
courtesy : "The Hindu", 20 December 2019
![]()

courtesy : "The Hindu", 20 December 2019
![]()
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ રાષ્ટ્રપતિની સહી પામી ચૂક્યો છે.
સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majroity/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતી નથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદ્દબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.
વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.
કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ
૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.
૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.
આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભા.જ.પ.નો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.
ભા.જ.પ. સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ(NRC)નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી ત્યારે આસામના લોકોની અને ભા.જ.પ.ના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં ૩.૧૧ કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે ૧૯ લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા. તેમાંથી આશરે ૧૨ લાખ હિંદુ હતા.
અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભા.જ.પ.શાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.
આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝનશિપ અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
– સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenshipamendment- bill-fuels-theroies/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.
ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.
તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહૂદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને) અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારે સતામણી થતી હોય (જેવું યહૂદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.
કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ્દ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલકે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ્દ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે; કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપિયા પછાડવાના બાકી રહેશે.
આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નિતાંત દુષ્ટ બુદ્ધિ છે.
માટે વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ, પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.
વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 01, 02 તેમ જ 13
![]()
17 ડિસેમ્બરે રાત્રે 92 વર્ષની વયે પૂનામાં અવસાન પામેલા ડૉ. શ્રીરામ લાગુને રંગભૂમિ માટેની નિષ્ઠા ઉપરાંત વાચન, ચિંતન, અભ્યાસ, તાલીમ, શિસ્ત અને માનવીય અભિગમે નટસમ્રાટ બનાવ્યા હતા
ડૉ. શ્રીરામ લાગૂને એક વખત અમિતાભ બચ્ચને નમ્રતાથી જણાવ્યું હતું કે તે પોતે તેમની સાથે નજર મિલાવ્યા વિના સંવાદ બોલશે, કારણ કે ડૉક્ટરની નજરમાં કંઈક એવું હતું કે જેની સાથે નજર મિલાવવામાં બચ્ચન ડાયલૉગ ભૂલી જતા હતા ! આ મતલબનું સંભારણું મરાઠી તખ્તાના અગ્રણી રંગકર્મી અતુલ પેઠેએ ડૉ. શ્રીરામલાગૂના પંચોતેરમા વર્ષ નિમિત્તે 2002માં બહાર પડેલાં મરાઠી પુસ્તકના લેખમાં નોંધ્યું છે. અતુલે દિગ્દર્શિત કરેલાં ‘સૂર્ય પાહિલેલા માણૂસ’ (‘સૂર્યને જોઈ ચૂકેલો માણસ’) નાટકમાં ડૉ. લાગૂએ નાયક સૉક્રેટીસની ભૂમિકા ભજવી હતી. એ 1999ના વર્ષમાં મરાઠી રંગભૂમિના પદ્મશ્રી સન્માનિત એવા ઉમદા અભિનેતાની ઉંમર 72 વર્ષની હતી અને દિગ્દર્શક તેમના કરતાં અરધી ઉંમરના હતા !
અઢી કલાકનાં ‘સૂર્ય…’ નાટકમાં અરધા કરતાં ય વધુ હિસ્સામાં ડૉ.લાગૂ એ ઉંમરે પણ સ્ટેજ પર ઉર્જસ્વી અભિનય કરતાં એટલું જ નહીં તેમાંની પાંત્રીસ મિનિટની એકોક્તિ લાજવાબ રીતે ભજવતા. નાટકના સો કરતાં વધુ પ્રયોગો થયા. નટ ‘ઍથલીટ-ફિલૉસોફર’ હોવો જોઈએ એવા એરિસ્ટોટલના સિદ્ધાન્તને અનુસરવાની કોશિશ કરનાર લાગૂએ સોક્રેટીસ ઊભો કરવા માટે ગ્રીક સંસ્કૃતિને લગતા ગ્રંથોનો વિશેષ રસથી અભ્યાસ કર્યો. વિશ્વરંગભૂમિના જાણકાર લાગુ આ પહેલાં પુ.લ. દેશપાંડે અનુવાદિત ગ્રીક નાટક ‘ઇડિપસ’માં નાયકની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામેના વિરોધની અભિવ્યક્તિ તરીકે, ફ્રેન્ચ નાટકકાર જ્યાં અનુઈના ગ્રીક પાર્શ્વભૂમિ પર આધારિત ‘ઍન્ટિગની’નો અનુવાદ કરીને તેનું દિગ્દર્શન અને તેમાં અભિનય પણ કરી ચૂક્યા હતા.
સૉક્રેટીસ નાટક પછી નટવર્ય શ્રીરામ લાગૂ મહારાષ્ટ્રમાં ‘સૂર્ય પાહિલેલા નટસમ્રાટ’ કહેવાયા. એ મોટા અભિનેતા તરીકે પોંખાયા તેમાં ‘નટસમ્રાટ’ નામના શોકાન્ત મરાઠી નાટકનો ઘણો ફાળો હતો. ગણપતરાવ બેલવલકર નામના એક જમાનાના મોટા નટના વ્યવહારુ જીવનની ટ્રૅજેડી બતાવતું આ નાટક જ્ઞાનપીઠ સન્માનિત સાહિત્યકાર વિ.વા. શિરવાડકર ‘કુસુમાગ્રજે’ 1970માં લખ્યું. ત્યારથી તે ભજવાતું રહ્યું છે.

દરેક મોટા નટના ભજવવા માટેનાં સ્વપ્ન જેવાં અને દરેક નાટ્યપ્રેમીના જોવા માટેના કર્તવ્ય જેવાં જે મરાઠી નાટકો છે તેમાં એક ‘નટસમ્રાટ’ છે. ત્રણ વર્ષ પહેલાં તેની પરથી નાના પાટેકરના મુખ્ય ભૂમિકામાં બનેલી ફિલ્મ વખણાઈ હતી. ખૂબ સફળ એવા ‘નટસમ્રાટ’ નાટકના 289 પ્રયોગો પછી લાગૂએ તેમાંથી નિવૃત્તિ લઈને વિવાદ સર્જ્યો હતો. તેમનું માનવું હતું કે આ નાટકનું પડકારરૂપ મુખ્ય પાત્ર ભજવવાની તક બીજા કલાકારોને પણ મળવી જોઈએ. તેર વર્ષ પછી તેમણે આ નાટક ફરીથી ભજવવાનું શરૂ કર્યું. એ વખતે તેમણે કહ્યું : ‘પહેલાં જે પ્રયોગો કર્યા તેમાંથી સો પ્રયોગો સુધી તો મને સંતોષ જ મળતો ન હતો. દરેક વખતે મને મારી ભૂમિકામાંથી નવા અર્થ મળતા હતા.’
સતત નવા નાટકોની શોધમાં રહેતા લાગૂએ પૂનાની મેડિકલ કોલેજના 1945-46ના વિદ્યાર્થીકાળથી જ તખ્તા પર પ્રવેશ કર્યો. એકાદ દાયકા માટે કાન-નાક-ગળાના તબીબ તરીકે કામ કર્યું, જે દરમિયાન તેઓ પૂના ઉપરાંત ટાન્ઝાનિયા અને કૅનેડામાં પણ હતા. પણ શ્રીરામના મૂળ નાટકના જીવે તેમને 1969માં તબીબી વ્યવસાય છોડવાની ફરજ પાડી. ત્યારથી સતત ચાર દાયકાની પૂરા સમયના અભિનેતા તરીકેની અત્યંત સમૃદ્ધ કારકિર્દીમાં ચાળીસથી વધુ નાટકો કર્યાં.
મહારાષ્ટ્રની ખૂબ ધબકતી રંગભૂમિ પરનાં લાગૂનાં નાટકોમાં પ્રાયોગિક અને વ્યાવસાયિક બંને પ્રકારનાં નાટકોની સંખ્યા અરધી-અરધી છે. આ તેમની સમાંતર રંગભૂમિ માટેની નિષ્ઠા બતાવે છે, એ અર્થમાં કે ધંધાદારી નાટકોમાં સફળતા છતાં ય તેઓ ખાસ આવક નહીં કરાવનાર અમેટર/પૅરેલલ/ એક્સપરિમેન્ટલ થિએટરમાં એટલા જ સક્રિય રહ્યા. તેમણે સત્યદેવ દુબે અને વિજયા મહેતા સહિત અનેક અગ્રણી દિગ્દર્શકો સાથે ખૂબ શિસ્ત અને સાત્વિકતાથી કામ કર્યું. રંગકર્મીઓનો એક હિસ્સો લાગૂને પ્રયોગશીલ અને તત્ત્વચિંતક અભિનેતા તરીકે માન આપે છે. વાચિક અભિનય પરનાં પુસ્તક, લેખોના બે સંગ્રહો ઉપરાંત તેમણે ‘લમાણ’ નામની આત્મકથા પણ લખી છે.
લાગૂની કેટલીક મરાઠી ફિલ્મોમાં ‘પિંજરા’, ‘સામના’ અને ‘સિંહાસન’ વધુ જાણીતી છે. તેમણે નેવુંથી વધુ હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે ગૌણ રોલ ભજવ્યા છે. 1973માં હૃદયરોગના હુમલા પછી કેટલાક સમય માટે તેઓ મરાઠી નાટક કરતાં હિન્દી ફિલ્મોમાં વધુ કામ કરવા લાગ્યા. ‘ઘરૌંદા’ માટે તેમને સપોર્ટિંગ ઍક્ટર તરીકે ફિલ્મફેઅર પુરસ્કાર પણ મળ્યો. મહારાષ્ટ્રએ પણ તેમને અનેક સન્માન આપ્યાં. હિન્દી ફિલ્મોમાં નાના રોલમાં કામ ઓછું અને આવક વધુ હતી એમ તેમને જણાયું. જો કે આ આવકનો મોટો હિસ્સો તેમણે બૅકસ્ટેજના કલાકારો, ઊગતા નાટ્યકારો, પ્રાયોગિક રંગભૂમિ અને જાહેર જીવનના ઉપક્રમો માટે પ્રસિદ્ધિથી અળગા રહીને ખર્ચ્યો.
મહારાષ્ટ્રના જાહેરજીવનની મોટા ભાગની પ્રગતિશીલ ગતિવિધિઓમાં લાગૂએ ભૂમિકા ભજવી હતી. મહારાષ્ટ્રમાં ‘સામાજિક કૃતજ્ઞતા નિધિ’ નામનો એક મંચ છે, જે પૂરા સમયના કર્મશીલોને આર્થિક ટેકો કરે છે. આ નિધિમાં લાગૂએ જાણીતા કર્મશીલ બાબા આઢાવ અને દાભોલકર સાથે વર્ષો લગી ખૂબ કામ કર્યું. નરેન્દ્ર દાભોલકરે સ્થાપેલી અને ખૂબ નક્કર કામ કરનારી ‘અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’નો તે અવિભાજ્ય હિસ્સો હતા. સમિતિ દ્વારા આખાં રાજ્યમાં યોજાતાં વ્યાખ્યાનો, શેરીનાટકો, નિદર્શનો, કાર્યશિબિરોમાં તેઓ હંમેશાં જોડાતા. પૂરેપૂરા રૅશનાલિસ્ટ એટલે કે વિજ્ઞાનવાદી લાગૂએ ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ દૈનિકમાં લખેલા ‘ભગવાનને રિટાયર કરો’ લેખથી મહારાષ્ટ્રમાં બહુ મોટો વિવાદ સર્જ્યો હતો. છેક સિત્તેરના દાયકામાં તેમણે મૃત્યુદંડની સજા વિરુદ્ધ લીધેલી ભૂમિકાને કારણે પણ આમ બન્યું હતું.
વિજય તેંડુલકરના ‘ગિધાડે’, ‘ઘાશીરામ કોતવાલ’, ‘સખારામ બાઇન્ડર’, અને મહેશ એલકુંચવારના ‘વાસનાકાંડ’ નાટકોની બાબતમાં મહારાષ્ટ્રનાં સેન્સર બોર્ડ વિરુદ્ધની લડતમાં તેઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે સક્રિય હતા. બાબરી મસ્જિદ ધ્વસંને પગલે મુંબઈમાં 1992-93માં કલાકારોએ કોમવાદી રાજકારણ સામે લીધેલી વિરોધ-ભૂમિકામાં લાગૂનું પણ સમર્થન હતું. ગુજરાતમાં ગોધરાકાંડને પગલે થયેલાં કોમી રમખાણોના વિરોધમાં પૂનામાં રાષ્ટ્રીય એકાત્મતા સમિતિના નેજા હેઠળ 14 એપ્રિલ 2002ના રોજ નીકળેલી રેલીમાં કર્મવૃદ્ધ લાગૂ બપોરે બાર વાગ્યાના તડકામાં ચાલતા રહ્યા હતા.
કૉન્ગ્રેસના આગેવાન એવા તબીબ પિતાના અને સમાજવાદી સેવાદળના સંસ્કાર ધરાવતા શ્રીરામ લાગૂ લગભગ બધાં સામાજિક આંદોલનો અને માનવતાવાદી મૂલ્યોના સમર્થક હતા. જો કે અભિનેતા તરીકેનો આરંભિક કાળ કલાવાદી રહ્યો હતો. પણ પહેલાં ‘ગિધાડે’ નાટક પરની સેન્સરશીપ અને પછી કટોકટીના અનુભવે તેમને જાહેર જીવનની સક્રિયતા તરફ દોર્યા.
અંગત જીવનમાં બે મોટી આપત્તિઓ આવી. એક સ્વજન માલતીનાં અકસ્માતે થયેલાં અવસાન પછી તેમની ટીખળ અને બદનામી થઈ હતી. તેના ઘણાં વર્ષો બાદ તેમના અને અભિનેત્રી દીપા શ્રીરામના સત્તર વર્ષના પુત્ર તનવીરનું અવસાન થયું. ચાલતી રેલગાડીના બારણામાં તે ઊભો હતો ત્યારે અચાનક તેના માથામાં પથ્થર વાગ્યો અને બે દિવસ બેભાન રહ્યા પછી તે મોતને ભેટ્યો. જો કે લાગૂ દંપતીએ આ આઘાત પછી થોડાક જ દિવસમાં પોતાનું કામ શરૂ કરી દીધું. તનવીરની યાદમાં તેમણે પંદર વર્ષથી શરૂ કરેલું સન્માન હમણાં નવમી ડિસેમ્બરે નસીરુદ્દિન શાહને આપવામાં આવ્યું. અંગત જીવનની તકલીફો અને જાહેર જીવનની ટીકાઓ વચ્ચે પણ ડૉ. શ્રીરામ લાગૂ એમ કહીને આગળ વધતા રહ્યા કે ‘શો મસ્ટ ગો ઑન’.
********
18 ડિસેમ્બર 2019
“નવગુજરાત સમય”, ગુરુવાર, 19 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર
![]()

