Opinion Magazine
Number of visits: 9449308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.જે.પી. મૅનિફેસ્ટો: ૨૦૧૪ અને ૨૦૧૯ – એક વાંચન

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2019

બી.જે.પી. માટે આ કોઈ નવી વાત નથી. ૧૯૮૦માં પણ બી.જે.પી.એ કેસરિયો એજન્ડા છોડીને સત્તા સુધી પહોંચવા ડહાપણની સીડી વાપરી હતી. ત્યારે ગાંધીવાદી સમાજવાદ અને દીનદયાળ ઉપાધ્યાયના ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની સંકલ્પના રાખી હતી. આ ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમ શું છે એ આજ સુધી મને તો સમજાયું નથી, અને આ ધરતી પર એવો કોઈ પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી નથી જેણે એનું કોઈ ભાષ્ય કર્યું હોય. એટલી ખબર છે કે એ મીઠા બોલનો સંગ્રહ છે જેનો સંકટના સમયે ઉપયોગ કરવામાં આવતો હતો. હતો એ ભૂતકાળવાચી શબ્દ મેં જાણીબૂજીને વાપર્યો છે અને તેનો ફોડ આગળ પાડવામાં આવશે.

કોઈ ભેદભાવ વિના, કોઈ પણ પ્રકારના દ્વેષ વિના, વિધર્મીઓ માટે ભારતમાં જીવવા માટેની શરતો વિના બધાને બાથમાં લઈને ચાલવાનું વચન આપવામાં આવ્યું હતું. એ એક રીતે ‘સબકા સાથ સબકા વિકાસ’ની બી.જે.પી.ની ૧૯૮૦ની પહેલી આવૃત્તિ હતી. અટલ બિહારી વાજપેયી ભેદભાવ વિના માળામાં બધાં ઇંડાંઓ પર પાંખ ફેરવીને હૂંફ આપતા હતા અને રાષ્ટ્રસેવન કરતા હતા. સિકન્દર બખ્ત નામના મુસ્લિમ ઈંડાને સૌથી વધુ હૂંફ આપવામાં આવતી હતી, પરંતુ પક્ષની અંદર તેમને દેખાવથી વધુ કોઈ સત્તા આપવામાં નહોતી આવી. પાછળથી સિકન્દર બખ્તને સમજાઈ ગયું હતું કે તેમનો વિન્ડો શોપિંગ માટે શો પીસ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેલ એવો પ્રભાવી હતો કે મરાઠી વિદુષી લેખિકા દુર્ગા ભાગવત અને અને જાણીતા કાયદાવિદ્ એમ.સી. ચાગલા તેમની વાતમાં આવી ગયાં હતાં અને તેમને યશસ્વી ભવ:ના આશીર્વાદ આપી આવ્યા હતા.

૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં માળો વિખાઈ ગયો અને વાજપેયીને રવાના કરવામાં આવ્યા. નાગપુરથી ગદાધારીઓ અને ધનુષધારીઓ આવી પહોંચ્યા. એ પછી એક એક ઈંડાને ચકાસવામાં આવ્યા, અને પરાયાં ઈંડાંઓને ધમકાવવાનું અને હિન્દુસ્તાન મેં જીના હો તો…ની શરતો મૂકવાનું શરૂ થયું. એકાએક ડહાપણનું બાષ્પીભવન થઈ ગયું. જેણે કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ ન જોઈ હોય તેમને જોવાની ખાસ ભલામણ છે. એકાએક મહાભારતનો ખેલ અકબર અને અનારકલીમાં ફેરવાઈ ગયો, અને ધૃતરાષ્ટ્રની માફક દુર્ગા ભાગવતો અને એમ.સી. ચાગલાઓ પૂછવા લાગ્યાં કે એ સબ ક્યા હો રહા હૈ? પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાથી વિફરેલાં દુર્ગા ભાગવતે તો ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

૧૯૮૦-૧૯૮૪નાં વર્ષો ડહાપણ, ઉષ્મા, મર્યાદા, સ્નેહનાં વર્ષો હતાં. આખરે પાસ થવા માટે પણ ડાહ્યા હોવાનો અને માણસ હોવાનો દેખાવ કરવો પડે છે એ જ સાબિત કરે છે કે વિવેક અને માણસાઈમાં કેટલી મોટી તાકાત છે. કન્યા જોવા આવનાર છોકરો પણ ડાહ્યોડમરો, વિવેકી અને માઈસાઈના ગુણ ધરાવતો હોવાનો દેખાવ કરે છે. આ મૂળ રંગની માફક મૂળ ગુણ છે જે સમાજને ભાવે છે. પણ જેમ મૂળ રંગમાં મેળવણથી બીજા રંગ બનાવી શકાય છે, એમ મૂળ ગુણોમાં પણ અલગ અલગ પ્રકારના ઝેરનું મેળવણ કરીને માણસને ખાસ પોતાને માફક આવે એવો બનાવી શકાય છે. આમ ૧૯૨૫થી મેળવણી કરીને પોતાને માફક આવે એવો હિંદુ ઘડવાનું કામ કરવામાં આવે છે, પણ સમસ્યા એ છે કે સત્તા સુધી પહોંચાડી શકે એટલી મોટી સંખ્યામાં આવા હિંદુ હજુ પેદા થયાં નહોતાં, એટલે વિચારવામાં આવ્યું કે ચાલો શ્વેત-શુભ્ર રંગને અને શાંત રસને પણ આજમાવી જોઈએ.

૧૯૮૪માં સફળતા મળી નહીં અને પાછો મૂળ ચહેરો ધારણ કરી લીધો. બરાબર ત્રીસ વરસ પછી એ જ ખેલ. સબકા સાથ, સબકા વિકાસ – ખેલ બીજો. બે ખેલમાં ફરક એ હતો કે ૧૯૮૦-૮૪નાં વર્ષોમાં પ્રભાવી ખેલ પાડવા છતાં પણ સત્તા સુધી પહોંચી શકાયું નહોતું, જ્યારે ૨૦૧૪માં સત્તા સુધી પહોંચી જવાયું હતું. બી.જે.પી. અને સંઘપરિવારમાં પહેલીવાર પ્રશ્ન થયો હતો કે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચી તો ગયા પણ હવે કરવું શું? જે સીડી પર ચડ્યા છીએ એ સીડી પર હજુ વધુ પગથિયાં ચડવા કે પછી એ સીડીને ફગાવીને જે સાચી સીડી છે એના પર આરોહણ કરવું? સબકા સાથ સબકા વિકાસની સીડી ફગાવી દેવાની વાત હિંદુઓને નહીં ગમે તો? આપણી સીડીને (હિંદુ રાષ્ટ્રની) તેઓ નહીં અપનાવે તો?

મૂંઝવણ તો મોટી હતી. સ્પષ્ટ બહુમતી પછી હવે બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવું હોય તો કઈ સીડીનો ઉપયોગ કરવો? સબકા સાથ સબકા વિકાસની સીડી વાપરીએ અને ન કરે નારાયણ ને બીજી તક ન મળે તો? પહેલે માળે પહોંચી ગયા છીએ તો બીજા માળે પહોંચી શકાશે, પણ જમીન પર પટકાયા તો ખબર નહીં ક્યારે બીજે અને પછી ત્રીજે માળે પહોંચશે. માટે પહેલા માળેથી બીજા માળે જવાની યાત્રા ન થંભાવવી જોઈએ. ભારે મથામણ પછી બન્ને સીડી સાથે વાપરવાનો પ્રયોગ કરવામાં આવ્યો. ૧૯૮૪માં અને ૨૦૦૪માં સીડી બદલી નાખવામાં આવી હતી, પરંતુ ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી બન્ને સીડી એક સાથે વાપરવામાં આવી રહી છે. બન્ને નિસરણી અલગ અલગ દિશામાં લઈ જનારી હોવા છતાં. 

‘સબકા સાથ સબકા વિકાસ’ અને ‘હિન્દુસ્તાન મેં રેહના હો તો ..’નો સંયુક્ત ખેલ શરૂ થયો. એક જ રંગમંચ પર, એના એ જ કલાકારો દ્વારા એના એ જ ઓડિયન્સ સમક્ષ ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અદ્ભુત સંયુક્ત ખેલ. જગતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો કમાલનો ખેલ ભજવવામાં આવ્યો હતો. ઓડિયન્સમાંથી કેટલાક સીટીઓ વગાડતા હતા, કિકિયારીઓ પાડતા હતા, સીટ પર ઉછળતા હતા તો બીજા કેટલાક એકબીજાને પૂછતા હતા કે એ સબ ક્યા હો રહા હૈ? જાણકારોને જાણ હતી કે આ તો વડલા ઉપર બાવળિયો મૂકવામાં આવ્યો છે. જો જોશમાં ને જોશમાં પ્રજા ચડી જતી હોય તો ગંગા નાહ્યા.

આ પ્રયોગ સફળ નીવડી શકત પણ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ નિષ્ફળ બનાવ્યો. પોતાના માટેના અગાધ પ્રેમના કારણે. આત્મમુગ્ધતાને કારણે. કામ કરવાની જગ્યાએ નજરબંધી કરીને છવાઈ રહેવાના અભરખાને કારણે. સભાગૃહમાં પ્રેક્ષકોના એક વર્ગે સબ કા સાથ સબ કા વિકાસ માટે વોટ આપ્યો હતો અને તેઓ એમાં કાંઈક થાય એની રાહ જોતા હતા, પણ એની જગ્યાએ યે સબ ક્યા હો રહા હૈ એવો પ્રશ્ન પૂછવો પડે એવી રીતે પ્રહસન ભજવાયું. કારણ એ હતું કે ‘માલેગાંવ કે શોલે’ની માફક જય, વીરુ, ગબ્બર, બસંતી, ચાચા વગેરે દરેક ભૂમિકામાં એક જ કલાકાર અને અભિનય, ડાન્સ, ફાઈટીંગ એમ દરેક સીન માટે એક જ દિગ્દર્શક. આ ઉપરાંત; કાંઈક અણધાર્યું કરીને આઘાત આપવાનો, આશ્ચર્ય સર્જવાનો, દરેક ઘટનાને મેગા ઇવેન્ટમાં ફેરવવાનો, પોતાનો જયજયકાર કરાવવાનો, ગમે તેમ બોલવાના અને ગમે તે જુમલા ફેંકવાની આદત અને કોઈ પણ ભોગે સ્ટેજ પરથી નહીં ખસવાનો દૂરાગ્રહ વગેરે તત્ત્વોને કારણે સમાંતરે ચાલતા બે ખેલમાંથી વિકાસના ખેલને ફારસ અથવા પ્રહસનમાં ફેરવી નાખ્યો હતો. વિકાસ જોવા આવેલા પ્રેક્ષકો પૂછવા લાગ્યા હતા કે યે સબ ક્યા હો રહા હૈ? અને ભક્તો હિંદુ રાષ્ટ્રનું ટ્રેલર જોઇને ચીસો પાડતા હતા.

હવે ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અભૂતપૂર્વ સંયુક્ત પ્રયોગ પૂરો થયો છે. નવા પ્રયોગ માટે રિહર્સલ ચાલી રહ્યા છે. ૨૦૧૪માં હિંદુરાષ્ટ્રની બાવળની સીડીને જમીનમાં દાટી દીધી હતી જે આ વખતે આગળ મૂકવામાં આવી છે અને વિકાસના વડલાની સીડી પાછળ ધકેલી દેવામાં આવી છે. ૨૦૧૪ના મૅનિફેસ્ટોના મુખપૃષ્ઠ પર વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, ગડકરી એમ ટીમ હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં અંદરના પાને બી.જે.પી.ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની વિચારધારાના જનક દીનદયાળ ઉપાધ્યાયની તસવીર મૂકવામાં આવી હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું સૂત્ર હતું. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં રામ મંદિર, આર્ટીકલ ૩૭૦, યુનિફોર્મ સિવિલ કોડ વગેરેને છેક છેલ્લે પાને છેલ્લા ફકરામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

૨૦૧૯ના મૅનિફેસ્ટોમાં સર્વત્ર નરેન્દ્ર મોદી છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી છેલ્લા કવર પર ખસેડવામાં આવ્યા છે. ૨૦૧૪માં જે ટીમમાં સાથે હતા એને ૨૦૧૯માં સાવ ફેંકી દેવામાં આવ્યા છે. ૨૦૧૪માં આગળનાં પાનાંઓમાં વિકાસ હતો તો અત્યારે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, સુરક્ષા વગેરે છે, રામમંદિર વગેરેને છેલ્લા પાનેથી બઢતી આપીને આગળ લાવવામાં આવ્યા છે, વિકાસ વાસ્તવિક વિકાસની જેમ આડોઅવળો જે તે પાનાંઓમાં વિખરાયેલો છે. ૨૦૧૪માં જે વાત જોરજોરથી કહેવામાં આવી હતી એનો આ વખતે ઉચ્ચાર સુધ્ધાં કરવામાં આવ્યો નથી, એટલું જ નહીં કેટલાંક કોમોની ક્રેડીટ પણ લેવામાં આવી નથી.

વાતનો સાર એટલો કે બે નાટકોની સંયુક્ત ભજવણીમાં મુખ્ય અભિનેતાની રંગમંચ પરની વધારે પડતી હાજરીને કારણે ખેલ બગડી ગયો. અભિનય સમ્રાટો પણ થોડી વાર વીંગમાં જતા હોય છે, કે જેથી પ્રેક્ષકો રાહ જુવે કે હીરો પાછો ક્યારે એન્ટ્રી મારે!

10 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2019

Loading

11 April 2019 admin
← સોશ્યલ મીડિયા માટે નક્કર ચૂંટણી આચારસંહિતા કેમ નથી ?
સોમી વરસીએ જલિયાંવાલા હત્યાકાંડનો ઇતિહાસબોધ : નાગરિકો માટે ન્યોછાવરી અને શાસકો માટે નાગરિક સ્વાતંત્ર્ય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved