Opinion Magazine
Number of visits: 9446827
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત અન્ન સ્વાવલંબી બન્યું તેનો શ્રેય ખેડૂતોને

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2021

૧૯૫૦ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના માટે તાકીદનો સંદેશ આવ્યો છે માટે તેઓ તેમનો કાર્યક્રમ ટૂંકાવીને ભારતીય એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને બને એટલી ત્વરાએ મળે. મુનશી વોશિંગ્ટન ખાતે વિજયાલક્ષ્મી પંડિતને મળ્યા ત્યારે તેમને સંદેશો આપવામાં આવ્યો કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમને કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવા માગે છે, એટલે તમારે તાત્કાલિક દિલ્હી જવાનું છે. મુનશીએ હરખને કારણે નહીં, પણ થોડા અપજશના અંદેશાથી ડરીને મલકાતા અવાજે કહ્યું કે, ‘મેડમ, આ એવી ખુરશી છે જેમાં બેસનારે પોતાની કબર પોતે જ ખોદવાની છે.’ વિજયાલક્ષ્મી પંડિતે જવાબમાં કહ્યું કે આ નિર્ણય નેહરુ, સરદાર પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો સહિયારો છે અને ત્રણેયને તમારી ક્ષમતા ઉપર ભરોસો છે, અને મને પણ છે.

શા માટે મુનશીએ દેશના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાની જવાબદારીને પોતાની કબર પોતે ખોદવા જેવી ગણાવી હતી? એનું પહેલું કારણ એ કે હજુ સાત વરસ પહેલાં બંગાળમાં ભૂખમરા(ગ્રેટ બેંગાલ ફેમીન)ની કારમી ઘટના બની હતી, જેમાં ૨૦થી ૨૫ લાખ માણસોનાં મોત થયાં હતાં. એ છતાં ય ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે પોતાની સાથે અને રાષ્ટ્રની સાથે સંકલ્પ કર્યો હતો કે હવે પછી ભૂખથી લોકોનાં સાગમટાં મોતની ઘટના ભારતમાં નહીં બને. વળી બંગાળનો ભૂખમરો એ ભૂખમરાની કોઈ પહેલી ઘટના નહોતી. ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો એ પછીથી આઝાદી મળી ત્યાં સુધીનાં ૧૯૦ વરસમાં ભારતમાં કમકમાં આવે એવી સાગમટે ભૂખમરાની ૧૨ મોટી ઘટનાઓ બની હતી, જેમાં પાંચેક કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ભૂખમરાની સ્થાનિક નાનીમોટી ઘટનાઓ અલગ.

અંગ્રેજી ભાષામાં બે શબ્દ વપરાય છે; એક શબ્દ છે drought અને બીજો શબ્દ છે Famine. આ બન્નેના અર્થ અને અર્થ કરતાં ય એની ગંભીરતા અલગ અલગ છે. આપણી ભાષામાં આ બન્ને સ્થિતિ વર્ણવવા માટે દુષ્કાળ કે દુકાળ અને હિન્દીમાં સુખા કે અકાલ શબ્દ વપરાય છે જેમાં ફેમીનની ભયાનકતાનો અંદાજ આવતો નથી. જે વાચકો સરકારનું દરેક વાતે સમર્થન કરે છે અને સ્વતંત્ર બુદ્ધિ વાપરવાનું કષ્ટ ઉઠાવતા નથી, તેમને માટે ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજાવવો પડે એમ છે. પ્રારંભમાં જ જણાવી દઉં કે સરકારે કરેલો કૃષિ કાયદો ભવિષ્યમાં ભારતમાં ફેમીનની સ્થિતિ પેદા કરી શકે એમ છે. તો પહેલાં ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજી લઈએ.

ક્યારેક કુદરત વિફરે અને વરસાદ ન પડે તો એવી સ્થિતિને ડ્રાઉટ (દુકાળ) તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપરાઉપર બે ચોમાસાં નિષ્ફળ જાય તો તેને કારમાં દુકાળ તરીકે ઓળખાવવામાં આવે છે. કારમા દુકાળમાં લોકોને મુશ્કેલી પડે છે, માલ-ઢોરનાં મૃત્યુ થાય છે અને ક્વચિત થોડાં લોકોનાં મૃત્યુ પણ થતાં હોય છે. છેલ્લાં પચાસ વરસમાં ભારતમાં દુકાળમાં લોકોનાં મૃત્યુ થયાં હોય એવું બનતું નથી. દુકાળમાં મોટા ભાગે સંબંધીત પ્રદેશ અને લોકો તેને પાર કરી જાય છે. ફેમીનમાં પાર ઉતરવું મુશ્કેલ પડે છે. બે ચોમાસાં નિષ્ફળ જાય એટલે લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય. આવું શા માટે બનતું હશે? એવું શું છે ફેમીનમાં કે પ્રજા બે નિષ્ફળ ચોમાસાંનો માર પણ સહન ન કરી શકે? સુજ્ઞ વાચકને વિનંતી છે કે આ ફરક સમજવાનો પ્રયાસ કરે.

જ્યારે કોઈ સરકાર કે શાસકો વર્ષો જૂના ખેતીવાડીના ઢાંચાને અચાનક એક ઝાટકે તોડી નાખે ત્યારે ગ્રામીણ પ્રજાનો ખેતી સાથેનો તાલમેળ સમૂળગો તૂટી જાય છે અને ફેમીન માટેની સ્થિતિ સર્જાય છે. પ્રજાને સમજાતું નથી કે કરવું શું અને જવું ક્યાં? જમીન સાથેનો એનો પ્રેમ ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે, કારણ કે ઢસરડો કરીને પણ પેટ ભરાતું નથી. આને પરિણામે ગ્રામીણ સમાજનો, કૃષિતંત્રનો અને કૃષિ વ્યવસાયનો ઢાંચો અંદરથી ખોખલો થવા લાગે છે. તેને પોતાને પોતાનું સ્વ-પોષણ મળતું બંધ થઈ જાય છે અને બહારથી થતાં શોષણનો શિકાર બનવા લાગે છે. દાયકા-બે દાયકામાં આ ઢાંચો એટલી હદે કમજોર થઈ જાય છે કે બે નિષ્ફળ ચોમાસાં પણ સહન થતાં નથી, અને લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. આનો અર્થ એ થયો કે ડ્રાઉટ શુદ્ધ કુદરતી આફત છે જ્યારે ફેમીન માનવે પેદા કરેલી ભયાનક આફત છે જે કુદરતની આફતને સહન કરી શકતી નથી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નજર નફા ઉપર હતી. ભારતની પ્રજા જીવે કે મરે તેનાથી તેને કોઈ ફરક પડતો નહોતો. વધુ કમાણી કરવા કંપનીએ વિઘોટી દાખલ કરી, પોતાને જે કાચા માલની જરૂરિયાત હતી એનું ફરજિયાત વાવેતર કરાવવાનું શરૂ કર્યું, ભાવ પાછો કંપની નક્કી કરે અને એ ઉપરાંત કારીગરો પાસેથી રોજગાર છીનવી લીધા કે જેથી ઇંગ્લેંડમાં બનેલો માલ ભારતની બજારમાં વેચી શકે. ટૂંકમાં ખેતી અને રોજગારી બન્ને પર કુઠારાઘાત કરીને ગ્રામીણ અર્થતંત્રનો તેમ જ સમાજજીવનનો ઢાંચો તોડી નાખ્યો. સમગ્ર ભારતની પ્રજા અને તેની ભૂમિ તેનાં સંસાધનો સહિત કંપની સરકારની ગુલામ હતાં, તેનાં તાબામાં હતાં. એ આઘાત ભારતીય ગ્રામીણ પ્રજા માટે મૂળસોતાં ઊખેડી નાખનારો હતો જેનું પરિણામ દાયકે દાયકે ફેમીન હતું.

૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં આવો અનુભવ ચીનની પ્રજાને થયો જ્યારે ચીની શાસકોએ ગ્રેટ લીફ ફોરવર્ડના નામે સેંકડો વર્ષ જૂના ચીની કૃષિ તેમ જ ગ્રામીણ ઢાંચાને તોડી નાખ્યો. એ ચાર વરસમાં ચીની શાસકોએ જંગલીની જેમ એવાં કદમ ઉઠાવ્યાં કે ગ્રામીણ ચીની સમાજ અને તેના અર્થતંત્રનું આખું પોત ઉતરડાઈ ગયું. ચીનના કોઈને કોઈ પ્રદેશ ફેમીનની ઘટનાઓ બનવા લાગી જેમાં એમ માનવામાં આવે છે કે દોઢથી પાંચ કરોડની સંખ્યામાં ચીની પ્રજાનાં મોત થયાં હતાં. ચીનમાં જ્યારે જુલ્મી શાસનનો અંત આવશે ત્યારે દુનિયાને જાણ થશે કે શાસકોની રાક્ષસીવૃત્તિ કેવી હોય છે.

આશ્ચર્યની વાત છે કે જે ચીનને હજુ ગઈ કાલ સુધી ગાળો આપવામાં આવતી હતી તેને અનુસરવામાં આવી રહ્યું છે. લોકોને વળી કહેવાનું શું હોય અને કહે તો સાંભળવાનું શું હોય!  બહોળી સંખ્યાથી અને તેના આક્રોશથી ડરી જઈએ તો કઠોર નિર્ણય ન લઈ શકાય અને જો નિર્ણય લેવામાં પાછા પડીએ તો વિકાસની દોડમાં પાછળ રહી જઈએ. જુઓ ચીન કેટલું આગળ નીકળી ગયું છે. આ યુગમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની પ્રણિત શોષણનાં મૂડીવાદી મોડેલ અને ચીનનાં શાસનના મોડેલ વચ્ચે યુગ્મ રચાતું જોવા મળી રહ્યું છે. પણ એને કારણે ભારત સહિત જગત આખું ફેમીનનું શિકાર બનશે તો? તો શું થયું, એને વિકાસની કિંમત તરીકે ઓળખાવવામાં આવશે. આમ પણ આ ધરતીના ગોળા પરથી એક-બે અબજ પ્રજાનો ભાર ઘટાડવો જરૂરી છે. એમાં હું તમે અને આપણાં સંતાનો પણ હોઈ શકે છે.

પણ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના નેતાઓએ જાત સાથે વાયદો કર્યો હતો કે ભૂખથી કોઈને મરવા નહીં દેવાય. જો આટલું પણ ન કરી શકીએ તો લાંછન છે. તેમણે જ્યારે આવો પવિત્ર વાયદો કર્યો ત્યારે તેમને ખબર હતી કે હજુ ચાર વરસ પહેલાં બંગાળમાં વીસથી પચીસ લાખ લોકો ભૂખથી મરી ગયા હતાં. જ્યારે કનૈયાલાલ મુનશીને ૧૯૫૦માં કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બનાવાયા ત્યારે તેમને જાણ હતી કે ભારત સરકારે અને ભારત દેશે જાત સાથે વાયદો કર્યો છે કે કોઈને ય ભૂખથી મરવા નહીં દેવાય. જે કોઈ કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બને તેને આ વાયદો પાળવાનો હતો. માટે કનૈયાલાલ મુનશીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હતા કે, ‘આ તો પોતાની કબર પોતે ખોદવા સમાન છે.’ મુનશીને અપજશનો નિષ્ફળતાનો ડર હતો.

પણ મુનશી નિષ્ફળ નહોતા નીવડ્યા. મુનશીના અનુગામી રફી અહમદ કીડવાઈ, પંજાબરાવ દેશમુખ, અજીત પ્રસાદ જૈનથી લઈને સી. સુબ્રમણ્યમ્‌ સુધીના કોઈ કૃષિ પ્રધાન નિષ્ફળ નહોતા નીવડ્યા. તેઓ બધા રાષ્ટ્ર સાથેના અને પોતાની જાત સાથેના સંકલ્પને પાળી શક્યા એનો શ્રેય તેમને બહુ ઓછો જાય છે, દેશના ખેડૂતોને વધુ જાય છે. ભારતના ખેડૂતોએ તેમને નિષ્ફળ નહોતા થવા દીધા. ભારત અન્ન સ્વાવલંબી થયું એનો લગભગ ૮૦ ટકા શ્રેય ભારતના ખેડૂતોને જાય છે. આ અભિપ્રાય મારો નથી, મુનશીથી લઈને સી. સુબ્રમણ્યમ્‌ સુધીના દરેક કૃષિ પ્રધાનોનો છે. અપવાદ વિના દરેકે ભારતના ખેડૂતોનો આભાર માન્યો છે.

આની વધુ ચર્ચા હવે પછી મારી રવિવારની કોલમ ‘નો નોનસેન્સ’માં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2021

Loading

4 February 2021 admin
← ‘બિહાર પછી દિલ્હી’
કોઈ પણ સત્તાને ખભો તો સામાન્ય માણસ જ આપતો હોય છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved