કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહીં આપવા અંગે જે નિર્ણય લીધો છે, તેને અમે આવકારીએ છીએ. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તે ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગના છે, જ્યારે લગભગ ૪૬ કરોડ કામદારો અસંગઠિત વર્ગમાં છે કે જેમાંના મોટા ભાગના સ્થિર માસિક પગાર કે વેતન ધરાવતા નથી. તેથી અમે, આ રીતે બચેલી રકમ ગરીબોને સીધી જ તેમના બેંક ખાતામાં રોકડ સ્વરૂપે આપવા અને એ રીતે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જણાવાયેલી ફરજ બજાવવા વિનંતી કરીએ છીએ.
ગત ઑક્ટોબર મહિનામાં જુલાઈ મહિનાથી અસર પામે તે રીતે પાંચ ટકા ડી.એ. વધારવામાં આવ્યું ત્યારે સરકાર પર વર્ષે રૂ.૧૬ હજાર કરોડનો બોજો વધશે, તેમ કહેવાયું હતું. આટલો જ બોજો પેન્શનરોને પણ ડી.એ.માં વધારો આપવામાં આવે તો પડે છે. એટલે કે વર્ષમાં રૂ. ૩૨ હજાર કરોડનો ખર્ચ પાંચ ટકા ડી.એ. એક વાર વધારવાથી વધે છે. સરકારે કર્મચારીઓ અને પેન્શનરોનું માત્ર દોઢ વર્ષમાં ત્રણ વખત ડી.એ. વધારવામાં નહીં આવે એમ કહ્યું છે. એનો અર્થ એ થાય કે કુલ રૂ. ૯૬ હજાર કરોડ બચી જશે. અમારી સરકારને વિનંતી છે કે આ રૂ.૯૬ હજાર કરોડ ગરીબોને આપવામાં આવે. એ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા-૨૦૧૩ હેઠળ ઓળખી કાઢવામાં આવ્યા છે તે ૮૦ કરોડ ગરીબોને તેમના બેંક ખાતામાં દર છ મહિને રૂ. બે બજાર પાંચ વ્યકિતના પરિવાર દીઠ આપવામાં આવે. રૂ. બે હજારનો પ્રથમ હપ્તો તો તત્કાળ આપવામાં આવે. પી.એમ. કેર્સ ફંડમાં એક જ સપ્તાહમાં જે રૂ. ૬,૫૦૦ કરોડ જમા થયા છે અને જૂના પ્રધાનમંત્રી રાહતનિધિમાં જે રૂ.૩,૮૦૦ કરોડ સિલક છે, તે પરિવાર દીઠ રૂ.૬૦૦ એક સમયના અનુદાન તરીકે આ ગરીબ પરિવારોને તત્કાળ આપવામાં આવે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૪૮.૩૪ લાખ છે અને પેન્શનરો ૬૫.૨૬ લાખ છે. તે ભારતીય સમાજમાં મોટે ભાગે ઉચ્ચ વર્ગમાં સ્થાન ધરાવે છે. આ વર્ગ આટલું બલિદાન કામચલાઉ ધોરણે આપે અને તે રકમ બીજા કશાયમાં વાપર્યા વિના સરકારે સીધી કંગાલિયતમાં જીવી રહેલા ગરીબોને આપવી જોઈએ. ઉપરાંત, અમે બધી રાજ્ય સરકારોને પણ કેન્દ્ર સરકારને અનુસરીને તેમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાની અને રકમ સીધી રાજ્યના ગરીબોના બેંક ખાતામાં જમા આપવાની પણ વિનંતી કરીએ છીએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020
![]()


આ મુશ્કેલ સમય માટે જવાબદાર દુર્ઘટનાવલિને આપણે ડિઝાસ્ટર કહીએ છીએ, મહામારી કે હોનારત કહીએ છીએ, પણ સાંભળો, મારો પ્રિય સાહિત્યકાર કાફ્કા શું કહે છે. તે કહે છે કે પુસ્તકો કુદરતી હોનારતની જેમ આપણને દુ:ખી દુ:ખી કરી મૂકે એવાં, સાવ જુદાં જ હોવાં જોઈએ.
લાગણીઓની એવી અછતને અને ભાવોર્મિની એવી ઓછપને જ કાફ્કા કદાચ ‘ફ્રોઝન સી’ કહે છે. અંદર બધું ઠરી ગયું હોય એટલે આપણે સૂમસામ હોઈએ. એટલે આપણને એ વાતનું ભાન નથી પડતું કે આપણે કેટલું બધું ઉપરછલ્લું જીવીએ છીએ. એ નથી સમજાતું કે આસપાસની કઈ વસ્તુઓ આપણને પરેશાન કરી રહી છે. એ નથી દેખાતું કે આપણા કયા સંદર્ભો સડી ગયા છે ને હાનિકારક દુર્ગન્ધ ફેલાવી રહ્યા છે. આપણને એ નથી સૂઝતું કે શાસનની કે સમાજજીવનની કઈ સિસ્ટમ પોલી છે ને આપણા કશા જ વાંક વિના આપણને દમી રહી છે. પરિણામે આપણે સહિષ્ણુ અક્રિય અને નિ:સામાન્ય બની ગયા હોઈએ છીએ. આ એક વિલક્ષણ દુર્દશા છે. સમર્થ પુસ્તક આપણને ત્યાંથી ઉખેડીને સદ્ દિશા બતાવે છે.