Opinion Magazine
Number of visits: 9448715
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનો રૂપિયો વૈશ્વિક બજારનો વેઠ મજૂર!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 October 2018

પ્રસ્તાવનાઃ ભારતના ચલણ રૂપિયાનું અવમૂલ્યન તાજેતરના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને હજુ થઇ રહ્યું છે. તા.૫-૧૦-૨૦૧૮ના રોજ એક ડોલરના ૭૪ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. કોઈ પણ દેશના ચલણને માટે તેનું અવમૂલ્યન ખરેખર ઘણી જ ગંભીર બાબત ગણાય છે. ચલણનું અવમૂલ્યન એમ બતાવે છે કે દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડી રહ્યું છે અને દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. ખૂબ ઝડપથી થતું અવમૂલ્યન પરિસ્થિતિ વધુ ગંભીર છે એમ જ બતાવે છે.

અવમૂલ્યન એ સામાન્ય રીતે વપરાતો શબ્દ છે. પણ અર્થશાસ્ત્રમાં અવમૂલ્યન અને ઘસારો એમ બે શબ્દો જુદા જુદા અર્થમાં વપરાય છે. જો દેશની કેન્દ્રીય બેંક ચલણની ખરીદશક્તિ દુનિયાનાં અન્ય ચલણોના સંદર્ભમાં ઘટાડે તો તેને અવમૂલ્યન કહેવામાં આવે છે અને જો તે વિનિમયના બજારમાં થાય તો તેને ઘસારો કહેવામાં આવે છે. જેમ કે, ભારતમાં રિઝર્વ બેંકે ત્રણ વખત રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતુંઃ ૧૯૪૯, ૧૯૬૬ અને ૧૯૯૧. છેલ્લે જૂન-૧૯૯૧માં રૂપિયાનું ૧૯.૫ ટકા અવમૂલ્યન કરવામાં આવ્યું હતું ત્યારે વિનિમયનો દર ૧ ડોલર = ૨૦.૫૦ રૂ.ની આસપાસ હતો અને તે ૧ ડોલર = ૨૪.૫૦ રૂ.ની આસપાસ રિઝર્વ બેંક દ્વારા કરી નાખવામાં આવ્યો હતો. હવે ડોલરનો ભાવ રૂ. ૨૪.૫૦થી રૂ. ૭૪ ઉપર પહોંચ્યો છે, પણ તે રિઝર્વ બેંકે જાહેર કરેલો દર નથી પણ વિનિમયના બજારમાં થયેલો દર છે અને તેથી અર્થશાસ્ત્રમાં તેને ઘસારો કહે છે. જો કે, વાત મૂળભૂત રીતે એક જ છે કે રૂપિયાનું મૂલ્ય ડોલરના સંદર્ભમાં ઘસાયું છે, એટલે કે તેની ખરીદશક્તિમાં ઘટાડો થયો છે.   

અવમૂલ્યનનું કારણઃ અન્ય વસ્તુઓ અને સેવાઓના બજારની જેમ જ વિનિમયનું બજાર માંગ અને પુરવઠાના નિયમથી ચાલે છે. જો બજારમાં કોઈ વસ્તુ કે સેવાની માંગ તેના પુરવઠાથી વધારે હોય તો ભાવ વધે છે. બરાબર એમ જ ચલણના બજારમાં એટલે કે વિનિમયના બજારમાં પણ થાય છે. વૈશ્વિક વિનિમય બજારમાં ભારતના રૂપિયાની માંગ તો છે જ નહિ, ડોલર અને પાઉન્ડ, યુરો કે યેનની માંગ છે કારણ કે દુનિયાનો વેપાર એ ચલણોમાં થાય છે. ૧૯૪૪માં અમેરિકામાં બ્રેટનવૂડ્‌સ ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં દુનિયાનો વેપાર અમેરિકન ડોલરમાં થાય એમ નક્કી થયું હતું ત્યારથી દુનિયાનો મોટા ભાગનો વેપાર અમેરિકન ડોલરમાં જ થાય છે. ભારતને પણ આયાત કરવા માટે અમેરિકન ડોલરની જ જરૂર પડે છે.

ભારત નિકાસ કરીને ડોલર કમાય છે અને તે ડોલર ભારત આયાત કરવા માટે ખર્ચે છે. જો આયાતનું ખર્ચ નિકાસની કમાણી કરતાં વધારે હોય તો ડોલરની માંગ વધારે રહે અને ડોલરના ભાવ વધે જ. અને ભારતના કિસ્સામાં એમ જ બન્યું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ૧૯૭૨-૭૩ અને ૧૯૭૬-૭૭ એમ બે જ વર્ષ એવાં રહ્યાં છે કે જ્યારે દેશની નિકાસ આયાત કરતાં વધારે હતી. બાકીનાં તમામ વર્ષો દરમ્યાન આયાત જ નિકાસ કરતાં વધારે રહી છે. પરિણામે ડોલરની માંગ તેના પુરવઠા કરતાં વધારે રહી છે અને તેથી તેનો ભાવ વધ્યા જ કરે છે અને રૂપિયાનું અવમૂલ્યન થયા જ કરે છે. જ્યાં સુધી નિકાસની કમાણી આયાતના ખર્ચ કરતાં ઓછી રહેશે ત્યાં સુધી ડોલરની માંગ તેના પુરવઠા કરતાં વધારે રહેશે જ અને રૂપિયાનું અવમૂલ્યન થયા જ કરશે.

૧૯૯૧ પછી તરતનાં વર્ષોમાં સરકારે ‘નિકાસ કરો અથવા નાશ પામો’ એવું સૂત્ર આપીને લોકોના દિમાગમાં એમ ઠસાવવાનો પ્રયાસ કરેલો કે દેશની બધી સમસ્યાઓનો ઉપાય નિકાસ છે. પણ નિકાસ આયાત કરતાં તો વધતી જ નથી અને નિકાસ વધે છે તો પણ આયાત વધારે ઝડપથી વધે છે. એટલે દેશની નિકાસ આયાતના ખર્ચને  પહોંચી વળતી જ નથી. 

વળી, દેશનું વિદેશી દેવું ખૂબ છે અને તે વધતું જ જાય છે. ૧૯૮૦માં તે ૩૦ અબજ ડોલર હતું, ૧૯૯૧માં તે ૮૦ અબજ ડોલર હતું અને તે અત્યારે ૫૧૩ અબજ ડોલર છે. જ્યારે અવમૂલ્યન થાય છે ત્યારે વિદેશી દેવું આપોઆપ વધતું જ જાય છે. અને તે વધતું જ જશે. કારણ કે દેવું ચૂકવવા માટે વધુ ને વધુ રૂપિયા આપીને ડોલર ચૂકવવા પડે છે. ભારત કશું નવું દેવું ના લે તો પણ રૂપિયાનું અવમૂલ્યન થાય એટલે આપોઆપ જ દેવું વધી જ જાય છે. એટલે પણ ડોલરની માંગ વધે છે અને તેથી અવમૂલ્યન થાય છે. આમ, અવમૂલ્યન અને વિદેશી દેવું સાથે સાથે એક જ દિશામાં ગતિ કરે છે.  બંને એકબીજા માટે કારણ પણ છે અને પરિણામ પણ છે.  

ઉપાય શું છે?ઃ ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો કરવા પડે કે જેથી આ સ્થિતિમાંથી બહાર નીકળી શકાય. ટૂંકા ગાળાના ઉપાયો આ રહ્યાઃ રૂપિયાનું અવમૂલ્યન ના થવા દેવું હોય તો સ્પષ્ટ છે કે નિકાસ વધારવી પડે. પણ નિકાસ વધવાની મર્યાદાઓ છેઃ (૧) ભારત જે ચીજોની નિકાસ કરે છે તેના ભાવ વૈશ્વિક બજારમાં અન્ય દેશોની એ જ ચીજો કરતાં ઓછા હોય તે જરૂરી છે. તો જ ભારતની ચીજો દુનિયામાં વેચાય. (૨) જે ચીજો ભારત દુનિયાના બજારમાં વેચવા માંગે છે તેની ગુણવત્તા સારી હોય. (૩) ભારત જે ચીજો વેચવા માંગે છે તેની વૈશ્વિક બજારમાં માંગ હોય. જો માંગ જ ના હોય તો નિકાસ વધે નહિ. દા.ત. અમેરિકામાં ૨૦૦૮-૧૦ની મંદી દરમ્યાન ત્યાં માંગ ઘટી તો ભારતનાં હીરા, કાપડ-વસ્ત્ર અને સ્ટીલની માંગ ત્યાં ઘટી ગઈ હતી અને તેથી ભારતની નિકાસ ઘટી હતી. (૪) ભારતમાં નિકાસલક્ષી ચીજોનું ઉત્પાદન વધવું જોઈએ. સરકાર એને માટે ખૂબ પ્રોત્સાહનો આપે છે અને કરોડો રૂપિયાની સબસિડી પણ નિકાસકારોને આપે છે. પણ નિકાસ આયાત કરતાં તો વધતી જ નથી.

રૂપિયાનું અવમૂલ્યન થતું રોકવું હોય તો બીજો રસ્તો આયાત ઘટાડવાનો છે. આયાત ઘટે કેવી રીતે? સરકારે આયાત ઉપર પ્રતિબંધો મૂકવા પડે, આયાતી ચીજો તેમના પર જકાત વધારીને મોંઘી કરવી પડે અને આયાતનો જથ્થો નક્કી કરવો પડે. સરકાર આવું બધું મોટે ભાગે કરતી નથી અથવા તો બહુ ઓછું કરે છે કારણ કે ૧૯૯૧ પછી ભારત સરકાર મુક્ત વ્યાપારમાં માને છે એટલે કે સરકારનાં નિયંત્રણો વિના વ્યાપાર થાય એમાં માને છે. જો કે, હમણાં સરકારે કેટલીક વસ્તુઓની આયાત પર જકાત વધારી છે. ભારતનો ઐતિહાસિક અનુભવ એવો રહ્યો છે કે આયાત મોંઘી થાય તો પણ આયાત ઘટતી નથી. એટલે આયાત ઉપર પ્રતિબંધો મૂકી દેવા પડે. ઘણી બધી ચીજોની આયાત વિના ભારતના લોકો ચલાવી શકે તેમ છે. મોંઘીદાટ કાર કે કીવી ફ્રુટ વિના ના ચાલે? જો પ્રતિબંધો મૂકો તો જ આયાત ઘટે અને ડોલરનું ખર્ચ ઘટે. અથવા તો લોકોએ આયાતી ચીજો વાપરવાનું બંધ કરીને સ્વદેશી ચીજો વાપરવી પડે. એટલી દેશભક્તિ તો કરવી પડે. માત્ર તિરંગો ઝંડો લહેરાવવાથી દેશભક્તિ થતી નથી. આવું બધું લોકો ના કરે તો સરકારે લોકોને ફરજ પડવી પડે. પણ આયાત પર પ્રતિબંધો મૂકવાનું સહેલું છે જ નહિ કારણ કે ભારત વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાયેલું છે. તેમાં તો વૈશ્વિક વ્યાપાર સરકારી નિયંત્રણો સિવાય થાય તેની પ્રતિજ્ઞા લીધેલી છે. આ પ્રતિજ્ઞાનો ભંગ કરવો પડે અને બીજા દેશો તેનો વાંધો ઉઠાવે તો વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી બહાર નીકળી જવું પડે. તેને માટે ભારત સરકારે હિંમત કરવી પડે. આવી હિંમત સરકારમાં છે જ નહિ. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના તા.૧-૧-૧૯૯૫ના રોજ થઇ તે અગાઉ અટલ બિહારી વાજપેયીએ તા.૦૮-૦૪-૨૦૧૮ના રોજ એક પત્રકાર પરિષદમાં એમ કહેલું કે તેમની સરકાર આવશે તો ભારત વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી બહાર નીકળી જશે. પણ પછી તેઓ વડા પ્રધાન થયા તો પણ એ વાત ભૂલી ગયેલા. શું આજની સરકાર એમ કરે ખરી?

વળી, ભારત જે આયાત અત્યારે કરે છે તેમાં આશરે ૨૬ ટકા જેટલી આયાત તો માત્ર પેટ્રો પેદાશોની છે. એની વપરાશ તો વધતી જ જાય છે. એ વપરાશ ઓછી કરવાની તૈયારી કોની છે? જો પેટ્રોલ-ડીઝલ ઓછાં વપરાય તો જ આયાત ઘટે. એમ તો બને જ કેવી રીતે? સરકાર શું નિયંત્રણો મૂકે ખરી? ૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે અખાતી યુદ્ધ સમયે પેટ્રોલ પંપ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ ખુલ્લા રહે એવી વ્યવસ્થા કરી હતી. શું એવું અત્યારે થાય ખરું? પેટ્રોલ-ડીઝલનું રેશનિંગ થઇ શકે ખરું? જો એમ થાય તો બિચારા ‘વિકાસ’નું શું થાય? ખાનગી દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનો તો વધતાં જ જાય છે અને એ વિકાસ  છે એમ સમજવામાં આવે છે. એમ ના કરવું હોય તો જાહેર પરિવહનની વ્યવસ્થા ખૂબ જ સરસ અને સસ્તી કરવી પડે. એ માટે સરકારની અને લોકોની તૈયારી છે ખરી? લોકો જાહેર બસો અને રેલવેમાં મુસાફરી કરવા તૈયાર છે ખરા? સવારે કે સાંજે બગીચામાં આંટા મારવા માટે પણ વાહન લઈને જતા લોકો સાયકલ ચલાવવા તૈયાર છે ખરા?  જો એમ ના જ હોય તો તેલની આયાત વધશે અને રૂપિયો ગગડશે જ કારણ કે આયાતનું ખર્ચ વધતું જ જશે અને નિકાસ તેની પહોંચી વળતી તો છે જ નહિ.

સરકાર દેશના લોકોને બહાર ફરવા જતાં રોકે એ પણ એક ટૂંકા ગાળાનો ઉપાય છે. એક વર્ષ માટે સરકાર એમ નક્કી કરે કે કોઈને દેશની બહાર ફરવા જવા દેવામાં નહિ આવે. પ્રવાસનને લીધે કરોડો ડોલર દેશની બહાર જાય છે. એ આ રીતે જતા રોકી શકાય. લોકો સ્વૈચ્છિક રીતે પણ એમ જ નક્કી કરી શકે કે દેશમાં જ ફરીશું અને દેશની બહાર નહિ જઈએ. એને રાષ્ટ્રભક્તિ પણ કહેવાય. પણ શું લોકો કે સરકાર આવું કરે ખરાં?   

રૂપિયાનું મૂલ્ય ડોલરના સંદર્ભમાં સ્થિર કરીને પણ રૂપિયાનું અવમૂલ્યન વધુ થતું પણ અટકાવી શકાય. એટલે કે રિઝર્વ બેંક એમ નક્કી કરી નાખે કે એક ડોલર = ૭૦ રૂપિયે જ બધા વ્યવહારો થશે. આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવાય. એટલે કે વિનિમય બજારમાં માંગ અને પુરવઠાને આધારે વિનિમય દર નક્કી ના થાય પણ રિઝર્વ બેંકે નક્કી કરેલા દરે જ કામકાજ થાય. આ તો ભારે નિયંત્રણ કહેવાય. પણ ૧૯૯૭માં મલેશિયાના તે સમયના પ્રમુખ મહાતીર મહંમદે આમ જ કરેલું. ભારત સરકારમાં આવું કરવાની હિંમત જોઈએ, પછી ભલે ને દુનિયા પસ્તાળ પાડે. મહાતીર મહંમદ પર આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે બહુ માછલાં તે સમયે ધોયાં હતા. પણ તેઓ તો મક્કમ જ રહ્યા હતા. પછી બે વર્ષ પછી ભંડોળે સ્વીકાર્યું હતું કે મહાતીર  સાચા હતા! પણ ચોક્કસપણે કહી શકાય કે ભારત સરકારમાં એવી કોઈ હિંમત છે જ નહિ.

વિકલ્પઃ લાંબા ગાળાનો ઉપાય નિકાસલક્ષી વિકાસની પરિકલ્પનામાંથી બહાર આવવાનો છે. વિકલ્પ એ છે કે વિદેશ વ્યાપાર આધારિત આર્થિક વિકાસનું જે મોડેલ દેશમાં અપનાવવામાં આવ્યું છે તેને વિષે જ ફેરવિચારણા કરવી પડે. ભારતનો રૂપિયો ખરેખર તો વિનિમયના બજારમાં એક વેઠ મજૂર જેવો થઇ ગયો છે અને એમ જ થયા કરશે. નિકાસ કદી આયાત કરતાં વધે તેમ જ ન હોય અને એવો જ અનુભવ ભારતનો રહ્યો છે તો પછી ઉપાય એ છે કે આયાત અને નિકાસના ચક્કરમાંથી કેવી રીતે બહાર આવવું. શક્ય તેટલું ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય, સ્થાનિક સંસાધનો દ્વારા થાય અને સ્થાનિક સ્તરે જ વપરાશ થાય એવી આર્થિક વ્યવસ્થા વિકસાવવી પડે. આ તો મહાત્મા ગાંધીનું સ્વદેશી થયું. વૈશ્વિકીકરણના જમાનામાં આ વાત વાહિયાત જ લાગે અને સાવ જ બોગસ લાગે. ગાંધી પણ જરીપુરાણો લાગે. પણ એમ લાગે છે કે એ રસ્તે આજે નહિ તો કાલે ગયા વિના છૂટકો નથી.  

વ્યાપારથી જ વિકાસ થાય એવી જે ધારણા છે તે પણ કેટલી સાચી છે એને વિષે ચિંતન કરવાની જરૂર છે. જોહાન ગાલ્ટૂંગ નામના એક મોટા વિદ્વાન તો એમ જ કહે છે કે “વ્યાપાર અને વિકાસ એમ નહિ પણ વ્યાપાર અથવા વિકાસ” એવી પરિભાષા વાપરવી જોઈએ. કોણ વ્યાપાર કરે છે, શાનો વ્યાપાર થાય છે, શા માટે થાય છે, વ્યાપારથી કોને કેટલો લાભ થાય છે અને કઈ શરતોએ વ્યાપાર થાય છે એ વધારે મહત્ત્વનું છે. વ્યાપાર થાય એટલે ગરીબ દેશોનો અને ગરીબોનો વિકાસ થાય જ એવી જે ધારણા છે તેને નોબેલ ઇનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી જોસેફ સ્તિગ્લીત્ઝ સહિતના ઘણા અર્થશાસ્ત્રીઓ અત્યારે પડકારે છે. એટલે શક્ય તેટલાં વહેલાં ભારતે વ્યાપાર આધારિત વિકાસના મોડેલમાંથી બહાર નીકળી જવું પડે.

વિકાસના સ્થાનિક નમૂના જ ઊભા કરવા પડે. દરેકને માટે વિકાસનો એક જ રસ્તો હોય અને એ જ સાચો હોય એ તો એક ભ્રમ છે. રૂપિયાનું બેફામપણે થઇ રહેલું અવમૂલ્યન આપણને નવા રસ્તા વિષે વિચારવા માટેની તક પૂરી પાડે છે, એ આપણે ઝડપી લેવાની આવશ્યકતા છે.

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 06- 09

Loading

16 October 2018 admin
← મૌલાના પાંડોર
દેશમાં પ્રસિદ્ધ સંગીતકારો અનેક હતા અને છે, ગુરુમા એક જ હતાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved