Opinion Magazine
Number of visits: 9449563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચામાં અને ટીવી ચેનલો પર પ્રાઈમ ટાઈમમાં રાજકીય પક્ષોના પ્રવક્તાઓ વચ્ચે થતી ચર્ચામાં કોઈ ગુણાત્મક ફરક નહોતો. કસર હતી એ વડા પ્રધાને પોતે પૂરી કરી આપી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2018

લોકસભામાં શાસક પક્ષ (સાથી પક્ષો સહિત) પ્રચંડ બહુમતી ધરવતો હોવા છતાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું શું ઔચિત્ય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. વિરોધ પક્ષ દરખાસ્ત રજૂ કરે, સરકાર પક્ષ બચાવ કરે, એમાં વડા પ્રધાન બોલે, છેલ્લે મત લેવામાં આવે અને દરખાસ્ત ફગાવી દેવામાં આવે. લોકસભામાં વિરોધ પક્ષોએ રજૂ કરેલી દરખાસ્તનું પણ આવું જ ભવિષ્ય હતું અને એ અટલ હતું. પાછી સંખ્યાની સ્થિતિ એવી છે કે અવિશ્વાસની દરખાસ્ત લોકસભમાં ટકી શકે એમ જ નહોતી અને સરકારનો વિજય નિશ્ચિત હતો. માત્ર એક એકસરસાઈઝ કરવાની હતી જે પૂરી થઈ.

બીજું, સંખ્યાની સ્થિતિ બીજી રીતે પણ વિરોધ પક્ષોને નુકસાન કરનારી હતી. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર તેલગુ દેશમના સભ્યને દરખાસ્ત રજૂ કરવા માટે માત્ર ૧૩ મિનિટ આપવામાં આવી હતી. સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસને ૩૮ મિનિટ, ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે.ને ૨૯ મિનિટ, તૃણમૂલ કોંગ્રેસને ૨૭ મિનિટ, બીજુ જનતા દળને ૧૫ મિનિટ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિને માત્ર નવ મિનિટ આપવામાં આવી હતી. બાકીના પક્ષોને પાંચ મિનિટ કે એના કરતાં ઓછો સમય મળ્યો હતો. સામે શાસક પક્ષે એકલા ભારતીય જનતા પક્ષને સાડા ત્રણ કલાક આપવામાં આવ્યા છે. એન.ડી.એ.ના બીજા ભાગીદાર પક્ષોને આપવામાં આવેલો સમય વધારાનો. વિરોધ પક્ષોને કુલ મળીને ત્રણ કલાક કરતાં થોડો વધુ સમય મળ્યો હતો અને શાસક મોરચાને સાત કલાક કરતાં વધુ સમય ફાળવવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ચર્ચાનો આઠ કલાક બોલીને પ્રતિવાદ કરવામાં આવે એને એક રીતે પ્રતિ હુમલો જ કહેવો જોઈએ.

ત્રીજું, કેટલાક પક્ષો, ખાસ કરીને બીજુ જનતા દલ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે. અને બીજા નાના-નાના પક્ષો અવિશ્વાસની દરખાસ્ત વિષે કેવું વલણ અપનાવશે એની કોઈ ખાતરી નહોતી. દરખાસ્ત રજૂ કરતાં પહેલાં આ બધા પક્ષોના નેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમનું વલણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નહોતું. આમ અવિશ્વાસની દરખાસ્તને વધુમાં વધુ ૧૫૦ મત મળશે એનું અનુમાન દરખાસ્ત રજૂ કરતાં પહેલાં જ હતું. 

તો પછી સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો ખોટનો સોદો વિરોધ પક્ષોએ શા માટે કર્યો?

વાસ્તવમાં એ ખોટનો સોદો નહોતો અને સંસદીય લોકતંત્રમાં દેશનું કેટલીક વાતે ધ્યાન ખેંચવા માટે અને નવા રાજકીય સમીકરણો સ્થાપવા આવા ખોટના સોદા કરવામાં આવે છે. અવિશ્વાસની દરખાસ્ત સરકારને પરાસ્ત કરવા માટે નથી રજૂ કરવામાં આવતી, સરકારને કેટલીક વાતે મૂંઝવવા માટે રજૂ કરવામાં આવે છે અને એ વાતે વિરોધ પક્ષોને સફળતા મળી છે. નરેન્દ્ર મોદી અત્યંત અનિવાર્ય ન હોય તો સંસદમાં હાજર રહેતા નથી એ તેમના પરનો જાણીતો આરોપ છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમણે ઓછામાં ઓછો સમય સંસદમાં હાજરી આપી છે. આખા ચાર વરસમાં તેઓ જેટલો સમય સંસદમાં બેઠા નહોતા એટલો સમય શુક્રવારે બેઠા હતા, કારણ કે તેમની સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત હતી.

અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચા ચાલતી હોય ત્યારે ધમાલ કરીને સંસદના કામકાજને રોળી નાખવાની તરકીબ ચાલતી નથી. જો કોઈ એમ કરે તો સમય વેડફાય, પણ ચર્ચાથી બચી શકાતું નથી. વિરોધ પક્ષોને ફાળવેલો સમય આપવો જ પડે અને તેમને સાંભળવા જ પડે. સંસદના ગયા સત્રમાં શાસક પક્ષે ધમાલ કરીને સંસદ ચાલવા નહોતી દીધી કે જેથી વિરોધ પક્ષોને આલોચના કરવાનો મોકો ન મળે. વિરોધ પક્ષોએ જાણીબૂજીને, પરાજયની જાણ હોવા છતાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી કે જેથી વડા પ્રધાનની હાજરીમાં પેટ ભરીને સરકારની આલોચના કરવા મળે. અવિશ્વાસની દરખાસ્ત પર જેટલો પણ સમય ફાળવવામાં આવ્યો હોય એટલો સમય લક્ષને સાધીને વાપરી શકાય છે.

પરાજયની જાણકારી હોવા છતાં વિરોધ પક્ષોએ દરખાસ્ત રજૂ કરી એનું હજુ બીજું અને મહત્ત્વનું કારણ એ હતું કે કોણ ક્યાં ઊભું છે એની જાણ થાય અને નવા રાજકીય સમીકરણો રચાય. એ સમીકરણો ચૂંટણી સુધી જળવાઈ રહે એ જરૂરી નથી અને એમાં નવાં સમીકરણો પણ રચાઈ શકે છે. આ ઉપરાંત પણ બીજી નાની-મોટી ગણતરીઓ હોય છે. જેમ કે શાસક પક્ષોમાં તિરાડ નજરે પડી શકે છે. સાથી પક્ષો ભલે સરકારના પક્ષે મત આપે, પરંતુ ચર્ચા દરમ્યાન સરકારની ટીકા કરીને ધારવા કરતાં જુદો સૂર કાઢી શકે છે. સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર તેલગુ દેશમ પાર્ટી હજુ ગઈકાલ સુધી શાસક મોરચામાં સાથે હતી. મતદાનમાં અનુપસ્થિત રહેનાર શિવસેના શાસક મોરચાનો આજે પણ અંગ છે અને બીજુ જનતા દલ પણ એક સમયે એન.ડી.એ.નો હિસ્સો હતી અને યુ.પી.એ.માં તો ક્યારે ય નહોતી. ટૂંકમાં પરાજિત થઈને પણ વિરોધ પક્ષોએ કાંઈ ગુમાવ્યું નથી, જે ગુમાવ્યું છે એ શાસક પક્ષે ગુમાવ્યું છે.

સ્પીકરે દરખાસ્ત દાખલ કરીને કહ્યું હતું કે ક્યારે ચર્ચા યોજવી એ વિષે તેઓ બે-ત્રણ દિવસમાં નિર્ણય લેશે. તેમણે ૪૮ કલાકની ચર્ચાની પણ સંભાવના બતાવી હતી. એવી ધારણા હતી કે આવતે અઠવાડિયે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા યોજાશે, પરંતુ અચાનક સ્પીકરે ગુરુવારે નિર્ણય લીધો હતો કે શુક્રવારે જ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા હાથ ધરવામાં આવશે અને સાત કલાકની ચર્ચા પછી એ જ દિવસે સાંજે મત લેવામાં આવશે. ગણતરી એવી હતી કે શાસક પક્ષ વિરોધ પક્ષોને ફાળવવામાં આવેલા સમય કરતાં બેવડો સમય વાપરીને અને વડા પ્રધાન રાતે પ્રાઈમ ટાઈમના સમયે દરખાસ્તનો જવાબ આપીને વિરોધ પક્ષોને કચડી નાખશે. બધું જ આયોજનપૂર્વક હતું, પરંતુ પરિણામ અપેક્ષિત નથી આવ્યું. નોટબંધી, જી.એસ.ટી., કાળાં નાણાં, ડોકલામ, રાફેલ સોદો અને રોજગારી આ એવા મુદ્દાઓ છે જેમાં સરકાર ગમે એવી ગર્જના કરે બચાવ થઈ શકે એમ નથી અને વિરોધ પક્ષોએ તેના પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સાચું પૂછો તો અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચામાં અને ટીવી ચેનલો પર પ્રાઈમ ટાઈમમાં રાજકીય પક્ષોના પ્રવક્તાઓ વચ્ચે થતી ચર્ચામાં કોઈ ગુણાત્મક ફરક નહોતો. કસર હતી એ વડા પ્રધાને પોતે પૂરી કરી આપી. રાહુલ ગાંધીએ પોતાનું પ્રવચન પૂરું કરતા પહેલાં વડા પ્રધાનને અને શાસક પક્ષને અપીલ કરી હતી કે રાજકારણમાં ખેલદિલી હોવી જોઈએ અને કડવાશ તો બિલકુલ ન હોવી જોઈએ. તેઓ પોતાનું પ્રવચન પૂરું કરીને વડા પ્રધાનને મળવા અને ભેટવા ગયા હતા. વડા પ્રધાન ઊભા થઈને રાહુલને ભેટ્યા તો નહોતા, પણ ઉપરથી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડીને બતાવી આપ્યું હતું કે સભ્યતા? તમે કયા યુગમાં જીવો છો? સભ્યતા અને સંસ્કારમાં હિમાલય જેટલું અંતર છે જેમ વિન્સ્ટન ચર્ચિલ અને ક્લેમન્ટ એટ્લી વચ્ચે હતું.

અવિશ્વાસની દરખાસ્તની સૌથી મોટી ફલશ્રુતિ હોય તો આ.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 જુલાઈ 2018

Loading

23 July 2018 admin
← સર્જકતા અને પ્રતિબદ્ધતા
જ્યારે એક જ પોકેટમાં એક સરખી ગુનાની ઘટનાઓ વારંવાર બનતી હોય, અને પોલીસ તેમ જ શાસકો તેનાં મૂળ સુધી ન પહોંચતા હોય ત્યારે નાગરિકે સાબદા થઈ જવું જોઈએ →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved