વાંચન મને વધુ ગમે છે. અંગ્રેજી છાપાંઓ પણ વાંચું છું. એમાં સાંપ્રત વિષયો, આર્થિક-સામાજિક વિષયો મને વધુ ગમે છે. રાજકારણ ઓછું ગમે છે, પણ જ્યાં રાજકીય મુદ્દાઓની અસર સામાજિક જીવન પર પડતી હોય તે જોઈ લઉં છું, સમજવા પ્રયત્ન કરું છું.
પ્રશ્ન : સ્ત્રી અને પુરુષની દેશાંતર પ્રતિની પ્રતિક્રિયાઓમાં તમને કોઈ ફરક જણાયો છે ?
જવાબ : જરૂર ફેર છે. આપણે પુરુષની જે માલિકીની ભાવના કહીએ એ તો રહ્યું જ છે, આરાધનાબહેન. ખૂબ સૂક્ષ્મ રીતે તો ક્યારેક દેખીતી રીતે. પણ એ પુરુષપ્રધાન સમાજનું વલણ એ ભારતમાં કે કોઈ પણ દેશમાં રહ્યું જ છે. એને કારણે બહેનોએ હંમેશાં વધારે જતું કરવું પડ્યું છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ એકથી વધારે કામો એકી સાથે કરી શકે છે, એને માટે એ બધું બહુ સહજ છે. સ્ત્રી એકી સાથે અનેક જવાબદારીઓ નિભાવી શકે છે – બાળઉછેર, ઘરનાં કામો, બહારનું કામ, સામાજિક સંબંધો અને વ્યવહાર સાચવવાના. એટલે એનું એ ‘જગલિંગ’ હંમેશાં ચાલતું જ હોય છે. અહીં આવીને એ બધું કરવાની આપ મેળે આવડત આવી ગઈ છે. અહીં આવીને શિસ્ત, વ્યવસ્થાશક્તિ એ બધું વધ્યું. દેશાંતરમાં પુરુષો અમુક રીતે બદલાયા છે, બાકી મોટે ભાગે નથી જ બદલાયા. અને બદલાયા હોય તો મોટેમોટેથી બાંગ પોકારે છે કે હું તો આમ કરું છું. એટલે પુરુષોનો જે અહં છે તે સહજપણે ક્યાંક તો બહાર આવી જ જાય છે. અને ક્યારેક બે અહં ટકરાતા હોય છે. હું જોઉં છું કે અહીંની ઘણી બહેનો હજુ પણ પુરુષો પર ઘણો આધાર રાખે છે. તે જ રીતે પુરુષ પણ દરેક બાબતે સ્ત્રી ઉપર વધારે આધાર રાખે છે, એટલે સ્ત્રીને ખીલવાનો અને ખૂલવાનો અવકાશ નથી રહેતો. સ્ત્રીઓમાં શક્યતાઓ જરૂર છે પણ ખૂલી શકતી નથી કારણ કે એના પર જાતજાતનાં બંધનો આવી જાય છે. એ બધામાંથી એ બહાર નીકળી નથી શકતી, અને જ્યારે એ નીકળે છે ત્યારે પુરુષ માટે એ જીરવવું મુશ્કેલ થઈ જાય છે. અહીં ભારતથી ભારતીયો આવ્યા છે, આફ્રિકાથી પણ ઘણા આવ્યા છે અને એ બધાનો ઉછેર જુદોજુદો છે. પણ બધાનું પુરુષપ્રધાન વલણ રહ્યું છે.
પ્રશ્ન : આટલા દાયકાઓ દરમ્યાન તમે ભારત સાથેનો સંબંધ કેવી રીતે નિભાવતાં આવ્યાં છો ?
જવાબ : સાડત્રીસ-આડત્રીસ વર્ષથી અહીં છું પણ લગભગ દર વર્ષે હું મુંબઈ જવાનું રાખું છું. ત્યાં મારું કુટુંબ છે અને મારે માટે ભારત એટલે મુંબઈ છે. ભારત ખૂબ બદલાયેલું લાગે છે પણ એને માટેનો લગાવ ઓછો થતો નથી. કયા કારણસર, તે ખબર નથી, પણ ભારત જવાનું મન થાય તો ખરું જ. એ એક ન સમજાવી શકાય એવો લગાવ છે. જ્યારે મુંબઈ ઊતરું ત્યારે એમ થાય કે હું રડી પડીશ. જયારે એરપોર્ટ પર વિમાન ટચ-ડાઉન થાય ત્યારે એવી ભાવના થાય છે. દરેકને વતનઝૂરાપો હોય જ છે તેમ એ મારી વતનઝૂરાપાની લાગણી હશે.
પ્રશ્ન : ક્યારેક ‘નહીં ઘરના અને નહીં ઘાટના’ જેવો ભાવ જાગ્યો છે ?
જવાબ : ના ક્યારે ય નહીં. કારણ કે અહીં આવવાનો નિર્ણય બહુ સમજપૂર્વક લીધેલો. મને તો અહીં આવીને મારી અમુક ટેલેન્ટ ખીલવવાનો અવકાશ મળ્યો, જે કોઈક કારણસર મુંબઈમાં નહોતો મળી શક્યો. અહીં આવ્યા પછી પણ મને સાસરા પક્ષમાંથી પૂરતી મોકળાશ મળી, એટલે એ રીતે હું ખૂબ નસીબદાર છું એમ કહી શકું. હા, અમુક એવી પ્રવૃત્તિ છે જે મારે કરવી હતી અને અહીં આવવાથી હું ન કરી શકી. દાખલા તરીકે મારે નાટકમાં કામ કરવું હતું, તે અહીં આવીને ન થઈ શક્યું. પણ હું રવિવારે અંધ લોકો માટે વાંચન કરું છું. અમે એને ટોકિંગ ન્યુઝપેપર – બોલતું છાપું, કહીએ છીએ. એ કામ હું છેક ૧૯૮૫થી નિયમિત કરતી આવી છું. દર ત્રીજા રવિવારે સ્ટુડિયોમાં જવાનું, રેકોર્ડિંગ કરવાનું, એમાં સમાચાર હોય, કોઈ સુંદર વાર્તા કે લેખ હોય. અહીં બ્રિટનમાં જે અંધ લોકો છે એમને એ રેકોર્ડિંગની નકલ મોકલવામાં આવે. તેવી જ રીતે હું જુદીજુદી સામાજિક સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરું છું, ઓક્સ્ફેમ, કેન્સર રિસર્ચ , વગેરેમાં હું મદદ કરું છું.
પ્રશ્ન : ભારત અને વિલાયતના સંબંધો ઐતિહાસિક છે. અને એ રીતે ભારતની પ્રજા અંગ્રેજોને અમુક રીતે જુવે છે. તમારા એ પ્રજાના અવલોકનો અને અનુભવો કેવા છે ?
જવાબ : હું અહીં આવી ત્યારથી મને એક વાત ખૂંચતી હતી કે તમે કોઈ પણ એશિયનને મળો તો તમને પહેલો પ્રશ્ન પૂછે કે તમે કયાંના. જે પ્રશ્ન મને કોઈએ મુંબઈમાં કર્યો નહોતો, એ પ્રશ્ન મને અહીં આપણા જ લોકો દ્વારા વારંવાર પૂછાયો. જયારે અંગ્રેજ લોકોમાં મને એવું બધું દેખાતું નથી. એ લોકો પોતપોતાનામાં મસ્ત હોય છે. પણ દેશ તરીકે મને અહીંની અમુક વસ્તુ બહુ ગમે છે. એક તો અહીંની કન્ટ્રી-સાઈડ અને બીજું અહીંના લોકોનો ઝુંબેશ ચલાવવાનો સ્પિરિટ. કોઈ ઘટનાનો વિરોધ કરવા કે એને માટે જાગૃતિ કેળવવા આ લોકો જે રીતે સંગઠન કેળવીને અવાજ ઉઠાવે છે એ ખૂબ જ સુંદર છે. આપણા સમાજમાં એ આવતું જાય છે પણ જરા જુદી રીતે. આ લોકો પ્રશ્નને લઈને પદ્ધતિસર અને યોજનાપૂર્વક એને ઝુંબેશના રૂપમાં ફેરવે છે એ મને ખૂબ ગમે છે. અહીં કોઈ કુદરતી આપત્તિ આવી પડે કે કોઈક અકસ્માત થાય તો બધા ભેગાં મળીને સહાય કરે, પછી એ સ્વયંસેવકોને જે સન્માન મળે છે એ હજી આપણે ત્યાં વોલન્ટરી સેક્ટરમાં આવ્યું નથી.
પ્રશ્ન : તમે જે અનેક પ્રકારનાં કામો કર્યાં તેમાં એક ફ્યુનરલ ડાયરેક્ટરનું પણ હતું. આવું કામ કરતાં કરતાં જીવન જોવાની દૃષ્ટિ કેળવાઈ હશે.
જવાબ : હું ફ્યુનરલ ડાયરેક્ટરમાં કામ કરવા ગઈ તે પહેલાં હું એચ.આઈ.વી., એઈડ્ઝ પોઝિટિવના દર્દીઓને કાઉન્સેિલંગનું કામ પણ કરતી હતી અને એ પણ ગુજરાતી સમાજ માટે. ત્યારે લોકોને નવાઈ પણ લાગતી કે આપણા લોકોમાં એઈડ્ઝ ? હું કેટલીક સંસ્થાઓમાં જઈને વાર્તાલાપો આપતી કે આ પ્રશ્ન છે અને એને આપણે સ્વીકારવો જોઈએ. દર્દીઓના નંબર મને એજન્સી આપતી, એટલે કોઈ દર્દીઓનાં નામ-ઠામ જાણ્યા વિના મારે એમની સાથે વાત કરવાની થતી. અને મોટે ભાગે એમાં દર્દી જ બોલતો હોય છે કારણ કે સમાજમાં આવા લોકોની વાત કોઈ સાંભળતું નથી. જેમ પહેલાં રક્તપિત્તિયા જીવતા તેમ આ લોકો જીવતા હોય છે. એટલે મારે માટે એ એક રૂપરેખા બંધાઈ હતી કે આ લોકો ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ત્યાર પછી ફ્યુનરલ ડાયરેક્ટરનું કામ આવ્યું. પચાસ વર્ષની ઉંમરે મને નોકરીમાંથી રિડન્ડન્સી મળી ત્યારે મને બહુ આંચકો લાગેલો. ત્યારે આ કામ મારા હાથમાં આવ્યું. એ કામ પડકાર જેવું લાગેલું પણ મને એમાં પણ આનંદ આવ્યો. થોડો મનમાં એ બાબતે વિરોધ હતો કે મડદાં ધોવાનાં ? પણ એ મેં શરૂ કર્યું. અને એમાંથી મને એમ થયું કે જીવતાં માણસો સાથે કામ કરવામાં તો એ માણસો આપણને કોઈકને કોઈક જાતની મુશ્કેલી ઊભી કરી શકે, પણ મડદાં તો શું કરી શકવાનાં ? એ કામ કરતાં કરતાં મારામાં જીવન-મૃત્યુનો ડર નીકળી ગયો. મને ઘણા પૂછતાં કે ડર નથી લાગતો ? પણ ના, મને કદી ડર નથી લાગ્યો.
પ્રશ્ન : આજકાલ અસંખ્ય યુવાનો-યુવતીઓ દેશાંતર કરીને વિદેશ જાય છે. તમારા પ્રલંબ અનુભવોના આધારે એમને શું કહેશો ?
જવાબ : હું એ લોકોને એટલું જ કહીશ કે તમે બધાં અલગ અલગ કારણોસર વિદેશોમાં આવ્યાં છો, અને જરૂર આવો. પણ આ દેશમાં અહીંના થઈને રહો. ત્યાંની જે ખરાબ ટેવો છે તે અહીં ન લાવો. મોટેથી બોલવાની, ગમે ત્યાં થૂંકવાની, ગમે તે રીતે ખાવાની, ગમે ત્યાં કચરો ફેંકવાની, એ બધી કુટેવો અહીં ન લાવો કારણ કે એને લીધે અહીંનો સમાજ આપણી સામે ખરાબ રીતે જુવે છે. અને એમાં જાતીય તણાવ વધતો જાય છે. હું જોઉં છું કે અત્યારે જે વર્ગ ભારતથી આવે છે તે એટલો બધો બિન્દાસ્ત વર્ગ છે કે ન પૂછો વાત. અત્યારે લંડનની ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર ‘પાન ન થૂંકશો’ એવાં પાટિયાં જોવા મળે છે. બસ-સ્ટોપ આગળ અને એવી જગ્યાએ એવાં મોટાં હોર્ડિંગ છે. આવાં પાટિયાં હિન્દી અને ગુજરાતીમાં છે. આવું હું મુંબઈમાં વાંચતી. આપણા લોકો મોબાઈલ ઉપર મોટેમોટેથી વાત કરતાં આજુબાજુનાનો ખ્યાલ કર્યા વિના ચાલ્યા જાય છે. આ બધું બહુ ખૂંચે છે.
e.mail : aradhanabhatt@yahoo.com.au
(પ્રગટ : “નવનીત સમર્પણ”, મે 2014; પૃ. 115 – 121)
![]()


એમના વિષે સાંભળેલું ઘણું, એમનું વાંચેલું પણ ખરું, પણ કોઈ જ પરિચય નહીં. મિત્ર પાસેથી ઈ.મેઈલ સરનામું લઈને થોડી દ્વિધા સાથે એમને આ મુલાકાત માટે વિનંતી કરી. તરત જ સામો જે ઉષ્ણ અને ઉત્સાહપૂર્ણ ઉત્તર આવ્યો એનાથી દંગ રહી જવાયું. જાણે કોઈ ચિર-પરિચિત બહેનપણીનો પત્ર. પછી રૂબરૂ મુલાકાતનો સુયોગ પણ થયો. એમને મળો તો ચહેરો હાસ્યથી ફૂલગુલાબી હોય, વાતો હળવી ફૂલ, નાની નાની વિગતોમાં રસ, જેને સાવ ‘ડાઉન ટુ અર્થ’ કહેવાય એવું. હંમેશાં એમના વાળમાં ડાબી બાજુ ખોસેલું રંગીન ફૂલ, એ એમના ચિત્તની, આ સ્થિતિનું જાણે પ્રતીક તે ! આ ફૂલ એ એમનો ‘ટ્રેડ-માર્ક’, એમની ઓળખ. છતાં એમની વાતોમાં એક ગૌરવ છે, જીવન અને જગતની તળેટીને ખુંદી વળી, એને જોવાની પ્રૌઢ અને ગૂઢ દૃષ્ટિનો રણકો એમની વાતોમાં સંભળાય. ગુજરાતી સાહિત્યને તેમણે તેમનાં વીસેક પ્રવાસ પુસ્તકો, કાવ્યસંગ્રહ, લલિત નિબંધો, વાર્તાઓથી રળિયાત કર્યું છે, અનેક સાહિત્યિક સન્માનોથી એ વિભૂષિત છે. લેખનમાં અને બોલવામાં ભાષાશુદ્ધિની એમને ભારે ચીવટ, સંગીતની ઊંડી સૂઝ, પોતે અચ્છા ગાયિકા પણ ખરાં. જન્મે ગુજરાતી, લગ્નથી બંગાળી અને ધર્મથી કોલંબસ એવાં પ્રીતિ સેનગુપ્તાએ એકલપંડે કરેલા દેશાંતર, અને પછીના અનેક ભૌગોલિક પ્રવાસોમાં, તેમણે માત્ર સ્થળોને જ નહીં જાતને પણ નવી નવી રીતે જોઈ છે, એની પ્રતીતિ તેમની સાથેનો આ સંવાદ કરાવશે.
ઉત્તર : અંગત છે, પણ કહેવાય એવું છે. પહેલેથી જ ચંદન કહે છે કે એ એવું મને કે દરેક વ્યક્તિમાં એક પેશન હોવી જોઈએ, દરેક વ્યક્તિને કોઈક એવો શોખ કે એવી લગન કોઈ પણ ક્ષેત્રમાં હોવી જોઈએ, જેનાથી એનું પોતાનું જીવન સાધારણથી કંઈક વધારે થાય. એટલે મને મારા પ્રવાસમાં, મારા લેખનમાં, વાંચનમાં આટલો ઊંડો અને શાશ્વત રસ છે એનો એને પહેલેથી જ આનંદ રહ્યો છે. મારી પહેલી ચોપડી મેં ચંદનને અર્પણ કરેલી, કે એ મને જવા દે છે જેથી હું પાછી આવી શકું. એણે મને એ વિશ્વાસ આપ્યો કે પાછા આવીને ક્યાં જવું એ હવે મારે ગભરાવાનું નથી. હું જ્યાં જાઉં ત્યાંથી પાછી આવું ત્યારે મારું ઘર અહીં છે જ.
ઉત્તર : બહુ સભાનતાથી મેં નહોતું વિચાર્યું કે મારે પ્રવાસી બનવું છે. પણ ઘરઝુરાપો એવો હતો કે એ મને પ્રવાસ પ્રતિ લઈ ગયો. પહેલાં અમેરિકા એ રીતે ફરી કે એ દેશને જોઈ લઉં તો એને માટેની મારી સમજણ વિકસે અને મારું ચિત્ત થોડું સ્થિર થાય. પછી હું થોડા દૂરના દેશોમાં ગઈ – યુરોપ ગઈ, આફ્રિકા ગઈ. જ્યારે હું દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે એ મારો પાંચમો ખંડ હતો. ત્યારે મેં એન્ટાર્કટિકા વિશે સાંભળેલું. ત્યારે મને થયું કે પહેલાં ઓસ્ટ્રેલિયા જઈ આવું. ત્યાર પછી હું પાંચ વાર ઓસ્ટ્રેલિયા આવી છું અને મને ખૂબ ગમ્યું. એટલે એમ સાત ખંડના પ્રવાસ પૂરા થયા, પછી મેં ઉત્તર ધ્રુવના પ્રવાસ વિષે ક્યાંક વાંચ્યું અને મને થયું કે એ અભિયાન હું કરું તો સાડા-સાતમો ખંડ થાય. એ ઉત્તર ધ્રુવનો જે સમુદ્રનો ભાગ છે તે એટલો બધો મોટો છે, ભલે એમાં જળ વધારે છે, પણ એને અડધો ખંડ તો કહેવો જ પડે. એટલે સાત ખંડ જોઈને મારું મન સભર થઈ ગયું. પછી થયું કે નોર્થ-પોલ જઈને હું જાણે કે પૃથ્વીને મારા બાહુઓમાં આલિંગન આપું. જાણે હું પૃથ્વીને વહાલી કરું છું એવો ભાવ મનમાં આવતો હતો. સદ્દભાગ્યે એ વખતે ત્યાં જવા માટેનું અભિયાન હતું. ત્યાં જઈને તમને એવું લાગે કે તમે દુનિયાની બહાર નીકળી જાવ છો, પૃથ્વીને તમે છોડી દીધી છે. દેશો, જમીન બધું છોડીને તમારે દરિયા પર જતા રહેવાનું. એ એક બહુ ઊંડો અાધ્યાત્મિક અનુભવ છે. એને વિષે મેં ઘણું લખ્યું છે, અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તકો થયાં છે. ત્યાં દરિયો થીજેલો એટલે સ્લેજ્માં ગયાં. ત્યાં ચોવીસ કલાક અજવાળું હોય. મેં તો સાથે ઘડિયાળ પણ નહોતી રાખી. હું પ્રવાસમાં ઘણીવાર ઘડિયાળ નથી રાખતી. જ્યાં જાઉં ત્યાંના પ્રકાશ પરથી કેટલા વાગ્યા હશે તે વિચારું. ઉત્તર ધ્રુવ પર સાંજના આઠ-નવ વાગ્યા હોય ત્યારે ત્યાનું અજવાળું જરા સાંજ જેવું લાગે. પછી મધરાતે પણ અજવાળું હોય અને બીજો દિવસ પણ એમ જ શરૂ થાય. આમ તો બધું વૈજ્ઞાનિક છે, પણ મારા જીવનમાં મને એ બધું કંઈક દૈવી, સ્વર્ગીય, કે જાદુઈ લાગ્યું. જાણે મને બહુ મોટો આશીર્વાદ મળી રહ્યો હોય એમ થયું. એના પર મેં કાવ્યો લખ્યાં છે એની બે લીટી મારે કહેવી છે : એક ગીત છે,
આપણે ત્યાં એક વિભાજન એવું છે કે એક બાજુ બૌદ્ધિકો છે અને એક બાજુ કર્મશીલો. પણ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે જે ટેબલ લેમ્પ અને ટેબલની સીમાથી બહાર જઈને બૌદ્ધિક હોવાની સાથે સાથે એ કર્મશીલ પણ હોય. ગુજરાતમાં ડૉ. ગણેશ દેવી એક એવું નામ છે. મૂળ અંગ્રેજીમાં પ્રોફેસર પણ આપણી પરંપરાની અંદર સંન્યાસ લઈએ અને પછી એક બીજો વેશ ધારણ કરીએ એમ તેમણે બધું છોડીને અત્યારે તેઓ છેલ્લાં 15 વર્ષોથી બહુ જ સક્રિય રીતે આદિવાસી ભાષા, સંસ્કૃિત અને એ સિવાય વિમુક્ત જનજાતિ (ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ) અને એમના અધિકારો માટે સતત કામ કરતા રહ્યા છે. ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેનાં તેમનાં કામ માટે થોડાં વર્ષો પહેલાં એમને ‘યુનેસ્કો’નો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો એ પહેલાં પણ તેમને નેધરલેન્ડની સરકારનો એવોર્ડ મળી ચૂકેલો અને ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અંગ્રેજી સાહિત્યમાં પ્રદાન માટે એમને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હાલમાં જ તેઓ પદ્મશ્રીથી સન્માનિત થયા છે. તેમની સાથે થોડી અંતરંગ, થોડી બહિરંગ વાતો. (ય.દ.)
ઉ.:
ઉ.: અમે અંગ્રેજીમાં ગુજરાતીનો થોડો અનુવાદ અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં અનુવાદ, એ પ્રકારે લગભગ પાંચ-છ વર્ષ આ ઉપક્રમ ચલાવ્યો. પણ વચ્ચે 1986ના સપ્ટેમ્બરમાં સુરેશભાઈનું અવસાન થયું. અને લગભગ એકાદ મહિના પછી હું ઈંગ્લેન્ડ ગયો. તે સમયે મેં અંગ્રેજીમાં એક પુસ્તક લખવાની શરૂઆત કરેલી. જે ત્યાર પછી ‘આફ્ટર એમનેઝિયા’ નામથી પ્રકટ થયું. આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો એવોર્ડ આપવામાં આવ્યો. ઈંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે અહીં સાવલીમાં દુકાળ. તે સમયે આપણા ગુજરાતમાં દુકાળ હતો. બે-ત્રણ વર્ષ વરસાદની અછત હતી. મેં સાવલીમાં કંઈક દુકાળ–રાહતનું કામ શરૂ કર્યું. પહેલી વાર જિંદગીમાં પુસ્તકો, ગ્રંથો બાજુ પર મૂકી સમાજ સુધી પહોંચવાની મારી શરૂઆત હતી. મેં જોયું તો ગામડાંઓ છે, નાનાં નાનાં ગામડાંઓ (હવે તો સાવલીની પણ કાયાપલટ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રિયલ થઈ ગયું છે. પણ 30 વર્ષ પહેલાં નાનાં નાનાં ગામડાંઓ હતાં.) જયદેવ શુકલ આપણા ગુજરાતના કવિ ત્યાં હતા. એ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સાથે આવતા હતા. હું જ્યારે અહીં આવ્યો તો ભીખુભાઈ પારેખ, વી.સી. હતા. ભીખુભાઈએ મને આઈ.એ.એસ. સેન્ટર ચલાવવા માટે આપ્યું હતું. ત્યાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનું અને સાથે સાથે શાસકીય તાલીમ આપવી એ મારું કામ હતું. ત્યાં જે વિધાર્થીઓ આવતા હતા તેમાંથી લગભગ 100-150 વિધાર્થીઓએ મારી સાથે દુકાળ-રાહત કામમાં સાવલી આવવાનું શરૂ કર્યું. પછી અમે અહીં વડોદરામાં થોડી પસ્તી ભેગી કરી, નાણાં ઊભાં કર્યાં. ગરબાના સમયે ગરબાનાં થોડાં ગીત અને એવું કંઈક કરીને જેટલું બને તેટલું ફંડ ભેગું કર્યું અને સાવલી તાલુકાનાં ગામડાંઓ સુધી ઘાસચારો, દવાઓ, ખાવાનું લઈ જતા હતા. પણ અત્યારે હું કહી શકીશ કે એ બધું કામ ચેરિટીના રૂપમાં હું કરતો હતો. સામાજિક કામ વિશે ખાસ સભાનતા મને હતી નહીં. સામાજિક કાર્યમાં જે સંકુલતા હોય છે તે વિશે હું જાણતો નહીં. સુરેશભાઈના અવસાન પછી શિરીષભાઈ પંચાલે અને ગુલામમોહમ્મ્દ શેખસાહેબે ખાસ્સી મદદ કરી. બે-ત્રણ વર્ષ ‘સેતુ’ મેગેઝિન ચાલ્યું. પણ પછી બંધ થયું. ‘સેતુ’ સારું ચાલતું હતું તો પણ મેં એવું વિચાયું કે તેનું સમાપન કરવું જોઈએ. શેક્સપિયર વિશે એવું જાણ્યું હતું કે Every tragedy or comedy of Shakespeare is successful because he never exploited his success. લોકો તો કામમાં અપયશ મળે ત્યારે કામ છોડે છે. પુનઃઆવૃત્તિ ન કરવી જોઈએ. હાલમાં જ એકાદ વર્ષ પહેલાં અમે વડોદરામાં એક મોટી સભાનું આયોજન કર્યું હતું એમાં દેશના 320 ભાષાઓના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. આપણા દેશમાં લગભગ પહેલી વાર જ આટલી મોટી સંખ્યામાં ભાષાઓનું પ્રતિનિધિત્વ થયું હતું. નારાયણ દેસાઈ અને મહાશ્વેતા દેવીએ અમારાં પ્રમુખ અતિથિ હતાં. નારાયણભાઈએ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. તે સમયે એમણે મને કહ્યું કે ગણેશ એક કામ કરો કે આ જ પ્રકારની મીટિંગ ફરી વાર કરશો નહીં. એમના કહેવાનો અર્થ હતો કે એક સારું કૃત્ય થાય જિંદગીમાં તો એની પુનરાવૃત્તિ ન કરવી જોઈએ. આ પ્રકારે ‘સેતુ’ બંધ થયું એનું મને દુઃખ નથી.
બીજો દાખલો છે કે જ્યારે 1998માં અમે અખિલ ભારતીય વિમુક્ત સમાજ સંગઠનની સ્થાપના કરેલી ત્યારનો. એમાં સૌથી પહેલાં તો સાહિત્યિકો અને સર્જકો હતા. લક્ષ્મણ ગાયકવાડ મહારાષ્ટ્રના, મહાશ્વેતા દેવી બંગાળનાં, હું હતો, પછી ભૂપેન ખખ્ખર એમાં સામેલ થયા. ગોવિંદ નિહલાની આવ્યા, જ્યા બચ્ચન આવ્યાં. ઘણા બધા સાથે આવતા ગયા. ડી.એન.ટી.ના ડિનોટિફાઈડ ટ્રાઈબના પ્રશ્નો છે તે આદિવાસીના પ્રશ્નોથી અલગ છે. આ લોકો ઉપર ખૂબ અન્યાય થયેલ છે. પોલીસ તરફથી મુશ્કેલી આવે છે. તેઓ સ્ટીગમેટાઈઝ છે. કલંકિત જીવન જીવવાનું આખી જિંદગી જન્મથી મૃત્યુ સુધી – અને મૃત્યુ પછી પણ, કારણ કે એમના માટે સ્મશાનની વ્યવસ્થા તેમના ગામમાં મળતી નથી. અમે હોમ મિનિસ્ટ્રી અને હ્યુમન રાઈટ્સ સંસ્થામાં ગયા. જેટલા વડાપ્રધાનો હતા એમની સાથે મળીને ચર્ચા કરી. મને યાદ છે કે હું વી. પી સિંહસાહેબ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંહને મળ્યો. દરેકને જઈને આ સમાજ વિશે માહિતી આપી કે આ લોકો પરના જુલમ છે તે બંધ કરો અને એ સરકાર જ કરી શકશે કારણ એ કાનૂન દ્વારા જુલમ નિર્માણ થયા છે અને એ કાનૂન દ્વારા જ બંધ થઈ શકશે. કાનૂન 1871નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ કે જે ખોટો હતો તે આમના ઉપર થોપવામાં આવ્યો હતો. રવિશંકર મહારાજ જેના સદસ્ય હતા એવા એક કમિશનની 1939માં નિમણૂક થઈ હતી. “અંત્રોલિકર કમિટી” રવિશંકર મહારાજ અને અંત્રોલિકર એ બધાએ ફરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે જ્ગ્યાએ આ લોકોના કેમ્પ હતા, બંદી શાળાઓ હતી, સેટલમેન્ટ કહેવાતું હતું એના ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. અંત્રોલિકર કમિટિનો રિપોર્ટ ખૂબ સરસ હતો. મુંબઈ સરકારે એમનો રિપોર્ટ સ્વીકાર્યો. ત્યાર પછી આઝાદી મળી અને એ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે આયંગર કમિટી બનાવી. આ કમિટીએ અંત્રોલિકરના રિપોર્ટનો દાખલો લઈને એક રાષ્ટ્રવ્યાપી રિપોર્ટ બનાવ્યો જેના આધારે 1871નો કાનૂન હતો તે રદ્દ કરવામાં આવ્યો અને તેથી પહેલાં જે જાતિઓ નોટિફાઈડ હતી એમને ડિનોટિફાઈડ કરવામાં આવી. પણ 1952 પછી ડિનોટિફિકેશન થયું ત્યારથી લગભગ સદીના અંત સુધી બીજું કશું જ આ લોકો માટે થયું નથી. એ જાતિઓ અંગે લોકોની સામાજિક–માનસિકતાનો જે ફેર આવવો જોઈતો હતો તે બિલકુલ નથી આવ્યો. એટલે લગભગ રોજેરોજ આ જાતિના લોકોને અન્યાયનો અને અસહિષ્ણુતાનો સામનો કરવો પડે છે. દિલ્હીમાં તો જ્યારે કોઈ જગ્યાએ ચોરી થાય તો તરત બીજે દિવસે છાપામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે નજદીકના કોઈ પારધીએ ચોરી કરેલી હશે. આ ખોટું છે. આપણે ત્યાં કોઈ બીજા પ્રકારની હેરાફેરી કરે તો આપણે કોમનું નામ લઈ – કે પાટીલ કે રેડ્ડી કે મહેતા સમાજે કર્યું એવું તો નથી કરતા પણ પારધીનું નામ આવે છે, સાંસીનું નામ આવે છે, છારાઓનું નામ આવે છે. આ બધું ખોટું છે. જેથી સામાન્ય છારા બાળક કે જે પ્રતિભાશીલ હોય તો પણ એને સ્કૂલમાં અથવા કોલેજમાં ભણવા મુશ્કેલી થાય છે. અમારા ત્યાં એક સંમેલનમાં એક પારધીબહેન આવ્યાં હતાં. સારાં ગાયક હતાં. 1998ની આ વાત છે. આ બહેન મુંબઈથી આવતાં હતાં. અમે એમને ટિકિટ મોકલાવી અને થોડાં નાણાં. આ બહેને નવી સાડી ખરીદેલી. તો મુંબઈમાં પોલીસે આ બહેનની સાડી કાઢી લીધી એની ઊલટતપાસ સાથે. ‘તમારી પાસે સાડી આવી ક્યાંથી?’ આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું આ આપણા જમાનામાં પણ એ થઈ રહ્યું છે. અને આ દરેક ડી.એન.ટી. ને રોજ ભોગવવું પડે છે. અમે અત્યાર સુધી કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓમાં સંખ્યાંબંધ કોર્ટ કેસ કર્યા. પોલીસ અકાદમીમાં જઈને પણ ચેતના જાગૃતિનું કામ કર્યું. આ બધું કર્યું પણ અંતે પી.એમ.એ. કમિટી નીમી હતી કે જેને ટી.એ.જી. કહેવામાં આવી. આપણે ત્યાં શ્રી કાનજી પટેલ અને હું એમાં સભ્યો હતા. અમે રિપોર્ટ બનાવ્યો. આ રિપોર્ટનો સરકાર સ્વીકાર કરશે અને લગભગ આવતા 6 થી 8 મહિનામાં એક નવો કાનૂન આવશે. આયંગર કમિટી પછી 2012માં એટલે 60 થી 70 વર્ષ પછી આ લોકો માટે નવી વ્યવસ્થા થશે એવી આશા છે. ખબર નથી થશે કે નહીં થાય, પણ જે અમારે કામ કરવું હતું તે પૂરું કર્યું છે, હું તો સાધુ પ્રકારનો માણસ નથી. હું ખરાબ માણસ છું એવું હું માનું છું. પણ હું કહી શકીશ કે ડી.એન.ટી.ના વિષયમાં મેં પોતાનું કામ કર્યું છે. નવી પેઢીના યુવાઓએ આ સંઘર્ષ પ્રક્રિયા આગળ લઈ જવી જોઈએ એવી જરૂરિયાત છે. એ જો ભૂલી જાય તો ફરી એક વાર કોઈકને આ રીતે સંઘર્ષ કરવો પડશે. તો પોલિસી લેવલના આ દાખલા આપ્યા.


ઉ.: વાત સાચી છે. ભાષા પ્રવાહી હોય છે. એવી ભાષા છે જે અમુક સમયમાં અમુક લિપિમાં લખાય છે, અને અન્ય સમયમાં અન્ય લિપિમાં. સંસ્કૃત ભાષા પોતે શારદામાં લખાતી હતી. હવે નાગરીમાં લખાય છે અને મોડીમાં. મોડી લિપિ ઘણી બધી ભાષા માટે વાપરવામાં આવતી હતી. એટલે લિપિ અને ભાષાનો ખાસ તાર્કિક સંબંધ નથી. ભાષા બદલાય છે અને ન બદલાતી હોય તો ભાષા મરે છે. જે બદલાતી રહે છે એ જ ભાષા જીવતી રહે છે. પણ પ્રવાહો ઉપર ક્યારેક આપણે ડેમ બનાવીએ અથવા કૃત્રિમ રીતે એનો પ્રવાહ બંધ કરીએ તો મુશ્કેલી આવે છે. ખાસ કરીને જો કોઈક આપણને કહે કે તમે ફલાણી ભાષા બોલો છો એને લિપિ નથી, લખાયેલ નથી તો તમારા માટે અમે સ્કૂલ નિર્માણ નહીં કરીએ અથવા કોલેજ કે યુનિવર્સિટી નિર્માણ નહીં કરીએ. તો પછી ત્યાંનાં બાળકોને અન્ય કોઈ ભાષા થકી જ પ્રગતિની તક મળે છે. ત્યાં સુધી નહીં. જેથી દેશમાં જ્યાં અવિકસિત વસતિ છે તે ભાષાના કારણે આપણે જો રાષ્ટ્રીય નિરક્ષરતાનો નકશો બનાવીશું તો એવું જોવા મળશે કે જ્યાં આ પ્રકારની બોલીઓ છે અથવા અક્ષર વગરની ભાષા, (જ્ઞાન વગરની હું નથી કહેતો ઘણી બધી ભાષાઓ છે જેમાં ખૂબ જ્ઞાન છે પણ અક્ષર લિપિ નથી) તો લગભગ નિરક્ષરતા જે વિસ્તારોમાં છે એ વિસ્તાર એવો છે જ્યાં આ પ્રકારની બોલીઓ છે એટલે આ વિષય ઉપર ગંભીરતાથી ફરી એક વખત વિચાર કરવો જોઈએ કે નિરક્ષરતા અને ભાષા એટલે શું? ભાયાણી સાહેબનું જે કહેવું હતું તે બિલકુલ યોગ્ય છે. ભાષા આપમેળે મરતી નથી. જૂના ઘણા બધા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં વપરાય છે. જે રીતે મુસળ શબ્દ 4000 વર્ષ પહેલાંનો છે. પણ અત્યાર સુધી ચાલ્યો આવ્યો છે પણ જ્યારે કોઈ કાયદો અથવા કોઈ ભૂલભરી પોલિસી દ્વારા ભાષાઓ ઉપર બંધન આવે ત્યારે ભાષાઓને મારવામાં આવે છે એમ કહેવાય. ભાષા પોતે મરતી નથી. ભાષા મૃત્યુહીન છે પણ એના ઉપર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એટલે વાચાવિહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી બધી ભાષાઓ ઉપર અફેસિયાની સજાનું ફરમાન થઈ રહ્યું છે. ‘યુનેસ્કો’નો એક અંદાજ છે કે વીસમી સદીની શરૂઆતમાં દુનિયામાં લગભગ 7000 ભાષાઓ હતી તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 જીવતી રહેશે.
ઉ.: હું ભાગ્યશાળી રહ્યો છું કે વડોદરામાં આવ્યો તો સુરેશભાઈને મળવાનું થયું. ત્યાર પછીના સમયમાં નારાયણભાઈ દેસાઈને સાહિત્ય અકાદમી એવોર્ડ સમારંભમાં પહેલી વાર મળ્યો, કારણ કે એ જ વર્ષે એમને પણ એમના પુસ્તક માટે એવોર્ડ મળ્યો હતો. વિજય તેંડુલકર સાથે દોસ્તી હતી, કારણ કે તેંડુલકર સાહેબને નેહરુ ફેલોશિપ ‘હિંસા’ વિષય ઉપર કામ કરવા મળી અને મને પણ નેહરુ ફેલોશિપ એ જ વિષય ઉપર કામ કરવા માટે આપવામાં આવી હતી. એટલે એ રીતે અમારી મિત્રતા થઈ. મહાશ્વેતાબહેનને એક વાર મેં પત્ર લખ્યો હતો. 1980માં ‘સેતુ’ના સંદર્ભમાં. અને એમની – ‘જગમોહન : ધ એલિફન્ટ’ – નામની ખૂબ જાણીતી વાર્તા છે તો એ ગુજરાતીમાં અનૂદિત થઈ ‘સેતુ’માં પ્રગટ થઈ હતી. પછી ‘સીડ’ નામની બીજી વાર્તા અમે પ્રકટ કરી હતી. પણ તેમને પ્રત્યક્ષ કદી મળવાનું થયું ન હતું. હું એક વાર બંગાળ ગયો હતો અને એ સમય એવો હતો કે ત્યારે બુધન સબરનું મૃત્યુ થયેલું. લગભગ બુધનના મૃત્યુ પછી તરત જ હું બંગાળ ગયો હતો અને ત્યારે મહાશ્વેતાદેવીને મળવાનું થયું. અમે મળ્યાં ત્યારે એમને ખબર પડી કે મને વિમુક્ત વિચરતી જનજાતિ માટેના પ્રશ્નોમાં રસ છે, અને મને ખબર પડી કે એમને પણ એ પ્રકારનો રસ છે. અમે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે એમની ઉંમર લગભગ 70 વર્ષની ઉપર હતી અને હું લગભગ 50 વર્ષનો હતો. ત્યારે જ અમે નક્કી કર્યું કે દેશભરમાં ફરીશું અને જ્યાં જ્યાં વિમુક્ત વિચરતી જનજાતિની વ્યક્તિઓ છે એમને મળીશું. એમની પરિસ્થિતિ સમજી લઈશું અને એ પરિસ્થિતિનો ચિતાર સરકાર સામે, ન્યાયક્ષેત્ર સામે, પોલીસ સામે મૂકીશું, તે વિશે લખીશું અને લોકોને ભેગા કરીશું. આશરે 3 લાખ કિ.મી. અમે સાથે ફર્યાં. સુરતથી જલગાંવ સુધી થર્ડ કલાસ પેસેન્જર ટ્રેનમાં આખી રાત બેસીને, તે સમયે મહાશ્વેતાબહેનને મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો હતો, જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો, દુનિયાભરમાં મશહૂર વ્યક્તિ, આટલી મોટી ઉંમર અને ઉપરથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ. કોઈક વાર બેસવાની જગ્યા ન મળે તો ઊભાં ઊભાં વાતો કરતાં. એ એમની વાર્તાઓ ક્યારે લખી, કયા પ્રસંગમાં નિર્મિત થઈ એ બધું કહેતાં. અમે અમરાવતી ગયાં. ત્યાં સિકલ સેલ એનિમિયા રોગનો પ્રશ્ન પ્રચંડ હતો. મહારાષ્ટ્ર સરકારે એક સમિતિ નીમેલી. ડોક્ટરે તો જાહેર કર્યું કે આ તો જિનેટિક રોગ છે એટલે આપણે ખાસ કરવા જેવું નથી. માત્ર આયર્ન કે ટેબ્લેટ આપીએ. આ વાત લઈને મહાશ્વેતાબહેને એક ગજબની વાર્તા લખી ‘મહાદુ’ નામની. મહાદુ અમરાવતીનો કોરકુ જાતિનો એક છોકરો કે જે છેલ્લો બચ્યો છે અને મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. કોરકુ લોકોનું આખું જંગલ અંગ્રેજોએ કપાવ્યું અને તેનાં લાકડાં સુરત – હાવરા રેલવે લાઈનમાં નીચે સ્લીપર નાખવામાં આવ્યા તે કોરકુના જંગલમાંથી આવ્યા. દૂરથી રેલવે આવે છે અને સિસોટીથી મહાદુ થોડો વિચલિત થાય છે અને રેલવેની ગંધ આવે છે. એને થાય છે આપણા પૂર્વજનોની કોઈ સુગંધ આવે છે. તે દોડતો દોડતો રેલવેમાં બેસી મુંબઈ પહોંચી જાય છે. મુંબઈમાં જે પદાર્થ એને જિંદગીમાં કદી જોવા મળ્યો નહોતો તે પદાર્થ એટલે અન્ન જોવા મળે છે. જે તે ખાય છે અને તેનું કદ વધે છે, મહાકાય થાય છે. મહાદુ આખું મુંબઈ ખાય છે. અનેક પેઢીઓની આ ભૂખ છે. એનું માથું આકાશને અડે છે. પછી તે નીચે ઝૂકીને આખો અરબી સમુદ્ર પીએ છે અને હાથ ઊંચા કરી તારા લઈને નવા અક્ષરથી દુનિયાનો ઇતિહાસ લખે છે. અદ્દભુત કથા. આથી હું મહાશ્વેતાબહેનની લેખનની કેમેસ્ટ્રી સમજી ગયો કે તેમનું જ લખાણ છે તે અનુભવના આધારે છે, કલ્પનાના આધારે નથી. પછી એમાં કલ્પના ઉમેરે છે, કારણ કે શબ્દનો કીમિયો એમની પાસે છે.