Opinion Magazine
Number of visits: 9449462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|10 January 2020

(આ અગાઉના અંશ ૧-થી હવે આગળ …)

‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-ના પ્રારમ્ભમાં જ પારગામી વાસ્તવિકતાના ખયાલનો અસ્વીકાર કરીને એ મુદ્દે સાર્ત્રે નિત્શેનો ઋણસ્વીકાર કર્યો છે. સમજાય એવું છે કે મનુષ્ય સામે પ્રગટતા રહેતા આવિષ્કારો વાસ્તવિકતા સરજે છે, વાસ્તવને ઘડે છે. એ આવિષ્કારોને જૂઠા પાડી શકે એવું કોઈ સત છે નહીં. હોય તો પણ એને આપણે જાણી શકતા નથી. એનો અર્થ એ કે આવિષ્કારોનો અનુભવ જ આપણી વાસ્તવિકતા છે. આપણે મનુષ્યો એ જાણવાને સમર્થ છીએ કે વિશ્વને વિશેના આપણા અંગત અને આપ-લક્ષી અનુભવો જ સત્ય છે. સત અને ન-સતનો તેમ જ સત્ય અને મિથ્યાનો વિવેક કરનારું કોઈ હોય તો તે માત્ર આપણે જ છીએ.

સાર્ત્ર-દર્શનમાં ‘બીઇન્ગ-ઇન-ઇટસેલ્ફ’ અને ‘બીઇન્ગ ફૉર-ઇટસેલ્ફ’ ચાવીરૂપ વિભાવનાઓ છે. સરળતા ખાતર ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’-ને કહી શકાય, ‘વસ્તુ’ કે ‘object’ એટલે કે ‘તે’. અને બીઈન્ગ-ફૉર-ઇટસેલ્ફને કહી શકાય, ‘આત્મ’ કે ‘subject’ એટલે કે ‘હું’. સમજાય એવું છે કે એક તરફ ‘હું’ છે અને એની સામે ‘વસ્તુઓ’નો આખો સંસાર છે. ‘વસ્તુ’ની આપણે વ્યાખ્યા કરી શકીએ છીએ. જેમ કે ટેબલ લાકડાનું છે, એને ચાર પગ છે, એનો રંગ લીલો છે, એ ઊંચું નથી, એ વજનમાં ભારે છે. પરન્તુ, ‘હું’ની વ્યાખ્યા ચેતનાથી જ થઈ શકે છે. કહો કે, ‘હું’-ને આપણે ભૌતિક – સ્થૂળ – અને જેનો કશો સાર પકડી શકાય નહીં એવાં લક્ષણોમાં જ વર્ણવી શકીએ છીએ.

આ બન્ને વિભાવનાઓ અમુક હદે એકબીજામાં ભળતી રહે છે. એ રીતે કે ‘હું’ પણ થોડુંક ભૌતિક છે. એ પણ ’વસ્તુ’ને હોય એવાં કેટલાંક લક્ષણો ધરાવે છે. એ જ રીતે, કેટલીક વાર ‘વસ્તુ’ને પણ આપણે ‘હું’-સમ ગણી લેવાની ભૂલ કરી બેસીએ છીએ – નુક્સાનકારક ભૂલ …

સરળતા ખાતર હું આ લેખમાં, ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’ માટે ‘વસ્તુ’ અને ‘બીઇન્ગ-ફૉર-ઇટસેલ્ફ માટે ‘હું’ સંજ્ઞા પ્રયોજીશ.

મને એવો પ્રશ્ન થાય છે કે હું લેખક તે શું પેલા પર્વત જેવો ખરો? ના. પર્વત તો ‘વસ્તુ’ છે, કહો કે પર્વત જ છે. લેખક તરીકે હું લેખક ખરો પણ રોજ સવારે કશા અજ્ઞાત ભવિષ્યમાં ઝંપલાવું છું, કશુંક પામું છું, તેને લખું છું, અને તે પછી જ લેખક બનું છું. સાર્ત્ર આ સત્યને ઘૂંટે છે. કહે છે કે ‘હું’-ને ત્યારે જ અર્થ લાધે છે જ્યારે એ કશા અણજાણ ભવિષ્યમાં પ્હૉંચી જાય છે. સાર્ત્ર એમ કહેવા માગે છે કે ‘હું’ જાણે ધાડ પાડે છે – કાયમની એની એ જ રીતેભાતે …

વાત એમ છે કે માણસ પાસે જાતની ઓળખ અને જીવનકાર્યો માટે કેટલાક ગુણ, કેટલુંક સત્ત્વ, હોય એ જરૂરી છે. આમ તો, આ સત્ત્વતરફી વિચાર, આવશ્યકતાવાદ – ઇસેન્શ્યાલિઝમ – પ્લેટો જેટલો પુરાણો છે. પણ સત્ત્વ માટે, ગુણો માટે, માણસ ગમે એટલું મથે, સફળ નથી થતો. પોતાના ભૂતકાળને ફંફોસે, ભૂતકાળના અર્થ કરે, ભવિષ્યને તાકે, કલ્પે, એમ ઘણું કરી શકે. કેમ કે એવી અનેક પસંદગીઓ કરવાની એની ગુંજાઈશ છે. પણ તેથી શું? એ ગુંજાઈશને શું કરવાની? સાર્ત્ર સમજાવે છે કે વ્યક્તિ ગમે એટલી શારીર હોય, દાખલા તરીકે, પાંચ ફીટ પાંચ ઇન્ચ હોય, તો પણ એ વ્યક્તિ એને નથી કશો અર્થ આપી શકતી કે નથી એમાંથી કશો અર્થ કાઢી શકતી. સત્ય એ છે કે માણસ અસ્તિત્વ છે, સત્ત્વ નથી.

આ વિરોધાભાસ પણ જબરો છે : ‘હું’ ‘વસ્તુ’-માં એક થવા ઇચ્છે, પણ ત્યારે એ પોતાની આત્મ-તા વસ્તુ-તા પર થોપે છે. ‘હું’ ચેતના છે, તેમ છતાં, પોતાને જ પ્રશ્નરૂપ લેખે છે. પરિણામે, ‘હું’ અને ‘વસ્તુ’ વચ્ચેની કટ્ટર તિરાડ દૃઢ થાય છે. સાર્ત્ર સ્પષ્ટ કરે છે કે એક સભાન સત તરીકે ‘હું’ પોતે જે નથી તેને સ્વીકારી લે છે – મતલબ, જે નથી તેને વિશેની સભાનતા દ્વારા ‘હું’ પોતે જ જે નથી તે બની રહે છે. એટલે કે, એને તમે વિશ્વથી સમ્પૂર્ણપણે મુક્ત એવી એક શૂન્યતા કહી શકો કે એક કૅન્વાસ કે જેની પર એ પોતાના સતને આલેખવાનું હોય. સાર્ત્ર એવા સાર પર જઈ પ્હૉંચે છે કે ‘હું’ એવું સત છે જેના દ્વારા વિશ્વમાં અભાવ અને શૂન્યતા પ્રવેશે છે; છેવટે, ‘હું’ પોતે જ એક અભાવ બની રહે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે ‘હું’ અને ‘વસ્તુ’-નું અસંભાવ્ય સંશ્લેષણ હંમેશાં ગેરહાજર રહે છે …

'સત'ને ભારતીય પરમ્પરા અનુસાર, કશીપણ હસ્તીનો, કશાપણ અસ્તિત્વનો, શુદ્ધતમ અર્ક કહી શકાય. પણ સાર્ત્ર એમ જણાવે છે કે મનુષ્ય કદી જાણી શકશે નહીં કે સત ખરેખર છે કે કેમ. એ માટે એણે તે વસ્તુ બનવું જોઈશે. જેમ કે, ખડકને જાણવા ખડક બનવું પડે. તેમ છતાં, ‘હું’ જે નથી તે વડે વિશ્વને જોઈ શકે છે. એ પ્રકારે, ‘હું’ સાવ મુક્ત છે બલકે કલ્પનાશક્તિ પણ ધરાવે છે. સુવિદિત છે કે નિતાન્ત સૌન્દર્યને નથી પામી શકાતું તેમ છતાં એની ગેરહાજરી દ્વારા તેને જાણી શકાય છે – જેવી રીતે પ્રિયજન છોડી ગયું હોય છે તેથી ખાલીપો જન્મે છે, પણ એ ખાલીપા વડે જ તેને જાણી શકાય છે.

સાર્ત્રના દર્શનમાં બીજું કેન્દ્ર એ છે કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓ, લૅણાદેણી કે આદાનપ્રદાનને ધારણ કરે છે. એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય. સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણામાં વસતા બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ. સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત…

સાર્ત્ર કહે છે કે ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ. જ્યાં લગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાંલગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઇએ, ત્યાંલગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી. અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે. તમે કોઈને મકાન બાંધતાં જુઓ ત્યારે તમે એને કડિયા કે બાંધકામદાર નામની વસ્તુ તરીકે જુઓ છો. મેં કોઈવાર કોઈ સભામાં કહેલું કે બસ-કન્ડક્ટરને એને અપાયેલા ૩૪૫ નમ્બરથી બોલાવાય છે, નહીં કે પશાભાઈ તરીકે !

સાર્ત્ર જણાવે છે કે આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. આમ અન્યની નજર આપણી મૂળેરી સ્વતન્ત્રતાને તેમ જ આપણસમગ્રને લૂંટી લે છે. પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે. પોતાની શૂન્યતાથી ભાગી છૂટવા એ ‘વસ્તુ’-ને ગળી જવા મથે છે. દુનિયાદારીની રીતે કહેવું હોય તો એટલે લગી કહેવું જોઈએ કે એ એને ‘વાપરે’ છે. તેમછતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

સાર્ત્રનું કહેવાનું એમ થાય છે કે હું એક શૂન્યતા છું, અભાવ છું, અન્યો વડે નિર્માનવીકરણ પામેલો છું, ને વળી, મારા પોતાથી પણ છેતરાયેલો છું. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે હું મુક્ત છું, હું પારદર્શક છું, હું ચેતના છું ને હું વિશ્વને ઘડું કરું છું ! આમ એમનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્ય જીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

સાર્ત્રના કહેવાનો સાર જ એ છે કે ભેદો અને વિવિધતાની ગેરહાજરી જ કદાચ સતની અન્તર્ગત રહેલું મોટામાં મોટું લક્ષણ છે. સત અસ્તિત્વની સમ્પૂર્ણતા છે. તેથી ચેતના તો જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હંમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હંમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

બીજું ચિત્ર અસ્તિત્વવાદી મનોવિશ્લેષણનું ઠઠ્ઠાચિત્ર છે : જુઓ તો, મનોવિશ્લેષકભઈલો, સાર્ત્રનું મનોવિશ્લેષણ કરી રહ્યો છે !

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે, સતનું ન હોવું છે. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે…

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ : હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે. સાર્ત્ર હાઈડેગરની જેમ અધ્યાત્મવિદ્યા કેટલી તો હાનિકારક છે વગેરે પંચાતમાં નથી પડતા. કાન્ટની માફક માત્ર નૉંધ કરે છે કે અધ્યાત્મવિદ્યા જેના આપણે ઉત્તરો ન આપી શકીએ એવા પ્રશ્નો ખડા કરે છે. સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

જેની આપણે વાત માંડી છે એ ‘હું’ અને ‘વસ્તુ’ સતની જ બે ભિન્ન કોટિઓ છે. સાર્ત્ર ત્યાંથી શરૂ કરે છે અને એમ સૂચવે છે કે એક ચેતન છે, એક જડ છે. પણ પાછળથી એમણે ‘pour-autrui – એટલે કે ‘ફૉર-અધર્સ’ શીર્ષકથી એક ત્રીજી કોટિ પણ ઉમેરી છે. જીવનને સંયોજનારા મૂળભૂત પ્રોજેક્ટને સ્પષ્ટ કરતાં આપણાં કર્મોને એમણે ‘અસ્તિત્વવાદી મનોવિશ્લેષણ’-થી સમજાવવાનો આગવો પ્રયાસ કરેલો છે. એ જુદી વાત કોઈ બીજા સંદર્ભે કરીશ.

આ ‘હું’ અને ‘વસ્તુ’-ની આપણે ભેળસેળ કરી દેતા હોઈએ છીએ. એને કારણે જીવનમાં સંદિગ્ધતાઓ, ગૂંચવાડા, જન્મે છે. મેં જણાવ્યું એમ ‘વસ્તુ’ is છે, માત્ર ‘છે’. જાતે જ ઓળખાઈ જાય છે, અક્રિય અને જડ છે. પણ સમજાય એવું છે કે ‘હું’ પ્રવાહી અને સક્રિય છે. પરન્તુ એ જાતે ને જાતે નથી ઓળખાતું. ‘હું’ જેનો આધાર લે છે એ ‘વસ્તુ’નો એ બહુ ઊંડેથી નન્નો ભણે છે. સાર્ત્ર એને nihilation કહે છે.

આ એવું દ્વૈત છે જેને ‘ફૅક્ટિસિટી’ – તથ્યાત્મકતા – અને ‘ટ્રાન્સેન્ડન્સ’ – ઉલ્લંઘન – પણ કહી શકાય છે. આપણને મળેલી ભાષા, મળેલું વાતાવરણ, આપણી પસંદગીઓ બલકે આપણે પોતે, આપણાં ‘ગિવન્સ’ છીએ, દત્ત છીએ. એથી તથ્યાત્મકતા એટલે કે સમજો, હકીકતો અને હકીકતોનું ટોળું રચાય છે, પરિસ્થિતિઓ સરજાય છે. પણ સભાન વ્યક્તિઓ તરીકે આપણે એને ટ્રાન્સેન્ડેન્ટ કરી જઈએ છીએ, ઉલ્લંઘી જઈએ છીએ, એટલે કે, ઓળંગી જઈએ છીએ. પણ કહેવાનો સાર એ છે કે સદા આપણે ‘પરિસ્થિતિ’-માં જ હોઈએ છીએ ! ઉપરાન્ત, પરિસ્થિતિ અને ઉલ્લંઘનનું કશું ચૉક્કસ મિશ્રણ નથી કરી શકાતું, એમ પણ છે. એટલે સાર્ત્ર એમ દર્શાવી રહ્યા છે કે આપણે હંમેશાં આપણી પરિસ્થિતિથી ‘વધારે’ હોઈએ છીએ ! અને એ જ છે આપણા સ્વાતન્ત્ર્યની મૂળ ભૂમિકા ! સાર એમના અતિ સંવેદનશીલ સૂત્રમાં એ કે ‘વી આર કન્ડેમ્ન્ડ ટુ બી ફ્રી’… સ્વતન્ત્ર હોવાનો આપણને શાપ છે …

તો પછી, કોઈ પણ ફિલસૂફે કે સાર્ત્રે મારા હાથમાં છેવટે તો એ પ્રસાદ પીરસવો જોઇએ કે મારે કરવાનું શું છે – કઈ નીતિરીતિથી હું જીવું એ કહો. સાર્ત્રના આ ગ્રન્થમાં એવાં ફિલસૂફીપરક ઈંગિતો – ફિલોસૉફિકલ ઇમ્પ્લી કેશન્સ – છેક છેલ્લે મળે છે. સુખ્યાત વ્યાખ્યાન ‘ધ હ્યુમેનિઝમ ઑફ ઍક્ઝિસ્ટેન્શ્યાલિઝમ’-માં સાર્ત્રે એ દર્શાવ્યાં છે. ( જિજ્ઞાસુએ એ વ્યાખ્યાનના થોડાક નિર્દેશ પૂરતું મારું પુસ્તક 'સાર્ત્રનો સાહિત્યવિચાર' જોવું ). એમનું કેન્દ્રસ્થ મન્તવ્ય એ છે કે મૂલ્યો કદી પણ પરલક્ષી હોતાં નથી કેમ કે મૂલ્યો મુક્ત વ્યક્તિઓએ કરેલી પસંદગીઓનું તેમ જ તેથી જન્મેલાં તેમનાં કાર્યોનું પરિણામ હોય છે.

શૂન્યતા અને અભાવની સંકુલ ચર્ચા કે તાત્ત્વિક ગવેષણા પછી, સ્વાતન્ત્ર્ય મનુષ્યોને અપાયેલો શાપ છે કહ્યા પછી સાર્ત્ર કશુંક આશાભર્યું બોલ્યા તે એ કે એ વરદાન પણ છે. જો કે એથી ચૉક્કસપણે શું સંભવશે તે વિશે નક્કી કશું કહી શકાતું નથી. પરન્તુ એ સ્વાતન્ત્ર્યનું જે કરીશું તે જ કહેવાશે આપણું …

(ક્રમશ:)

= = =

(7 Jan 2020: USA)

Loading

10 January 2020 admin
← Pakistan and Indian Muslims
દોર, વસંતગર્ભા શિશિરનો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved