
ચંદુ મહેરિયા
જાપાનીઝ શબ્દ હારાકિરી(આત્મહત્યા)થી તો આપણે સુપરિચિત છીએ, પણ ‘કારોશી’ આપણા ભાવજગત અને વિચારજગતમાં શાયદ નવો શબ્દ છે. અત્યાધિક કાર્યબોજ તળે કામ દરમિયાન કે કામના કારણે થતું મોત એટલે કારોશી. જાપાનમાં વરસે દહાડે પચાસેક લોકોના મોત આ કારણે થાય છે. ભારતમાં જ્ઞાતિ કે આર્થિક વ્યવસ્થાના લીધે ગટર કામ, સફાઈ કામ અને હાથથી થતી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા કામદારોના, કામના જોખમ અને સલામતીનાં સાધનોના અભાવે, દર વરસે હજારેક મોત થતાં હશે, પણ તેની ખાસ કોઈ નોંધ લેવાતી નથી કે તેમનાં કામને ટોક્સિક વર્ક અને તે કાર્યસંસ્કૃતિને વિષાક્ત કહેવામાં આવતી નથી. આપણે આ પ્રકારના કામો અને કાર્યબોજ અંગે એટલે પણ વિચારતા નથી કે કામ કરનારા બધા સમાજના કથિત નીચલા તબકાના અને નિર્ધન લોકો હોય છે. જો કે ભારે કામગરા જાપાનીઓ કારોશી મોતથી ચિંતિત છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધ્યો છે. જાપાનની અનેક કંપનીઓએ વીકલી વર્કિંગ ડે ઘટાડીને ચાર કર્યા છે.
ઈન્ટનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર ભારતમાં અડધાથી વધુ કર્મચારી અઠવાડિયે ૪૯ કલાકથી વધુ અને દૈનિક ૧૦ કલાક કામ કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં કામના અધિક કલાકોમાં ભારતનું સ્થાન ભૂતાન પછીના બીજા ક્રમે છે. આ સ્થિતિ હોવા છતાં અહીં કામના કલાકો વધારવાની ચર્ચા છે ત્યારે દુનિયાના બહુ બધા દેશોમાં સાપ્તાહિક કાર્ય દિવસો ઘટાડવાનો વાયરો વહી રહ્યો છે. ૨૦૨૪ના વરસથી સિંગાપોરમાં ફોર ડે વર્કિગ વીક અમલી બન્યુ છે. સિંગાપોર આ બાબતમાં એશિયાનો પ્રથમ દેશ છે.
જાપાન સરકારના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશની ૮૫ ટકા કંપનીઓ અઠવાડિયે બે રજા અને આઠ ટકા કંપનીઓ અઠવાડિયામાં ત્રણ રજા આપે છે. ૨૦૨૧માં ફોર ડે વીક-નો વિચાર પહેલીવાર રજૂ થયો હતો અને હવે તો તેને સરકારનું પણ સમર્થન છે. સરકારના વર્ક સ્ટાઈલ રિફોર્મ અભિયાનમાં કામના કલાકો ઘટાડવા, સૌને અનુકૂળ આવે તેવો કાર્યસમય, મર્યાદિત ઓવરટાઈમ અને વાર્ષિક રજાઓમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આરંભના નબળા પ્રતિસાદ પછી હવે આ પગલું લોકપ્રિય થઈ રહ્યું છે. વર્ક લાઈફ બેલેન્સમાં વધારા માટે સાપ્તાહિક કાર્ય દિવસો ચાર કરવાનું પગલું મોટું પરિવર્તન આણનારું બની શકે છે.
જાપાન ઉપરાંત જર્મની, અમેરિકા, યુ.કે, સિંગાપોર, ચીન, સ્પેન, પોર્ટુગાલ, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ અંશત: અમલી બની રહ્યું છે. સાપ્તાહિક કામના દિવસોમાં ઘટાડો થવાના અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. કર્મચારીઓમાં જે કામનો થાક અને તાણ જોવા મળતા હતા તે ઘટ્યાં છે. વધુ આરામ અને ઊંઘ લઈ શકે છે. નવા અઠવાડિયે ઉત્સાહિત જણાય છે. વૃદ્ધ વસ્તીમાં વધારો અને ક્રિયાશીલ વસ્તીમાં ઘટાડાનો ઉકેલ મળી શક્યો છે. કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્યમાં સુધારો જણાયો છે. બળતણની બચત થાય છે. પરિવારને વધુ સમય આપી શકે છે. ત્રણ રજાઓમાં ફેમિલી ટુર કે લાંબા સમયથી પડતર પારિવારિક કામો આટોપી શકાય છે. કાર્ય દિવસોમાં ઘટાડાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. વળી આ પગલું ફુગાવો અને વેતન માટે સુરક્ષારૂપ બની શકે છે. નિયમિત કામદારો માટે તે બહેતર જીવન સંતુલન સાધી શકે છે તો અંશકાલીન કામદારોને વધુ કલાક રોજી આપી શકે છે. સાપ્તાહિક કાર્ય દિવસોમાં ઘટાડાને વિશ્વવ્યાપી બનાવવા માટે ‘ફોર ડે વીક ગ્લોબલ’ સંસ્થાની રચના પણ થઈ છે.
કામકાજી અઠવાડિયાના દિવસો ઘટવાથી ખરાખોટા કારણોસર બીમારીની રજાઓ લેતા કર્મચારીઓની સંખ્યામાં ૬૫ ટકા ઘટાડો થયો છે. પરંતુ હજુ ય કશું ખૂટતું હોય તેમ ચીનની એક કંપની, જો કર્મચારીનું કામ પર જવાનું મન નથી, દિલ ઉદાસ છે, તણાવ મહેસૂસ થાય છે તો ભલે કામ પર ના આવો તે તમને અનહેપ્પી લીવ આપશે. વાર્ષિક ૧૦ વધારાની અનહેપ્પી લીવ આપતી આ કંપની આ રજાનો મેનેજમેન્ટ ઈન્કાર નહીં કરે તેવો પણ નિયમ ઘડે છે! જાપાનની આઈ.ટી. કંપનીએ ચાલુ નોકરીએ દારુ પીવાની છૂટ આપી છે અને જો દારુ ચડી જાય તો હેંગઓવર લીવની ઓફર કરી છે! ભારતમાં અસમની રાજ્ય સરકારે તેના સરકારી કર્મચારીઓને માતા-પિતા કે વિકલ્પે સાસુ-સસરા સાથે સમય વિતાવવા દર વરસે બે રજા આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગણા અને આંધ્ર સરકારે તેના મુસ્લિમ કર્મચારીઓને રમજાનના મહિનામાં રોજ એક કલાક વહેલા કામ છોડવાની મંજૂરી આપી છે.
કામદારો- કર્મચારીઓ પર સરકારો કે કંપનીઓ ઓવારી જાય છે કે તેમને અછોવાના કરે છે તેમ લાગે પણ તેનું કારણ તેમનો સ્વાર્થ છે અને આવાં પગલાં પાછળ તાજેતરની મહારાષ્ટ્ર્ની બે ઘટનાઓ જવાબદાર લાગે છે. બર્ન આઉટ કે થાકનો સામનો વિશ્વભરના કામદારો-કર્મચારીઓ કરી રહ્યા છે. છવ્વીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કામના અત્યાધિક બોજથી તંગ આવીને જીવનનો અંત આણ્યો હતો. પુણેની એક કંપનીના સેલ્સ એસોસિયેટે ટોક્સિક કહેતાં વિષાક્ત વર્ક પ્લેસ અને એથી પણ વધુ ઝેરીલા બોસથી તંગ આવીને નોકરી છોડી હતી. પરંતુ તેમની રાજીનામાની ઘટના એટલે પણ છાપરે કે છાપે ચડી હતી કે આ મહાશયે બોસની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં સાથે વાજતેગાજતે કામને અલવિદા કરી હતી. કાશ! આવું આ દેશના બહુમતી અસંગઠિત ક્ષેત્રના કામદારો કરી શકે!
ફોર ડે વર્કિગ વીક, વર્ક સ્ટાઈલ રિફોર્મ, ટોક્સિક વર્ક કલ્ચર, ટોક્સિક વર્ક, ટોક્સિક વર્ક પ્લેસ, બર્ન આઉટ, સર્વિસ ઓવર ટાઈમ, વર્કલોડ, વર્કફોર્સ, વર્ક લાઈફ બેલેન્સ, ઈમોશનલ સેલેરી ટ્રેન્ડ આ અને આવા બીજા માત્ર અંગ્રેજી ભાષાના નહીં નવા જમાનાના શબ્દો છે અને તે પ્રત્યેકની પાછળ આહ, આંસુ અને શોષણ સામેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. હરિકથા અનંતાની જેમ આ કામપુરાણ પણ અનંત છે. પરંતુ અંતે એક વધુ નવી વાત. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકી કોમેડિયન ટ્રેવર નોઆનાના કાર્યક્રમ ‘વ્હોટ નાઉ?’માં ગંભીરતાથી કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામની આરામદાયક અને સંતુલિત સ્થિતિ ઊભી કરશે. તે લોકોની નોકરીઓ છીનવી લેશે નહીં. ભવિષ્યમાં કામના દિવસો ઘટીને ત્રણ જ રહેશે તેમ પણ ગેટસે કહ્યું હતું. તેમનું માનવું હતું કે માનવશ્રમ ઓછો થશે અને યંત્રો કામ કરશે. એ.આઈ. માનવી માટે ખાવાનું ય તૈયાર કરશે અને ઓફિસ કામ પણ કરશે. લાગે છે સ્વર્ગ ઢુકડું છે નહીં?
e.mail : maheriyachandu@gmail.com
![]()




પહેલો સવાલ, આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત આ વાક્ય મને મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનું કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’-નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’ એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું diconstruction શું? એનો અર્થ શું? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. ગાંધીજીની અંદર ગુજરાતની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં. રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃતિ જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણ-વ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં હિન્દુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયારૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં મૅડમ બ્લેવેટ્સ્કીની થિયોસોફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે મોક્ષ એટલે શું? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે? એમની પાસે કોઈ જાતનો જવાબ નહોતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિન્દુ ધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિન્દુ જે થોડુંઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે? શું છે? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnoldનો The Light of Asia વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો, મારો ઈશ્વર ગુમાવ્યો, વિશ્વાસ જ નહોતો બેસતો. અને ખાસ કરીને હિન્દુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – એને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિન્દુ છે તેનું અભિમાન થાય છે. અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે, અને ગાંધીજીના જીવનમાં હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેને એકસાથે શોધવાનો આ એક જબરજસ્ત પ્રસંગ છે, જેથી કરીને હિન્દુ ધર્મને એ ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિન્દુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિન્દુ છે કે ખ્રિસ્તી હિન્દુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નૉન-હિન્દુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’ માટે એક વાર; તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ નેતા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આ જ મારી કર્મભૂમિ છે. અહીંયાં જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’માં લંડન ગયા.
એટલે ઘણા એમ કહે છે, ગાંધી અને ટાગોર વચ્ચેની સરખામણીમાં, કે ટાગોર સાહિત્યના માણસ છે, એ ખોટી વાત છે, કારણ કે ગાંધીજી એટલા જ સાહિત્યના માણસ હતા. એટલો જ એમનો ઊંડો રસ હતો. એટલું જ નહીં, પણ એ માણસે છ પુસ્તકો લખ્યાં. એમાં ‘હિન્દ સ્વરાજ’ છે કે ‘દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ’ છે કે ‘ગીતાબોધ’ છે. આ બધું એમણે ગુજરાતીમાં લખેલું. એ બધું લખ્યું એમણે. એટલું જ નહીં, પણ એમણે અનુવાદો કેટલા બધા કર્યા. વિલિયમ સૉલ્ટનું એક પુસ્તક હતું, ‘Ethical Religion’ એનો મુદ્દો એ છે કે કોઈ પણ religionનું હૃદય છે તેના એથિક્સમાં, મેટાફિઝિક્સમાં નથી. ગાંધીજીને ગમ્યું. તરત એમણે કર્યો ગુજરાતીમાં અનુવાદ, Ruskinનું ‘Unto This Last – ગુજરાતીમાં અનુવાદ!, ‘સર્વોદય.’ પ્લૅટોની ‘Apology’. એ પુસ્તકમાં સૉક્રેટિસને સત્તાવાળા લોકો હેમલોક ઝેર પીવાનું કહે છે. સૉક્રેટિસ પોતાની જાતનો બચાવ કરે છે. આ લોકોએ કહ્યું કે તારા દેશની ટીકા કરવા બદલ તારે ક્યાં તો મરવું પડશે, ક્યાં તો દેશ છોડીને ચાલ્યો જા. દેશ તો હું ન છોડી શકું. મરીશ તો અહીંયાં. આ જ મારું છે ઘર. એ પ્લૅટોની Apologyનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. સારું કોઈ વાંચવાનું આપે તો તરત એનો ગુજરાતીમાં અનુવાદ. ક્યાં તો પુસ્તકરૂપે, ક્યાં તો એમના ‘Young India’ કે ‘નવજીવન’ કે ‘Indian Opinion’ એમાં લેખોરૂપે અનુવાદ કરતા રહે.
ત્રીજો સવાલ લઈએ. આજના ગુજરાતમાં સાહિત્યકાર, સાહિત્યનું સ્થાન શું? અથવા તો પેલો ભારી શબ્દ વાપરો તો સાહિત્યકારની જવાબદારી શું? મારી નજરે આનો જવાબ આ રીતે આપી શકાય. ગુજરાત એ હકીકત નથી. ગુજરાત તો સર્જન છે. It’s an idea. જેમ આપણે The idea of India કહીએ છીએ તેમ ગુજરાત એક સ્વપ્ન અથવા દર્શન (Vision) છે, It is an historical construction. આપણી પાસે અનેક રજવાડાંઓ હતાં. અલગ અલગ ઇતિહાસ એનો, અલગ અલગ ભૂગોળ. આ બધાં ભેગાં કરીશું તો ગુજરાત ભેગું થશે. એટલે ગુજરાતનું તો સર્જન કરવાનું છે અને સતત રોજ રોજ થતું રહ્યું છે. કોઈક વાર લાગે કે ગુજરાતનો જન્મ થઈ રહ્યો છે. કોઈક વાર લાગે છે કે ના, એનું મૃત્યુ થઈ રહ્યું છે. આ બધા ભાગોને ભેગા કરવા, અને એક સમગ્ર ગુજરાતની કલ્પના ઊભી કરવી, એ સાહિત્યકારનું કામ છે. અને એ આખા ગુજરાતની કલ્પના કેવી હોઈ શકે કે જેમાં ગુજરાતના એકેએક ભાગને પોતાનું સ્થાન હોય. ભાષા એક જ પણ અલગ અલગ ઉચ્ચારથી બોલાય. આપણે બધા જ ગુજરાતીઓ છીએ, પણ આપણી રીતે, એટલે ગુજરાત એ રીતે ઊભું કરવાનું છે કે અંદર સમાન એક (કૉમન) આઇડેન્ટિટી રહે, પણ છતાં ય આ જે તફાવતો છે, તે રહે. એ ગુજરાતની અંદર હિન્દુઓ પણ હોવાના, મુસલમાનો પણ હોવાના, જૈન વગેરે પણ. તો ગુજરાતની કલ્પના એવી હોવી જોઈએ કે જેમાં દરેકને પોતાનું સ્થાન હોય. દરેકને એમ લાગે કે આ મારું ગુજરાત છે. એનો અર્થ એમ થયો કે જેમ સુરતી ગુજરાતી ભાષા પોતાની મેળે બોલશે, તેમ ગુજરાતનો મુસલમાન. એનો અર્થ એમ થયો કે ગુજરાત જે છે એ કંઈ ઇતિહાસે આપણને આપેલું નથી. એ કંઈ ભૌગોલિક વસ્તુ નથી. એનું તો સર્જન આપણે કરવાનું છે. કેવી રીતે કરીશું એ આપણા પર આધાર રાખે છે. એમાં સાહિત્યકારનું મોટું યોગદાન છે.