
courtesy : "The Indian Express", 13 March 2021
![]()

courtesy : "The Indian Express", 13 March 2021
![]()
આદરણીય વડાપ્રધાનશ્રી,
નમસ્કાર.
તમારી કુશળતા અને સ્વસ્થતા અંગે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.
ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે લોકોના પ્રશ્નો સંદર્ભે તમે સામેથી ફોન કરતા ને એ સંદર્ભે મને ફોન કરીને તમે પૂછેલું તો મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી, એ શરૂ કરવા વિનંતી કરેલી. તમે વિગતો સાથે મને રજૂઆત કરવા જણાવેલું. મેં તેમ કરેલું. એ પછી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતના સાહિત્યકારો સાથે તમને રૂબરૂ મળવાનું થયેલું, ત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી એ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતનો સંદર્ભ આપેલો અને એ યાદ છે એવું તમે જણાવેલું. પછી તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ શરૂ થયો પણ ખરો ને અત્યારે સક્રિય પણ છે, એનો યશ હું અંગત અને જાહેર રીતે તમને આપી કૃતજ્ઞતાની લાગણી ફરી એકવાર પ્રગટ કરું છું.
તે પછી તો તમે વડા પ્રધાન થયા એટલે હવે સામેથી ફોન કરીને સમસ્યા નહીં જાણી શકતા હો તે સમજી શકું છું. અંગત રીતે વળી એક વખત પ્રધાન મંત્રી કાર્યાલય પર ફોન કરી સંપર્ક કરવા પ્રયત્ન કરેલો, પણ તમારા સુધી ન પહોંચી શકેલો. આજે કેટલીક વાત કરવા જાહેર પત્ર લખી રહ્યો છું, તેમાં હેતુ કેવળ મારી મૂંઝવણ રજૂ કરવાનો ને માર્ગદર્શન મેળવવાનો છે. કૃપા કરીને એટલું જરૂર નોંધશો કે અહીંની રજૂઆતમાં તમારી કે કોઈની પણ ટીકા કરવાનો મારો લેશ માત્ર પણ આશય નથી.
તમે કોરોનાની રસી સંદર્ભે ભારતને જે રીતે વૈશ્વિક ઊંચાઈ આપી છે તે માટે હું અંગત અને જાહેર રીતે અભિનંદન આપું છું અને આખા દેશ વતી તમારો આભાર માનું છું, તે સાથે જ પાલિકા અને પંચાયતની ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં જે અરાજકતા વ્યાપી તેણે આખા રાજ્યને કોરોનાના જ્વાળામુખી પર મૂકી આપ્યું છે, વળી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ને એને કારણે બંગાળ અને અન્ય રાજ્યોમાં જે ગરમાટો વર્તાઈ રહ્યો છે તેનાથી જે તે રાજ્યો પર કોરોનાની તવાઈ આવે એમ છે, એનાથી પણ તમે અજાણ નહીં જ હો એમ માનું છું. ગુજરાતમાંથી કોરોના જવા પર હતો, પણ ચૂંટણી સભાઓ અને પ્રચાર ને પરિણામની જે ભીડ રાજયમાં જામી એણે ગુજરાતની હાલત કફોડી કરી છે. એમાં સુરતની સ્થિતિ વધુ ખરાબ છે, કારણ એમાં યુનાઇટેડ કિંગ્ડમ અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના વધુ જોખમી કેસો ઉમેરાયા છે ને 40 ટકા કેસો ટ્રાવેલ હિસ્ટ્રીને કારણે પણ વધ્યા છે. કોલેજો ને સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ નીકળતાં સંબંધિત સ્કૂલ, કોલેજો બંધ કરાવાઈ રહ્યાંનું પણ મીડિયા બોલે છે.
બીજી તરફ આજથી ધોરણ 3થી 8ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. અંદાજે 50 લાખ બાળકો આ પરીક્ષા આપવાના છે. ગુજરાત સરકારે ભણાવ્યું કે કેમ તે તો એ જાણે, પણ તેણે પરીક્ષાઓ લેવાની વીરતા બતાવવામાં જરા પણ કચાશ રાખી નથી તે નોંધવું ઘટે. ખરેખર તો આટલી મોટી સંખ્યામાં નાની ઉંમરનાં બાળકો પર, અત્યારના સંજોગોમાં પરીક્ષાનું ભારણ લાદવા જેવું નથી. આ પરીક્ષાઓ સરસ રીતે થઈ જ શકી હોત, પણ ચૂંટણીએ વાતાવરણ બગાડ્યું ને તે બગડી જ રહ્યું છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ થવા બાબતે પણ ચિંતા રહે છે, એ જ સ્થિતિ કોલેજની પરીક્ષાઓની પણ હોઈ શકે છે. વારુ, જે પરીક્ષાઓ ઘરેથી લેવાવાની છે, એમાં બાળકોને બધાં પેપર્સ એક સાથે પહોંચતાં કરવાની વાત પણ પરિપત્રમાં કહેવાઈ છે. સાધારણ રીતે વર્ગખંડોમાં એક વિષયની પરીક્ષા, ચોક્કસ સમય મર્યાદામાં કોરોના પહેલાં લેવાતી રહી છે, એ વાત હવે બદલાઈ છે ને વિદ્યાર્થીઓને એક સાથે બધાં પ્રશ્નપત્રો આપીને દિવસો પછી એની ઉત્તરવહીઓ પરત મેળવવાની વાત છે. આમાં પરીક્ષાનો મૂળ હેતુ જળવાતો હોય એવું લાગતું નથી, કારણ બાળક કોઈ પણ દેખરેખ વગર કહેવાતી પરીક્ષા આપે એવી પૂરી શક્યતાઓ છે જ, વળી જ્યાં પ્રત્યક્ષ પરીક્ષાઓ સ્કૂલોમાં લેવાવાની છે, ત્યાં કોરોનાના આટલા વકરાટ પછી સમૂહમાં બધાંને ભેગા કરવાનું હિતાવહ ખરું?
આ ઉપરાંત લગ્નો ને મેળાવડાઓને કારણે પણ સંક્રમણ વધ્યું ને દોષનો ટોપલો લોકોને માથે આવ્યો. લોકો જવાબદાર ખરા જ, પણ ચૂંટણી જરા પણ નિર્દોષ નથી એવું હું નમ્રપણે માનું છું. ગમ્મત તો એ કે કોરોના વકર્યો તેને માટે હાઈકોર્ટે પણ લોકોને જ જવાબદાર ઠેરવ્યા ને એવું ચલાવ્યું કે લોકો નહીં સુધરે તો લોકડાઉન ગુજરાતમાં ફરી આવી શકે એમ છે. પણ, ચૂંટણી બાબતે સૌએ મૌન એવી રીતે સેવ્યું, કેમ જાણે ચૂંટણી થઈ જ ન હતી !
ઠીક છે, જે જવાબદાર હોય તે ખરું, પણ સ્થિતિ પર કાબૂ મેળવવાની ગુજરાત સરકારની ઇચ્છા હજી પણ જણાતી નથી તે ચિંત્ય છે. શોપિંગ મોલ્સ, સ્કૂલો, હોટેલો, કોલેજો જેવું બંધ કરાવવાનું શરૂ થયું છે, પણ મોટેરા સ્ટેડિયમ પર રમાતી T20 મેચમાં હજારો પ્રેક્ષકોને રોકવાનું શક્ય બનતું નથી તે દુ:ખદ છે. એક તબક્કે તો 1.32 લાખની કેપેસિટીવાળું આખું સ્ટેડિયમ ભરવાની વાત હતી, પણ પછી 50 ટકા સીટો ભરવા પર વાત આવી. આ પણ અટકવું જોઈએ. 50 ટકા પ્રેક્ષકો ભેગા કરીએ તો પણ 66 હજાર લોકો તો ભેગા થાય જ, એની સાથે અન્ય ચીજ વસ્તુઓનાં ખરીદ-વેચાણની ભીડ વધે તે નફામાં. ટૂંકમાં, 70 હજારથી વધુ લોકો તો પાકા ગણી જ લેવાના. છેલ્લા સમાચાર એવા છે કે ઓફલાઇન ટિકિટો લેવા માટે સ્ટેડિયમની બહાર લોકોની લાંબી કતારો લાગી ને કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ઊડયા, એટલું જ નહીં, પોલીસે દંડાવાળી કરવી પડી. આમાં સંક્રમણ ન વધે તો જ આશ્ચર્ય !
આ વિશાળ સ્ટેડિયમમાં પ્રવેશનારા દર્શકો માત્ર અમદાવાદના જ નહીં હોય, તે દેશ-વિદેશથી આવનારા પણ હશે, એમાં કોઈ વિદેશી સ્ટ્રેન સાથે આવ્યું તો શી હાલત થાય તે કહેવાની જરૂર છે? ટૂંકમાં, આ 100 ટકા જોખમી ધંધો છે ને એ તાત્કાલિક અસરથી અટકાવવા જેવો છે. એની સામે પુણેમાં રમાનારી મેચો સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપ્યા વગર રમાવાની છે. આનો શો અર્થ કરવો? પુણેમાં જોખમ છે ને અમદાવાદમાં નથી, એમ? આ બરાબર છે? કમસેકમ અમદાવાદ સાથે ઓરમાયું વર્તન ન થાય એ જોવાવું જોઈએ. મેચ તો 66 હજાર પ્રેક્ષકો સાથે મોટેરામાં રમાઈ પણ છે, પણ સ્થિતિ જ્યારે વણસી રહી છે ત્યારે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બોલાવવાનો આ જોખમી ખેલ બંધ કરવા જેવો છે એવું નથી લાગતું?
વાત સુરત કે ગુજરાત પૂરતી જ નથી, મહારાષ્ટ્રમાં થાણે, નાગપુર, અકોલા જેવામાં લોકડાઉન લાગુ થયું છે. પુણે, પંજાબમાં સ્કૂલો બંધ કરવી પડી છે, પંજાબના 8 શહેરોમાં રાત્રિ કરફ્યુ લદાયો છે. આ બધું તંત્રો જાણે છે, છતાં ગુજરાતની સ્થિતિ વધુ વણસે એને માટે મહેનત કરી રહ્યાં હોય એવું લાગે છે. વધુ ભીડ ન થાય એટલે શોપિંગ મોલ્સ બંધ કરાવાય અને મેચ જોવા એક સાથે 66 હજારથી વધુની ભીડ થવા દેવાય એમાં ઔચિત્ય છે?
હું માનું છું કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારતનો મહામૂલો અવસર છે. એની ઉજવણીનો પ્રારંભ દાંડીકૂચને યાદ કરીને, સાબરમતીને તીરેથી તમારે હાથે થાય એમાં પૂરું ઔચિત્ય છે, પણ સાહેબ, ગુજરાતમાં જ સાતસોથી વધુ કેસ નોંધાયા હોય ત્યારે આ આખા ઉપક્રમ અંગે ફેરવિચારણા થવી જોઈએ એમ મને અંગત રીતે લાગે છે. એ સાથે તમે આત્મનિર્ભર ભારતનો આરંભ થયાની વાત પણ કરી. આ આત્મનિર્ભરની વાત અન્ન સ્વાવલંબન સંદર્ભે હું અભિમાનથી સ્વીકારું છું, પણ તમારો મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ મને સમજાતો નથી. અંગ્રેજો વ્યાપાર કરવા ભારત આવ્યા ને અહીં કારકૂનો પાસેથી કામ કઢાવીને બધું ઈંગ્લેન્ડ ભેગું કર્યું. હવે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ અને કંપનીઓને નિમંત્રીને અહીં ઉત્પાદનો વધારવાથી ક્વોલિટીનો લાભ દેશને જરૂર મળે, પણ જે કમાણી થાય તે તો દેશની બહાર જ જાય કે બીજું કૈં? અહીં વિદેશી કંપનીઓ દ્વારા કર્મચારીઓને નોકરી મળે અને પગાર અપાય એ ખરું, પણ નફો વિદેશમાં જમા થાય એવું નહીં? હું ખોટો હોઈ શકું છું, પણ મારી મૂંઝવણ ખોટી નથી. દાંડીયાત્રાને યાદ કરતાં તમે કહ્યું કે નમક પર વેરો નાખ્યો એની સામે ગાંધીજીએ અવાજ ઉઠાવ્યો, ત્યારે હસવું એ વાતે આવ્યું કે ઓઇલ પર ઢગલો વેરા નાખવા છતાં આ પ્રજા શાંતિથી વેઠે છે. ખરેખર તો આ પ્રજાની ચિંતા કરવી જોઈએ, સાહેબ !
તમે ગરીબો માટે ઘણી યોજનાઓ કરી છે ને એમની જરૂરિયાતો પણ એથી પૂરી થતી હશે, અમીરોને તમે હજાર રૂપિયે લિટર પેટ્રોલ વેચશો તો પણ વાંધો નહીં આવે, પણ નીચલા મધ્યમવર્ગની દયા ખાવા જેવી છે. એને તો પેટ્રોલ, ગેસ, ખાવાનું તેલ, રેલવે ટિકિટો, એ બધાંથી એક સાથે જ બળવા-ઝળવાનું આવ્યું છે. એની હાલત એવી છે કે એ ભીખ માંગી નથી શકતો ને પેટ પણ ઠારી નથી શકતો. એ કૈં તમને સમજાવવાનું હોય નહીં, તમે એ દિવસો જોયા છે …
સુજ્ઞેષુ કિં બહુના?
રવીન્દ્ર પારેખનાં વંદન …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 માર્ચ 2021
![]()
= = = = હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી = = = =
આમ તો, ‘આ જો હોય મારું અન્તિમ પ્રવચન’ શ્રેણીના વ્યાખ્યાનમાં મારે વિશે ઘણું કહી ચૂક્યો છું. બાકી, મારે વિશે જાહેરમાં કશું કહેવાની કે લખી બતાવવાની મને ટેવ નથી.
છતાં, વિદ્યાની યાત્રાનો યાત્રિક છું એટલા માટે કેટલુંક વધારે કહેવું જરૂરી જણાય છે. ખાસ તો, મારે વિશેની અફવાઓ અંગે ફોડ પાડીને કહેવું જોઈએ કેમ કે એ અફવાઓ મારા યાત્રામાર્ગની બન્ને બાજુએ ઊભીને મારી મશ્કરીમાં ખિલ ખિલ હસતી પૂતળીઓ જેવી લાગે છે.
એક અફવા એવી કે મારો ચ્હૅરો મહાન ગાયક જગજિતસિંહ જેવો છે. આગળના સમયમાં એ રાજેશ ખન્નાના ચ્હૅરા જેવો ગણાયેલો. કોઈ કોઈને એ સુનિલ ગાવસકરના ચ્હૅરા જેવો લાગેલો. મારે એટલું જ કહેવું છે કે મારો ચ્હૅરો મારો છે, સુમન શાહનો છે.
ખરેખર તો, હું એ હકીકત બાબતે અફસોસ સેવું છું કે મને સુન્દર શરીર નથી મળ્યું.
મેં જણાવેલું છે કે —
દૂરના ભૂતકાળમાં પણ હું કેટલો ન-રૂપાળો બલકે કદરૂપો લાગતો હોઈશ. સૂકલકડી શરીર. પ્હૉળી-પ્હૉળી ખાખી ચડ્ડી. માપથી મોટું ખમીસ. એના સોલ્ડર પર, બહાર, ઊભું ટાંકેલું ખીંટી-કાંટું. મને ભલે કાળામાં ગણો. મારા રંગ અંગે ઇશ્વરને ફરિયાદ નથી. પણ એની અમુક કલાક્ષતિઓ માફ કરાય એવી નથી : જેમ કે નાકને પૉઇન્ટેડ કરી શકાયું હોત : સમગ્ર દેહ-પ્રતિમા હજી ચાર-પાંચ ઇન્ચ ઊંચી ઘડી હોત તો સર્જકતા દીપી ઊઠત.
મેં કોઈ વાર કહ્યું છે કે મારી બાબરી ઉતરાવવાનું આળસ હશે કે જે કારણ હશે, મને બા ચોટલો વાળતી. એક વાર અમારી જ્ઞાતિના વાર્ષિકસમ્મેલનના એક નાટકમાં હું છોકરી બનેલો, કહો કે બનાવાયેલો. ત્યારે મને બનાવટી ચોટલો અને બીજી બનાવટી ચીજો વળગાડાયેલી. સાહિત્ય સમાજમાં પ્રવેશ્યા પછી મેં જોયું કે દાઢી અને વાળ વધારવાથી કવિ અને અથવા કલાકાર જેવા દેખાવાય છે. એટલે મને હૉંશ થયેલી કે મારે મારાં દાઢી અને વાળ વધારવાં જોઈએ. પણ દાઢી માટે રશ્મીતાની ધરાર ના હતી અને વાળ નહીં વધારવાનું એક કારણ એણે એ આપેલું કે અધ્યાપકને એ ન શોભે. આ કોરોનાકાળમાં વાળ ન-છૂટકે વધારવા પડ્યા છે – જેને હું ‘કોરોના હૅઅર સ્ટાઇલ’ કહું છું.
બીજી અફવા એવી કે મને ગુસ્સો બહુ આવે છે. સાચું છે પણ અર્ધસત્ય છે. ગુસ્સો કરાવનારનાં કરતૂતો પણ એટલાં જ જવાબદાર ખરાં કે નહીં? ગુજરાતી ભાષામાં સાહિત્યને નામે જે કંઈ મન્દપ્રાણ લખાતું હોય, તેના લેખકો પર તો ઠીક પણ તેનું અનુમોદન કરનારા વિવેચકો પર મને ગુસ્સો જરૂર આવે છે. એ જ રીતે, પોતાના ભાઈબન્ધો, બેનપણીઓ, અને આજુબાજુનાંઓનાં લખાણોમાં દમ ન હોય તો પણ તેમની સાથેના અંગત સમ્બન્ધોના વળતર રૂપે ઇનામ-અવૉર્ડની લ્હાણ કરનારાઓ સંસ્થાપતિઓ વિશે, બેઢંગ સમ્પાદનો કરનારા બજારુ સમ્પાદકો વિશે, મારું લખ્યું પૂરું વાંચ્યા-સમજ્યા વિના પંચાત કરનારાઓ પર, ને ખાસ તો, સાહિત્યના સમકાલીન ઇતિહાસ સાથે ચૅડાં કરનારા મોટાભાઓ વિશે મને બહુ જ ગુસ્સો આવે છે.
બાકી, જીવનના એક પ્રસંગમાં એક વાર, ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે, મેં એક માણસને છુટ્ટો મોટો લોઢિયો પથ્થર મારેલો ! ગભરામણ અને સામાવાળાથી બીકના કારણે ગુસ્સો કુણ્ઠિત હશે તે નિશાન ચૂકી જવાયેલું. પણ વાર્તાઓના મારા સર્જને મારા ગુસ્સાને ક્રમે ક્રમે ઠાર્યો છે.
મેં લખ્યું છે —
વાર્તાલેખનથી મારી જીવન વિશેની સમજ ચોખ્ખી થતી રહી છે. મનુષ્યને વધુ ને વધુ સહાનુભૂતિથી જોવાનું ચાલુ થયું છે. એ મારા જેવો કેમ નથી થતો, એ હઠ ઑગળવા લાગી છે. એની અંગત વાસ્તવિક્તામાં પ્રવેશવાનું હવે વધારે ગમે છે. જે જેવું છે તેવું સ્વીકારવું, પહેલું જરૂરી જણાય છે. એવા સ્વીકાર પછી જ કશું પણ સુધરી શકે. આ વલણને લીધે આપણા નબળા સાહિત્યસંદર્ભને પણ, એ આપણી વાસ્તવિકતા છે એવા મનોભાવથી, ઓળખતો થયો છું.
એટલે સમુદાર કે લસરી જતો ભાસું છું તેની મને ફૉમ છે. સાહિત્યમાં મને શત્રુ લેખતા હોય કે જેમને હું એમ લેખતો હોઉં એ બંનેને વિશે ક્ષમાર્થી થવાનું હવે વધારે ગમે છે. અમિત્ર થઈ ગયેલાને ફરીથી ભેટવાનું કે નમિત્રને મિત્ર બનાવવાનું માનસ પહેલાં ન્હૉતું, હવે છે.
જો કે ગુસ્સો નથી જ આવતો એમ કહેવાનો દમ્ભ નહીં ઓઢું. દાખલા તરીકે, કશી તાકીદ ધરાવતા અને શ્રમપૂર્વકના મારા મૅસેજના જરૂરી જવાબ નહીં આપનાર પર ગુસ્સો આવે જ છે. પણ ત્યારે, મારાથી બોલાતું નથી, કહો કે હું બોલતો નથી, મૌનમાં જતો રહું છું.
સંલગ્ન અફવા એ છે કે હું હમેશાં પ્રેમને જ કેન્દ્રમાં મૂકું છું અને વાર્તાઓ મેં પ્રેમ સિવાય કશાની કરી નથી. આ પણ અર્ધસત્ય છે. એ અર્થમાં કે એ પ્રૅમલાપ્રૅમલીની વાર્તાઓ નથી. વાર્તા ‘જરાક જેટલું છેટું’ કે ‘સિમૅન્ટ’ દર્શાવે છે કે મેં પ્રેમની અશક્યતાઓ પણ ચીંધી છે, જેનાથી માનવજીવન ખારું થઈ જાય છે. જો કે સર્જકતા તો કરુણ સંગીત જનમાવીને જ ટકી શકે છે.
મેં કહ્યું છે —
બાળલગ્ન કે કાચી વયનાં લગ્ન હોય છે તેમ બાળપ્રેમ કે કાચી વયનો પ્રેમ પણ હોય છે. મને એ જાતના પ્રેમનો, જો કે નિષ્ફળ, અનુભવ જરૂર મળેલો. અલબત્ત, પ્રેમ માટે, ઉમ્મર ગમે તે હોય, ખાસ પ્રકારનું બાળકપણું જરૂરી છે. કેમ કે હોશિયારીથી દુનિયાનાં બધાં કામ કરી શકાય છે, પ્રેમ નથી કરી શકાતો. મને એ જાતના પ્રેમમાં પડવાનો અવસર પણ સાંપડેલો, જેમાં, હું સફળ થયો. પ્રેમને અંગેની મારી એક માન્યતા પણ જણાવી દઉં : હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી.
ત્રીજી અફવા એવી કે હું સિનેમા-થીએટરમાં, મલ્ટિપ્લૅસમાં, ને મ્યુઝિક-કૉન્સર્ટમાં નથી જતો. હા પણ આમસ્ટર્ડામમાં કે અમેરિકામાં હોઉં ત્યારે ઘરે લગભગ રોજ એક મૂવી જોતો હોઉં છું. લખતો હોઉં ત્યારે હમેશાં કશુંક શાસ્ત્રીય સંગીત, મોટે ભાગે વાદ્યસંગીત ધીમા અવાજે ચાલતું હોય છે. લોક કહે એમ દરેક વાતે જીવી બતાવવાનું ને પાછું કહેવાનું પણ ખરું, એ ક્યાંનું સાહિત્ય છે?
ચૉથી અફવા એ કે હું વિવેચક છું. બરાબર, સિદ્ધાન્તમાં અને સવિશેષે પ્રત્યક્ષમાં મેં ઘણું કામ કર્યું છે. પણ હું વિવેચક છું એ અર્ધ કે એકચતુર્થાંશ સત્ય છે. આવું હું ગણિતની રીતભાતમાં ન બોલું પણ મેં હમણાં જ કામૂને એમ બોલતા સાંભળ્યા – એટલે કે, વાંચ્યા. ૧૯૫૭માં એમણે Demain-માં એક ઇન્ટર્વ્યૂ આપેલો. એમને એવા મતલબનું પૂછવામાં આવેલું કે – આજના સંઘર્ષભર્યા સમયમાં માણસે લડવાનું છે, પણ, એની એક બાજુએ સઘળું સારું છે અને બીજી બાજુએ ઘણું બધું ખોટું છે, તમારે શું કહેવાનું છે? તો કામૂ રિચર્ડ હિલેરીનો એક અનુભવ યાદ કરે છે. હિલેરીએ કહ્યું છે : We were fighting a lie in the name of a half-truth : કામૂને હિલેરીના આ અનુભવ-વચનમાં નિરાશા દેખાઈ છે, છતાં ઉમેરે છે કે – અરે, ક્વાર્ટર-ટ્રુથને નામે પણ જૂઠ સામે તો લડવું જ જોઈશે !
કામૂ પોતાને વિશે …

Picture Courtesy : Google Images
મેં જણાવેલું છે કે —
મને વિવેચક ભલે ગણો, એના ઉત્તમોત્તમ અર્થમાં હું એ નથી. એમ ભાસ્યા કર્યું છે કે ઉજ્જડિયા ગામના બેચાર એરંડિયામાંનો એક છું, અનુપજાઉ છું. તેમ છતાં, મારાં વિવેચનો વડે હમેશાં મેં સાહિત્યપદાર્થની ભરપૂર ખેવના કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસનું હિત હરદમ ચિન્તવ્યું છે. મારી મને મળેલી ઓળખ એ હિતચિન્તાના કાયમના સહભાગી તરીકેની છે : ગુજરાતી ભાષામાં છેલ્લા અર્ધશતક ઉપરાન્તનાં વર્ષોથી ચાલી રહેલા સાહિત્ય-સર્જન-વિવેચન-વિચાર નામના એક અપરમ્પરાગત શૈલીના કન્ટિન્યુડ ડિસ્કોર્સનો હું સહભાગી રહ્યો છું, નિત્યના વિચારપરામર્શનો સહભાગી રહ્યો છું : અરે, એ હેતુએ પૂરા પ્રેમે કરીને મેં ‘વિવેચક’-ગાળને ઘીની નાળ ગણી છે. ‘બરોડા-સ્કૂલ’ના કે ફલાણા-છાપના ગણાઇને કારકિર્દીમાં મોટાં મોટાં નુક્સાન વેઠ્યાં છે. સમજ-ના-સમજભરી ચર્ચાઓથી લાધેલાં માન-અપમાન સ્વીકાર્યાં છે. પણ આમાંની એકેય વાતનું મને ક્યારે ય અંગત દુ:ખ નથી વસ્યું. બલકે, એ આપણી સાહિત્યિક વાસ્તવિકતા છે એમ ગણીને તેનો મેં ભરપૂર અંગીકાર કરેલો છે.
પાંચમી અફવા એવી કે હું આધુનિક વાર્તાકાર છું અને મને જીવનનો કશો અનુભવ નથી -એમ કે મને રમતગમતમાં રસ નથી. મને અનુઆધુનિક વાર્તાકાર નહીં ગણનારા પણ કેટલાક છે. તેઓ વળી એમ કહે છે કે હું આઇવરી ટાવરમાં રહું છું, જમીન પર વસનારાંની મને ખબર નથી. મને ભલે આધુનિક-અનુઆધુનિક કહો ને મનઘડંત ટીકાઓ કરો, સત્ય એ છે કે હું વાર્તાકાર છું. મારો મનસૂબો છે કે હું ઓછામાં ઓછી બે વાર્તા એવી લખી શકું, જે વિશ્વસાહિત્યમાં બેસી શકે એવી હોય.
હું આઈવરી ટાવરમાં નહીં પણ આઠમા માળે જરૂર રહું છું, અમદાવાદમાં. આમસ્ટર્ડામના ઘરે ત્રીજા માળે અને અમેરિકાના ઘરે પહેલા માળે. પણ દરેક ઘરમાં મારા રૂમની બારી રોડ પર પડતી હોય છે. સવારથી માંડીને સાંજ લગી જનજીવનને હું પૂરી લગનથી એ બારીએથી જોતો હોઉં છું. કમ્પ્યૂટરની વર્લ્ડ વાઇડ વિન્ડો તો ખરી જ. એક વાર્તાકાર તરીકે મને જૅન્તી-હંસા અને છોટુ દેખાયાં છે, સૅક્સ ‘મજાનો ડખો’ લાગી છે; ફટફટિયું કે વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ અનુભવાયાં છે; સોમાસેઠે રવજી ભાભાના જીવનમાં જનમાવેલી કાગારોળ સંભળાઈ છે; ‘જામફળિયામાં છોકરી’ દેખાઈ છે પણ ‘ફૉક્સવેગન છોકરી અને રૅનોડસ્ટર છોકરો’ પણ દેખાયાં છે; વિદેશે બનેલો ‘બનાવ’ કે નૉર્થટ્રેઇલ પાર્કનાં ટૅરિટોરિયલ બર્ડ્ઝ, શું વિધવિધના જીવન-અનુભવોનાં ફળ નથી તો શું છે ભલા’દમી?
અનુભવ માટે જમીન પર વસનારાં જોડે હરુભરુ થઈને કાદવકીચડ ગૉલ્યા હોય ને ધૂળમાં રમ્યો હોય એ જ અનુભાવર્થી? એવા અનુભવાર્થીને હું નાનો, કાચો ને કાયર ગણું છું.
સર્જકનું હૃદયતન્ત્ર સાબદું હોય તો નિરન્તર ધબકતું જ હોય છે અને એના તાર ઝણઝણી ઊઠતા હોય છે અને સંગીત જનમતું હોય છે અને એ સંગીત હમેશાં અને વધારે આસ્વાદ્ય અને ઘણું કલામધુર હોય છે.
મેં કહેલું છે —
ફળિયામાં ચચૂકા કૉડીઓ લખોટીઓ રમતા. સતોડિયું ને લંગડી ખરાં, પણ આંખ ફૂટવાની બીકે બૉલબૅટ નહીં, ઘૂંટણ છોલાઈ જવાની બીકે હુતુતુ નહીં. એક વાર કાણિયા કે ઢબુ પૈસાથી પત્તાં રમવા બાજુની ખડકીમાં, ત્રિકમજીની ખડકીમાં, પ્હૉંચી ગયેલો. પાછળથી આવીને પિતાજીએ જોરથી થપ્પડ મારેલી તે નથી ભૂલ્યો. એ પછી જીવનમાં પત્તાં કદી પ્રવેશી શક્યાં નથી. આજે આત્મવિશ્વાસથી હું એક જ રમત રમી શકું છું – ચેસ. કેમ કે, કહેતો હોઉં છું, એમાં લકની નહીં, ઇન્ટેલિજન્સની – બુધ્ધિની – જરૂર પડે છે !
પથ્થર મારતો માણસ

Picture Courtesy : Public Domain Pictures
મને વાણિયા પટેલ બ્રાહ્મણ અને મારા મુસ્લિમ મિત્રો તો યાદ છે જ પણ એ મોચી એ વાળંદ એ ભરવાડ એ દરજી અને એ લવારના દીકરા જોડેની દોસ્તીઓ પણ યાદ છે. નામ લઈ શકું : શાન્તિ. દિલીપ. મેઘો. મંજુ. હિમતો. વતન જઉં ત્યારે એમાંના કોઈ કોઈને મળવાનું થાય છે. એમની ઉન્નતિ જોઈજાણીને સારું લાગે છે. કલાઇ કરનારા આવતા, છરી-ચપ્પાં-કાતરને ધાર કરનારા આવતા, તે કારીગરોને; પવાલું ઘઉં કે ચોખા સાટે કાશીબોર, જાંબુ કે સીતાફળ વેચનારીઓને, જરી-કસબના તાર માટે જૂના બનારસી સાલ્લા ખરીદનારાઓને, કે અમારા બલકે ગામ આખાના સારામાં સારા દૂધવાળાને, નથી ભૂલ્યો. પાનના ગલ્લા કે લખોટી-સોડાની લારીઓ તેમ જ ગામના જુગારીઓ સટોડિયાઓ શેઠિયાઓ દાક્તરો ઘોડાગાડીવાળાઓની મુસ્લિમ બિરાદરી, બધ્ધું યાદ છે. ‘ઘોડાગાડી બોલાવી લાવ, નહિતર તારા બાપાની તબિયત જોવા નહીં આવું’ એમ કહેનારા દાક્તરકાકા યાદ છે. એમને ઘોડાગાડી જોઈએ જ કેમ કે એ જાડાપાડા હતા, મોટા પેટવાળા અને ઠિંગણા.
અને, કૉલેજ તેમ જ યુનિવર્સિટીકાળના યુવા વયના ખટમીઠા અનુભવો તો અપરમ્પાર છે, એનો કશો પાર નથી. એમાં હવે ઍરપોર્ટો યુરપનાં શહેરો ટ્રામ કારો, અમેરિકામાં સ્ટોર્સ મૉલ પાર્ક, વગેરેના અનેક પ્રસંગો ઉમેરાતા ચાલે છે.
પણ મને એ બધા અનુભવોને ભાષામાં મૂકીને ‘મોટા’ સાહિત્યકાર થઈને મ્હાલવાનું કદી ગમ્યું નથી. મારી સાહિત્યકલાને વિશેની સમજ મને એવું લખતાં રોકે છે. જીવનમાં જે કંઈ બન્યું હોય એને સીધેસીધું સાહિત્યમાં ઠઠાડીએ, તેને હું કલાદ્રોહ ગણું છું. વાચક / ભાવક / સમાજ વગેરે સૌનો પણ એ દ્રોહ છે.
મેં કહ્યું છે —
છેવટે તો મને માણસમાં અને તેની અસ્તિત્વપરક સારીનરસી ખાટીતૂરી પણ નિરન્તર ચાલતી વારતામાં જ સર પડ્યો છે. એને હું મારી વસ્તુસામગ્રી ગણું છું – કન્ટેન્ટ. અને આજે ઉમેરું કે રૂપ – ફૉર્મ – તો મને મારી સર્જકતા સરજી આપે છે.
ભાષામાં એક લેખક મારા જેવો જુદો હોય, તમારી જોડે મેળમાં ન હોય, એ વાતનું દુ:ખ કે સુખ? સમજવા માગીએ તો સમજાય એવું છે.
= = =
(March 14, 2021 : USA)
![]()

