Opinion Magazine
Number of visits: 9448690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસત્ય જ હવે સત્યનો વિકલ્પ છે કે શું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 November 2023

રવીન્દ્ર પારેખ

દિવાળી નજીક છે ને એક મોટો વર્ગ તેની ઉજવણીનો આનંદ લઈ રહ્યો છે, તો બીજી તરફ બધું ભવ્ય ભવ્ય થઈ રહ્યું છે. રામ મંદિર વખતે ફરી દિવાળી થવાની છે ને એમ ઉત્સવોની ખોટ ભારતને નહીં પડે એવું લાગે  છે. આમ તો વાક્બારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો મહિમા થાય છે. એ પણ છે કે લક્ષ્મીનો થાય છે એટલો મહિમા સરસ્વતીનો થતો નથી. એમાં ગમ્મત એ છે કે ખોટે રસ્તે સરસ્વતી આવતી નથી, પણ લક્ષ્મી તો ખોટે રસ્તે પણ આવતી હોય છે. લક્ષ્મી કયે રસ્તે આવે છે તે હવે બહુ મહત્ત્વનું રહ્યું નથી. એ જ રીતે વાણીના વ્યભિચારની પણ બહુ નવાઈ રહી નથી. પ્રજા પણ હવે શાસ્ત્રને વિકલ્પે શસ્ત્ર રાખતી થઈ છે. વાત વાતમાં છરી મારી દેવાની પણ નવાઈ નથી. આજે તો બાર તેર વર્ષનો છોકરો પણ છરી હુલાવી દેવાની વીરતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. આપણાં ઘણાં બાળકો સ્વસ્થ છે ને શાસ્ત્રને પ્રમાણે છે, પણ ચિંતાનો વિષય એ છે કે બાળકના હાથમાં છરી આવી છે ને હુલાવવા સુધી તો તે આવી જ ગયો છે.

પાટણના એક પાર્લર પાસે કોઈ યુવકનો હાથ અડી જતાં બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ અને વાત એવી વધી પડી કે પિતા અને બે પુત્રોએ છરાના ઘા મારીને યુવકની હત્યા કરી નાખી. આમ ન બનવું જોઈએ, પણ બન્યું છે, બને છે. આવી તો એટલી ઘટનાઓ છે કે બધા જ છરી લઈને ફરતા હોવાનો વહેમ પડે. આના પરથી એટલું સમજાય છે કે ધીરજ, સહિષ્ણુતા, શાંતિ જેવી બાબતો હવે અવગુણ ગણાય છે. જે વાતે વાતે ઉશ્કેરાય, હુમલો કરે કે હત્યા કરી નાખે તે જ વીર ગણાતો હોય તો નવાઈ નહીં ! હવે અકળ, ભેદી અને કાવતરાંખોર માણસની જ બોલબાલા હોય તેમ તેને વધુ ફૂટેજ મળે છે. એક જમાનામાં ફિલ્મોથી લોકો બગડે છે એવું કહેવાતું. એમાં એટલી હિંસા આવતી કે શાંત વાસ્તવિક જીવન પર એનો પ્રભાવ પડવાનો ભય ઊભો થતો. વાસ્તવિક જીવન એટલું તનાવપૂર્ણ અને ઘાતકી થયું છે કે ફિલ્મો એનું અનુકરણ કરે એમ બને. ફિલ્મમાં કોઈ ભેદી પ્લાન ઘડતું ને અંતે એનો ભેદ ઊઘડતો તો પ્રેક્ષકો ચકાચૌંધ થઈ જતા, પણ એક ઘટના અમદાવાદની એવી સામે આવી છે કે ચામડીનાં ચોસલાં પડી જાય. ફિલ્મી કાવતરાં તો એની આગળ વામણાં લાગે.

આગ્રાનો અનિલસિંઘ ચૌધરી નામનો એક યુવક 17 વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલો તે અમદાવાદથી રાજકુમાર ચૌધરીને નામે પકડાયો. આ કહેવાતા રાજકુમારે અમદાવાદમાં પડોશી છોકરીને પ્રેમ કર્યો ને લગ્નપણ કર્યાં ને બે સંતાનનો પિતા પણ બન્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શાબાશી આપવી પડે કે 17 વર્ષથી મૃત મનાતી વ્યક્તિને જીવતી પકડી. રાજકુમારને તેની પત્ની એ અંગે પૂછતી રહેતી કે આગ્રામાં તેનું કુટુંબ છે તો તે અહીં આવતું નથી કે નથી તો પતિ એને આગ્રા લઈ જતો. એને જ્યારે ખબર પડી કે એનો પતિ તો 17 વર્ષ પહેલાં કાર અકસ્માતમાં ગુજરી ગયો છે તો તેની હાલત કેવી થઈ હશે, તેની કલ્પના જ કરવાની રહે છે.

આગ્રામાં રહેતો આ રાજકુમાર ઉર્ફે અનિલસિંઘ 31 જુલાઈ, 2006ને રોજ ગાડી લઈને નીકળે છે અને ટોલ નાકા પરથી એક ભિક્ષુકને જમાડવાની લાલચે સાથે લે છે. હોટેલમાં જમાડે છે. ભિખારી પેટ ભરીને જમે છે, ગાડીમાં બેસે છે ને એકાએક ગાડી સળગી ઊઠે છે. ભિખારી કોલસો થઈ જાય છે. રજિસ્ટ્રેશન નંબર પરથી ગાડીના માલિક તરીકે વિજયપાલસિંઘ ચૌધરીનું નામ ખૂલે છે ને તે ગાડીમાંથી મળી આવેલાં ભિખારીનાં શબની અનિલસિંઘ તરીકે ઓળખ કરે છે. અનિલની અંતિમવિધિઓ થાય છે. પિતા, પુત્ર અનિલસિંઘનું બેસણું રાખે છે ને જગજાહેર થઈ જાય છે કે કારમાંથી મૃત મળી આવેલો પુત્ર અનિલસિંઘ જ હતો. અનિલસિંઘને નામે 80 લાખનો વીમો હતો તે વીમાની રકમ ને કારની વીમાની રકમ વીમા કંપનીઓ દ્વારા ચૂકવી દેવાય છે. અનિલસિંઘ અમદાવાદ આવી જાય છે ને અહીં જ વસી જાય છે. પેલા ભિખારીનો પત્તો તો લાગ્યો ન હતો એટલે એની તપાસ ચાલતી હશે ને સત્તર વર્ષે ભિખારી તો નથી મળતો, પણ અસલી અનિલસિંઘ અમદાવાદ પોલીસ શોધી કાઢે છે.

વાત એવી હતી કે અનિલસિંઘ, તેના પિતા વિજ્યપાલસિંઘ સાથે મળીને એવું કાવતરું કરે છે કે અનિલસિંઘનું મૃત્યુ થયાનું લાગે. મૃત્યુ થયું છે એવું સાબિત થાય તો 80 લાખનો વીમો પાકે. કાર અકસ્માતમાં અનિલ બળી મર્યો છે એવું બતાવવાનું આયોજન થયું. એને માટે કારમાં બળવા કોઈ માણસ જોઈએ, એટલે ટોલ નાકા પરથી ભિખારી શોધી કઢાયો. એને ભોજનમાં ઘેનની દવા ખવડાવીને કારમાં ગોઠવાયો, ત્યારે એને બિચારાને શી ખબર કે એને વધેરવા તૈયાર કરાઇ રહ્યો છે. અનિલસિંઘ, તેનાં પિતા અને મળતીયાઓએ કાર સળગાવી દીધી. ડ્રાઇવિંગ સીટ પર ભિખારી પૂરો બળી ગયો છે તેની ખાતરી કરીને કાવતરાંખોરો ઘર ભેગાં થયાં. પછી તો અનિલસિંઘ અમદાવાદમાં રાજકુમાર થઈ ગયો ને તેણે અહીં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી દસ્તાવેજો ઊભાં કરીને જીવવાનું શરૂ કરી દીધું. માણસ કઇ હદે હેવાન કે રાક્ષસ થઈ શકે તેનો અનિલસિંઘ જીવંત નમૂનો છે. રાક્ષસ પણ શરમાય એવી હેવાનિયત કરવામાંથી આજનો માણસ ચૂકતો નથી ને પૈસા ખરચતાં કૈં પણ કરાવી લેવાના વિશ્વાસે માણસને હેવાન બનવામાં મદદ કરી છે. આધારકાર્ડ, પાનકાર્ડ મહત્ત્વના દસ્તાવેજો છે, પણ થોડા પૈસામાં આ બધું જ હવે તૈયાર થઈ શકે છે. એને લીધે દસ્તાવેજોએ એનું મૂલ્ય ગુમાવ્યું છે. એ આજના જમાનાની તાસીર છે કે ખોટું જ હવે ખરું થઈ ગયું છે ને એનું પ્રમાણ સતત વધતું આવે છે.

હજી ઘણા પ્રમાણિક ને સત્યપ્રિય લોકો છે જ, પણ ઘણા અપ્રમાણિક અને અસત્યપ્રિય પણ છે જ ! ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવું વાતાવરણ છે. પ્રદૂષણ હવામાં જ નથી, દવામાં પણ છે. ઘી, તેલ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઇ, દૂધ, માવામાં હજારો કિલો ભેળસેળ ને જીવાતના સમાચારો પ્રગટ થતા જ રહે છે. કાલના જ સમાચાર છે કે સુરત-વલસાડથી 1,863 કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, તો અમદાવાદના નરોડા, બોપલ, ઓઢવના વેપારીઓ પાસેથી ફૂડ વિભાગે બે ડેરી પ્રોડક્ટ સહિત 2,619 કિલો તેલનો જથ્થો જપ્ત કર્યો છે. બોક્સ પેકિંગના કાજુમાંથી ઇયળ નીકળતાં સાઉથ બોપલની માધવ ટ્રેડિંગ નામની દુકાન સીલ કરાઈ છે. એ કરુણતા છે કે માણસને માટે માણસો જ મોત ઊભું કરી રહ્યાં છે ને એ મામલે તપાસનું નાટક પણ થાય છે, પણ પરિણામો અંગે તંત્રોને બહુ લેવા દેવા નથી, એવી સમજ એક વર્ગમાં પ્રવર્તે છે.

બીજી તરફ રાજકીય પક્ષો સત્તામાં આવવા કે સત્તામાં ટકી રહેવા સામસામા આક્ષેપો કરવામાંથી જ ઊંચા નથી આવતા. એમને પ્રજાનું હિત હૈયે ઓછું જ વસે છે ને વસે છે એમાં પણ રાજકીય લાભ ખાટવાની વૃત્તિ પડેલી હોય છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી તરીકેનો દીર્ઘકાળ ધરાવે છે, પણ એમનો સત્તાનો લોભ ઘટતો નથી. એ કોઈ પણ પક્ષમાં હોય, તે મહત્ત્વનું નથી, મહત્ત્વની સત્તા છે. તાજેતરમાં વિધાનસભામાં મુખ્ય મંત્રી તરીકે વસ્તી નિયંત્રણ સંદર્ભે નીતીશે એવી અણછાજતી ટિપ્પણી કરી કે હવે માફી માંગતા પાર નથી આવતો. સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, ત્યારથી વસ્તી નિયંત્રણમાં તેમનું યોગદાન વધ્યું છે, એ મતલબની વાત તેમણે વિધાનસભામાં કરી, પણ એવી રીતે કરી કે તે અભદ્ર બની રહી. એનો અર્થ તેમને પણ, અભણ હોય તેમ બીજે દિવસે સમજાયો. એ પણ કોઈએ ધ્યાન દોર્યું ત્યારે ! એમણે એ અંગે ગૃહમાં અને ગૃહની બહાર માફીઓ માંગી, પણ ભા.જ.પ.ને એથી સંતોષ નથી. એને તો નીતીશનાં રાજીનામાંથી ઓછું કૈં ખપતું નથી. નીતીશ તો વિપક્ષી ગઠબંધન INDIAના પણ મહત્ત્વના સભ્ય છે, પણ એમની અભદ્ર ટિપ્પણી અંગે કોઈ વિપક્ષી સભ્યે પ્રતિક્રિયા ન આપી, એ પણ એટલું જ અભદ્ર છે. નીતીશકુમારે અશ્લીલ ટિપ્પણી કરી છે, એમાં કોઈ બે મત નથી, નીતીશકુમાર પોતે એ વાતે શરમિંદા છે, તો વિપક્ષનો કોઈ નેતા એ મામલે મૌન ન તોડે એ કોઈ રીતે યોગ્ય નથી. આ મામલે વડા પ્રધાને નીતીશની અને વિપક્ષની વાજબી રીતે જ ધૂળ ખંખેરી છે. વિધાનસભામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિમાં થયેલી ટિપ્પણી અક્ષમ્ય છે. એ પછી પણ વિપક્ષની કોઈ પ્રતિક્રિયા નથી એ વિપક્ષની તરફેણમાં જતી વાત નથી. નીતીશની ટિપ્પણી એમને તો નડશે જ, પણ વિપક્ષ પર પણ પ્રભાવ પાડશે જ, ખાસ તો ટિપ્પણી અંગે સેવાયેલાં મૌનને મામલે. જો કે, બિહાર વિધાનસભામાં અનામત સંશોધન બિલ પસાર કરી દેવાયું છે ને ભા.જ.પે. એને ટેકો પણ આપ્યો છે, શરૂઆતમાં ભા.જ.પે. વિધાનસભામાં હોબાળો તો કર્યો, પણ અનામત સંશોધન બિલ મંજૂર થવા દીધું તે સૂચક છે. બને કે અભદ્ર ટિપ્પણી અંગે વિધાનસભામાં હવે મગનું નામ મરી ન પણ પડે.

આમ વિકાસ વિકાસ અને વિદેશી છાપને નામે ઘણું રોઝી ચિત્ર ભારતનું ઉપસાવાય છે, ગરીબોને મદદ પણ થાય છે, પણ હિંસા, ષડયંત્ર, ભેળસેળ, લાંચ રૂશ્વત, બળાત્કાર, આત્મહત્યા, હત્યા, વાણી વિલાસ જેવી ઘણી બાબતો જન માનસ પર કાળો કેર વર્તાવી રહી હોય એવું નથી લાગતું? એક તરફ વધતી જતી ધાર્મિક ઉત્તેજના ને બીજી તરફ ઉત્તરોત્તર લદાતાં જતાં નિયંત્રણો, સંવેદનશીલ વ્યક્તિનું જીવવું હરામ કરી રહ્યાં છે. સરકારના તમામ પ્રયત્નો છતાં દંભ, જૂઠાણાં, હિંસા ને ભ્રષ્ટતાનો છેડો નથી દેખાતો તે પ્રવર્તમાન સમયની સૌથી મોટી પીડા છે. વધારે શું કહેવું?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 નવેમ્બર 2023

Loading

10 November 2023 Vipool Kalyani
← પત્રકારોનાં ડિજિટલ ઉપકરણોની ‘પ્રાઇવસી’ સુનિશ્ચિત કરવી જરૂરી 
आरएसएस और अम्बेडकर: भारतीय राजनीति के दो विपरीत ध्रुव →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved