Opinion Magazine
Number of visits: 9446512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેટી નહીં, બેટી જૈસી “સુજાતા”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 March 2023

રાજ ગોસ્વામી

મહાત્મા ગાંધીની ગમતી ફિલ્મ કઈ હતી એવું કોઈ પૂછે તો “રામ રાજ્ય”નું નામ ઘણાને યાદ આવે. મૂળ પાલિતાણાના બ્રાહ્મણ પરિવારના વિજય ભટ્ટે 1943માં બનાવેલી આ ફિલ્મનો એક ખાસ શો મહાત્મા માટે મુંબઈના જુહુમાં યોજાયો હતો. પણ તમને કોઈ એવું પૂછે કે પંડિત જવાહરલાલ નહેરુની ફેવરીટ ફિલ્મ કઈ હતી, તો ઝટ કોઈ નામ જીભે ન ચઢે. નહેરુ આધુનિક મોજશોખ કરવાવાળા હતા તે સાચું, પણ તે ફિલ્મોના શોખીન હોય તેવું બહુ ધ્યાનમાં નથી આવ્યું. એક ફિલ્મ તેમાં અપવાદ છે; બિમલ રોયની 1959માં આવેલી “સુજાતા.”

આંતરજ્ઞાતિય લગ્ન પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતી અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. “સુજાતા”ને ફ્રાન્સમાં યોજાતા આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પંડિત નહેરુએ આ ફિલ્મ જોઈ હતી, અને તેઓ એટલા પ્રભાવિત થાય હતા કે 28 જૂન 1959ના રોજ, બિમલ રોયને લખેલા એક પત્રમાં કહ્યું હતું;

“ફિલ્મની ફોટોગ્રાફી અને વાર્તા સરસ છે. ફિલ્મો ઉપદેશ આપવા લાગે તો બોરિંગ બની જવાનું જોખમ હોય છે. મેં જોયું કે ‘સુજાતા’માં એ ભૂલ ટાળવામાં આવી છે, અને એક મહત્ત્વના સામાજિક વિષયને અત્યંત સંયમિત રીતે છેડવામાં આવ્યો છે.”

દો બીઘા જમીન, પરિણીતા, બિરાજ બહુ, દેવદાસ, મધુમતી, પરખ અને બંદિની જેવી ક્લાસિક ફિલ્મો આપનારા યથાર્થવાદી ફિલ્મ સર્જક બંગાળી બાબૂ બિમલ રોયની યશસ્વી કારકિર્દીમાં “સુજાતા” એક સીમાચિન્હ સમાન છે. ભારતની આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે તેની સમાંતર સામાજિક સુધારની પણ લડાઈ ચાલુ હતી, કારણ તે વખતના સામાજિક-રાજકીય આગેવાનોએ એ સમજાયું હતું કે ભારતીયોની ગુલામીનું એક કારણ તેમનું પછાતપણું, નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને નાત-જાતના ભેદભાવ પણ છે. એટલે સમાજમાં આધુનિક વિચારો અને જીવનશૈલી પ્રચલિત થાય તે માટે પણ જાગૃતિનું કામ થતું હતું. 

તે વખતના ફિલ્મ સર્જકોએ પણ તેમની ઘણી હિન્દી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ વણી લીધા હતા. ખાસ કરીને બંગાળમાં સુધારાવાદી ચળવળ બહુ તીવ્ર હતી, એટલે ત્યાંના સાહિત્ય-સિનેમામાં તેની ઝલક બહુ જોવા મળતી હતી. સુબોધ ઘોષ નામના એક બંગાળી લેખક અને પત્રકારે “સુજાતા” નામની નવલકથા લખી હતી, જે બિમલ રોયની ફિલ્મનો આધાર બની હતી (ઘોષની જ “જાતુ ગૃહ” વાર્તા પરથી ગુલઝારે  “ઇજાજત” બનાવી હતી).

“સુજાતા” એ અર્થમાં માથે ચઢાવવા જેવી ફિલ્મ છે. ઉપર-ઉપરથી તો તે એક પ્રેમ કહાની હતી, પરંતુ એ લોલીપોપમાં બિમલા’દાએ ઊંચ-નીચના ભેદનો કડવો ઘૂંટ પીવડાવ્યો હતો, જે તત્કાલીન સમાજની એક વરવી વાસ્તવિકતા હતી, અને આજે ય છે. એ કારણથી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. તેની વાર્તા કંઈક આવી હતી.

એક બ્રાહ્મણ યુગલ, ઉપેન્દ્ર ચૌધરી અને ચારુ (તરુણ બોઝ અને સુલોચના લતકર), મહામારીમાં અવસાન પામેલી તેમની કામવાળીની દીકરીને ઉછેરે છે અને તેને સુજાતા (નૂતન) આપે છે. ઉપેનને સુજાતા દીકરી જેવી લાગે છે, પણ ચારુ અને તેની ફોઈ (લલિતા પવાર) તેને અછૂત ગણીને છેટી રાખે છે. ફિલ્મનો પહેલો એક કલાક એ સ્થાપિત કરવામાં જાય છે કે સુજાતા “બેટી જેવી છે” પણ “બેટી” નથી, કારણ કે તે “નીચી જાતિ”ની છે. ચારુનો એક સંવાદ પણ છે, “વો હમારી બેટી નહીં, હમારી બેટી જૈસી હૈ.”

ફોઈનો દીકરો અધીર (સુનીલ દત્ત) સુજાતાના પ્રેમમાં પડે છે, પણ ફોઈની ઈચ્છા ચારુની અસલી દીકરી રમા (શશીકલા) સાથે તેનાં લગ્ન કરાવવાની છે. એક દિવસ ચારુ અને ફોઈ વચ્ચેની વાત સુજાતાના કાને પડે છે અને તેને ખબર પડે છે કે તે અછૂત છે. આ હકીકતને સ્વીકારીને તે અધીરને દૂર રાખવાની કોશિશ કરે છે, પરંતુ અધીર શહેરમાં ભણેલો-ગણેલો આધુનિક વિચારોનો માણસ છે. તે આવા ઊંચ-નીચના રિવાજોમાં માનતો નથી. 

એક દિવસ ચારુને અકસ્માત થાય છે અને તેને લોહીની જરૂર પડે છે. એવું લોહી માત્ર સુજાતા જ આપી શકે તેમ છે. સુજાતાની એ ઉદારતા જોઈને ચારુના દિલમાં પરિવર્તન આવે છે અને હવે તે સુજાતાને દીકરીની જેમ પ્રેમ કરવા લાગે છે. છેલ્લે ફોઈ પણ અધીર અને સુજાતાનો સંબંધ સ્વીકારી લે છે. 

પચાસના દાયકામાં જ્યારે ભારતીય સમાજમાં છુઆછૂતનું ચલણ ખૂબ હતું, ત્યારે બિમલ રોયે એક એવી સંયમી ફિલ્મ બનાવી હતી, જેમાં ન તો કોઈ ઉપદેશ આપવાની ભાવના હતી, ન તો લોકોને ઉશ્કેરવાનો આક્રોશ કે ન તો સહાનુભૂતિ મેળવવા માટેની રડારોડ. તેમણે તત્કાલીન સમાજની એક ક્રૂર વ્યવસ્થા અંગે કોઈ જજમેન્ટ પસાર કર્યા વગર, દરેક પાત્રની સંવેદનાને ધ્યાનમાં રાખીને હળવા હલેસે એક ગોદો માર્યો હતો. નહેરુને ફિલ્મની આ જ વાત પસંદ પડી હતી. 

છુઆછૂત સામે સૌથી વધુ જાગૃતિનું કામ મહાત્મા ગાંધી અને ડો. આંબેડકરે કર્યું હતું. ફિલ્મમાં એક દૃશ્યમાં ગાંધીજીનો પરોક્ષ સંદર્ભ પણ છે. અછૂત હોવાના અપમાનમાંથી છૂટવા માટે સુજાતા આત્મહત્યા કરવા માટે વરસતા વરસાદમાં નીકળી પડે છે, પણ તે ગાંધી ઘાટ પર પહોંચી જાય છે, જ્યાં મહાત્માની પ્રતિમા નીચે લખેલું હોય છે, “મરે કૈસે? આત્મહત્યા કરકે? કભી નહીં! આવશ્યકતા તો હો તો ઝિંદા રહને કે લિયે મરે.” એ વાંચીને સુજાતાનો ઉશ્કેરાટ શાંત થઇ જાય છે. 

આપણે કોરોના કાળમાં જોયું હતું કે ચેપી રોગમાં કેવી રીતે જાતિભેદ ઉભરીને બહાર આવે છે. બિમલ રોયે પચાસ વર્ષ પહેલાંના એ ભારતીય સમાજની વાત આ ફિલ્મમાં કરી હતી, જેમાં કોલેરા જેવો રોગ એક ચોક્કસ વર્ગમાં જ ફેલાય છે. એક દૃશ્યમાં ગામનો પંડિત અમુક લોકોને અડવાની ના પાડતાં “વૈજ્ઞાનિક કારણ” આપે છે કે એવા લોકો નશીલો ગેસ છોડે છે!

ફિલ્મની વિશેષતા નૂતન હતી, જેને સુજાતાના પાત્ર માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો (બિમલ રોયને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ મળ્યો હતો). નૂતન હિન્દી સિનેમાની એ અભિનેત્રીઓમાંથી એક છે જેને “નેચરલ એકટર” કહેવાય છે. એ કોઇ પણ ભૂમિકામાં એટલી સહજ રીતે ઓતપ્રોત થઇ જતી કે એવું લાગે કે નૂતન ખુદ આવી જ હશે. “સુજાતા”માં એક કાળી અને અછૂત છોકરીનો તેનો અભિનય જોઇને લાગે કે જાણે નૂતન અસલમાં સામાજિક અન્યાયનો ભોગ બની હશે.

ફિલ્મનું અન્ય સશક્ત પાસું હતું તેનું સંગીત. મજરૂહ સુલતાનપૂરીના બોલ અને એસ.ડી. બર્મને સંગીતે તેમાં જાદુ ઊભો કર્યો હતો. કુલ સાત ગીતો હતાં અને પાંચ એટલાં સદાબહાર હતાં કે આજે ય લોકપ્રિય છે; સુનો મેરે બંધૂ રે, જલતે હૈ જિસકે લિયે, કાલી ઘટા છાયે મોરા જીયા તરસાયે, તુમ જીઓ હજારો સાલ અને બચપન કે ભી ક્યા દિન થે

1995માં નૂતને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા બંદિની અને સુજાતા હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વના એવાં અજાણ્યાં પાસાંઓને એટલી તાકાતવર રીતે બતાવ્યાં હતાં, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 01 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 March 2023 Vipool Kalyani
← પ્રેમભંગ પામેલા મિત્રને રિલ્કેનો એક પત્ર (2) 
ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved