Opinion Magazine
Number of visits: 9451805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાર વિનાનું ભણતર કે સાર વિનાનું ભણતર…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2025

રવીન્દ્ર પારેખ

મોટે ઉપાડે જાહેરાત કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ પહોંચે તેમ નથી. જાહેરાતો કરવામાં તો કૈં જતું નથી, એટલે બણગાં ફૂંકાતાં રહે છે. તુક્કાઓ પર જ શિક્ષણ વિભાગના હુક્કાપાણી ચાલે છે, એટલે રોજ ફતવાઓ બહાર પડતા રહે છે ને ઘેટાંની જેમ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ, શિક્ષણ સમિતિઓ, સ્કૂલના આચાર્યો, શિક્ષકો સમજ્યા વગર આદેશોને ફોલો કરતાં રહે છે. આ લોકો ફોલો કરવામાં તો ઘેટાંને ય શરમાવે એવા છે. નવી શિક્ષણ નીતિ-2020 અમલમાં આવી, ત્યારે લાગતું હતું કે વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું દળદાર ફીટશે, પણ નીતિ નવી હોય ને દાનત જૂની (ખોરી) હોય તો નીતિ પણ, અનીતિ જ પુરવાર થાય છે.  

કોઈ નબળી ક્ષણે કોઈ અધિકારીને તુક્કો આવ્યો કે એગલેસની જેમ દર શનિવાર પ્રાથમિકનાં બાળકો માટે બેગલેસ કરીએ. તરત જ 1 જુલાઈ, 2025ને રોજ જી.સી.ઈ.આર.ટી. અને દૂરવર્તી શિક્ષણે ફરફરિયાં બહાર પાડી દીધાં કે હવેથી શનિવાર એટલે બેગલેસ ! આ દિવસ શરૂ કરવાનો ઉદ્દેશ એ પરિપત્રમાં દર્શાવાયો છે. તેની થોડી લાઇન જોઈએ, ‘.. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે – ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમ જ વ્યાવસાયિક શિક્ષણ – જે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NSF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે.’

ખરેખર તો બેગલેસ ડે એકમ કસોટીના વિકલ્પે આવ્યો છે. શનિવારે એકમ કસોટી લેવાતી હતી, તેને અટકાવીને ‘ભાર વિનાનું ભણતર’ ફરી કોઈ સાહેબના ભેજામાં ઘૂસ્યું ! આ વેપલો વર્ષો અગાઉ પણ થયેલો ને પરિણામ ‘પાર વિનાનાં ભણતર’માં આવેલું. હવે ફરી કોઈ સાહેબને તઘલખ થવાનું મન થતાં એકમ કસોટીનો ભોગ લેવાયો છે. હવે એકમ કસોટીનું ઠેકાણે પડે ત્યાં સુધી ‘બેગલેસ બેગલેસ’ ચાલશે. વળી કોઈને તઘલખ થવાનું મન થાય ને તેને લાગે કે એકમ કસોટી જ જરૂરી છે, તો બેગલેસનો ઉલાળિયો થઈ જાય એમ બને. જો થોડી પણ અક્કલ વાપરવાનું મન થાય તો એકમ કસોટી પર કાયમી ચોકડી મારવા જેવી છે. કોઈ તઘલખને લાગે કે શનિવારે જ બેગ ભરીને બાળકોએ આવવું ને બાકીના દિવસે બેગલેસ ! તો, તે ય શક્ય છે. આ તો રાજા, વાજા ને વાંદરા છે. કૈં કહેવાય નહીં !

બેગલેસનો હેતુ ખરેખર ઉમદા છે. બાળકો એક દિવસ પીઠને બોજ વગરની રાખે તે સારું જ છે. આ બધું સારું જ છે, પણ ખાટલે મોટી ખોડ અમલીકરણની છે. શિક્ષણખાતાને તો એમ જ છે કે પરિપત્રો બહાર પડે એટલે કામ થઈ ગયું. તુક્કા, પ્રચાર, વિચારની ચરબીથી શિક્ષણ વિભાગ પીડાય છે, પણ આચારમાં તો તે સૂકતાનથી પીડાય છે. અમલ તેના સ્વભાવમાં જ નથી. જે થાય છે, તેણે ‘થવું’ છે, એટલે થાય છે, એમાં શિક્ષણ વિભાગનો ફાળો નહિવત છે.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ શનિવારે દફતર વગર ચાલે અને બાળકો હસતાં રમતાં આવે કે શારીરિક માનસિક વ્યાયામમાં પ્રવૃત્ત થાય ને શનિવાર આનંદદાયી નીવડે એનાથી રૂડું કૈં નથી. વારુ, એનો અમલ જુલાઇના પહેલા જ વીકથી થાય એ પણ આવકાર્ય, કારણ ફાંફાં જ અમલના છે, એ સ્થિતિમાં 1 તારીખે પરિપત્ર બહાર પડે ને 4 તારીખથી જ અમલનો આદેશ અપાય એનાથી વધુ ઝડપી બીજું શું હોય, તો એમાં ટીકા કરવા જેવું કૈં છે? છે –

સવાલ એ છે કે 5મીએ પરિપત્રનો અમલ થયો ખરો? વાત એવી હતી કે 5 જુલાઈએ શનિવારે બેગ વગર આવીને બાળકોએ રમતગમત, સાંસ્કૃતિક, યોગની, ચિત્રની પ્રવૃત્તિઓ કરવાની હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ જ અમદાવાદમાં, ખાનગી, સરકારી સ્કૂલોમાં બાળકો દફતરનો બોજ ઉપાડતાં જ આવ્યાં. એનો અર્થ એ કે અમદાવાદની સ્કૂલોમાં પરિપત્ર પહોંચ્યો નથી. બાકી, ના પાડી હોય ને બાળકો દફતર લઈને દોડે એટલા સુંવાળા તો નથી જ ! ટૂંકમાં, પરિપત્ર સ્કૂલ સુધી પહોંચ્યો નથી ને અમલમાં અખાડાનો આ તાજો દાખલો છે.

વેલ, સુરતમાં બાળકો બેગ તો લાવ્યાં, પણ પુસ્તકોને બદલે તેમાં વોટર બોટલ અને ટિફિન હતાં. એ સાથે જ તેઓ ભણતરને બદલે વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત જણાયાં. શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં છે ને પરિપત્રનો અમલ નજીકના અમદાવાદમાં ન થતાં દૂરનાં સુરતમાં થયો એનું આશ્ચર્ય જ છે ! રાજકોટમાં પણ બેગલેસ ડે ઉજવાયો. બાળકો બેગ વગર આવ્યાં ને સેટરડેને જોયડેમાં ફેરવ્યો. તેમણે સ્કૂલમાં સંગીત, નૃત્ય, યોગ જેવી પ્રવૃત્તિ આનંદ અને ઉત્સાહથી કરી. વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 123 સ્કૂલોમાં બેગલેસની શરૂઆત થઈ હતી ને એકાદ સ્કૂલમાં તો AIનુ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

ભારે વજનની બેગ, બાળકોમાં કરોડરજ્જુની મુશ્કેલી ઊભી કરી શકે, એવામાં બાળકો અઠવાડિયે એક દિવસ બોજ વગર આવે તેવો સરકારનો નિર્ણય ચોક્કસ જ આવકાર્ય છે, પણ તેના અમલમાં જીવ રેડવો જોઈએ ને મુશ્કેલી જ ત્યાં છે. આમ તો સારી શરૂઆત થઈ, પણ તે લાંબી ટકે એ પણ જરૂરી છે. આપણે આરંભે છવાઈ તો જઈએ છીએ, પણ પછી ફોલોઅપના પ્રશ્નો રહે જ છે. સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ભરતીનો છે. 2017થી ચાલી આવતી શિક્ષકોની અછત બાબતે શિક્ષણ વિભાગ પૂરી ખંધાઈથી ઉદાસીન છે. બેગલેસ ડેની જાહેરાત થઈ તે સાથે જ શિક્ષણ સાથે સંકળાયેલા ભાવિક ભક્તો બહુ મોટું કામ થયું હોય તેમ ડાકલાં વગાડતા હતા, ત્યારે તેમને એ વિચાર આવતો ન હતો કે ઓછા શિક્ષકોથી બાળકોને ભણતર વગર પ્રવૃત્ત કઈ રીતે રાખી શકાય? ઈતર પ્રવૃત્તિ માટે પણ સાધન-સામગ્રી તો જોઇએને ! તે કેવી રીતે શક્ય બનશે એ અંગે પણ ફોડ પાડીને શિક્ષણ વિભાગે વાત કરી નથી.

આજે પણ 40,000 હજાર શિક્ષકોની અછતથી સરકાર ચલાવે છે, તેમાં પણ બેગ વગરનાં શનિવારને જોગવવા વ્યાયામ, સંગીત, ચિત્ર શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. સાચું તો એ છે કે છેલ્લાં પંદર વર્ષથી વ્યાયામ, સંગીત, ચિત્રના શિક્ષકોની ભરતી જ થઈ નથી. આ શિક્ષકો હોય જ નહીં, તો વ્યાયામ, સંગીત, ચિત્ર શીખવવાનું શું? તે વગર શિક્ષકે શીખવી શકાશે એવું સરકારને કઈ રીતે લાગે છે? જો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. કમિટી રચાતી રહે છે, પણ નિમણૂકોનું ઠેકાણે પડતું નથી. 15 વર્ષથી નિમણૂક થઈ નથી, એવું દુનિયા જાણે છે, પણ નિમણૂકને બદલે સમિતિ રચાય છે. કમિટી શું કરશે? તો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેના નિયમો કે પગાર વગેરે નક્કી કરશે. તે અગાઉ ભરતી થઈ જ નથી, વ્યાયામ શિક્ષકોની? તેના નિયમો અગાઉ ન હતા કે બધું નવે નામે કરવું પડે? આ બધું રાતોરાત થવાનું નથી, એટલે જેની તાત્કાલિક જરૂર છે તે નિમણૂકો થતાં બીજો કેટલો સમય ખવાશે તે નક્કી નથી. વળી આ કમિટી માત્ર વ્યાયામ શિક્ષકો માટે જ છે. તે પણ એટલે રચાઈ કે આંદોલન થયેલું. એમ તો ચિત્ર-સંગીત શિક્ષકોની નિમણૂક પણ બાકી છે, તો નોકરી તો ઠીક, કમિટી રચાવવા, તેમણે પણ આંદોલન કરવું પડશે? કારણ, આંદોલન વગર કામ થતાં નથી તે સરકાર સિવાય બધાં જાણે છે.

ખરી ભવાઇ ચાલે છે !

બાળકોને વ્યાયામ  કરાવવાનો છે, પણ સરકાર જાણે છે કે 6,921 પ્રાથમિક શાળાઓને મેદાન જ નથી? મેદાન પર માટી વાળો, પણ આખી સ્કૂલો પણ કેટલી? ખંડેર જેવી હાલતમાં જોખમો વચ્ચે કેટલી ય સ્કૂલો ચાલે છે. એક જ વર્ગમાં એકથી વધુ ધોરણ ભણાવાતાં હોય કે કેટલી ય સ્કૂલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય, ત્યાં વ્યાયામ માટે અલગ મેદાનનું તો સપનું ય પડે એમ નથી. આ પરિસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓ વ્યાયામ ક્યાં કરશે એનો જવાબ સરકાર આપી શકે એમ છે? શિક્ષકોની હાજરી વગર પણ શિક્ષણ થાય એવો પ્રયોગ ગુજરાતમાં જ શક્ય છે. અન્ય દેશ કે રાજ્યોમાં આવું હોય તો ભડકો થયા વગર ન રહે. પ્રવેશોત્સવ દ્વારા રાજકારણીઓની આરતી ઉતરાવાય છે, તેને બદલે શિક્ષકોનો પ્રવેશોત્સવ ઉજવાય તો દા’ડો વળશે, બાકી, આવી હાલતમાં બેગલેસ ડે ચમત્કાર વગર સફળ થાય એ વાતમાં માલ નથી.

હકીકત એ છે કે બાળકો બેગ લઈને આવે એ દિવસોમાં પણ હાલત બેગલેસથી બહુ સારી હોતી નથી, કારણ પુસ્તકો તો હોય છે, પણ તેને ભણાવનારા શિક્ષકો હોતા નથી. હોય તો તે ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રખાતા હોય છે. એટલે ભરેલી બેગે પણ હાલત તો ખાલી બેગ જેવી જ હોય છે ને વધારામાં બેગનું ભારે વજન ઉપાડીને ઘરે ઢસડાવાનું તે નફામાં !

કોઈ પણ બાબત લાગુ કરતી વખતે તેનો ગંભીરતાથી અભ્યાસ કરવાનું કે જે તે સ્થિતિમાં તેનો અમલ કરાવવાનું કે તેનાં સંભવિત પરિણામો અંગે આગોતરું વિચારવાનું શિક્ષણ વિભાગના લોહીમાં જ નથી. એ તો પડશે તેવા દેવાશે – એ રીતે ચાલે છે ને એનો ભોગ નિર્દોષ બાળકો બને છે.

એટલું સમજી લઈએ કે બાળકો, શિક્ષણ વિભાગના અખતરાઓ કરવાની પ્રયોગશાળા નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2025

Loading

7 July 2025 Vipool Kalyani
← દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગીના પ્રશ્નમાં અધ્યાત્મ અને રાજકારણ વચ્ચે રસાકસી
‘ભૂખ્યો ખડક’ નામ કેમ પડ્યું? →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved