Opinion Magazine
Number of visits: 9449981
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એટ્રૉસિટી એક્ટ છતાં દલિતો પર અત્યાચારો વધતા રહ્યા છે, ન્યાયતંત્રને એનો ખ્યાલ હોય જ ને !

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|6 April 2018

પોલીસ અને ન્યાયતંત્ર પાસેથી સંવેદનશીલ સક્રિયતાની અપેક્ષા રહે છે

‘એટ્રોસિટી એક્ટ’ તરીકે ઓળખાતા શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિઝ) એક્ટ, ૧૯૮૯ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર પ્રતિબંધક) ધારો, ૧૯૮૯)નો દુરુપયોગ થવાથી નિર્દોષોને વેઠવું પડે તે મતલબની વાત દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કરી છે. જો કે આ કાયદાનો ઉપયોગ ન થવાને કારણે નિર્દોષ દલિતો પર અત્યાચાર કરનારા નિર્દોષ છૂટી ગયા હોવાની વિગતો મોટા પ્રમાણમાં સાંપડે છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો(એન.સી.આર.બી.)ના ૨૦૧૦ થી ૨૦૧૬નાં વર્ષો દરમિયાનના આંકડા બતાવે છે કે એટ્રોસિટી કાયદા હેઠળના કેસોમાં દલિતો (શિડ્યુલ્ડ કાસ્ટ્સ) સામેના ગુના માટે સજા થઈ હોય તેવા કેસોના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે. ૨૦૧૦માં કુલ આરોપીઓમાંથી ૩૮% ને ગુનેગારો તરીકે સજા થઈ હતી, જેનું પ્રમાણ ૨૦૧૬માં ૧૬% પર ગયું છે. આદિવાસીઓ (શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) સામેના ગુનામાં ૨૦૧૦માં ૨૬% ગુનેગારોને સજા થઈ હતી જેનું પ્રમાણ ૨૦૧૬માં ૮ % પર ગયું છે. બીજી બાજુ કેસોના ભરાવો વધ્યો છે. દલિતોના કિસ્સામાં તે ૨૦૧૦માં ૭૮% હતો તેમાંથી વધીને ૨૦૧૬માં ૯૧%, અને આદિવાસીઓમાં ૮૩% થી ૯૧% પર પહોંચ્યો છે. આ સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કે અનુસૂચિત જાતિ સામેના ગુના ૧૦% અને આદિવાસીઓ સામેના ગુના ૦૬% વધ્યા છે. એન.સી.આર.બી.ના ૨૦૧૬ના આંકડા તો એ પણ બતાવે છે કે દલિત અત્યાચારોમાં ય સહુથી મોટો આંકડો મહિલાઓ પરના અત્યાચારોનો છે.

એટ્રોસિટી કાયદાનો અંગત કે રાજકીય કારણોસર દુરુપયોગ થતો હોય તેવા કિસ્સા ટાંકવામાં આવે છે તેનો ઇન્કાર કરવાનો અર્થ નથી. બહુ જાણીતા દલિત કર્મશીલ કાન્ચા ઇલૈયાએ સર્વોચ્ચ અદાલતના અત્યારના ચૂકાદાની ટીકા કરતાં એક લેખમાં તેમની ખુદની સામે ઑક્ટોબરમાં કરવામાં આવેલા એક એટ્રોસિટી કેસ અંગે લખ્યું છે. ઓ.બી.સી. વર્ગના આ રૅડિકલ લેખકના એક તેલુગુ પુસ્તક પર ભારતીય જનતા પક્ષના દલિત સભ્ય કે. નાગારાજુએ કેસ કર્યો છે. ઇલૈયા કહે છે : ‘એટ્રોસિટી કાયદાનો આ બિલકુલ દુરુપયોગ છે.’ એ આગળ સવાલ કરે છે: ‘પણ શું દેશના ન્યાયતંત્રે આવા અપવાદાત્મક કિસ્સાને અનુસરીને ચાલવાનું છે ? શું આવા કિસ્સાને પગલે એણે દેશની પોલીસને એટ્રોસિટીના કાયદા હેઠળ એફ.આઈ.આર. ન નોંધવાનો નિર્દેશ આપવાનો છે?’ ભાજપ સાથે સંકળાયેલા રાજકીય નિરીક્ષક અને વાચનીય લેખક સુધીન્દ્ર કુલકર્ણી એક લેખમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગની છણાવટ કરે છે. એન.સી.આર.બી.નો  એક વર્ષનો એક આંકડો તે એક લીટીમાં આપે છે કે ૨૦૧૫માં કુલ ફરિયાદોમાંથી ૧૫ % ખોટી હતી અને ૭૫% ટકામાં કેસેસ પાછા ખેંચાયા અથવા આરોપી નિર્દોષ સાબિત થયા. કુલકર્ણી એવા કેટલાક કિસ્સા ટાંકે છે કે જેમાં કર્મચારીઓ તેમની સામે પગલાં લેનાર ઉપરીઓ સામે કરેલો એટ્રોસિટીનો કેસ ખોટો સાબિત થયો હોય. આ કર્મચારીઓએ નોકરી દરમિયાન જુદા જુદા પ્રકારની ગેરશિસ્ત આચરી હતી. એક દારુડિયો અધ્યાપક નશામાં વર્ગમાં ગયો હતો. એક કારકૂન કૉલેજમાં પૈસાની ઉચાપત કરતો હતો. કર્ણબધિરો માટેની શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીને મારતો હતો. એક એન્જિનિયરિંગ કૉલેજનો મદદનીશ ભ્રષ્ટાચાર કરતાં રંગે હાથ પકડાયો હતો.

ઉપરોક્ત દરેક કેસમાં આરોપી બનેલા ઉપરીને એટ્રોસિટી એક્ટના દુરુપયોગને કારણે સહન કરવાનું આવ્યું હોય તેનાથી સંવેદનશીલ મનને પીડા થાય એ સમજી શકાય તેમ છે. આનાથી અનેક ગણી, હકીકતમાં અકથ્ય પીડા ભારતનાં ગામડાંના દલિતોનો એક વર્ગ તેમની સલામતી માટે સર્જાયેલા એટ્રોસિટી એક્ટનો ઉપયોગ અસરકારક રીતે ન થવાને કારણે વેઠી રહ્યા છે. ગ્રામીણ ગરીબોની વાસ્તવિકતાનો જેને ભાગ્યે જ કોઈ અંદાજ છે તેવા ઉજળિયાત શહેરીઓના એક વર્ગને લાગે છે કે આ કાયદો દલિતો હથિયાર તરીકે વાપરી રહ્યા છે. રોજબરોજના સમાચારો ય ધ્યાનથી વાંચતાં સમજાય છે કે આપણા બહુમતીવાદી સમાજમાં એટ્રોસિટી કાયદાનો ડર ઠીક ઓછો છે. અન્યથા ૨૦૧૬-૧૭માં દેશના દલિત અત્યાચારોના ૪૫,૦૦૦ એટલે કે રોજના ૧૨૩ કેસો ન નોંધાયા હોત.

ગુજરાતમાં ઉજળિયાતોના ગરબા જોયા એટલા માટે કે ઘોડા પર બેઠા એટલા માટે દલિતની હત્યા ન થઈ હોત. સપ્ટેમ્બર 2012માં થાનગઢમાં પોલીસે ત્રણ દલિત યુવાનોને એ.કે.૪૭થી ઢાળી દીધા પછી છેક ત્રણ વર્ષે તેની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઇન્વેિસ્ટગેશન ટીમ રચી, પણ અત્યાર સુધી એનાથી આગળ ઝાઝું કશું બન્યું નથી. ઑક્ટોબર 2016માં મહિના માટે ગુજરાતનાં કેટલાંક ગામડાંના અગિયાર દલિત પરિવારો અનેક પ્રકારના અન્યાય-અત્યાચારો સામે ન્યાય મેળવવા માટે ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા હતા. તેઓ થાક્યા, તબિયતો લથડી, ઘરે પાછાં ગયાં, ન્યાય હજુ દૂર છે. જુલાઈ ૨૦૧૬ના ઉનાકાંડના આરોપીઓને એક પછી એક જામીન મળતા રહ્યા છે અને જુલમનો ભોગ બનનાર સરવૈયા કુટુંબ ડરના ઓથાર નીચે જીવી રહ્યું છે. તે બૌદ્ધ ધર્મનો અંગિકાર કરવાનું છે એમ વશરામભાઈ સરવૈયાએ જાહેર કર્યું છે. સરકારે સ્પેશ્યલ કોર્ટની માત્ર જાહેરાત જ કરી.

પંથકના દલિત સમાજને રોજી મળવાની મુશ્કેલીઓ વધતી રહી છે. ઉનાપીડિતોનું સદભાગ્ય છે કે એ લોકોને મારી નાખવામાં ન આવ્યા. અલબત્ત, એમને એટ્રોસિટીના કાયદા મુજબ ન્યાય મળવાનું આ દેશમાં અઘરું  છે. જેમ કે સપ્ટેમ્બર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાના ગામ ખૈરલાંજીના ભોટમાંગે નામના પ્રગતિશીલ ગરીબ દલિત પરિવારના ચાર સભ્યોની ઉપલા વર્ગના લોકોએ ઘાતકી રીતે હત્યા કરી. ગુનેગારોને ફાસ્ટ ટ્રૅક કોર્ટે મોતની સજા ફરમાવી, પણ વડી અદાલતે તેને જનમટીપમાં ફેરવી અને તેમાં અનુસૂચિત જાતિ સામેના અત્યાચારનો ગુનો બનતો નથી એવી ભૂમિકા લીધી ! બિહારમાં તો જાણે એટ્રોસિટી એક્ટ હોય જ નહીં એવો માહોલ હતો. ત્યાં રણવીર સેના નામનાં સામંતશાહી જમીનદારી  જૂથનાં હેવાનો  દલિતોનાં હત્યાકાંડો કરવા છતાં મોટે ભાગે પટનાની વડી અદાલતમાં નિર્દોષ છૂટતા રહ્યા છે. ૧૯૯૬માં બથાની તોલા ગામના હત્યાકાંડમાં  ૨૧ દલિતોને મારી નાખનાર  સેનાના ૨૩ જણને માટે નીચલી અદાલતે સજા ફરમાવી, વડી અદાલતે નિર્દોષ જાહેર છોડ્યા ! ૧૯૯૭માં લક્ષ્મણપુર બાથેમાં ૫૮ દલિતોની થયેલી હત્યાના ૨૬ આરોપીઓને વડી અદાલતે ઑક્ટોબર ૨૦૧૩માં નિર્દોષ છોડી મૂક્યા. ભોજપુર જિલ્લાના નગરી બજારમાં ઑક્ટોબર ૧૯૯૮માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના દસ દલિત કાર્યકર્તાઓની હત્યાના ૧૧ આરોપીઓ માર્ચ ૨૦૧૩માં નિર્દોષ છૂટી ગયા. ૧૯૯૯ના ગણતંત્ર દિને જેહાનાબાદના શંકરબિઘામાં ૨૨ દલિતોના હત્યારા જાન્યુઆરી ૨૦૧૫માં ગુનામુક્ત જાહેર થયા. મિયાંપુરમાં ૨૦૦૦ના વર્ષે દલિતો સહિત ૩૨ જણની હત્યા થઈ તેના તેર વર્ષ બાદ દસમાંથી નવ આરોપીઓ નિર્દોષ સાબિત થયા. આવી અભ્યાસપૂર્ણ અને અસ્વસ્થકારક સ્મિતા નરુલાના, સૉફ્ટ કૉપીમાં પણ હોય તેવા, પુસ્તક ‘બ્રોકન પીપલ’(ગુજરાતી અનુવાદ ‘દુભાયેલા લોકો’, ૧૯૯૯)માં મળે છે.

દુનિયામાં બધે જ હોય છે તેમ દલિત અત્યાચારોમાં વધુ વેઠવાનું મહિલાઓને જ આવે છે. સમાજના એક હિસ્સાના દલિતો તરફના ભેદભાવ, પોલીસ ખાતાની જડતા અને જ્ઞાતિવાદના રાજકારણે એટ્રોસિટી એક્ટના અમલ બહુ પેચીદો તેમ જ અઘરો બન્યો છે. આવા સંજોગોમાં અદાલતો પાસેથી દેશને વધુ સંવેદનશીલ વલણની અપેક્ષા રહે છે.

********

૦૫ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 અૅપ્રિલ 2018 

Loading

6 April 2018 admin
← હાસ્ય-વ્યંગની પ્રથમ દલિત લઘુનવલ : ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં
પ્રાઈવસીના કેટલા ટકા? તમારો પાસવર્ડ આપો, પ્લીઝ! →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved