Opinion Magazine
Number of visits: 9447574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના ન્યાયતંત્રનો એક્સ રે નહીં, એમ.આર.આઈ. કરવાની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 August 2020

જગતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું કોઈ ફારસ ભજવાયું હોય એવો એકેય પ્રસંગ યાદ નથી આવતો જેમાં દેશની સર્વોચ્ચ અદાલતના એક નહીં પણ ત્રણ ત્રણ ન્યાયમૂર્તિઓ ગુનેગારને કહેતા હોય કે; ‘ભાઈ ગુનેગાર, ગુના માટે માફી માગી લેને, અમારે તને સજા નથી કરવી.’ માત્ર કહેતા નથી, કાકલૂદી કરે છે અને સજા કરવાનું ટાળે છે. આરોપી ગુનાનો ઇનકાર કરે, અથવા  જજસાહેબ સમક્ષ ગુનો કર્યો હોવાનું કબૂલીને માફી માગે કે પછી હળવી સજા કરવામાં આવે એવી કાકલૂદી કરે એ તો અદાલતોમાં રાબેતાની ઘટના છે, પણ જજો ગુનેગાર સમક્ષ માફી મગાવવા માટે કાકલૂદી કરતા હોય એવું તો પહેલીવાર જોવા મળી રહ્યું છે. આખા જગત સમક્ષ ભારતની સર્વોચ્ચ અદાલત હાસ્યાસ્પદ સાબિત થઈ રહી છે.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે અહીં પ્રશાંત ભૂષણની વાત થઈ રહી છે અને તેમને અહીં ગુનેગાર તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પ્રશાંત ભૂષણ આરોપી નથી, ગુનેગાર છે. આ બેમાં બહુ મોટો ફરક છે. આરોપી એ હોય છે જેના ઉપર ગુનાના આરોપ કરવામાં આવ્યા હોય છે પણ ગુનો સાબિત થવાનો બાકી હોય છે. ગુનેગાર એ હોય છે જેના ઉપરના ગુનાના આરોપ સિદ્ધ થઈ ગયા હોય છે અને અદાલતે તેને ગુનો કરવા માટે તકસીરવાર ઠરાવ્યો હોય છે. ન્યાયતંત્રનો એક પાયાનો સિદ્ધાંત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ આરોપી ગુનેગાર સિદ્ધ ન થવો જોઈએ. માટે તો અદાલતની દેવીની આંખે પાટા બાંધેલા હોય છે કે જજે એ જોવાનું નથી કે આરોપી કોણ છે અને ફરિયાદી કોણ છે. તેણે તો માત્ર આરોપ અને પુરાવાઓ જોવાના હોય છે.

પ્રશાંત ભૂષણ સામેના કોર્ટની અવમાનના કરવાના કેસમાં ફરિયાદી અદાલત પોતે છે. સુ મોટો કેસ છે. અદાલતને એમ લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિઓ વિષે એલફેલ બોલીને ન્યાયતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોઈએ ફરિયાદ નહોતી કરી, અદાલતના જજોને પોતાને આમ લાગ્યું હતું અને અદાલતે પોતે ફરિયાદી બનીને પ્રશાંત ભૂષણને આરોપી બનાવ્યા હતા. દેખીતી રીતે ફરિયાદી જજસાહેબો, ખટલો ચલાવનારા જજસાહેબો, ખટલો સાંભળનારા જજસાહેબો અને એ પણ એક નહીં ત્રણ. હવે ન્યાયતંત્રના મૂળભૂત સિદ્ધાંત મુજબ સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષ આરોપીને ગુનેગાર ઠેરવીને સજા ન થવી જોઈએ એનું તો તેમણે ધ્યાન રાખ્યું જ હશે એમ આપણે માની લઈએ. એમાં આ તો પાછી દેશની સર્વોચ્ચ અદાલત છે અને તેના ત્રણ ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ છે. અત્યારના દિવસોમાં દેશની પ્રજા તેના પર મદાર રાખીને બેઠી છે.

અપેક્ષા મુજબ નીરક્ષીર વિવેક કર્યા પછી અદાલત એવા નિર્ણય ઉપર આવી હોવી જોઈએ કે પ્રશાંત ભૂષણે અદાલતની અને જજોની અવમાનના કરવાનો ગુનો કર્યો છે અને તેમને સજા થવી જોઈએ. આ બાજુ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે તેમણે દેશના એક જવાબદાર નાગરિક તરીકે અને સર્વોચ્ચ અદાલત નામના પવિત્ર ન્યાયમંદિરના એક અદના પૂજારી તરીકે ન્યાયમંદિરમાં નજરે પડતી ગંદકી તરફ ધ્યાન દોર્યું હતું. જો ધ્યાન દોરવું એ ગુનો હોય તો એ ગુનો મને કબૂલ છે અને તે વારંવાર કરવો પડે એવો ગુનો છે. ત્રણ જજો એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે પ્રશાંત ભૂષણ ન્યાયતંત્રના હિતમાં ગંદકી તરફ ધ્યાન દોરનારા પારકી છઠ્ઠીના જાગતલ નથી, પણ ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિઓની ઐસીતૈસી કરનારા ન્યાયના દુશ્મન એવા બેજવાબદાર નાગરિક છે. સમૂળગા ન્યાયતંત્ર માટે, અદાલતો માટે અને ન્યાયમૂર્તિઓ માટે તિરસ્કારનો ભાવ ધરાવનારો માણસ છે. ટૂંકમાં પ્રશાંત ભૂષણ અદાલતનું અપમાન કરનારા ગુનેગાર છે.

દેશની સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે પ્રશાંત ભૂષણે ગુનો કર્યો હોવાનો ચુકાદો આપ્યો જે પ્રશાંત ભૂષણે સ્વીકારી લીધો. હવે ગુનો કર્યો છે તો સજા તો થવી જ જોઈએ. બીજું, ઉપર કહ્યું એમ ખટલો સુ મોટો છે એટલે પ્રશાંત ભૂષણને આકરી સજા થવી જોઈએ, લાંબી મુદતની જેલની સજા થવી જોઈએ અથવા કેવી અને કેટલી સજા થવી જોઈએ એની માગણી કરનારું તો કોઈ જ નથી. કોઈ ફરિયાદી હોય તો સજાની જરૂરિયાત અને તેના સ્વરૂપના પક્ષમાં કોઈક પ્રકારની તાર્કિક દલીલ પણ કરે. ન્યાયમૂર્તિઓને, દેશની જનતાને અને આખા જગતને પ્રતીતિ કરાવે કે આવા આવા કારણે ગુનેગારને ગુનાની આટલી સજા થવી જોઈએ. અહીં ખટલો સુ મોટો છે એટલે એ કામ પણ જજોએ કરવું પડે એમ છે.

પ્રશાંત ભૂષણને ગુનેગાર તો ઠરાવી દીધા, પણ સજા કરતા સર્વોચ્ચ અદાલતના ત્રણ ત્રણ જજોને શરમ આવે છે. આરોપીને ગુનેગાર ઠરાવવામાં શરમ ન આવી તો સજા સંભળાવતા શરમ શા માટે આવે છે? ભાઈ, ગુનેગાર છે તો કરો સજા. જગત આખાનો ન્યાયતંત્રનો આ ક્રમ છે. જોઈએ તો પ્રતિકરૂપે હળવી સજા કરો, પણ સજા તો કરો! ગુનેગાર પણ કહે છે કે હા, કરો સજા અને જેટલી અને જેવી કરવી હોય એવી સજા કરો. તો પછી એવું શું છે કે જજો સજા સંભળાવતા થોથવાય છે? આ થોથવાટનાં કારણોની ચર્ચા હવે પછી કરીશું. ભારતના ન્યાયતંત્રનો એક્સ રે નહીં, એમ.આર.આઈ. કરવાની જરૂર છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2020

Loading

30 August 2020 admin
← પરિષદ-ચૂંટણી અને આચાર સંહિતા
પંડિત જશરાજ લય પામ્યા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved