અમે છીએ તો તમે છો
છતાં ય તમે જ અમને પૂછો છો : 'તમે કોણ ? સાબિતી આલો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
અમે તમને માથે બેસાડ્યા
ને તમે જ અમારા માથે ટપલી મારી પૂછો છો : 'તમે કોણ ? પૂરાવા આપો !'
તારી ત્તો!
એક બે ને સાડાત્રણ !
આમ તો સાચેસાચ દુ:ખી છીએ,
વોટર કાર્ડ કહો કે મતદાર કાર્ડ કહો,
બધેય હસતાં મોઢા ચપોચપ ચોંટાડીને,
આગંળીએ ટીલાં ટપકાં તાણી ને,
તમોને મતો વરસોવરસ આલ્યા કર્યા
ને તમો તો મતોના પહાડ પર ઊંચે ઊંચે જઈ ને બેઠા,
ઠેઠમ ઠેઠ દિલ્લી જઈને બેઠા
ને હવે તમે અમને પૂછો છો:
'નાગરિક છો ? કાગળ કાઢો, સાબિતી આલો, પૂરાવા આપો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
કબ્રસ્તાન હોય કે સમશાણ
જોતાં તો આંખે બોર જેવડાં આંસુ છલકે,
છલકતાં આંસુમાં, અમ્મી દેખાય, બાપા દેખાય,
દાદા દેખાય, નાની દેખાય ..!
આંસુ ના તે કંઈ ફોટા પડે ?
તો ય તમે તો મંડ્યા છો :
'મા-બાપ ક્યાં જન્મ્યાં? દાખલા લાવો, સાબિતી આલો'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
સમશાન કે કબ્રસ્તાન!
ચારેકોર માટી-માટી!
આ જ માટીમાં ઊગ્યાં,
આ જ માટીમાં મહેંક્યાં,
આ જ માટીમાં મહેનત વાવી
ને
તમે છેકમછેક દિલ્લીમાં બેઠા કરંટના બટન દબાવો:
'આ માટી તમારી છે, પૂરાવા લાવો, સાબિતી આલો ..!'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
આ માટીમાં ઊભા થયા, આ માટીમાં ખપી જવાનાં,
કાળ ચકરડું ચાલ્યા કરશે,
લાખો આંખો, ચમકતી આંખો, સહિયારી આંખો,
એક સાથે બોલી ઊઠશે,
ગાજી ઊઠશે :
"થાય તે એ કરી લેવાનું,
થાય ભડાકા એ કરી લેવાનાં !"
તારી ત્તો !
એક બે ને હાડા તઈણ !
(19 ફેબ્રુઆરી 2020; શાહીન બાગ મહિલા ધરણાં, અવિરત ચાલુ)
![]()


ઉમેશ સોલંકીનો તાજેતરમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘28 પ્રેમકાવ્યો’ અજાણી પ્રણયભૂમિની ઓળખ આપે છે. મેળામાં, બાગમાં, હોટલમાં મળતાં પ્રેમીઓની અહીં વાત નથી. ઉમેશ સોલંકીના પ્રેમીજનો ઉજ્જડ વગડામાં દેખાય છે, નિર્જન વોંઘામાં દેખાય છે. ધોવાતી જમીન અને નદી વચ્ચે ઊંડા વહેળા રચાતા હોય છે. એનો ઉપયોગ કુદરતી હાજત તેમ જ મળવા માટે થતો હોય છે એ વિશે વધુ નિખાલસતાથી ઉમેશ સોલંકી નોંધ મૂકે છે. તળના માણસની વાત કરવી છે અને અગવડોથી દૂર રહેતા ભાવક સુધી એનો ભાવ પહોંચાડવો છે.
ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.
આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.
સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.