Opinion Magazine
Number of visits: 9447964
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે હજારની નોટ નાછૂટકે રદ્દ કરવામાં આવી

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2023

રમેશ ઓઝા

તમે બે હજાર રૂપિયાની નોટ છેલ્લે ક્યારે ભાળી હતી? એ.ટી.એમ. કે બૅન્કમાંથી તમે પૈસા કઢાવ્યા હોય અને તમને બે હજારની નોટમાં પૈસા મળ્યા હોય એવું ક્યારે બન્યું હતું? છેલ્લા બે વર્ષમાં ભાગ્યે જ તમે બે હજારની નોટ ભાળી હશે કે એ નોટમાં વહેવાર કર્યો હશે.

શા માટે? ઘણાં લોકોને એમ લાગતું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ ધીરે ધીરે પાછી ખેંચી લીધી હશે અને નવી નોટ છાપવાનું બંધ કર્યું હશે. ૨૦૧૬ના નવેમ્બરમાં જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી અને જૂનાની જગ્યાએ નવા ચલણનો પુરવઠો ઊભાઊભ કરવો મુશ્કેલ હતો ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે બે હજાર રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. બે હજારની એક નોટ સામે પાંચસો રૂપિયાની ચાર નોટ બદલી શકાય. જો કે ત્યારે પણ કહેનારાઓ તો કહેતા જ હતા કે નોટબંધી એક ખાસ વર્ગને મદદ કરવા માટેનું કૌભાંડ છે અને બે હજારની નોટ પણ તેનો એક ભાગ છે. પરંતુ ત્યારે આ લખનાર એમ માનતો હતો કે બે હજારની નોટ ચલણમાં દાખલ કરવા પાછળનું કારણ ઉપર કહ્યું એમ તાત્કાલીક જરૂરિયાત હતું અને જરૂરિયાત પૂરી થતાં રીઝર્વ બૅંક બે હજારની નોટને પાછી ખેંચી રહી છે. બે હાજરની નોટ નથી દેખાતી એની પાછળનું કારણ આ છે. આવું મારું અનુમાન હતું અને બીજા અનેક લોકોનું હતું.

પણ એક દિવસ આઘાતજનક માહિતી મળી. મનોરંજન એસ. રોય નામના માહિતીના અધિકાર માટે કામ કરનારા કર્મશીલના ધ્યાનમાં એક વિચિત્ર વાત આવી. ભારત સરકારની માલિકીની ત્રણ ટંકશાળમાં રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની જેટલી નોટ છપાવી છે એનાથી વધુ નોટ રીઝર્વ બૅન્કે બજારમાં મૂકી છે! અરે! આમ કેમ બને? વળી બન્ને આંકડા રીઝર્વ બૅન્કે પોતે તેના વાર્ષિક અહેવાલમાં આપ્યા છે. બન્ને આંકડા સરકારી છે, સત્તાવાર છે, એક જ સરકારી સંસ્થાના છે, રીઝર્વ બૅંન્કના પોતાનાં છે. ના, એ નકલી નોટ ન હોઈ શકે. નકલી નોટ બનાવનારાઓ રીઝર્વ બૅંક દ્વારા નકલી નોટ ચલણમાં ન મૂકી શકે. બે હજાર રૂપિયાની નકલી નોટ ચલણમાં ફરતી હશે એ તો વધારાની. તો પછી એ વધારાની બે હજાર રૂપિયાની નોટો છપાવી કોણે? કોના કહેવાથી? કોના માટે? અને રીઝર્વ બૅન્કે છપાવી તો સરકારી ચલણ છાપનારાં પ્રેસમાં એની નોંધ કે ગણતરી કેમ નથી? તો પછી એ નોટ છપાવી ક્યાં? કોના પ્રેસમાં? બધા જ રહસ્યમય પ્રશ્નો છે જે રીતે નોટબંધી પોતે જ એક રહસ્યમય ઘટના છે.

આની સી.બી.આઈ. દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરતો પત્ર મનોરંજન રોયે ગયા વરસે એપ્રિલ મહિનામાં વડા પ્રધાનને લખ્યો અને તેની નકલ મોકલી રાષ્ટ્રપતિને, નાણાં પ્રધાનને, રીઝર્વ બૅન્કના ગવર્નરને. અપેક્ષા મુજબ કોઈ જવાબ નહીં.

બે હજાર રૂપિયાની નોટની છપાઈની સંખ્યા અને બજારમાં ફરતી નોટની સંખ્યા વચ્ચેના આશ્ચર્યજનક તફાવતને ઘડીભર બાજુએ મૂકીએ. આંકડા પરથી એક વાત નક્કી કે ૨૦૨૦-૨૧ની સાલ સુધી રીઝર્વ બૅંક બે હજાર રૂપિયાની નોટ છપાવતી હતી અને બજારમાં મૂકતી પણ હતી, પણ તો પછી એ હતી ક્યાં? કોની પાસે? આપણે તો તેનાં ભાગ્યે જ દર્શન કર્યાં હતાં. ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ ૩૩ લાખ નોટ બજારમાં મૂકી હતી. યાદ રહે, આ નોટોની સંખ્યા છે.

વાત એમ છે કે નોટબંધી એક વગરવિચાર્યું તઘલખી સાહસ હતું. રીઝર્વ બૅન્કના ધોરણસરના શિક્ષિત અર્થશાસ્ત્રી ગવર્નર રઘુરામ રાજને નોટબંધીનો વિરોધ કર્યો હતો એટલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. નોટબંધી કરવાથી નથી કાળાં નાણાંનો અંત આવ્યો કે નથી નકલી નોટોનો અંત આવ્યો. વડા પ્રધાન રોજ ત્રાસવાદીઓનો ડર બતાવે છે એટલે ત્રાસવાદનો પણ અંત નથી આવ્યો. ઊલટું બે હજાર રૂપિયાની નોટ દ્વારા કાળું નાણું સાચવવામાં સહેલું પડે એવું કદમાં નાનું થઈ ગયું. પાંચસો અને હજારની નોટ અનુક્રમે ચાર ગણી કે બે ગણી જગ્યા રોકતી હતી. કાળાં નાણાં ધરાવનારાને ચાંદી થઈ ગઈ હતી. નકલી નોટવાળાઓને પણ ચાંદી થઈ ગઈ. તઘલખી ખેલના અંતે ખબર પડી કે રીઝર્વ બૅન્કે જેટલી રકમની નોટ બજારમાં મૂકી હતી તેનાં કરતાં વધુ રકમની નોટ પાછી આવી.

બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ નોટમાંથી ૯૦ ટકા નોટ કાળાં નાણાંમાં ફેરવાઈ ગઈ અને કેટલાક હાથોમાં જમા થવા લાગી. બાકી ભારતનું અંદાજે ૬૦ ટકા અર્થતંત્ર રોકડિયું અર્થતંત્ર છે. દૂધવાળા, શાકવાળા, દાણાવાળા, રીટેલ શોપ્સ, ગ્રામીણ કૃષિ અર્થતંત્રમાં રોકડાનો વહેવાર ચાલે છે. ક્યાંક તો બે હજારની નોટ નજરે પડે ને! પણ ક્યાં ય કહેતા ક્યાં ય જોવા નહોતી મળતી. રીઝર્વ બેંક બે હજારની નોટ ધીરે ધીરે પાછી ખેંચવા માગતી હતી, પણ બહાર નીકળે તો પાછી ખેંચે ને! ૨૦૨૧ના માર્ચ મહિનામાં કેન્દ્રના રાજયકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ છાપવાનું બંધ કર્યું છે અને ધીરે ધીરે બે હજારની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, પણ પાછી ફરી જ નહીં.

જ્યારે બે હજાર રૂપિયાની નોટ બહાર નહોતી નીકળતી ત્યારે નાછૂટકે હવે બે હજાર રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી છે, પણ એ રીતે કે કાળાં નાણાં ધરાવનારાઓને ઈજા ન પહોંચે. ઈજા પહોંચાડી શકાય એમ પણ નથી એ તો ૨૦૧૬માં જ સાબિત થઈ ગયું હતું એટલે એનો કોઈ અર્થ પણ નથી. નોટબંધી એક દુસ્સાહસ હતું એ હવે સાબિત થઈ ગયું છે. ભા.જ.પ., વડા પ્રધાન અને સરકાર પણ હવે નોટબંધીને યાદ નથી કરતાં, શ્રેય લેવાની વાત તો બાજુએ રહી. ગોદી મીડિયા પણ નોટબંધીના સાહસને ભૂલવાડવાનું કામ કરી રહ્યા છે.

દરમ્યાન આપણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ ડૉ. પારાકલા પ્રભાકરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાજમાં તિરાડો પાડવાની કમાલની આવડત ધરાવે છે, પણ અર્થતંત્ર અને બીજી શાસનની બાબતે એટલી જ આઘાતજનક અણઆવડત ધરાવે છે. ‘ધ ક્રૂક્ડ ટીમ્બર ઑફ ન્યુ ઇન્ડિયા : ઍસેઝ ઓન અ રિપબ્લિક ઇન ક્રાઈસીસ’ નામનાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં આમ કહ્યું છે. તેમણે વડા પ્રધાનની અણઆવડત માટે અંગ્રેજીમાં staggeringly incompetent એવો શબ્દપ્રયોગ કર્યો છે. ડૉ. પારાકલ પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સના પીએચ.ડી. છે. પ્રભાકરે એક વાર તેમનાં પત્ની અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ને સલાહ આપી હતી કે ભારતનાં અર્થતંત્રને ઠેકાણે પાડવું હોય અને એવો પ્રમાણિક ઈરાદો હોય તો આપણાં ઘરથી થોડે દૂર રહેતા ડૉ. મનમોહન સિંહને તારે મળવું જોઈએ. સ્વયંઘોષિત વિશ્વગુરુઓને છોડીને આખું જગત તેમની સલાહ લે છે અને આપણા ઘરની તો સાવ નજીક છે, એને મળ.

તો આવું છે વિશ્વગુરુનું અર્થતંત્ર!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 મે 2023

Loading

25 May 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે –  
સતત વહેતી, સતત પલટાતી અને તોયે સદાસર્વદા વહેતી ગંગા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved