Opinion Magazine
Number of visits: 9508744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિનસાંપ્રદાયિક પક્ષો અવસરવાદી બન્યા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2021

જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે, તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે મજબૂત રાજકીય વિકલ્પ છે. જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે એ લોકો બહુમતીમાં હોવા છતાં બહુમતી કામમાં નથી આવતી અને જે લોકો હિંદુ ઇન્ડિયાને વરેલા છે એ લોકો લઘુમતીમાં હોવા છતાં પણ મજબૂત બહુમતી સાથે શાસન કરે છે.

અનેક લોકો સવાલ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ શું?

ઉકેલ બે છે. એક, ટૂંકા ગાળાનો ઉકેલ છે અને બીજો લાંબા ગાળાનો, કદાચ કાયમી પણ હોઈ શકે. એક ઝડપી ઉકેલ છે અને બીજો વખત લેનારો. એકમાં ઓછી મહેનત છે અને બીજામાં મહેનત ખૂબ છે.

ટૂંકા ગાળાના ઝડપી ઉકેલની વાત પહેલા કરીએ. એ ઉકેલ છે તમામ સેક્યુલર રાજકીય પક્ષો એક થાય. સાથે મળીને ચૂંટણી લડે અને સહિયારા તેમ જ ન્યાયી ભારતનો વિનાશ ઇચ્છનારા રાજકીય પક્ષ કે પક્ષોને પરાજીત કરે. આમાં શરત એ છે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવી જોઈએ. બીજી શરત સમાન દરેક પ્રતિસ્પર્ધી પક્ષ સંસાધનોની દૃષ્ટિએ એક સમાન સ્થિતિમાં હોવા જોઈએ. એકના ગજવામાં ચૂંટણી લડવા માટે લાખ રૂપિયા હોય અને બીજાના ગજવામાં હજાર રૂપિયા હોય તો પણ ચૂંટણી ન્યાયી અને મુક્ત રીતે ન લડી શકાય.

અત્યારના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો બન્ને રીતે ચૂંટણીકીય સ્પર્ધા અસમાન બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ચૂંટણીપંચ ઉપર દબાણ લાવે છે અને સંસાધનમાં પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ બરાબરી ન કરી શકે એની પણ તજવીજ કરે છે. ઈલેકશન બૉન્ડ આ માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ બૉન્ડ ખરીદીને બી.જે.પી. વિરોધી રાજકીય પક્ષને આપે તો સરકારને ખબર પડી જાય અને સરકાર તેને સતાવે. ડરના માર્યા કુબેરપતિઓ બી.જે.પી. સિવાયના અન્ય રાજકીય પક્ષોને નાણાકીય સહાય કરતા નથી. આજે લગભગ ૮૦ ટકા ચૂંટણીભંડોળ એકલા બી.જે.પી.ના ગજવામાં છે અને ૨૦ ટકામાં બાકીના બધા રાજકીય પક્ષો છે. આ સિવાય કાળું નાણું અને બીજા સંસાધનો જુદાં. એક પછી એક સરકારી એકમો વેચવામાં આવી રહ્યા છે એનું પણ આ જ કારણ છે. ખૂબ ધન હાથમાં હોવું જોઈએ કે જેથી પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને દબાવી શકાય, ચૂંટણીના મેદાનમાં પૈસા દ્વારા પ્રતિસ્પર્ધીને ચિત્ત કરી શકાય, જે તે પક્ષોના સંસદસભ્યો-વિધાનસભ્યોને ચૂંટણી પહેલાં અને પછી ખરીદી શકાય, મીડિયાને ખરીદીને અનુકૂળ કરી શકાય, ટ્રોલ્સ દ્વારા અપપ્રચાર, કુપ્રચાર અને જૂઠાણાં ફેલાવી શકાય અને બીજી અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરી શકાય.

આમ છતાં ય ભારતીય સેક્યુલર લોકતંત્ર ટકી રહેવા માટે જદ્દોજહદ કરી રહ્યું છે અને ધારેલી ઝડપે અને ધારેલી માત્રામાં તૂટતું નથી એનું કારણ પેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો છે જેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે. તેઓ પ્રતિબદ્ધ છે અને હિંમત ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ વિખરાયેલા હોવા છતાં ય બહુમતીમાં છે. તેઓ બુદ્ધિમાન છે, તેમને વિચારતા શંકા કરતા અને પ્રશ્ન કરતા આવડે છે. ટ્રોલ્સ અને ગોદી મીડિયા તેમને પ્રભાવિત કરી શકતા નથી. ભારતીય સેક્યુલર લોકતંત્ર ઉપર ઘેરાયેલાં કાળા વાદળ ફરતે રૂપેરી કોર હોય તો એ આ ૬૦ ટકા સહિયારા ભારતને વરેલા નાગરિકો છે. તેમની સામેની શાસકોની અને આંગળિયાતોની લાચારી પણ તમે જોઈ શકતા હશો. તેમને નથી ડરાવી શકાતા કે તેમને નથી વટલાવી શકાતા. ટ્રોલ્સ અને ગોદી મીડિયાની બધી મહેનત પાણીમાં જાય છે.

હવે તેમને રાજકીય વિકલ્પ જોઈએ છે અને વિકલ્પ હમણાં કહ્યું એમ બે છે; એક ટૂંકા ગાળાનો પણ ઝડપી અને બીજો લાંબા ગાળાનો પણ મહેનતવાળો અને ઘણે અંશે કાયમી. પહેલાં પહેલા વિકલ્પને તપાસીએ તો રાજકીય વાસ્તવિકતા શી છે?

૧. ગેર-બી.જે.પી. રાજકીય પક્ષો નખશીખ અને પ્રતિબદ્ધ સેક્યુલર છે એવું નથી. એમાંના મોટા ભાગના અવસરવાદી છે.

૨. જે પક્ષો વિચારોથી ખરેખર સેક્યુલર છે તેમની અંદર સત્તાનો મોહ છે અને તેમની સામે રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે. ગયા નવેમ્બર મહિનામાં બિહારમાં આપણે જોયું કે રાષ્ટ્રીય જનતા દલ, જનતા દલ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી એક જ વિચારધારા ધરાવે છે અને તેના નેતાઓ એક જ ગુરુ(ડૉ. રામમનોહર લોહિયા)ના શિષ્યો છે. તેમને એ પણ ખબર છે કે તેઓ એકબીજા સામે લડીને ક્ષીણ થઈ રહ્યા છે અને તેમને એ પણ ખબર છે કે તેમની વચ્ચેની લડાઈમાં અંતિમ ફાયદો બી.જે.પી.ને થવાનો છે જે તેમની કલ્પનાના ભારતનો વિરોધી છે. આમ છતાં ય તેઓ સાથે આવતા નથી, કારણ કે કોણ કોના હિતમાં પોતાની જમીન છોડે? દરેક રાજકીય પક્ષ વર્તમાનમાં પોતાનો ફાયદો જુએ છે, પછી પોતાનું, પોતાના પક્ષનું અને ભારતનાં ભવિષ્યનું જે થવાનું હોય તે થાય.

૩. ડાબેરીઓને છોડીને ભારતના લગભગ તમામ રાજકીય પક્ષોનો તેમની મૂળ વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો છે. કાર્યકર્તાઓનું વૈચારિક પ્રશિક્ષણ થયું નથી એટલે પ્રતિબદ્ધ કેડર નથી. ચૂંટણીમાં ટિકિટ એવા લોકોને આપવામાં આવે છે જે ચૂંટણી જીતી શકવાની ક્ષમતા ધરાવતા હોય. આને કારણે પક્ષમાં જે નેતાઓ આવે છે એ સત્તાવાંછુ આવે છે અને તેઓ વેચાઈ જાય છે. નેતા સમાધાનો કરે તો સંસદસભ્ય કે વિધાનસભ્ય સમાધાન કેમ ન કરે? ચૂંટણી જીતવા માટેનું મૂડીરોકાણ તેનું પોતાનું હોય છે અને તેને વસૂલવાનું હોય છે.

૪. દેશમાં એક માત્ર કૉન્ગ્રેસને છોડીને કોઈ પક્ષ આખા ભારતમાં હાજરી ધરાવતો હોય એવો રાષ્ટ્રીય સ્તરનો પક્ષ નથી. બીજું અનેક પક્ષો બાપીકી દુકાન જેવા પક્ષો છે.

૫. મોટાભાગના રાજકીય પક્ષો અને તેના નેતાઓ ભ્રષ્ટ છે, તેમની મથરાવટી મેલી છે, તેમની વચ્ચે એકતા સ્થપાય અને સ્થાપાય તો જળવાય એની ખાતરી હોતી નથી એટલે ૨૦ ટકા કોમવાદી અને ૬૦ ટકા સેક્યુલરની વચ્ચે જે ૨૦ ટકા મતદાતાઓ છે તેમનો તેઓ વિશ્વાસ સંપાદિત કરી શકતા નથી.

૬. કેટલાક નેતાઓના કબાટમાં હાડપિંજરો છે એટલે તેઓ ડરે છે અને તેઓ વિપક્ષી એકતા વચ્ચે ફાચર મારવાનું કામ કરે છે.

૭. કેટલાક રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે નિર્ણાયક મતદારક્ષેત્રોમાં ઉમેદવારો ઊભા રાખીને જે તે પક્ષના મત તોડીને કોઈને ફાયદો કરાવી આપવાનો ધંધો કરે છે. ધંધો જ, રીતસરનો ધંધો.

હવે કહો કે વિરોધ પક્ષોનું ચરિત્ર જ્યારે આવું હોય ત્યારે વિપક્ષી એકતાવાળો વિકલ્પ સાકાર થઈ શકે ખરો? કોઈક રાજ્યમાં થાય તો તે ટકાઉ નીવડે ખરો? આમાં રાષ્ટ્રીય સ્તરે એકતા સાધવી અને તેને ટકાવી રાખવી એ તો નેવાંનાં પાણી મોભે ચડાવવાં જેવું થયું. આમાં કૉન્ગ્રેસ મોખરે હોય કે કૉન્ગ્રેસ હાંસિયામાં હોય, કૉન્ગ્રેસમાં ગાંધી પરિવારનું નેતૃત્વ હોય કે ન હોય; થીગડાં મારવાથી લોકતાંત્રિક સેક્યુલર ભારત બચવાનું નથી. એને માટે ધીરજવાળો, ખૂબ મહેનત માગી લેનારો લાંબાગાળાનો જ વિકલ્પ અપનાવવો પડે એમ છે.

કોણ આ શિવધનુષ ઉઠાવશે? અને એને માટે કેવી લાયકાત જોઈએ?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2021

Loading

7 January 2021 admin
← દર્પણ
મનુષ્ય કરતાં કુદરત હંમેશાં આગળ રહી છે … →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved