Opinion Magazine
Number of visits: 9653901
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2025

રમેશ ઓઝા

૧૯૯૮ના મે મહિનામાં ભારતે પોખરણ ખાતે બીજી વાર વિસ્ફોટ કરીને અણુચકાસણી કરી ત્યારે અમિત શાહે કંઈક ગુસ્સામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો કે ભારતે અણુવિસ્ફોટ કરીને મોટી ભૂલ કરી છે. હવે ક્યારે ય પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું નહીં બની શકે. કારણ? કારણ કે પાકિસ્તાને ભારતના જવાબમાં અણુવિસ્ફોટ કરીને દુનિયાને સત્તાવારપણે જણાવી દીધું હતું કે પાકિસ્તાન પણ અણુતાકાત ધરાવે છે અણુશસ્ત્રો ધરાવતા દેશોની ક્લબના દરવાજે ઉંબરે ઊભું છે. આ જ અમિત શાહે ૨૦૨૩ના ડિસેમ્બરમાં લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ૨૬ બેઠકો પાકિસ્તાનના કબજ હેઠળના કાશ્મીર માટે અનામત રાખવામાં આવી છે, કારણ કે એ ભૂમિ આપણી છે અને એક દિવસ આપણે તે મેળવીને રહીશું. 

૧૯૯૮માં અમિત શાહ અટલ બિહારી વાજપેયીને લખે છે કે અણુવિસ્ફોટ કરીને ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને છોડાવવાની તક કાયમ માટે ગુમાવી દીધી છે અને ૨૦૨૩માં કહે છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને તે મેળવીને રહેશે. વિધાનસભામાં ૨૬ બેઠકો તેની છે. ભારત બાકીનું કાશ્મીર મેળવીને જ રહેશે એવું તો એ પછી અમિત શાહ છેલ્લા એક વરસમાં ચાર-પાંચ વાર બોલ્યા છે. 

ક્યા અમિત શાહ સાચા? ૧૯૯૮માં હતાશા વ્યક્ત કરનારા કે પછી ૨૦૨૩થી અત્યાર સુધી હુંકાર કરનારા? શા માટે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને મુક્ત કરવા સુધી આગળ નહીં લઈ જવામાં આવ્યું? ઉન્માદ તો એવો હતો કે જ્યાં સુધી ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને નહીં છોડાવે ત્યાં સુધી નહીં અટકે. એની જગ્યાએ માત્ર ત્રણ દિવસમાં કહેવાતું યુદ્ધ શમી ગયું. ભારતના ઇતિહાસનું સૌથી ટૂંકુ અને અનિર્ણાયક યુદ્ધ. યુદ્ધવિરામની ઘોષણા પણ કોઈ ત્રીજો દેશ કરે એ તો વળી વિચિત્ર અને શરમજનક ઘટના હતી. કાઁગ્રેસે લાગ જોઇને ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની હેડલાઈન બતાવતું ક્લીપીંગ દુનિયાને બતાવ્યું હતું. ૧૯૭૧ના ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને યુનો અમેરિકા સહિત દુનિયાના દેશો ભારત પર યુદ્ધવિરામ માટે દબાણ કરતા હતા. ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્વદેશોની ભાવનાની વિરુદ્ધ જઈ રહ્યા છે અને ટસના મસ થતા નથી એમ અખબારની હેડલાઈન ચીસો પાડીને કહેતી હતી. 

એવો દેશ જે વિશ્વનું પાંચમાં ક્રમનું મોટું અર્થતંત્ર નહોતું. એવો દેશ જે ગરીબ હતો અને મોટા ભાગની પ્રજા અશિક્ષિત હતી. એવો દેશ જે હજુ બે-ત્રણ વરસ પહેલાં જ પી.એલ.-૪૮૦ હેઠળ મફતના અમેરિકન ઘઉં ખાવાથી મુક્ત થયો હતો. એવો દેશ જેની પાસે આજ જેટલી લશ્કરી તાકાત નહોતી. એવો દેશ જેના આઈ.આઈ.ટી. જેવી શિક્ષણ સંસ્થાઓએ પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સોએ વિશ્વના કોર્પોરેટ જગતમાં મહત્ત્વનું સ્થાન નહોતું બનાવ્યું. એવો દેશ જેના એન.આર.આઈ.ઝ(અનિવાસી ભારતીય)ની જગતમાં આજ જેવી કોઈ વગ નહોતી. એવો દેશ જેની પાસે અણુશક્તિ નહોતી. આ સિવાય યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં ભારતને ઘેરવા અમેરિકાએ તેનો સાતમો કાફલો બંગાળના અખાતમાં રવાના કર્યો હતો અને બંગાળના અખાતની નજીક પહોંચી પણ ગયો હતો. ચીન પાકિસ્તાનની પડખે હતું. આમ છતાં ઇન્દિરા ગાંધી ટસના મસ નહોતાં થતાં, અમેરિકા સહિતના વિશ્વદેશોના દબાવની ઐસીતૈસી કરતાં હતાં અને ત્યાં સુધી યુદ્ધવિરામ નહોતું કર્યું જ્યાં સુધી પાકિસ્તાનનાં બે ફાડિયા ન કરી નાખ્યાં. યુદ્ધવિરામ પણ ભારતે સામેથી પોતાની શરતે જાહેર કર્યું હતું. અમેરિકાએ કે બીજા કોઈ દેશે તેની જાહેરાત નહોતી કરી. 

કઈ તાકાત હતી એ? ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વની હતી કે પછી અણુશસ્ત્રોના ન હોવાની હતી જેના વિષે અમિત શાહે ૧૯૯૮માં નારાજગી વ્યક્ત કરી હતી. 

એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધીએ જે કુનેહ અને બુલંદ ઈરાદા સાથે નેતૃત્વ કર્યું હતું એ જોઇને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જનરલ અયુબ ખાન સામે પ્રજાનું અંદોલન, ૧૯૬૯ની સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબર રહેમાનના પક્ષ અવામી લીગને મળેલી બહુમતી, પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓની અવળચંડાઈ, પૂર્વ બંગાળમાં આંદોલન અને શેખ મુજીબુર રહેમાનની ધરપકડ વગેરે જોઇને ઇન્દિરા ગાંધીને સમજાઈ ગયું હતું કે હવે પાકિસ્તાનનું વિભાજન શક્ય છે. તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી. અને કેવા લોકો તેમની ટીમમાં હતા? પી.એન. હકસર, ટી.એન. કૌલ, ડી.પી. ધર, પી.એન. ધર, આર.એન. કાઓ વગેરે એકથી એક દંતકથારૂપ અધિકારીઓ તેમની ટીમમાં હતા. તેમણે જયપ્રકાશ નારાયણનો ભારતની તરફેણમાં મત બનાવવા માટે ઉપયોગ કર્યો હતો અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેતા હતા. જગત સમક્ષ રોકકળ કરવામાં તેમને શરમ નહોતી આવતી અને બહાદુરીની ખોટી અને કારણ વિનાની ડંફાશ તેઓ મારતાં નહોતાં. આત્મવિશ્વાસ ગજબનો હતો અને લઘુતાગ્રંથિ નામની નહોતી એટલે તેમનાથી સવાયાઓની સેવા લેવામાં સંકોચ નહોતો. આ સિવાય ધીરજ પણ ગજબની હતી. હતાં. ધીરજ વિચક્ષણ રાજપુરુષનો ગુણ છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો અત્યારે ઇન્દિરા ગાંધી હોત તો તેમણે યુદ્ધ કરતાં પહેલાં યુદ્ધ માટેની તક પાકવા દીધી હોત.

પણ એ સાથે એ વાતમાં પણ કોઈ શંકા નથી કે જો ૧૯૭૧માં પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું હોત તો ઇન્દિરા ગાંધીને અને ભારતને એવો નિર્ણાયક વિજય ન મળ્યો હોત જે ત્યારે મળ્યો હતો. અણુની સંહારકશક્તિ આપણી કલ્પનાની બહાર છે અને માણસ એક એવું પ્રાણી છે જેની માણસાઈ વિષે ખાતરીપૂર્વક કોઈ ન કહી શકે. સર્વોચ્ચ જવાબદારીવાળી જગ્યાએ ગાંડા અને વિકૃત માણસો પણ પહોંચી શકે છે એમ બર્ટ્રાન્ડ રસેલે તેમના ‘પાવર’ નામનાં પુસ્તકમાં લખ્યું છે. મરતા ક્યા નહીં કરતા એ તો તમે સાંભળ્યું હશે. 

તો વાતનો સાર એ કે અમિત શાહે ૧૯૯૮માં વાજપેયીને જે લખ્યું હતું એ વાતમાં દમ હતો. યુદ્ધમાં હાર-જીત થતી હતી એ દિવસો ગયા. તાકાતની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લડ્યા વિના કે હિંસા કર્યા વિના તમે બીજાને કેટલું નુકસાન પહોંચાડી શકો છો એના પર તાકત આંકી શકાય છે. ચીન આનો જીવતોજાગતો દાખલો છે. આમાં ફાયદો એ છે કે નુકસાન નહીં પહોંચડવા જેટલી ઉદારતા દાખવીને અને એ રીતે ઉપકાર કરીને પણ તમે બીજા સામે તાકાત બતાવી શકો છો. આ શક્તિ હથિયારમાં કે બાવડાંમાં નથી. 

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. પણ એ તાકાત દેશની અંદર પ્રજાકીય વિભાજન કરીને કે કોઈને અન્યાય કરીને ન વિકસી શકે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. ૧૯૪૭થી પાકિસ્તાનના શાસકોએ અને ઇસ્લામના ઠેકેદારોએ પાકિસ્તાનની પ્રજાને (મુસલમાનો સહિત) ઈસ્લામને ત્રાજવે તોળીતોળીને બરબાદ કરી નાખ્યું. આ ત્રાજવાત્રેવડ અપનાવવા જેવી નથી એમ પાકિસ્તાનનો ઇતિહાસ કહે છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

25 May 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—290
સાવરકર : ગુજરાત સરકારના →

Search by

Opinion

  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved