Opinion Magazine
Number of visits: 9446889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્ધી રાતે આઝાદી : યશસ્વી હિસ્ટોરિકલ ફિક્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

લેરી કોલિન્સના જોડીદાર લેખક ડોમિનીક લાપિયરનું અવસાન :

અશ્વિની ભટ્ટનું શ્રેષ્ઠ પુસ્તક તેમની નવલકથાઓમાંથી નહોતું. ઓથાર, આશકા માંડલ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આખેટ કે અંગાર તેમની સર્વાધિક વંચાયેલી નવલકથાઓ હતી, અને તેણે નિશ્ચિતરૂપે અશ્વિની ભટ્ટનો ગુજરાતના લોકપ્રિય નવલકથાકારોની શ્રેણીમાં રાજ્યાભિષેક કરાવ્યો હતો, પણ તેમનું શ્રેષ્ઠ પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’ હતું, જે તેમના અનુવાદ કરીને ‘બે પાંદડે’ થવાના સમયગાળાનું છે. તેમની નવલકથાઓની સરખામણીમાં તે તેમનું ‘ઓછું જાણીતું’ પુસ્તક છે. તેનું કારણ તેનો વિષય છે. ગુજરાતી વાચકો ફિક્શનને જેટલો પ્યાર કરે છે, તેની સરખામણીમાં નોન-ફિક્શનને ઓછો કરે છે. ‘અર્ધી રાતે આઝાદી,’ જે મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’નો અનુવાદ છે તે, શીર્ષક પરથી સ્પષ્ટ છે તે પ્રમાણે, ભારતની આઝાદીનો ઇતિહાસ માંડે છે.

જે લોકોને ઇતિહાસમાં, અને અશ્વિનીભાઈના અનુવાદોમાં રસ છે, તેઓ ‘અર્ધી રાતે આઝાદી’ને યશસ્વી પુસ્તક ગણાવે છે. એક તો, મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ લખાયું હતું જ એક રોચક રાજકીય થ્રિલર તરીકે અને બીજું, અશ્વિનીભાઈએ રહસ્ય-રોમાંચની હથોટીનો ઉપયોગ કરીને તેને ગુજરાતી વાચકો માટે સ્વાદિષ્ટ કરી આપ્યું હતું.

90ના દાયકામાં ભારતની આઝાદીના ઇતિહાસ પર પુસ્તકો લખાતાં થયાં, તે પહેલાં 70ના દાયકામાં ભારતમાં ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ એટલું લોકપ્રિય થયું હતું કે, અશ્વિનીભાઈ જેમની વાર્તાઓનો અનુવાદ કરતા હતા તે થ્રિલર લેખક એલિસ્ટર મેક્લીનની પોકેટ બૂક્સની જેમ, રેલવે સ્ટોલ્સ પર વેચાતું હતું. એ પુસ્તક હિસ્ટોરિકલ ફિક્શન હતું અને અશ્વિનીભાઈને એમાં સારી ફાવટ હતી.

1975માં, ડોમિનીક લાપિયર અને લેરી કોલિન્સ નામના, અનુક્રમે, ફ્રેંચ અને અમેરિકન પત્રકાર-લેખકોએ ભેગા મળીને તેને લખ્યું હતું. તેમાંના ડોમિનીક લાપિયરનું આ અઠવાડિયે, રવિવાર તારીખ 4મી ડિસેમ્બરે, અવસાન થઇ ગયું. તે 91 વર્ષના હતા અને ફ્રાન્સના માર્સેલ્સમાં રહેતા હતા. ભારત સરકારે 2008માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કર્યું હતું. તે કડેડાટ બંગાળી બોલતા હતા અને ભારતમાં અને ભારત બહાર તેમની ખ્યાતિ કોલકત્તા પર તેમના પુસ્તક ‘ધ સિટી ઓફ જોય’થી ફેલાઈ હતી. આ પુસ્તકમાંથી મળેલી અડધી કમાણી તેમણે કોલકતાના ગરીબોનો સેવામાં આપી દીધી હતી. તેમના જોડીદાર લેરી કોલિન્સનું આગાઉ 20 જૂન 2005માં અવસાન થયું હતું.

બંને જણાનો ભેટો ફ્રેંચ સૈન્યમાં થયો હતો. સૈન્યમાં છૂટા થયા પછી બંને અલગ-અલગ પ્રકાશનોમાં પત્રકાર બન્યા હતા, પણ દોસ્તી એવી હતી કે 1965માં “ઈઝ પેરિસ બર્નિંગ?” નામના બેસ્ટસેલર પુસ્તકમાં લેખક તરીકે ભેગા થયા હતા. આ પુસ્તક દ્વિતીય મહાયુદ્ધમાં પેરિસના મુક્તિ સંઘર્ષ પર આધારિત હતું. તેમનું આ પહેલા જ પુસ્તકની ત્રીસેક જેટલી ભાષામાં એક કરોડ નકલો વેચાઈ હતી. ચાર વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવ પર બંનેનું ‘ઓ જેરુસલેમ’ આવ્યું.

ત્રીજું પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ 1975માં આવ્યું. પુસ્તકનો સમયગાળો 1947થી 1948 વચ્ચેનો જ છે અને આખું પુસ્તક અંતિમ વાઈસરોય લુઈ માઉન્ટબેટનની આસપાસ ફરે છે. પુસ્તકનો સૌથી રોચક હિસ્સો એ છે કે માઉન્ટબેટન ભારતના વિભાજનની વિરુદ્ધમાં હતા, જિન્હાની જિદ્દ આગળ તે ઝુકી ગયા હતા. પુસ્તક કહે છે કે તે વખતે જિન્હા ક્ષયની બીમારીથી પીડાતા હતા (જિન્હા 30 વર્ષથી રોજની 50 સિગારેટ્સ પીતા હતા) અને તેમના હિંદુ ડોક્ટર અનુસાર ‘થોડા જ મહિનાના મહેમાન હતા.’ વાઇસરોયને જો આ ખબર હોત, તો તેમણે વિભાજનની વાતને ટાળી દીધી હોત અને જિન્હાના મોતનો ઈન્તેજાર કર્યો હોત. જો કે બીમારીની આ વાત જિન્હા અને તેમના ડોકટરને જ ખબર હતી અને બંનેએ સફળતાપૂર્વક તેને છુપાવી રાખી હતી.

વિડંબના કેવી કે આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધીએ જે વર્ષે લોકોની આઝાદી છીનવી લઈને કટોકટી લાદી હતી, તે જ વર્ષે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ આવ્યું હતું. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં, 26 ઓકટોબર 1975ના રોજ આ પુસ્તકનો રીવ્યુ કરતાં મશહૂર ફિલ્મ સર્જક જેમ્સ કેમરોને લેખની શરૂઆતમાં જ લખ્યું હતું, “બાહ્ય શાસકની ગુલામીમાંથી ભારતની આઝાદીની હૃદયસ્પર્શી વાર્તા કહેતા આ પુસ્તકનું કમનસીબ તો જુઓ કે તે એવા સમયમાં પ્રકાશિત થયું છે જ્યારે એ આઝાદીને અંદરના શાસકે અચાનક અને નિર્દયી રીતે ખતમ કરી નાખી છે. આવા ક્રૂર વિરોધાભાસની કોણે કલ્પના કરી હોત!”

લેખમાં વચ્ચે કેમરોન લખે છે, “એ કહેવું ઉચિત છે કે 1947માં ભારતે તેની આઝાદી છીનવી લીધી ન હોત, તો દુનિયા અલગ જ હોત અને અત્યારે છે તેના કરતાં નિશ્ચિતપણે વધુ મુસીબતવાળી હોત, પણ (બ્રિટિશ) ‘મુગટમાંથી એ સર્વોત્તમ રત્ન’ને કાપવાને અલગ કરવાનું એ ઓપરેશન અભૂતપૂર્વ રીતે અઘરું, જટિલ અને ભાવનાત્મક હતું. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ એ ઐતિહાસિક મધરાત સુધી લઇ જતી એ દુઃખદ વાટાઘાટોનું ટોટલ રીકોલ છે, જેણે છેવટે બ્રિટિશ સામ્રાજ્યવાદી બોટલમાંથી કોર્કને ખોલી નાખ્યો અને ઝઘડાના જીનને છોડી મુક્યો. બંને લેખકોએ સરસ રીતે આ બધી વાત લખી છે. તેમને લોર્ડ માઉન્ટબેટન સહિત એ સમયના પ્રમુખ નાયકોને અંગત રેકોર્ડમાં ઝાંખવા મળ્યું છે અને તે પુસ્તકમાં દેખાય છે.”

600 પાનાંની આ ચોપડી, ‘ફ્રીડમ એટ મિડનાઈટ,’ કોમર્સિયલ જર્નાલિઝમમાંથી આવી છે તેવી ટીકાના જવાબમાં ડોમિનીક લાપિયરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “શું ઇતિહાસ ઠંડી કોકાકોલા છે, જેને સૌ કોઈ પચાવી ન શકે કે પછી ઇતિહાસ જે કંઈ થયું હતું તેનું તેની લાગણીઓ, ગંધ, રંગ અને ઘટનાઓની અસરોનું પુન:સર્જન છે?”

અશ્વિનીભાઈએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેને લઈને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીએ એક દિલચસ્પ કિસ્સો ટાંક્યો છે. તે આ પ્રમાણે છે : ‘અર્ધી રાત્રે આઝાદી’ની સૌ પ્રથમ ૩,૨૫૦ કોપી છપાઈ હતી. તેના મહેનતાણા પેટે અશ્વિનીભાઈને રૂ.૩,૦૦૦ હજાર આપવા હતા, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા હતા. તેમને આવું થવાની શંકા હશે એટલે તેમણે પુસ્તકની 50 નકલો લઇ લીધી હતી. તેમાંથી 10 તેમણે ભેટમાં આપી હતી, અને 40 તેમની પાસે હતી.

જેટલી નકલો બજારમાં હતી, તે તમામ ફટાફટ વેચાઈ ગઈ. વધુ નકલોની તાબડતોબ માંગ હશે એટલે પ્રકાશકના ભાઈએ અશ્વિનીભાઇને “હમણાં તમારી નકલો આપો, પછી છપાશે એટલે પાછી આપીશું” એમ કહીને 40 નકલો મેળવી લીધી. રાત ગઈ બાત ગઈ. નકલો ય પાછી ન મળી અને પૈસા ય ન આપ્યા!

હવે અશ્વિનીભાઈ ખુદના માટે નકલ શોધે! એક વાર પ્રવાસમાં ભૂસાવળ રેલવે સ્ટેશને બુક સ્ટોલ પર ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પર તેમની નજર પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, પણ પેલાએ “એ તો મારા માટે છે” કહીને ના પાડી દીધી. અશ્વિનીભાઈએ એ પુસ્તકના લેખક તરીકે પોતાની ઓળખાણ આપી તો ય સ્ટોલ માલિક માન્યો નહીં. એટલે અશ્વિનીભાઈએ કહ્યું કે જોઈએ તો થોડા વધારે રૂપિયા લઇને પણ મને આપ, મારી પાસે એકે ય કોપી નથી. પેલાએ 45 રૂપિયાની ચોપડીના 100 રૂપિયા કહ્યા!

અશ્વિનીભાઈ રંગમંચ અને સિનેમાના માણસ પણ ખરા અને તેમને થિયેટરો પર ટિકિટો બ્લેકમાં વેચાતી હોય તેનો અનુભવ પણ હશે, પણ તે દિવસે ભૂસાવળ રેલવે સ્ટેશન પર તેમણે જ અનુવાદિત કરેલી ચોપડીના બ્લેક થતા જોયા હતા. આને ટ્રેજેડી કહેવાય કે કોમેડી એ ખબર નથી, પણ એટલી ખબર છે કે “લે આ 100 રૂપિયા” એવું કહેવાની તેમની હેસિયત નહીં હોય એટલે રકઝક કરીને 75 રૂપિયામાં તેમણે ‘અર્ધી રાત્રે આઝાદી’નો સોદો પાર પાડ્યો. 

ઇતિહાસમાં અને અશ્વિની ભટ્ટની લખાવટમાં રસ હોય, તો ‘અર્ધી રાતે આઝાદી’ વાંચજો, વાંચવા જેવું પુસ્તક છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

12 December 2022 Vipool Kalyani
← મન્તવ્યજ્યોત (૨૦) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સહૃદયી પ્રતિભાવ 
હારું છું, હરેરી નથી જતો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved