મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાક લોકો પોરસાતા થાકતા નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે તો કોઈક તેના હિંદુ હોવા માટે ગર્વ અનુભવે છે. જો ગર્વ જ લેવો હોય તો બ્રિટિશ પ્રજા માટે લેવો જોઈએ, જેણે એક અશ્વેત, એક ગેરખ્રિસ્તી અને મૂળમાં વિદેશથી આવેલા એક ગેરબ્રિટિશ પરિવારમાં જન્મેલા પુત્રને પોતાનો માન્યો. ગર્વ લેવો હોય તો ઋષિ સુનક માટે લેવો જોઈએ, જેણે પ્રજાનો સ્વીકાર રળ્યો. સ્વીકાર પામવો અને સ્વીકાર કરવો એ માણસાઈનાં અંતિમ અને ખરા માપદંડ છે. બાકી ધર્મ, ભાષા જાતિ વગેરેનાં અભિમાન મિથ્યાભિમાન છે.
કેટલાક વળી ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવરની વાતો કરવા માંડ્યા છે. આ ચર્ચા પણ એક દાયકાથી ચાલી રહી છે અને કેટલાક લોકો કારણ વિના પોરસાય છે. જુઓ જગતની મોખરાની કહી શકાય એવી પંદર કરતાં વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓના સી.ઈ.ઓ. ભારાતીય છે, અમેરિકામાં દર ત્રીજો તબીબ ભારતીય છે વગેરે. આમાં પણ ગર્વ લેવો હોય તો એ લોકો માટે લેવો જોઈએ જેણે પોતાની કંપનીના સંચાલકની પસંદગી કરતી વખતી નાતજાત, દેશ કે ધર્મ નહોતા જોયા અને માત્ર આવડતની કદર કરી છે. ગર્વ લેવો હોય તો એ ભારતીયો માટે ગર્વ લેવો જોઈએ, જેણે મુસલમાનના ઘરમાં ડોકિયાં કરવામાં કે કોઈ નેતા કે બાપુના ભક્ત બનીને માંડવામાં આળોટવામાં આયખું નથી વિતાવ્યું, પણ પોતાની અંદર રહેલી શક્તિને પારખવામાં અને તેનો રચનાત્મક ઉપયોગ કરવામાં જિંદગીની સાર્થકતા જોઈ છે. તેમણે જગતના ચૌટે પોતાની જગ્યા બનાવી. ગર્વ લેવો હોય તો એ માણસ માટે ગર્વ લેવો જોઈએ જેણે મંદિરો બાંધવાની જગ્યાએ આઈ.આઈ.ટી., ઈસરો, આઈ.આઈ.એમ., એઈમ્સ, બી.એ.આર.સી. જેવી સંસ્થાઓ સ્થાપવાને પ્રાથમિકતા આપી. ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવર જો ગૌરવ લેવા જેવી ઘટના લાગતી હોય તો એ જશના અધિકારી જવાહરલાલ નેહરુ પણ છે. ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપેલા આધુનિક યુગના આધુનિક મંદિરોની પેદાશ છે.
જો ગર્વ લેવો જ હોય તો વિશ્વમાં ચાલેલા અને ચાલી રહેલા માનવકેન્દ્રી બૌદ્ધિક વિમર્શને પણ આપવો જોઈએ જેણે બીજી બધી ઓળખોને ગૌણ ઠરાવીને કેવળ માનવીને કેન્દ્રમાં રાખ્યો અને તેના સ્વીકાર માટે મનના પરિઘને વિસ્તાર્યો. આ મનના પરિઘને વિસ્તરવાની જહેમત છે એ કોઈ નાનીસૂની ઘટના નથી. સોક્રેટીસ અને ગાંધી જેવાને પ્રાણ આપવા પડ્યા છે. પરિઘ-વિસ્તારની પ્રક્રિયા સામે પડકારો પેદા થતા જ રહે છે. આજે પણ થઈ રહ્યા છે. માટે જગત આખામાં માનવસમાજની યાત્રા એક દિશાની ધોરીમાર્ગે ચાલનારી નથી હોતી. એમાં અવરોધો આવે છે, દિશાંતરો થાય છે અને પીછેહઠ પણ થાય છે. ટૂંકો સ્વાર્થ ધરાવનારા લોકો પ્રજાને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને તેમાં તેઓ ફિલસૂફીને જોડે છે. બ્રિટન અને યોરોપના કેટલાક દેશો જ્યારે સંસ્થાનોનું શોષણ કરતા હતા, ત્યારે તેમણે તેમાં ‘વ્હાઈટમેન્સ બર્ડન’ નામની ફિલસૂફી જોડી હતી. અમે અશ્વેત પ્રજાનું શોષણ કરવા માટે દેશો કબજે નથી કરતા, પણ ત્યાંની પ્રજાનો ઉદ્ધાર કરવા માટે કર્તવ્ય (વ્હાઈટમેન્સ બર્ડન) સમજીને ફરજ બજાવીએ છીએ.
માટે જ્યારે પણ કોઈ પ્રજાના ઇતિહાસ અને વર્તમાન ઉપર નજર કરો ત્યારે સમગ્રતામાં નજર કરતાં શીખવું જોઈએ. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનું અને બીજા દેશોનું બર્બરતાપૂર્વક શોષણ કર્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા છે જેણે દાદાભાઈ નવરોજીને મત આપીને આમની સભામાં ચૂંટ્યા હતા અને એ પણ ૧૮૯૨ની સાલમાં. આપણી લોકસભાની જેમ આમની સભા માટે નાગરિકો મત આપે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ૧૮૯૫ની સાલમાં ઇશાન લંડનના મજૂર વિસ્તારમાંથી આમની સભા માટે મંચેરજી ભાવનગરીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચૂંટાયા હતા. યાદ રહે, એ વિસ્તારમાં એક પણ ભારતીય મતદાતા નહોતો. આ એ બ્રિટિશ પ્રજા છે, જેના વિરોધ પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે ૧૯૨૦ની સાલમાં ગાંધીજીને નગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા હતા અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે ગાંધીજી એક આસને બેસે અને આંખમાં આંખ પરોવીને વાત કરે એને બ્રિટિશ સામ્રાજ્યનું અપમાન ગણાવ્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા પણ છે જેણે એની બેસન્ટ જેવાં અનેક લોકો આપ્યાં જેણે ભારતની પ્રજાનાં આઝાદીનાં સપનાંને અને તેના અધિકારને ટેકો આપ્યો. તેના માટે કામ કર્યું. આ એ બ્રિટિશ પ્રજા છે જેના એક પ્રતિનિધિ લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે પૂર્વના દેશોની બધી જ વિદ્યાશાખાઓનું બધું જ સંગ્રહિત જ્ઞાન જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય અને આ વળી એ જ બ્રિટિશ પ્રજા છે જેણે બનારસમાં અને કલકત્તામાં સંસ્કૃત કૉલેજો સ્થાપી, એશિયાટિક સોસાઈટી સ્થાપી અને એક લાખ કરતાં વધુ સંસ્કૃત-પ્રાકૃત-પાલી પાંડુલિપી એકઠી કરી. એની વાચનાઓ તૈયાર કરાવી અને પ્રકાશનની વ્યવસ્થા કરી. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનાં અર્થતંત્રને જાણીબૂજીને ખતમ કરી નાખ્યું અને આ એ જ બ્રિટિશ પ્રજા છે જે પોતાના અર્થતંત્રને બચાવવા માટે એક એવા માણસની પસંદગી કરી છે જે નથી ખ્રિસ્તી, નથી શ્વેત કે નથી મૂળ બ્રિટિશ. ઊલટું ઋષિ સુનક ધાર્મિક હિંદુ છે અને પોતાની ધાર્મિકતા છૂપાવતા પણ નથી.
આનો અર્થ એ થયો કે પ્રજાકીય યાત્રા ક્યારે ય એક સરખી અને એક દિશાની હોતી નથી, પણ આપણી પોતાની યાત્રા એક સરખી અને એક દિશાની હોઈ શકે છે. નિર્ણય આપણે લેવાનો છે. ધારો તો ભૂંડણાં બનીને બીજાનાં કુકર્મોના ઉકરડા ખુંદવામાં કે પછી પોપટ બનીને બીજાએ શીખવાડેલા આત્મપ્રશસ્તિના ગુણગાન ગાવામાં આયખું વિતાવી શકો છો, અને ધારો તો પરિઘવિસ્તારનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે જે એમ શીખવે છે કે ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પણ પ્રજાની બાબતે નહીં બનવું.
મેં કહ્યું ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પ્રજાની બાબતે નહીં. ક્યારે ય કોઈ પ્રજા અને ઓળખોના આધારે રચાયેલા પ્રજાસમૂહો નિર્દોષ હોતા નથી. એમાં સારા-નરસાપણું એમ બન્ને હોય છે. એવું નથી કે હિંદુઓમાં કોઈ નરસાપણું નથી અને મુસલમાનોમાં કોઈ સારાપણું નથી. બન્નેમાં બન્ને છે. નિર્ણય આપણે લેવાનો છે કે ઘટનાને આધારે નિંદા કે સ્તુતિનો નિર્ણય લેવો કે પ્રજા કોણ છે એ જોઇને? જે પહેલો માર્ગ અપનાવે છે એના પરિઘનો વિસ્તાર થાય છે અને તે ઉપર ચડે છે. સત્ય નાંદેલા, કમલા હેરીસ કે ઋષિ સુનક અને આવાં બીજાં અનેક ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ આ પહેલા માર્ગના પ્રવાસીઓ છે. ઋષિ સુનક માટે ગર્વ લેનારાઓ પાછા કમલા હેરીસ માટે લેતા નથી કારણ કે તે મૂળ ભારતીય હોવા છતાં ખ્રિસ્તી છે. જે બીજો માર્ગ અપનાવે છે એ લોકો ભૂંડાવતાર ધારણ કરીને ઉકરડે પહોંચે છે.
તો ભાઈ, ગદગદ થવું જ હોય તો જ્યાં માણસાઈનો મહિમા થતો જોવા મળે ત્યાં ગદગદ થાવ અને જો રોષ કાઢવો જ હોય તો જ્યાં માણસાઈનો લોપ થતો હોય એવી ઘટના જોઇને રોષ ઠાલવો. ઋષિ સુનકના વડા પ્રધાનપદની ઘટનામાં ગદગદ થવા જેવું એ છે કે બ્રિટિશ પ્રજાએ ઋષિનું કૂળ જોયા વિના તેમનો સ્વીકાર કર્યો અને ઋષિ સુનકે તેમનો સ્વીકાર રળ્યો. માટે પરિઘ વિસ્તારો. એમાં લાભ જ લાભ છે. જો કે, એક નુકસાન છે. મનગમતી અને તેને મમળાવવામાં આનંદ આપતી પૂર્વગ્રહોની ગાંઠો છૂટી જશે. આ પણ જલદી છૂટે નહીં અને છોડવું ગમે નહીં એવું એક વ્યસન છે.
કલ્પના કરો કે, તમારે તમારાં સંતાનને આ બેમાંથી કોઈ એક માર્ગ અપનાવવાની સલાહ આપવી હોય તો શી સલાહ આપો? પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ નહીં કરતા, અહીં તમારા અંતરાત્મા સિવાય કોઈ સાંભળનાર નથી, માટે મનોમન કહો કે કયો માર્ગ તમારાં સંતાને અપનાવવો જોઈએ? કયો માર્ગ તેના માટે હિતકારી હોઈ શકે? તમારો ઉત્તર તમારાં સંતાનને ઊંચે ચડાવશે અથવા ઉકરડે પહોંચાડશે. તમે તમારાં સંતાનને ક્યાં જોવા ઈચ્છો છો?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 નવેમ્બર 2022
![]()


આપીને ગુરુઓ યુવતીઓનું શોષણ કરે છે ! 25 ઑક્ટોબર 2022ના રોજ BBC સંવાદદાતા Ishleen Kaur – ઇશલીન કૌરનો રીપોર્ટ ચોંકાવનારો છે. મૂળ ન્યૂઝીલૅન્ડમાં રહેતી Julie Salter – જૂલી સાલ્ટર નામની મહિલાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં 10 ડિસેમ્બર 2019ના રોજ લખ્યું હતું કે “કેનેડામાં શિવાનંદ આશ્રમના મુખ્યાલયમાં ત્રણ વર્ષ સુધી તેમની સાથે વિષ્ણુ-દેવાનંદ સ્વામી દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી ! દાયકાઓ પછી હવે મારામાં હિંમત પ્રગટી અને મેં આ વાત શિવાનંદ વ્યવસ્થાપક બોર્ડ સમક્ષ મૂકી. બોર્ડ તરફથી પ્રતિક્રિયામાં મૌન અને મૌન કરી દેવા સુધીના પ્રયાસો જ જોવા મળ્યા !”
‘Meditation and Mantras’ નામનાં પુસ્તકો લખ્યાં. તેઓ હઠયોગ અને રાજયોગમાં ઓથોરિટી હતા. ‘શિવાનંદ યોગ’માં શારીરિક અને આધ્યાત્મિક બંને સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવે છે. વિષ્ણુદેવાનંદ સ્વામીની વાણી એટલી પ્રભાવશાળી હતી કે કેટલાં ય લોકોએ સંસારનો ત્યાગ કરીને પોતાનું જીવન શિવાનંદ આશ્રમ માટે સમર્પિત કરી દીધું હતું. વિષ્ણુદેવાનંદ સ્વામીએ 30 ઑગસ્ટ 1971ના રોજ, તેમના પીસ પ્લેનને બોસ્ટનથી ઉત્તર આયર્લેન્ડ સુધી પાયલોટ કર્યું હતું. તેમણે શાંતિ માટે પાકિસ્તાન અને બંગલાદેશમાં પુષ્પ અને શાંતિ પત્રિકાઓ ફેંકી હતી. 15 સપ્ટેમ્બર 1983ના રોજ, તેમણે બર્લિનની દિવાલ ઉપરથી પશ્ચિમથી પૂર્વ બર્લિન સુધી શાંતિને પ્રાત્સાહન આપવા ઉડાન ભરી હતી. 1984માં તેમણે યોગની જાગૃતિ માટે ડબલ-ડેકર બસમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. ફેબ્રુઆરી 1984માં તેમણે સુવર્ણમંદિરમાં જરનૈલ સિંહ ભીંદરાનવાલે સાથે મુલાકાત કરી હતી. વિષ્ણુદેવાનંદના અવસાન બાદ, તેમની આબરું કાંકરા જેવી થઈ ગઈ ! જૂલી 1978માં આશ્રમમાં જોડાઈ હતી, ત્યારે તેની ઉંમર 20 વરસની હતી. વિષ્ણુ-દેવાનંદે જૂલીને અંગત સહાયિકા તરીકે સેવા આપવા કહ્યું ત્યારે
કરતી રહેતી. કોઈ વેતન નહીં અને અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કરતાં રહેવાનું. સ્વામી વિષ્ણુદેવાનંદનો સ્વભાવ વિચિત્ર થઈ ગયો હતો. તેઓ ઘણી વાર પોતાના પર બરાડા પાડતા હતા.
શિબિરમાં ભાગ લેવા માટે ગઈ હતી; તે વખતે તેની ઉંમર 12 વર્ષની હતી. એક શિક્ષક તેમને અડપલાં કરતો હતો. માલિશ કરતો હતો અને તેમનાં હિપ્સને સ્પર્શ કરતો હતો. તે 15 વર્ષની થઈ ત્યારે તે શિક્ષક વધારે છૂટ લેવા લાગ્યો. તે વધારે અડપલાં કરતો હતો. કૅથરીન કહે છે : “છેલ્લે હું 17 વર્ષની થઈ ત્યારે તેણે યૌન શોષણ કર્યું હતું. હું નીંદરમાં હતી. જાગીને જોયું તો તે મારી ઉપર હતો. તેથી મેં આશ્રમ છોડી દીધો !” આ શિક્ષક ભારતમાં શિવાનંદ આશ્રમમાં સક્રિય છે. બીજા એક શિક્ષકનું નામ છે મહાદેવાનંદ સ્વામી ઉર્ફે મોરિજિયો ફિનોછી. તેની સામે આઠ મહિલાઓએ યૌન શોષણના આક્ષેપ કર્યા છે.
સવાલ એ છે કે યૌન શોષણ અંગે શિવાનંદ આશ્રમના સંચાલકોને જાણકારી હતી કે કેમ? જૂલી કહે છે : “2007માં મારામાં હિંમત આવી હતી અને મેં યૌન શોષણની ફરિયાદ કરી હતી. મેં આશ્રમની EBM-Executive Board Members કારોબારી સમિતિના એક સભ્યની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. EBMની રચના વિષ્ણુદેવાનંદે કરી હતી, જેથી પોતાના મૃત્યુ બાદ શિવાનંદ આશ્રમનું કામકાજ સંભાળી શકે. મેં કારોબારી સભ્ય સ્વામી મહાદેવાનંદનો સંપર્ક કર્યો હતો. એ પછી 2006માં મેં કારોબારીના બીજા ચાર સભ્યોને મળીને ફરિયાદ કરી હતી. EBMના વકીલે મને પૂછેલ કે ‘કથિત શોષણનો મામલો આટલાં વર્ષો પછી કેમ ઉઠાવી રહ્યાં છો?’ 30 જેટલી મહિલાઓએ યૌન શોષણની ફરિયાદ કરી હતી. આ મહિલાઓ વિદેશી હતી. ભારતીય મહિલાઓનું પણ શોષણ થતું હતું; પરંતુ તેઓ ફરિયાદ કરવામાં ડરતી હતી ! સ્વામી વિષ્ણુ-દેવાનંદ 1987 સુધી, દેખીતી રીતે, બહુવિધ યુવાન મહિલા ભક્તો સાથે અપ્રગટ રીતે સેક્સ્યુઅલી સક્રિય હતા. સ્વામી વિષ્ણુ-દેવાનંદ બ્રહ્મચારી નહોતા, તેમ છતાં આજે પણ ભક્તો તેમને બ્રહ્મચારી તરીકે આદરણીય માને છે !”