Opinion Magazine
Number of visits: 9509109
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુમતીને રાજી રાખી શાસકો જે રમત રમે છે, તેને જાણો છો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 February 2020

પ્રિય વાચક,

આજે મારું મન બેચેન છે. ઉદાસ છે. ખિન્ન છે. દિલ્હીમાં જે બની રહ્યું છે એ કરનારાઓ, કરાવનારાઓ અને તેને સમર્થન આપનારાઓ કઈ માટીના બનેલા હશે એની હું કલ્પના કરી શકતો નથી. આ છે ભારતવર્ષનો વારસો? આવું હતું તમારી કલ્પનાનું ભારત? આવો છે હિંદુ ધર્મ જેના પર આધારિત રાષ્ટ્ર તમે રચવા માગો છો? વેદ, ઉપનિષદ, મહાવીર અને બુદ્ધ, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રમણ મહર્ષિ જેવા આધુનિક યુગના સંતો, ગાંધીજી અને આધુનિક ભારતના મનીષીઓ વગેરેનાં વચનો અને વારસાને અત્યારની સ્થિતિ સાથે સરખાવી જુઓ. કોઈ સમાનતા નજરે પડે છે? તમે જેને માટે ગર્વ લેતા થાકતા નથી અને જેના તમે વારસ હોવાનો દાવો કરો છો એ પ્રાચીન ભવ્ય ભારતનાં કયાં તત્ત્વો અત્યારની સ્થિતિમાં નજરે પડે છે? જો એ તમને મળેલો તમારો પોતીકો વારસો નથી તો જરૂર એ આયાતી છે.

માનવીમાંથી માણસ ઘડવો હોય તો જેમ કુંભાર માટી કેળવે એમ કેળવી શકાય, પણ માણસમાંથી રાક્ષસ ઘડવો હોય તો આયાતી સામાન લાવવો પડે. આપણને વારસામાં મળેલી માટી માનવીમાંથી માણસને ઘડનારી છે એટલે બહુ ખપની નથી. તમે ક્યારે ય કોઈ હિન્દુત્વવાદીને ઉપર કહ્યાં એ ગ્રંથોના, દાર્શનિક પરંપરાનાં કે કોઈ મહાનુભાવનાં વચનોને ટાંકતા સાંભળ્યા છે? નહીં સાંભળ્યા હોય. તેઓ પ્રાચીન આર્ય ભારત માટે ગર્વ વ્યક્ત કરશે પણ વચન એક પણ નહીં ટાંકે. તેઓ જે ભાષા બોલે છે એ આયાતી છે. ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદની આખી કલ્પના જ આયાતી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જર્મની, ઇટાલી અને બે ડઝન જેટલા મુસ્લિમ દેશો આ માર્ગે ચાલીને બરબાદ થઈ ગયા હોવા છતાં આપણને તેનું આકર્ષણ છે. આમાં મુસ્લિમ દેશોની બરબાદી તો આપણી નજર સામેની છે. એને જોવા-સમજવા માટે ઇતિહાસ ઉખેળવાની પણ જરૂર નથી. બસ, એક નજર પશ્ચિમમાં કરી લો.

ત્યાં જે બન્યું છે એ આપણે ત્યાં નહીં થાય એમ જો તમે માનતા હો તો તમે મૂર્ખાઓના સ્વર્ગમાં રાચો છો. જર્મનો અને ઇટાલિયનોને પણ એમ લાગતું હતું કે આપણે ત્યાં આવું નહીં થાય, કારણ કે આપણે જગતની મહાન પ્રજા છીએ. કેટલાક મુસ્લિમ દેશોના મુસલમાનોને પણ એમ લાગતું હતું કે આપણે ત્યાં આવું નહીં થાય, કારણ કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને મુસલમાન ખુદાના લાડલા બંદા છે. દરેક પ્રજા પોતે ચડિયાતા હોવાપણાના વહેમમાં જીવતી હોય છે અને છેવટે છેતરાતી હોય છે. વાત એમ છે કે કોઈ પ્રજા મહાન નથી અને કોઈ પ્રજા હલકી નથી; પછી એ ગમે તે ધર્મ, વંશ કે દેશની હોય.

પ્રજા માનવીઓનો સમૂહ છે અને માનવીની અંદર સત્, તમસ અને એ બેની વચ્ચે બીજી અનેક વૃત્તિઓ રહેલી હોય છે. જ્યાં સુધી પ્રજાનો રાજકાજ સાથે સીધો સંબંધ નહોતો અને તેનો દરજ્જો માત્ર રૈયતનો હતો ત્યાં સુધી માણસની અંદર બેઠેલા અનેક માનવીઓને જગાડવાની જરૂર નહોતી પડતી. તલવારનું જોર હતું. પણ જ્યારે પ્રજાસમૂહનો રાજ્ય અને શાસન સાથે મત આપનારા નાગરિક તરીકેનો સંબંધ જોડાયો એ પછી માણસની અંદર રહેલા અનેક માનવીઓને જગાડવાની જરૂર પડવા લાગી. આપણી અંદર એક માનવી એવો છે જેને ડરાવી અને રડાવી શકાય. બીજાને ઉશ્કેરી શકાય અને લલકારી શકાય. ત્રીજાને સપનાંની દુનિયામાં રમાડી શકાય  અને ચોથાને ઊંઘાડી શકાય. આ બધા માનવીઓને એટલો બધો ઘોંઘાટ કરતા કરી મૂકવા કે આપણી અંદર બેઠેલા વિવેકી પુરુષનો અવાજ આપણા સુધી પહોંચે જ નહીં, તો બીજા સુધી પહોંચાડવાની વાત જ બાજુએ રહી. આપણી અંદર રહેલા તામસ માનવીઓ એવું સામૂહિક આક્રમણ કરે કે આપણી અંદર રહેલા તાપસ (તપસ્વી, વિવેકી, સંવેદનશીલ) પુરુષને મૂંગો કરી દે.

અત્યારે દેશમાં આ જ બની રહ્યું છે. હિંદુ બહુમતીમાં હોવા છતાં ડરે છે અને પકડાવવામાં આવેલા કહેવાતા જખમો યાદ કરીને રડે છે. એ ઉશ્કેરાય છે અને ટોળાં રચીને શાસકોએ પૂરી પાડેલી સલામતીનો લાભ લઈ લાચાર લોકો સાથે હિંસા કરે છે અને મરદ હોવાનો પાછો ભ્રમ પણ પાળે છે. આ મર્દાનગી નથી નામર્દાઈ છે. મરદ એ છે જે ટોળાંની સામે ઊભો રહીને જેને મારવામાં આવતો હોય એને બચાવે. ગણેશ શંકર વિદ્યાર્થીનું નામ તો તમે સાંભળ્યું જ હશે!  આવું ડરાવનારું, રડાવનારું, ઉશ્કેરનારું, લલકારનારું, ટોળાં રચીને મર્દાનગી બતાડનારું, શાસકો સાથે મળીને નરસંહાર કરનારું, કાયદાના રાજને અંદરથી કોરી ખાનારું, માનવીય સંવેદનાને બધીર કરનારું એક તંત્ર વિકસાવવામાં આવે છે જેને ફાસીવાદ કહેવામાં આવે છે અને એ સો ટકા આયાતી છે. તે ભારતીય નથી પણ પાશ્ચાત્ય છે અને પ્રાચીન નથી પણ આધુનિક છે.

ફાસીવાદની એક ખાસિયત છે. ફાસીવાદી તંત્રનો જનક પદાર્થ બહુમતી કોમ છે. તેને લઘુમતી કોમ સાથે કોઈ ખાસ લેવા-દેવા નથી. લઘુમતી કોમનો ઉપયોગ તો ડર બતાવવા માટે કરવામાં આવે છે. ફાસીવાદનો ઉપયોગ કરનારા શાસકોને ખબર છે કે જ્યાં સુધી બહુમતી કોમની વ્યક્તિમાં જગાડવામાં આવેલા તામસ માનવીઓ એ જ માણસની અંદર રહેલા તાપસ પુરુષને  બોલવા નહીં દે અને જો બોલે તો તેના અવાજને કાને પડવા નહીં દે ત્યાં સુધી રાજ્ય આપણું છે. એ પછી તો લઘુમતી કોમે આપોઆપ શરણે થઈને ડરીને રહેવાનું છે. શરણાગતિ સિવાય અને દ્વિતીય નાગરિકનો દરજ્જો સ્વીકારીને વચ્ચેથી ખસી જવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નથી.

અહીં સુજ્ઞ વાચક, તારે થોડી વાર થોભીને વિચારવું પડશે કે આવી સ્થિતિ પેદા કર્યા પછી શું ફાસીવાદી શાસકો સંપૂર્ણપણે નિશ્ચિંત થઈને શાસન કરતા હશે? કરી શકતા હશે? લઘુમતી કોમને વચ્ચેથી હડસેલ્યા પછી શું તેઓ સુખેથી વિકાસલક્ષી શાસન કરવા માંડતા હશે? શું પોતપોતાનું રામરાજ્ય સ્થાપી શકતા હશે? જગતના કોઈ ફાસીવાદી શાસને રામરાજ્યનું મોડેલ વિકસાવ્યું છે? ઇતિહાસમાં ક્યારે ય અને કોઈ જગ્યાએ? આગળ વાંચતા પહેલાં વિચારી જુઓ અને પછી વાંચો.

ના, એવું નથી. તેઓ જરા ય નિશ્ચિંત થઈને શાસન ન કરી શકે. એ વાત ખરી છે કે તેમને લઘુમતી કોમનો તો જરા ય ભય નહીં રહે, પણ ભય બહુમતી કોમનો સતત રહેવાનો. તેમને ખબર છે કે બહુમતી કોમના માણસની અંદર ફાસીવાદી તંત્ર દ્વારા ચૂપ કરી દેવામાં આવેલો પેલો તાપસ પુરુષ મર્યો નથી અને ક્યારે ય મરવાનો નથી અને તેનો તેમને ભય રહે છે. પેલા તાપસ માણસનો અવાજ કાન સુધી ન પહોંચે અને બહુમતી કોમના માણસનો વિવેક ન જાગે એ માટે પેલા જાગતા કરવામાં આવેલા તામસ માનવીઓનો તરખાટ ચાલુ જ રાખવો પડે. જીન ધૂણતો જ રહેવો જોઈએ, શાંત ન થવો જોઈએ. જો એમાં જરા પણ વિરામ આવે કે તરત પેલા તાપસ માણસનો અવાજ સંભળાવા લાગે.

આનો અર્થ એ થયો કે બહુમતી રાષ્ટ્રવાદી શાસકો સેક્યુલર રાષ્ટ્રવાદી શાસકો કરતાં પણ વધુ ભયભીત રહે છે અને તેમને ભય બહુમતી કોમનો હોય છે. માણસની અંદર રહેલો પેલો તાપસ પુરુષ મરતો નથી અને મરવાનો નથી એ વાસ્તવિકતાનો ભય રહે છે. જીવે છે તો બોલશે તો ખરો જ. બોલશે તો અવાજ કાને પડશે. બાપ નહીં તો કદાચ દીકરો બોલતો થશે. શું ખબર પરિવારમાં રૂંધાતી સ્ત્રીની અંદર પેલો તપાસ પુરુષનો અવાજ સંભળાશે. કદાચ કોઈ ગૂંગળાતો ખેડૂત બોલશે. શાળા-કોલેજોમાં આપવામાં આવતાં ખોટા શિક્ષણથી કંટાળીને વિદ્યાર્થીને મુખે પેલો તાપસ પુરુષ બોલી ઊઠશે. સંભાવનાઓ અનેક છે, સાર્વત્રિક છે, અહર્નિશ છે. એટલે બહુમતી રાષ્ટ્રવાદી શાસકો બહુમતી કોમ ઉપર સાર્વત્રિક અને અહર્નિશ નજર રાખશે. ભય તેમને ત્યાંથી છે.

નજર એટલે કેવી નજર! કોઈ અંદાજ છે? ન હોય તો ઇટાલી, જર્મની, રશિયા અને ચીનનો નજીકનો ભૂતકાળ જોઈ જાવ. જો વાત ગળે ન ઉતરે તો મુસ્લિમ દેશોનો વર્તમાન જોઈ જાવ. જો વાંચવાની રુચિ ધરાવતા હો તો બ્રિટિશ લેખક જ્યૉર્જ ઑર્વેલની બે કાલાતીત કૃતિઓ વાંચી જાવ. એકનું નામ છે ‘એનીમલ ફાર્મ’ જેનો ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ છે અને બીજી છે ‘૧૯૮૪’. જો રાતની નિંદ હરામ ન થઈ જાય તો કહેજો. બહુમતી રાષ્ટ્રવાદી શાસન સ્થપાયાં પછી શાસકો પરાસ્ત લઘુમતી પર ખાસ નજર નથી રાખતા, પણ બહુમતી પ્રજા પર ચાંપતી નજર રાખે છે. કારણ બહુ સ્પષ્ટ છે. શાસકોને પરાસ્ત થવાનો ડર બહુમતી તરફથી છે, લઘુમતી તરફથી નથી. પેલા તાપસ પુરુષનો અવાજ ગમે ત્યારે કાને પડી શકે છે. એ મરતો જ નથી એ મોટી મોંકાણ છે.

ખૂબ આજીજીપૂર્વક આ વાત સમજાવવાનો અહીં પ્રયત્ન કર્યો છે, એવી આશા સાથે કે હિન્દુનો પીંડ જુદો છે. વિચારશો તો સંતોષ મને થશે અને લાભ તમારાં સંતાનોને થશે.

આભાર!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27  ફેબ્રુઆરી 2020

Loading

27 February 2020 admin
← ભલા, તેં આ શું કર્યું ?
ઈશાન દિલ્હી, ગોધરાના અઢારે વરસે →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved