સત્યકથા
તે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો. અગિયારમા ધોરણમાં પણ તે નાપાસ થયો હતો. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી ઝળહળતું જીવન જીવવાના તેના બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. આમે ય તેની ગણતરી તોફાની બારકસોમાં શ્રેષ્ઠ તરીકે થતી હતી! તે કંટાળીને રાત્રે જગદીશ આશ્રમ પાસેથી પસાર થતી, ભોગાવો નદીના કાંઠે ઊભો હતો.

બીજા કોઈ આમ નાસીપાસ થયેલ જણને આત્મહત્યા કરવાના જ વિચાર આવે; પણ આ તિસમારખાં અલગ જ ખોપરીનો જીવ હતો. અચાનક તેની ખોપરીમાં એક તણખો થયો,
‘ભલે બારમામાં નપાસ થયો, પણ પીએચ.ડી.ની પદવી ના મેળવું તો તો હું જગદીશ નહીં.’
એ રાત્રે પ્રગટેલો એ તણખો કદી ઓલવાયો નથી. જીવનની પરીક્ષામાં એ જગદીશ કદી નાપાસ થયો નથી.
કોણ છે એ જગદીશ? એ તણખાએ એને ક્યાં પહોંચાડ્યો?

જગદીશ ત્રિવેદી
જાણી લીધાને એમને? વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર, લેખક, ફિલસૂફ અને જીવનભેર સેવાનો ભેખ ધારણ કરેલા ડો. જગદીશ ત્રિવેદી જ તો. તે જ્યાં જાય છે, ત્યાં હમ્મેશ હાસ્યની લ્હાણી તો કરે જ છે, પણ અચૂક તણખાનાં માહાત્મ્યનો પ્રચાર પણ કરે છે.
અલબત્ત પીએચ.ડી.ની પદવી ધારણ કરવાનું એનું સ્વપ્ન ત્રેવડાયું છે! આ જણે કદી એક દિવસ પણ નોકરી કરી નથી. માદરે વતન વઢવાણમાં એક રૂપિયાની ત્રણ ફોટો કોપી કરી આપતા એ જગા ઝેરોક્સવાળાએ ૧૪ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. કલા ક્ષેત્રે નાટકોથી શરૂઆત કર્યા બાદ પોતાના ગુરુ માનતા માનનીય શાહબુદ્દીન રાઠોડની પ્રેરણાથી એણે ડાયરાઓમાં મનોરંજન પીરસીને આખા જગતમાં ઠેર ઠેર લોકોને પેટ પકડીને હસાવ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કમાણીનો એક પણ રૂપિયો ગજવામાં ન નાંખવાની પ્રતિજ્ઞા લેનાર આ જણે પંદર કરોડ રૂપિયાનાં દાન સમાજના સાવ નીચલા સ્તરમાં સબડતાં બાળકો માટે કર્યાં છે; સતત કરતા રહે છે.
તેમને અનેક સન્માન અને બહુમાન મળ્યાં છે. એની ચરમસીમા રૂપે પદ્મશ્રીનો ઈલ્કાબ પણ ભારત સરકારે તેમને એનાયત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ‘મન કી બાત’ પ્રવચનોના એક ભાગમાં એમના જીવન કાર્યને પ્રમાણિત કર્યું છે.
એમની વધારે તો શી વાત અહીં કરવી? આ વીડિયોમાં એમના સ્વમુખે જ એમની જીવનઝાંખી જાણી લો ને?
એમના ઢગલાબંધ વીડિયો તમે યુ-ટ્યુબ પર માણી ખિલખિલાટ હસી શકશો.
તે રાત્રે ભોગાવો નદીને કાંઠે પ્રજ્વલિત થયેલા એ તણખાએ ઠેર ઠેર, અસંખ્ય માનવીઓના દિલો દિમાગમાં જીવનના ઉલ્લાસના દીવા, મીણબત્તી – અરે! મશાલો પ્રગટાવ્યાં છે અને સતત પ્રગટાવતા રહે છે.
પણ એમના આ વિચારને કદી ન ભૂલતા –
મરતાં મરતાં ન જીવો – જીવતાં જીવતાં મરો.
સંદર્ભ
https://drjagdishtrivedi.in/about-me/
https://en.wikipedia.org/wiki/Jagdish_Trivedi
https://www.youtube.com/@jagdishtrivediofficial
e.mail : surpad2017@gmail.com
![]()


જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭માં પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”