આજે દરેકના મનમાં બે સવાલ છે. સામાન્ય નાગરિકો અને રાજકીય સમીક્ષકો સહિત દરેક આ બે સવાલ પૂછી રહ્યા છે. પહેલો સવાલ એ કે સ્પષ્ટ બહુમતી ગુમાવ્યા પછી શું નરેન્દ્ર મોદી મોરચાસરકાર ચલાવી શકશે? અને બીજો સવાલ એ કે હવે નવી સ્થિતિમાં ન્યાયતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, એકંદરે વહીવટીતંત્ર અને મીડિયા કરોડરજ્જુ બતાવી શકશે? બતાવશે? આ બે સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે.
પહેલો સવાલ પહેલાં હાથ ધરીએ. નરેન્દ્ર મોદીને ગુજરાતના વખતથી મિશ્ર સરકાર ચલાવવાનો અનુભવ નથી. તેમને એવી જરૂર ક્યારે ય નથી પડી. લોકસભાની વાત કરીએ તો ૨૦૧૪માં ભા.જ.પ.ને ૨૮૨ બેઠકો મળી હતી અને ૨૦૧૯માં ૩૦૩. તેમની કાર્યશૈલી એવી હતી જેમાં રાજનાથસિંહ અને નીતિન ગડકરી હાંસિયામાં હતા ત્યાં અન્ય પક્ષોના નેતાઓની શી વિસાત? કહેવા પૂરતી એ સરકાર નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની હતી, પણ વ્યવહારમાં એ એક વ્યક્તિની સરકાર હતી. ભારતીય જનતા પક્ષની પણ નહીં, માત્ર અને માત્ર એક વ્યક્તિની સરકાર. નરેન્દ્ર દામોદર મોદીની સરકાર. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દતમાં નરેન્દ્ર મોદીની હાજરી હજુ વધુ જોવા મળતી હતી અને તેમની તૈયારી એવી હતી કે ત્રીજી મુદ્દતમાં હજુ વધુ જોવા મળે. (તેમનો પોતાનો ચૂંટણીપ્રચાર અને ભા.જ.પ.નાં ચૂંટણીસાધનો; પોસ્ટર્સ, બેનર્સ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપનો, મેનીફેસ્ટો વગેરે પર નજર કરશો તો આની ખાતરી થશે.) ત્રીજી મુદ્દતમાં દરેકે દરેક હાજર હોવા છતાં ગેરહાજર જોવા મળે. નરેન્દ્ર મોદી અને કમળ સિવાય કોઈ ચીજ નજરે ન પડવી જોઈએ.
પણ સમયે પાટુ મારી અને વખત એવો આવ્યો છે કે જેને લાત મારી હતી તેમને ગળે મળવું પડે એમ છે. એક વખત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં પાકિસ્તાન વિષે વાત કરતાં જાણીતા ઉર્દૂ શાયર બશીર બદ્રનો શેર ટાંક્યો હતો જે કહે છે :
દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે,
જબ કભી હમ દોસ્ત હો જાએં શર્મિંદા ન હોં.
વાજપેયીએ તો દેશના દુશ્મન ગણાતા પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ એક દિવસ શરમાવું ન પડે એટલી જગ્યા રાખવાની હિમાયત કરી હતી જ્યારે નરેન્દ્ર મોદીએ તો પોતાના સગા સાથીઓ અને પિત્રાઈ બંધુઓ સાથેના વહેવારમાં ફરી સંબંધ બાંધતા શરમાવું ન પડે એટલી જગ્યા પણ નહોતી રાખી. તો શું નરેન્દ્રભાઈ ઉચ્ચાસનેથી નીચે ઉતરી શકશે? બધાને સાથે રાખીને ચાલી શકશે? સાથીઓને સાંભળશે? પોતાની વાતનો સ્વીકાર ન થાય તો અસ્વીકાર સ્વીકારી શકશે? સામૂહિક નિર્ણયપ્રક્રિયા અપનાવી શકશે? કેમેરાની ફ્રેમમાં બીજાને આવવા દેશે?
આ બધા સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે અને તેનો ઉત્તર સમય જ આપી શકે. રાહ એટલા માટે જોવી પડે કે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી નથી, નરેન્દ્ર મોદી છે. નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવી કસોટી થવાની છે. રાહ એટલા માટે પણ જોવી જોઈએ કે મજબૂરી માણસને ઘણું બધું શીખવાડી દે છે અને માણસ શીખી લે છે.
બીજો સવાલ દેશ માટે અને દેશના લોકતંત્ર માટે વધારે મહત્ત્વનો છે. જે પોતાની પવિત્ર ફરજ ભૂલીને શરણે થઈ ગયા હતા એ પાછા ટટ્ટાર ઊભા રહેશે? પણ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ ડરી ગયા હતા કે વેચાઈ ગયા હતા? મારો અભિપ્રાય એવો છે (અને મને લાગે છે કે દરેકનો અભિપ્રાય એ જ હશે જે મારો છે) કે લગભગ ૯૦ ટકા લોકો વેચાઈ ગયા હતા. જે નથી ડર્યા એ નથી જ ડર્યા. ન્યાયતંત્રને, ચૂંટણીપંચ જેવી અન્ય બંધારણીય સંસ્થાઓને અને અભિવ્યક્તિના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને (એટલે કે પત્રકારોને) બંધારણે સ્વતંત્ર રીતે કામ કરવાની સુરક્ષા આપી છે. કોઈ વાળ પણ વાંકો ન કરી શકે જો કરોડરજ્જુ હોય તો! હા, થોડી તો કિંમત ચૂકવવી પડે અને જો કિંમત ચૂકવવાની તૈયારી ન હોય તો રાષ્ટ્રીય જવાબદારી જેમાં સંકળાયેલી હોય એવાં કામ ન કરવાં જોઈએ. ટૂંકમાં જે લોકોએ સમાધાનો કર્યાં છે અને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે એ લોકો વેચાયેલા હતા ડરેલા નહોતા.
પણ સત્ય એ છે કે વેચાનારા લોકો તો હજુ વેચાવા તૈયાર હોવાના જો કોઈ ખરીદનાર હોય તો. હા, નવી સ્થિતિમાં ખરીદનારાઓને તેમનો ખપ કેટલો હશે એ અલગ સવાલ છે. નરેન્દ્ર મોદીની સરકાર નહોતી આવી એ પહેલાં પણ અદાલતોમાં ચુકાદાઓ ખરીદી શકાતા હતા, સરકારી વહીવટી નિર્ણયો ખરીદી શકાતા હતા, પત્રકારોને ખરીદી શકાતા હતા બધું જ થતું હતું. મીડ નાઈટ નોટિફિકેશનનો એક યુગ હતો જેમાં અડધી રાતે ચોક્કસ લોકોને મદદરૂપ થાય એ રીતે નીતિઓ બદલાતી હતી. ફરક એ છે કે આ વખતે આ બધું ઊઘાડું હતું, વધારે જાડું હતું, વધારે અશ્લીલ હતું, ચીતરી ચડે એવું હતું.
આમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાની હાલત વધારે કફોડી થવાની છે. તેણે તો ગોળા સાથે ગોફણ પણ ગુમાવી છે. દસ વરસમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાનું વજૂદ ગુમાવી દીધું છે અને એટલે તેનું વેચાણમૂલ્ય પણ ગુમાવી દીધું છે. એક અભ્યાસ મુજબ દેશમાં રોજ અંદાજે ૫૦ કરોડ લોકો યુ ટ્યુબ અને બીજા સોશ્યલ મીડિયાનાં માધ્યમોમાં જાય છે અને દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મેળવે છે. આજે જેઓ સોશ્યલ મીડિયાથી પરિચિત નથી એવા વૃદ્ધો અને દેશપ્રેમનો ઘોંઘાટિયો નશો કર્યા વિના જેમને ઊંઘ નથી આવતી એવા ભક્તોને છોડીને કોઈ ટી.વી. ન્યુઝ જોતા નથી. એટલે તો લાખ પ્રયત્ન પછી પણ શાસક પક્ષની વાત લોકો સુધી પહોંચી નહીં અને યુ ટ્યુબરો દ્વારા વિરોધ પક્ષોની વાત છેક ગામડાં સુધી પહોંચી. ઊલટું તેમની વાત સાચી હોય તો પણ લોકો ભાટનું કથન છે એમ કહીને માનવા તૈયાર નથી હોતા. હિન્દી ભાષામાં રાજકીય વિશ્લેષણ કરનારા કેટલાક યુટ્યુબરોના દર્શકોની સંખ્યા ૫૦ લાખથી અઢી કરોડ સુધીની છે. દેશમાં કઈ એવી ન્યુઝ ચેનલ છે જે આટલા દર્શકો ધરાવે છે? આગળ કહ્યું એમ જો ખરીદનારા મળે તો વેચાવા માગનારા લોકો તો હજુ પણ બજારમાં બનીઠનીને ઊભા રહેશે, પણ હવે પછી ખરીદનારા મળશે કે કેમ એ સવાલ છે. તેમણે પોતે જ પોતાને અપ્રાસંગિક બનાવી દીધા છે. અને હા, એ ચાપલુસી કરનારા એન્કરોને ગાળો દેવાનો કે નફરત કરવાનો કે પછી ઠેકડી ઉડાડવાનો કોઈ અર્થ નથી. મુખ્ય વિલન માલિકો છે. માલિકોએ ખિસ્સા ભર્યા છે.
અત્યારે આખા જગતમાં સમુદ્રમંથન ચાલી રહ્યું છે અને તેના અંતે જાહેરજીવન, શાસનતંત્ર, લોકતંત્ર અને પત્રકારત્વ એમ ચારે ય પરિષ્કૃત થશે. શરૂઆત થઈ ગઈ છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જૂન 2024