![]()
વૅલેન્ટાઇન ડે નિમિત્તે
‘મારો અસબાબ’ મારા પ્રિય પુસ્તકોમાંનું એક છે. સૌરાષ્ટ્રના વાર્તાકાર, નિબંધકાર અને ચિત્રકાર જનક ત્રિવેદીના દીર્ઘ નિબંધોનો આ સંગ્રહનું કોઈ પણ પાના પરનું ગદ્ય તેની તાકાતથી વાચક પર છવાઈ જાય છે અને લગભગ દરેક નિબંધ અનોખું સંવેદન જગાવે છે. વાચકને પુસ્તક પરિવેશ-ભાષા-પાત્રો-અભિવ્યક્તિની જુદી દુનિયામાં લઈ જાય છે. ‘બાવળ વાવનાર અને બીજી વાતો’ વાર્તાસંગ્રહ પણ વિશિષ્ટ છે.
જનકભાઈનાં લેખનના સહુથી પહેલાં વાચક, વિવેચક અને સંપાદક તે તેમનાં પત્ની સરોજ ત્રિવેદી. ‘મારો અસબાબ’ની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રસિદ્ધ કરનાર ‘નવજીવન સાંપ્રતે’ સરોજ બહેનની મુલાકાતનો વીડિયો ‘સર્જક વંદના’ શ્રેણીના પહેલા મણકા તરીકે ગયા વર્ષે તૈયાર કર્યો છે, જે નવજીવનના સંકેતસ્થળ (વેબસાઇટ) પર મળે છે.

‘જનક ત્રિવેદી છે ‘મારો અસબાબ’!’ નામની આ વીડિયો-મુલાકાત વૈવાહિક પ્રેમ, પરસ્પરપૂરક સર્જકતા અને સમાનતાભર્યા સહજીવનનો મનભર આલેખ આપે છે.
તેમાં પંચોતેર વર્ષનાં ન જણાતા નરવા-ગરવા સરોજબહેનની અચૂક કાઠિયાવાડી લહેકાવાળી, બિલકુલ સાદી છતાં ય સહજ સરસ ભાષાના વહેણને એક કલાક નવ મિનિટ માણવાનો આનંદ અનેરો છે.
નોંધપાત્ર બાબત એ છે કે આ સુંદર સહજીવન કોળ્યું છે તે આશરે 1967-68નાં વર્ષોથી બે-દાયકા દરમિયાન, સૌરાષ્ટ્રની રેલવે લાઇન પર આવતાં કેટલાંક સાવ નાનાં ગામડાં અને ઝાઝો સમય અમરેલી જેવા કસબામાં, સંપત્તિ-સંસાધનોની સંકડાશ વચ્ચે.
ઘરસંસારનાં કામકાજ, જનકભાઈની રેલવેની નોકરી, તેમની બદલીઓ, લેખન, વાચન, ચિત્રકામ, બે દીકરાઓનો ઉછેર, આખા પરિવારની પશુપંખી માટેની માયા, મુસાફરી જેવાં કંઈ કેટલાં ય વાનાંનું વર્ણન પંચોતેર વર્ષના સરોજબહેન ચાલીસીએ પહોંચેલી સંતુષ્ટ ગૃહસ્વામિનીની ડિગ્નિટિથી કરે છે.
ચાળીસેક વર્ષ પહેલાંના સમયના જીવનના આખા બયાનમાં અત્યારે આપણે જેને લિબરલ પ્રોગ્રેસિવ (પ્રગતિશીલ) અને ક્મ્પૅટિબલ (બંધબેસતું) કહીએ છીએ તે લગ્નજીવન મળે છે.
એમાં એકબીજા માટે આદર છે પણ આદરવાચક ઉચ્ચરણો નથી. પતિ માટે અલબત્ત ખૂબ પ્રેમ છે, પણ તે પ્રેમ માલિકી, બંધન, ભારણ કે ભક્તિ બનતો હોય એવું ક્યારે ય સાંભળવા મળતું નથી.
સરોજબહેન પતિનો ઉલ્લેખ અનેક જગ્યાએ ‘દકાના બાજી’ એવો કરે છે. દકો એ તેમના મોટા દીકરા ધર્મેન્દ્રનું હુલામણું નામ. પણ અનેક જગ્યાએ જનકભાઈનો ઉલ્લેખ ‘તુ’કારે પણ છે – ‘જનક’ ‘એણે’, ‘એનું’.
એટલું જ નહીં, પણ એવું ય સાંભળવા મળે કે ‘હું એને કે’તી તું તો ગાંડો છે. જાતને જોવી હોય તો અરીસામાં જોઈ લેવાની. આટલા બધા ફોટા કેમ ?’
‘મારો અસબાબ’ની સંવર્ધિત આવૃત્તિ થકી પહેલવહેલી વખત મળતું પોતાનું નિવેદન સરોજબહેન વીડિયોના અંતભાગમાં વાંચે છે. આખા ય વીડિયોમાં વ્યાપેલો મધુર દામ્પત્યના અતીત રાગનો આનંદ માત્ર થોડીક ક્ષણ માટે, ચારેક વાક્યો દરમિયાન, અવસાદમાં પલટાય છે.
ભાવોત્કટ અવસ્થામાં સરોજબહેન વાંચે છે : ‘જનક મારો ઝાંઝવાનાં જળ જેવો, ક્યારે ય મારા હાથમાં આવ્યો નહીં … શબ્દોનો ઝંઝાવાત હતો. શબ્દોનો દરિયો હતો – ખારો નહીં પણ ઊંડો – બહુ બધું કરવાની ઝંખના બાકી હતી. જે કંઈ લખ્યું તે કઠોર અને નક્કર.’
જે કંઈ લખ્યું તેમાં સરોજબહેન પૂરક હતાં : ‘એની રેલવેમાં નોકરી. નાઈટ ડ્યૂટી આવે. સવારે ઘરે આવે તો આવતાની સાથે જ રાતે લખેલું જે કંઈ હોય તે મને વાંચવા આપે. એના લખાણનું પહેલું વાચન મારું.
‘પૂછે કેમ લાગ્યું ?હું જે હોય તે કહું. ‘અહીં લાઉડ થાય છે’, ‘અહીં રિપીટ થાય છે’, ‘આ શબ્દ બંધબેસતો નથી’. પછી પોતે વાંચે અને કહે ‘એટલે જ હું તને વાંચવા આપું છું.’
‘મારી પાસે સમાનાર્થી શબ્દો માંગે જે હું ત્યારે જ આપું એટલે એ મને ‘હાજરજવાબી છો’ એમ કહે.’
આ ફકરો સરોજબહેન નિવેદનમાંથી વીડિયોના આખરી હિસ્સામાં વાંચે છે. પણ આ જ વાત એના પહેલાં લગભગ બાવીસમી મિનિટે સહેજ શબ્દફેરે સરોજબહેન પોતે કહે છે ત્યારે એની લહેજત કંઈ ઓર જ હોય છે.
જનકભાઈ ‘કુમાર’ માટે વાર્તાઓ મોકલતા, પણ તેના પરબિડિયાં ખોલ્યાં વિનાં પાછાં આવતાં. એક વાર તેમણે સરોજ ત્રિવેદીના નામે છ લઘુકથાઓ એક પરબિડિયામાં મોકલી, બધી સ્વીકારાઈ.
બચુભાઈની મુલાકાત, તેમનો જનકે થોડીક વારમાં જ બનાવી આપેલો સ્કેચ અને લેખકના નામનો ઉકેલાયેલા ભેદની વાત પણ સરોજબહેન કટાક્ષ કે કડવાશ વિના માંડે છે.
સરોજબહેનને ચિત્રકામ શાળાનાં વર્ષોથી પ્રિય હતું : ‘એટલે મને ચિત્રમાં સમજ પડતી. ચિત્ર પણ બોલતું હોય. કવિતા વાર્તાની જેમ ચિત્ર પણ સમજવું પડે. આને [જનકને] વાતવાતમાં ખબર પડી ગઈ હતી મને ચિત્રમાં ખબર પડે છે.’
એક વખત જનકભાઈએ નાના દીકરા સૌમિત્ર ઉર્ફે ભટુરના ઘર માટે સરસ્વતીનું ચિત્ર દોરતાં સરોજબહેનનો અભિપ્રાય માગ્યો. સરોજબહેને ચિત્રની ખૂબીઓ બતાવી. તેની શરૂઆતમાં કહ્યું : ‘આમાં કલાની હારે કળા છે .. તે કલામાં કળા કરી છે.’
સરોજબહેનના પુસ્તક વાચનની કથની પણ મજાની છે : ‘માણસ અત્યારે મોબાઇલ રાખે છે તેમ દકાના બાજી પુસ્તક હારે ને હારે રાખતા. જમવા બેસે ને બાજુમાં પુસ્તક પડ્યું હોય. એક દિ ભૂલી ગયા. દકો નો’તો ત્યારે એટલી નાની ઉંમરે.
‘એ ભૂલી ગયા’તા તે પુસ્તક મેં પૂરું વાંચી નાખ્યું … પછી મેં એને કહ્યું કે ‘આ પુસ્તક તો બૌઅ જ સરસ છે’. એટલે એણે મને પૂછ્યું ‘તને કેવી રીતે ખબર ?’ એટલે મેં એને પુસ્તકનું બધું કહી દીધું.
‘એટલે એ મને કહે ‘હવે હું મારી નોકરી કરીશ, પુસ્તક તને લૈ દઈશ. તારે વાંચવાનું અને તું જે વાંચીને જે કૈશ તે વાંચ્યાં જેવું જ છે. મને એ કહે ‘તું વાંચીને મને જે કહે તે વાંચવા કરતાં મને બૌ ગમ્યું.’ એટલે એ ચોપડી લઈ આવતા અને એ જ્યારે ઘરે હોય ત્યારે જે વાંચ્યું હોય તેની વાત એને કહું.’
‘દકાના બાજીએ દકાની બાને લગ્નની એક વર્ષાગાંઠે હીંચકો ભેટ લાવી આપ્યો. એ હીંચકો એટલે સરોજબહેનનો ‘વિસામો’, ‘ઝાંઝું કામ હીંચકે થાય’, ‘જમું, વાંચું હીંચકે’, ‘એની હારે મારો આત્મા જોડાઈ ગયો’, ‘જટીલ પ્રશ્નનો ઉકેલ’ એના પર મળે છે.
‘મારો અસબાબ’ પુસ્તક માટે સરોજબહેનને એમ છે કે એમાં ‘બાજી સૂક્ષ્મરૂપે, શબ્દરૂપે પાછા આવે છે … એ આત્મસ્વરૂપે મારી હારે છે’. આ પુસ્તકના ‘બધા નિબંધ અનુભવેલા છે’.
તેમાંથી ‘રાધા’ વાંચીને ‘જયંતભાઈ [મેઘાણી] બહુ રોયા’, ‘રાધાને કદાચ અમારાં કરતાં ય અમારા પર વધારે પ્રેમ હશે’.
‘આકાશનો અધિકાર’ નિબંધની કાબરોની તેમ જ ‘ઘર પછવાડેની ઘટનાઓ’ નિબંધના બુલબુલ અને મેંદીની ‘ઘેઘૂર વાડ’ની વાતો અહીં એ લખાણોના પહેલા વાચકના શબ્દોમાં આવે છે. સ્વકથનના બીજાં પણ અનેક સૌદર્યસ્થાનોને સાંભળનાર માણી શકશે.
સામ્યવાદી જનકભાઈને રશિયા, ચીન અને પકિસ્તાન જવું હતું અને એ પહેલાં ભારતભ્રમણ કરવું હતું. એના ભાગ રૂપે તેઓ પૂર્વોત્તરના પ્રવાસે ગયા તેની વાત સરોજબહેન કરે છે.
તેના સંદર્ભે ઇશ્વરશ્રદ્ધા બાબતે તેમને અને નાસ્તિક જનકભાઈ વચ્ચે થતી દલીલોનો ઉલ્લેખ કરીને સરોજબહેન કહે છે : હું કહું ભગવાન છે, છે ને છે, આપણા હૃદયમાં છે’.
પોતાનાં અલગ મંતવ્ય ધરાવનારા સરોજબહેનના વ્યક્તિત્વની ઝલક મળતી રહે છે : લગભગ એડી સુધી લાંબા વાળ ધરાવનારાં, લુના પર સવાર થઈને પતિને ટીફિન અને સામયિકોના અંકો આપવા જનારા, માવજતથી મેંદીની વાડ કરનારા, તેની આસપાસની આખી જીવસૃષ્ટિને નીરખનારાં-ચાહનારાં, પોતાના પતિની મર્યાદા અને પ્રતિભા બંનેને બરાબર જાણનારા.
સરોજબહેનના કથનમાં બધું અકૃત્રિમ રીતે સહજતાથી,ઉમળકાથી આવે છે. તેમાં પ્રસન્નતા, તાજગી અને ઉત્કટતા છે. તેનું કારણ કદાચ સરોજબહેનના આ શબ્દોમાં છે : ‘એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, દિલદાર હતો. કાલ વ્યો ગ્યો હોય ને એવું મને લાગે છે.’
દામ્પત્યજીવન પરનાં મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોને યાદ કરવાનું વૅલેન્ટાઇન ડે નિમિત્ત બને છે. તે ધારામાં સરોજ બહેનનું સ્વકથન ક્યારનું ય મનમાં વસી ગયું હતું. રાહ હતી વૅલેન્ટાઇન ડેની.
0 ફોટોગ્રાફ સૌજન્ય : ધર્મેન્દ્ર ત્રિવેદી
0 કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે
0 આભાર : કિરીટ દૂધાત
14 ફેબ્રુઆરી 2023
[1000શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

રવીન્દ્ર પારેખ
વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ને અત્યારે પ્રેમીઓ ગ્રીટિંગ કાર્ડ્સ, ગિફ્ટ વગેરેની શોધમાં, ક્યાં જવું, ક્યાં પ્રેમનો એકરાર કરવો, ક્યાં પાર્ટી આપવી, ક્યાં ડેટિંગ-મેટિઁગની વ્યવસ્થા કરવી … જેવી બાબતે વ્યસ્ત હશે. આમ તો બીજી બધી બાબતે આપણને પશ્ચિમનું અનુકરણ ફાવે છે, કપડાં, ખાણીપીણી, રહેણીકરણી વગેરેમાં આપણને પશ્ચિમનો બહુ વાંધો આવતો નથી, પણ ક્રિસમસ, વેલેન્ટાઇનની ઉજવણીમાં આપણે ભારતીય છીએ, તેવો ઉછાળ એકાએક આપણામાં આવે છે અને પશ્ચિમી તહેવાર સામે સૂગ પણ પ્રગટ કરીએ છીએ, ભલે, એવું કોઈને ઠીક લાગે ને કરે, એ એમની પસંદગી છે. ઘણાં વેલેન્ટાઇનને બદલે વસંતને પ્રેમની ઋતુ તરીકે ઉજવવાની વાતો પણ કરે છે. વસંતમાં કામનો આવિર્ભાવ થાય છે ને ઋતુનો પ્રભાવ પ્રેમની લાગણી પ્રગટાવવા સક્ષમ છે એવું માનવા મનાવવામાં આવે છે, પણ હવે વસંત ક્યારે આવીને ચાલી જાય છે, તેની ખબર પડતી નથી. કેસૂડો, ગુલમહોર વનમાં ખીલે છે, પણ મનમાં ખીલતાં નથી. વૃક્ષો દેખાય તો ખબર પડે, પણ એ જોવાની ફુરસદ પણ કોની પાસે છે? હોળીમાં રંગો ઊડે ત્યારે થોડી ઋતુની ગંધ આવે, એમાં ય રંગો હવે રાસાયણિક અને નકલી વધારે હોય છે, એટલે તહેવારોનાં સિન્થેટિક આનંદથી જ ચલાવવાનું રહે છે. જો કે, આ બધું પ્રેમને નામે, પ્રેમથી થતું હોય છે, પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રેમ સૌથી ઉપર છે ને જાતપાત, દેશવિદેશ એ બધું પછી આવે છે. એ વાત જુદી છે કે વ્યવહારમાં એથી ઊલટું જોવા મળે છે. આમ પણ પ્રેમ, વિશ્વ આખામાં સ્વીકૃતિ ઓછી જ પામ્યો છે. એ દેશ હોય કે પરદેશ, જાતપાત, સમાજ, કુટુંબ જેવાં અનેક કારણોસર પ્રેમને બહુ સફળ થવા દેવાયો નથી. સાચું તો એ છે કે જગતે સાચા પ્રેમીઓને એક થવા જ દીધાં નથી ને વીતાડયું ય ઘણું છે. પ્રેમીઓએ મોટે ભાગે મરવું પડ્યું છે. આપણી મોટે ભાગની પ્રેમ કથાઓમાં વિરહ ને મૃત્યુ પ્રાધાન્ય ભોગવે છે, એ જ સૂચવે છે કે પ્રેમને જગતમાં સ્વીકૃતિ ઓછી જ મળી છે. આજે પણ જાતપાત, રીત રિવાજ, ઊંચનીચનું ચલણ છે જ. પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ કુટુંબ, સમાજ વગેરે તેને નિષ્ફળ કરીને અહમ્ સંતોષી લે છે. પ્રેમીઓ મરે કે જીવે, કુટુંબને, સમાજને, તેની આબરૂને ઊની આંચ ન આવે એનું ધ્યાન રખાય છે. વિદેશમાં જ્ઞાતિ-જાતિનું ચલણ ઓછું હશે, પણ ભારતમાં તે વધુ છે. અનેક સુધારાઓ છતાં, આજે પણ જ્ઞાતિ-જાતિ તીવ્રતા ભોગવે છે. વિદેશમાં પ્રેમલગ્નોની ને છૂટાછેડાની નવાઈ નથી. ભારતમાં પણ પ્રેમ લગ્નો થાય છે, સફળ પણ થાય છે, છતાં પ્રેમની શુદ્ધ લાગણી વિજયી બને જ એવું જરૂરી નથી.
આપણે જેમ જેમ વિકસી રહ્યાં છીએ, જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો પાર કરતાં જઈએ છીએ, તેમ તેમ આપણી સચ્ચાઈ, આપણી નિર્દોષતા, આપણું કુદરતીપણું ઘટતું જઇ રહ્યું હોય એવું લાગે છે. ક્યાંક ગણતરી, ક્યાંક કાવતરું, ક્યાંક અવિશ્વાસ આપણા વ્યવહારોમાં કેન્દ્રમાં આવી રહે છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ એ ખરેખર તો કોઈ ગણતરીનું જ પરિણામ વિશેષ છે. પ્રેમ તો એક કુદરતી લાગણી માત્ર છે, પણ તે લાગણી કરતાં તો કશાકની માંગણી વધુ બની રહે છે. કોઈને ગણતરી પૂર્વક પ્રેમમાં પાડવાનું, કોઈને ફસાવવાનું, કોઈને દુષ્કર્મનો ભોગ બનાવવાનું, કોઈને બ્લેકમેઈલ કરવાનું, કોઈનું ખૂન કરવાનું … રોજિંદું છે. આજે ન ગમતી વ્યક્તિ સાથે કોઈ પ્રેમ કરવા રાજી નથી, છતાં ન ગમતી વ્યક્તિ સાથે કોઈને પરણાવવાનું ચાલે જ છે. કેટલાં ય કુટુંબો, સંતાનનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમ નજીવા કારણોસર માન્ય નથી જ કરતાં ને સંતાનને પરાણે બીજે પરણાવવાની તજવીજ ચાલતી જ રહે છે. ઘણીવાર પ્રેમલગ્નો પોતાની પસંદગીના થાય છે, છતાં તે સફળ નથી થતાં ને વાત છૂટાં થવા સુધી આવે છે. જે પ્રેમની લાગણી એકબીજા માટે જીવ આપી દેવા સુધીની હતી, તે જ જીવ લેવા પર પણ આવી જાય છે. જેને આખું જીવન સમર્પિત કરી દીધું હતું એનો આછો સ્પર્શ પણ પછી સહન થતો નથી. જે લાગણી હતી એ ખોટી હતી કે જે છે તે ખોટી છે એ નક્કી કરવાનું પણ ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. પ્રેમ, લગ્નનું નિમિત્ત ઊભું કરે છે, પણ પછી લગ્ન જ એવી સ્થિતિ ઊભી કરે છે કે પ્રેમની લાગણી ક્યાં હવાઈ જાય છે એની ખબર જ નથી પડતી. પ્રેમ સાવ ઉપલકિયો લાગવા માંડે છે. બધે જ આવું થાય છે એવું નથી. ઘણાં પ્રેમીઓ સારી રીતે જીવે પણ છે. ઘણાં સમાજ, સંતાન કે લોકલાજને કારણે પડ્યું પાનું નિભાવી લે છે ને કુટુંબમાં પડેલી તિરાડોને સમભાવ દાખવીને પૂરી પણ લે છે. ઘણાં લગ્નો તો પ્રેમ વગર જ થતાં હોય છે ને શરીરની જરૂરને જ પ્રેમ માનીને આખી જિંદગી કાઢી નાખતાં હોય છે.
અહીં સવાલ એ થાય કે પ્રેમ વગર પણ જિંદગી જીવી જવાતી હોય તો પ્રેમની જરૂર ખરી? જેને પ્રેમ કહીએ છીએ તે ખરેખર કઇ બલા છે? આમ તો એ એક અનુભૂતિ છે. એની ઘણી વ્યાખ્યાઓ થઈ છે ને થતી રહે એટલી ક્ષમતા એ એક શબ્દમાં છે જ ! પ્રેમ દરેક જાતિ, ધર્મ, કોમ, પ્રજા, પ્રદેશ, પરદેશમાં છે. પૃથ્વી પર તો છે જ, અન્ય ગ્રહો, નક્ષત્રોમાં છે કે કેમ તેની ખબર નથી. સૂર્યમાં તો નથી જ, પણ ચંદ્રમાં ય નથી જ, હા, ચંદ્ર પ્રેમીઓનું આલંબન જરૂર રહ્યો છે. વસંતમાં પ્રેમ પ્રગટે છે, તો વર્ષામાં વિરહનો મહિમા છે, પણ આજના કાળમાં એ બધું ઘણાંને આઉટ ડેટેડ પણ લાગે છે. અનેકગણું ખોટું ચાલતું હોય, છતાં, પ્રેમ હજી પણ ક્યાંક શુદ્ધ, સાત્વિક લાગણી તરીકે જોવાય, મૂલવાય છે.
પ્રેમનું મૂળ મનમાં છે. તે મનમાં જન્મે છે ને તન દ્વારા તેની અભિવ્યક્તિ સધાય છે, તેમ છતાં મનનો પ્રેમ જ મહત્ત્વનો ગણાયો છે. એ સાચું પણ છે. પ્રેમની લાગણી મનમાં જન્મે છે તે સાચું, પણ તેથી તનની અવગણના ઠીક નથી. આમ પણ ધર્મકર્મની કથાઓમાં સાધુમહાત્માઓ શરીર નાશવંત છે ને અમર તો આત્મા જ છે એવું કહેતા રહે છે. આવું પાછું એ બધાં જે નાશવંત છે, એ શરીરમાંથી જ કહે છે. ગમ્મત તો એ છે કે એમના આત્મા દ્વારા તો શરીરનાં નાશવંત હોવાની કોઈ વાત જ આવતી નથી. વ્યવહારુ રીતે જોઈએ તો આપણી બધી ગતિવિધિ જીવંત શરીરને આભારી છે. શરીર જીવંત છે તે મન દ્વારા. એ મન એટલે હૃદય એવું પણ કહેવાય છે, એ પણ છે તો શરીરમાં જ ! આમ તો હૃદય પણ એક અવયવ જ છેને ! એ પણ ધબકે છે. શ્વાસને લીધે. શ્વાસ બંધ પડે તો શરીર પણ બંધ પડે છે. એ શ્વાસ શું છે? નાક વાટે લેવાતી હવા. દેહ બંધ પડે છે એટલે હવા શરીરમાં જતી નથી. કેમ જતી નથી? કોણ જવા દેતું નથી? શરીર? ના, એ તો જીવવા ઈચ્છે જ છે. તો, નાક હવા ખેંચવાની ના પાડે છે? એવું પણ નથી. પણ આપોઆપ જ કૈં એવું બને છે કે શરીરમાં હવા, શ્વાસ બનતી નથી. બાકી, મૃત શરીરની પાસે હવાની તો કૈં ખોટ નથી, પણ કૈં એવું બને છે કે પછી કૈં બનતું નથી ને દેહ નાશ પામે છે. ટૂંકમાં, શરીરને જીવાડનારું તત્ત્વ તે ‘કૈં નથી’. એ ‘કૈં નથી’ને આધારે શરીર જીવે છે. એને આત્મા કહો, શ્વાસ કહો, પ્રાણ કહો, ઈશ્વર કહો, જે કહેવું હોય તે કહો, ખુદ ઈશ્વર પણ એ જીવંત તત્ત્વ પર જ નિર્ભર છે. સમગ્ર જીવ સૃષ્ટિ એ ન દેખાતાં, ન પમાતાં જીવંત તત્ત્વ પર ટકેલી છે. એ તત્ત્વ તે મન? એ દેહમાં છે ને દેહની બહાર એનું કોઈ પ્રમાણ નથી તે પણ સ્પષ્ટ છે.
એ મનમાં પ્રેમની લાગણી જન્મે છે એટલે ઘણાં મનનાં પ્રેમને સાચો ગણે છે. એનો ય વાંધો નથી. વારુ, તનનો પ્રેમ ઘણી બધી રીતે દૂષિત થાય છે તે પણ ખરું, પણ તેથી શરીરનો પ્રેમ નકામો થઈ જતો નથી. ઇરાદો કે દુર્બુદ્ધિ જન્મે તો છે મનમાં જ ! પછી શરીર તેમ વર્તે છે ને બદનામ દેહ થાય છે. મનનો પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ શરીર વગર તેનું પરિણામ નથી મળતું, એ પણ છે. ઘણીવાર મનની મનમાં રહી જાય એવું પણ બને છે, એનો અર્થ જ એ કે પ્રેમ મનમાં તો ઊભર્યો, પણ કોઈક કારણોસર શરીર દ્વારા તેની અભિવ્યક્તિ શક્ય ન બની. દાખલા તરીકે, પ્રેમિકાનો હાથ પકડવાની ઈચ્છા મનમાં થાય છે, પણ હાથ મન નથી પકડતું, શરીર પકડે છે. પ્રેમિકાનો હાથ પ્રેમીનો હાથ ન પકડે ત્યાં સુધી હાથ પકડવાની ઈચ્છા પરિણામ પર પહોંચતી નથી. એટલે મન મનસૂબા ઘડે ને શરીર એનો અમલ કરે એવી વાત છે આ ! કહેવાનું તાત્પર્ય એ છે કે મનનું મહત્ત્વ પ્રેમમાં છે જ, પણ શરીર વગર તે અધૂરો છે. આમ તો એકલું મન કૈં નથી. એ જ રીતે મન વગરનું શરીર પણ મૃત છે. ખરેખર તો મન અને શરીર અભિન્ન હોય એ પ્રેમમાં અનિવાર્ય છે. એ બેથી જ શરીરની જીવંતતા પ્રગટે છે. પ્રેમ મનનો હોય કે તનનો, એ હોય તે મહત્ત્વનું છે, કારણ ખૂટે છે તે તો પ્રેમ જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 ફેબ્રુઆરી 2023
![]()

