Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.જે.પી.ની કચરો ગ્રહણ કરવાની ઝુંબેશ રાહુલને કરાવશે ફાયદો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 April 2024

રમેશ ઓઝા

કહેવામાં તો એવું આવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. ગુજરાત મોડેલ ભ્રષ્ટાચારમુક્ત સુશાસનનું મોડેલ છે અને જો મને વડા પ્રધાન બનાવશો તો ગુજરાતની રાહે દેશનું શાસન કરવામાં આવશે. કહેવામાં તો એવું આવ્યું હતું કે દેશનું જાહેરજીવન ભ્રષ્ટાચારથી ખદબદે છે. શાસકોનાં, અન્ય તમામ પક્ષોના નેતાઓનાં, સરકારી અધિકારીઓનાં અને તેમના મળતિયા કુબેરપતિઓનાં અબજો કરોડ રૂપિયા વિદેશની બેન્કોમાં પડ્યા છે. જો મને વડા પ્રધાન બનાવશો તો એ છૂપાવેલું નાણું ભારત પાછું લાવવામાં આવશે અને ભારતના પ્રત્યેક નાગરિકના ખાતામાં પંદર પંદર લાખ જમા કરવામાં આવશે. કહેવામાં તો એવું આવ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. તેમની જગ્યા દેશના જાહેરજીવનમાં નહીં હોય, પણ જેલમાં હશે. કહેવામાં તો એવું આવ્યું હતું કે કાઁગ્રેસ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને કોઈ કાઁગ્રેસી સ્વચ્છ નથી. હજુ વધારે કહેણ ટાંકી શકાય, પણ વાચકો વાયદાઓ વિષે આ લખનાર કરતાં વધુ જાણે છે એટલે વધારેની આવશ્યકતા નથી. જ્યારે મોઢું ખૂલે છે ત્યારે ઓછામાં ઓછો એક વાયદો વિયાંય છે.

અને પછી, એટલે કે સત્તામાં આવ્યા પછી તરત કહેવામાં આવ્યું હતું કે દેશને કાઁગ્રેસમુક્ત કરવામાં આવશે. આ વાયદો તેમને યાદ છે. અન્ય પ્રતિજ્ઞાઓ પ્રજાને મૂર્ખ બનાવવા માટેની હતી, પણ આ કાઁગ્રેસમુક્ત કરવાની પ્રતિજ્ઞા તેમની જાત સાથેની હતી અને તેમના માટેની હતી. જો તેનું પાલન કરવામાં ન આવે તો ખબર નહીં ક્યારે, પ્રજા પ્રતિજ્ઞાઓ પૂરી નહીં કરવા માટે લાત મારે. પ્રજા લાત મારે એ પહેલાં તેની પાસે કોઈ વિકલ્પ જ ન બચવો જોઈએ. આપણને લાત મારીને કોને લાવશે! કોઈ મેદાનમાં હોવું તો જોઈએ!

દેશને કાઁગ્રેસમુક્ત કરવાની પ્રતિજ્ઞા પાળવા માટે આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યા છે. શું શું કરવામાં નથી આવી રહ્યું, તમે તો જાણો છો. પણ તેમના ખાટલે મોટી એક ખોડ છે. તેમના દુર્ભાગ્યે દેશના અંદાજે ૬૦ ટકા હિંદુઓને હિંદુરાષ્ટ્ર સ્વીકાર્ય નથી. તેમને ખબર છે કે મુસલમાનો તેમ જ અન્ય વિધર્મીઓ પછી સ્વતંત્રતા સાથે જીવનારા અને સ્વતંત્રતા ઇચ્છનારાઓનો વારો આવવાનો છે, પછી ભલે તેઓ હિંદુ હોય. ઊલટું તેઓ, એટલે કે હિંદુરાષ્ટ્રની વાતમાં નહીં લપેટાતા હિંદુઓ હિંદુ રાષ્ટ્રના મોટા દુ:શ્મન છે. જો આ વાત ન સમજાતી હોય તો મુસ્લિમ દેશો પર એક નજર કરી લો. નજીકમાં પાકિસ્તાન પર એક નજર કરી લો. ઇસ્લામિક રાષ્ટ્ર ઇચ્છનારાઓની ગોળીનો શિકાર કોણ બને છે? ૯૯ ટકા મુસલમાનો અને એક ટકો વિધર્મીઓ. પાકિસ્તાનમાં હિંદુઓ કે બીજા ધર્માનુયાયીઓ મરે છે? મુસલમાનો મરે છે. કારણ કે તેમને જિંદગી જીવવામાં મોકળાશ જોઈએ છે અને ધર્મને નામે છાતી પર ચડી બેસનારાઓ મોકળાશ આપતા નથી. મોકળાશ તેમને પરવડે જ નહીં. તેઓ તેમનાં પોતાનાં પક્ષના અને સંગઠનના સહયાત્રીઓને મોકળાશ નથી આપતા એ તમને આપવાના છે? જો આંખ ખુલ્લી રાખવાની આદત હશે તો આ વાત ધ્યાનમાં આવી હશે. બીજાની ક્યાં વાત કરીએ, તેઓ તેમના સહયાત્રીઓને હમસફરોને જ્યાં મોકળાશ નથી આપતા એ અદના નાગરિકને મોકળાશ આપે એ શક્ય જ નથી. જગત આખામાં ધાર્મિકરાજ્યોનો કે ફાસીવાદી રાજ્યોનો આ ઇતિહાસ છે. મોકળાશ અને ઇસ્લામિક રાષ્ટ્ર કે હિંદુરાષ્ટ્ર એ બે પરસ્પર વિરોધી ચીજ છે, તેનું સહઅસ્તિત્વ અસંભવ છે.

લગભગ ૬૦ ટકા હિંદુઓ આ જાણે છે અને એ મોટી કઠણાઈ છે. સ્વતંત્રતા કે મોકળાશ જાળવી રાખવા માટે આટલા મોટા પ્રમાણમાં જગતના કોઈ દેશમાં કોઈ પ્રજા ઝઘડતી નથી. આટલા મોટાં પ્રમાણમાં મુસલમાનોએ કોમવાદી અને મૂળભૂતવાદી મુસલમાનો સાથે ઝઘડો કર્યો હોત તો જગતનો ઇતિહાસ અને વર્તમાન જુદા હોત. ૬૦ ટકા હિંદુઓ પોતાની મોકળાશ જાળવી રાખવા જદ્દોજહદ કરે છે અને રહી કરીને તેમની નજર કાઁગ્રેસ પર જાય છે. કાઁગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને આખા દેશમાં અસ્તિત્વ ધરાવે છે. એમાં ઓછામાં પૂરું રાહુલ ગાંધીને કોવીડ પછી શૂરાતન ચડ્યું છે. જેને પપ્પુ કહીને ઠેકડી ઊડાડવામાં આવતી હતી એ મેદાન છોડીને જતો નથી, ટસનો મસ થતો નથી અને હવે તો જીદે ચડ્યો છે. આ એક માત્ર રાજકીય નેતા છે જે લોકોની વચ્ચે જાય છે અને નિર્ભયતાથી ટીકા કરે છે. કોઈ ન આવે તો એકલો જાને રેની ભીષ્મપ્રતિજ્ઞા તેણે કરી છે. હવે યુવાનોને રાહુલ ગાંધી આકર્ષવા લાગ્યા છે. જેમનું ભવિષ્ય છે એ યુવાનો રાહુલમાં પોતાનું ભવિષ્ય જોવા લાગે તો તો ભારે થાય! હજુ તો જેઓ નવા નવા મત આપતા થયા છે એ યુવાનો રેડારમાંથી ચાલ્યા જાય અને એ બીજાની રેડારમાં જવા લાગે તો આપણું ભવિષ્ય પૂરું થઈ જાય.

તો કરવું શું? વિધાનસભ્યો ખરીદ્યા, સરકારો તોડી, જેલમાં નાખ્યા, બેંક ખાતા સીલ કર્યા, ઇ.ડી. અને સી.બી.આઈ. પાસે દરોડા પડાવ્યા, ઇન્કમ ટેક્સની નોટિસો મોકલી, ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા નાણાંકીય સ્રોત સૂકવી નાખ્યા જે કાંઈ થઈ શકતું હતું એ બધું જ કર્યું, પણ આ કાઁગ્રેસનો છોડ સૂકાતો નથી. રાહુલ ગાંધી મેદાન છોડતો નથી. હવે એક નવા ઉપાય તરીકે કાઁગ્રેસના નેતાઓને કાઁગ્રેસ છોડાવી બી.જે.પી.માં દાખલ કરવામાં આવી રહ્યા છે. ભલે ભ્રષ્ટ હોય, ભલે આપણે તેમની નામ લઈને ટીકા કરી હોય, ભલે આપણે જેલમાં નાખ્યા હોય, ભલે ગામના ઉતાર જેવા હોય, ભેલે એણે આપણને ગમે તેવી ગાળો આપી હોય, બસ, કાઁગ્રેસ છોડાવો અને બી.જે.પી.માં લઈ લો. રાહુલ ગાંધી પાસે કોઈ ગણનાપાત્ર નેતા જ નહીં હોય તો તેઓ કાઁગ્રેસને કેવી રીતે બેઠી કરશે. પણ કદાચ બી.જે.પી.ની કચરો ગ્રહણ કરવાની ઝુંબેશ રાહુલ ગાંધીને લાંબે ગાળે ફાયદો કરાવશે. કાઁગ્રેસ તેના વિરોધીના સાબુએ પરિષ્કૃત થઈ રહી છે અને બીજું રાહુલ ગાંધીનો મદાર કાઁગ્રેસી નેતાઓ નથી, યુવાનો છે, સ્ત્રીઓ છે અને ગાંધી-નેહરુની વિચારધારા છે. આ વિચારધારાની જ્યાં સુધી પ્રાસંગિકતા છે ત્યાં સુધી કાઁગ્રેસ કે એવા કોઈ પણ વિચારધારાને વરેલા પક્ષની પ્રાસંગિકતા છે. ૬૦ ટકા હિંદુઓને એવા પક્ષની જરૂર છે અને રાહુલ ગાંધી એ દિશામાં કાઁગ્રેસની લઈ જઈ રહ્યા છે. કાઁગ્રેસનો કચરો મહાન દેશભક્તો રાષ્ટ્રયજ્ઞના સમિધા તરીકે લઈ જઈ રહ્યા છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ જે ૨૫ નેતાઓને કાઁગ્રેસ છોડાવી બી.જે.પી.માં લેવામાં આવ્યા છે એ દરેક ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા. જેલમાં મોકલવામાં આવ્યા હતા, અદાલતમાં આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં હતાં, ખટલા ચલાવવામાં આવતા હતા, નામ લઈને વડા પ્રધાને પોતે તેમની નિંદા કરી હતી, ધમકાવ્યા હતા, વગેરે વગેરે. આજે એમાંથી માત્ર બેને છોડીને બાકીના ૨૩ નેતાઓ સામેના કેસ કાં તો સંકેલી લેવામાં આવ્યા છે અથવા તેમની સામેની કારવાઈ થંભાવી દેવામાં આવી છે. બાકી બચેલા બેનો પણ પવિત્ર ઘરમાં પ્રવેશ્યા છે એટલે ઉદ્ધાર થઈ જશે.

તો વાતનો સાર એ છે કે દેશની જનતાને આપેલાં વચનોની ઐસીતૈસી, કાઁગ્રેસમુક્ત ભારતનું ખુદને આપવામાં આવેલું વચન પાળવા માટે આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યાં છે. કારણ કે તેની સાથે તેમનું પોતાનું ભવિષ્ય સંકળાયેલું છે, બાકી પ્રજા પોતાનાં ભવિષ્યનું ફોડી લેશે. અને હા, જે મુસલમાનનો દુ:ખી ચેહરો જોઇને રાજી થાય છે તે તો ગમે તેવા વચનભંગ પછી પણ મત આપવાનો જ છે. ડર પેલા મોકળાશની ખેવના કરનારાઓનો છે અને એવા હિંદુઓ મોટી સંખ્યામાં છે એટેલ તેમની પાસે કોઈ વિકલ્પ ન બચવો જોઈએ. માટે કાઁગ્રેસનું ઘર સાફ કરવામાં આવી રહ્યું છે. મને રહી રહીને એમ લાગે છે કે તેઓ કાઁગ્રેસ અને દેશ ઉપર ઉપકાર કરી રહ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2024

Loading

7 April 2024 Vipool Kalyani
← इस्लामोफोबिया से मुकाबिल संयुक्त राष्ट्र संघः एक प्रशंसनीय पहल
લદ્દાખ ક્યાં? : છીનવાઇ ગયેલી સ્વાયતત્તા અને સરકારમાં પાંખા પ્રતિનિધિત્વની ખીણમાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved