Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એંગ્લો ઈન્ડિયનનું ખાસ પ્રતિનિધિત્વ ખતમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 January 2020

સંસદના શીતકાલીન સત્રમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અનામતોને વધુ દસ વરસ લંબાવવાનો બંધારણ સુધારો પસાર કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણના આર્ટિકલ ૩૩૪(એ)માં દલિતો-આદિવાસીઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આર્ટિકલ ૩૩૪(બી)માં એંગ્લો ઈન્ડિયનનું વિધાનગૃહોમાં રાજકીય પ્રતિનિધિત્વ ન હોય તો લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભામાં પ્રત્યેકમાં એકએક એંગ્લો ઈન્ડિયન સભ્યની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈની દર દસ વરસે સમીક્ષા કરવાની હોય છે. આ ખાસ જોગવાઈની મુદ્દત ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સમાપ્ત થતી હોઈ સંસદે ૧૨૬મા બંધારણ સુધારા દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિ જનજાતિની અનામતોને જીવતદાન આપ્યું છે, પરંતુ એંગ્લો ઈન્ડિયન માટેની ખાસ જોગવાઈઓ લંબાવી નથી. એથી હવે એંગ્લો ઈન્ડિયનને ખાસ પ્રતિનિધિત્વ આપતી બંધારણીય બાંયધરી ખતમ થઈ ગઈ છે.

સત્તરમી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર અર્થે ભારતમાં આવી હતી. ત્યારબાદ એ સમયના નબળા રાજવટને કારણે બ્રિટિશ શાસન સ્થપાયું. તેણે ભારતમાં ખાસ્સાં બસો વરસ રાજ કર્યું હતું. અનેક બ્રિટિશ સૈન્ય અને વહીવટી અધિકારીઓ પણ ભારતમાં આવ્યા હતા. ભારતના દ્યોગિકીકરણ અને આધુનિકીકરણનો પાયો બ્રિટિશ અમલમાં નખાયો હતો. રેલવેલાઈન અને ટેલિફેન લાઈન નાખવા જે અનેક યુરોપિયનો ભારતમાં આવ્યા તેઓ અહીં લાંબો સમય રહ્યા. તેમનાં કુટુંબો યુરોપમાં હોઈ તેમણે અહીં જ ભારતીય સ્ત્રીઓ સાથે લગ્નો કર્યાં, બાળકો થયાં અને તેઓ ભારતમાં જ સ્થાયી થઈ ગયા. તત્કાલીન બ્રિટિશ સરકારે ભારતીય સ્ત્રીઓ સાથેનાં તેમનાં લગ્નોને પ્રોત્સાહન આપ્યું હતું (જો કે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો). આવા યુરોપિયન પુરુષ અને ભારતીય સ્ત્રીનાં સંતાનો એંગ્લો ઈન્ડિયન તરીકે ઓળખાયા. યુરોપિયન પુરુષો બહુધા ભારતીય રેલવેમાં કાર્યરત હોઈ તેમને ‘રેલવે ચિલ્ડ્રન’ પણ કહેવામાં આવતાં હતાં.

૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અને બંધારણના અનુચ્છેદ ૩૬૬(૨)માં જણાવ્યા મુજબ એંગ્લો ઈન્ડિયન એટલે એવી વ્યક્તિ જે ભારતમાં રહે છે પણ તેના પિતા કે પુરુષ પૂર્વજ યુરોપિયન હતા. આંગ્લ ભારતીય ભારતમાં બ્રિટિશરાજની નિશાની છે. તેઓ રંગેરૂપે ભારતીય કરતાં યુરોપિયન વધુ લાગે છે. ભાષા, પહેરવેશ, રીતરિવાજ અને ધર્મ પણ વિદેશી છે. તેમણે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો નથી. સાઈમન કમિશને તેમને બ્રિટનમાં વસાવવાની માંગ સ્વીકારી નહોતી. એટલે તેઓ બ્રિટનના ઉપેક્ષિતો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પૂર્વે ઘણાં એંગ્લો ઈન્ડિયન લોકો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને બીજા કોમનવેલ્થ દેશોમાં જઈ વસ્યા. છતાં આશરે ૫ લાખ એંગ્લો ઈન્ડિયન આઝાદી સમયે ભારતમાં હતા. ધીરેધીરે તેઓ ભારતની સ્થાનિક ભાષા, રીતરિવાજ, રહેણીકરણી અને ધંધા-રોજગાર અપનાવતા થયા હતા. ૧૮૭૬માં તેમણે ‘ધ ઓલ ઈન્ડિયા એંગ્લો ઈન્ડિયન એસોસિયેશન’ નામક સંગઠન બનાવ્યું હતું. મધ્યપ્રદેશના જબલપુરમાં પેદા થયેલા ફ્રેન્ક એન્થોની તેના સ્થાપક હતા. તેઓ બંધારણસભાના પણ સભ્ય હતા એટલે તેમણે બંધારણમાં એંગ્લો ઈન્ડિયનના અધિકારો સામેલ કરાવ્યા. સંવિધાનના અનુચ્છેદ ૩૩૧ મુજબ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભાઓમાં એકએક સભ્યની નિયુક્તિ કરશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતની લોકસભામાં ૧૯૫૧થી જ એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ થતી રહી છે. સૌથી વધુ આઠ વખત (૧૯૫૧થી ૧૯૯૩માં અવસાન સુધી) ફ્રેન્ક એન્થોનીની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે.

છેલ્લાં ૭૦ વરસોની સોળ લોકસભામાં ૩૩ એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્તિ પામ્યા છે, પરંતુ આ વિશેષ સુવિધા કે ખાસ રાજકીય પ્રતિનિધિત્વ હવે બે દિવસ પછી સમાપ્ત થઈ જશે.

એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિની જોગવાઈ ન લંબાવવાના કારણમાં વર્તમાન સરકારે લોકસભામાં જણાવ્યું છે કે ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે દેશમાં માત્ર ૨૯૬ જ એંગ્લો ઈન્ડિયન છે. એટલે તેમને ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર નથી. જો કે લોકસભાના ઘણા સભ્યોએ ભારતમાં એંગ્લો ઈન્ડિયનની વસતી આટલી ઓછી હોવાની સરકારની વાત સ્વીકારી નથી. જૂન ૨૦૧૯થી લોકસભામાં કોઈ એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિ થઈ નથી. હાલની સરકારે તેની પહેલી મુદ્દતમાં જોર્જ બેકર અને રિચર્ડ હે નામક બે આંગ્લ ભારતીયોની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ કરી હતી. જે કદાચ લોકસભાના છેલ્લા નિયુક્ત આંગ્લ ભારતીય સદસ્ય બની રહેશે. નિયુક્ત એંગ્લો ઈન્ડિયન સભ્યને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતના અધિકાર સિવાયના તમામ અધિકારો અને લાભ મળે છે. અલ્પમતની સરકારો તેમની બહુમતી માટે એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરતી હોવાના પણ દાખલા નોંધાયા છે. કોંગ્રેસના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં બહુમતી નહોતી ત્યારે તેમણે આંગ્લ ભારતીય સભ્યોની નિયુક્તિ કરીને આ ખોટ પૂરી કરી હતી. હજુ ગયા વરસે જ કર્ણાટકમાં બી.જે.પી.ની યેદિયુરપ્પા સરકાર પાસે વિશ્વાસ મત જીતવા જેટલા ધારાસભ્યો નહોતા ત્યારે તેણે પણ એક આંગ્લ ભારતીય સભ્યની નિયુક્તિ કરીને સંખ્યાબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે લગામ લગાવી હતી.

આંગ્લ ભારતીયોની વિધાનગૃહોમાં નિયુક્તિથી તેમના સવાલો સરકાર, વહીવટીતંત્ર અને સમાજ સમક્ષ તો ઉજાગર થયા જ છે. તેમણે જેમ ભારતની મુખ્ય ધારામાં ભળવાનો પ્રયત્ન કર્યો છે તેમ વ્યાપક ભારતીય હિતના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. ફ્રેંક એન્થોનીને ઉપરાષ્ટ્ર પ્રમુખ કે પંજાબના રાજ્યપાલના પદની ઓફર થઈ હતી પરંતુ તેમણે આંગ્લ ભારતીય પ્રતિનિધિ બનીને તેમના શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પ્રતિનિધિત્વના સવાલો પર પોતાને મર્યાદિત રાખવાનું યોગ્ય માન્યું હતું. તો ઘણાં રાજ્યોમાં નિયુક્ત થયેલા એંગ્લો ઈન્ડિયન વિધાનસભ્યોની નિષ્ક્રિયતા પણ નોંધાઈ છે. આઝાદીનાં બોંતેર વરસો પછી, આંગ્લ ભારતીય મતદારો એક જથ્થે દેશમાં ક્યાં વસતા ન હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે તે મહત્ત્વની સિદ્ધિ છે.

આંગ્લ ભારતીયોની વસતીગણતરીમાં કોઈ અલગ નોંધણી ૧૯૭૧ પછી થતી નથી. એટલે તેમની ખરેખર કેટલી વસતી દેશમાં છે તેનો તાગ મેળવવો અઘરો છે. જેમણે ધર્મ કે જાતિના ખાનામાં આંગ્લ ભારતીય લખાવ્યું હોય તે જ સરકારી ચોપડે બોલે છે અને તેને આધાર માની સરકારે તેમને મળતું વિશેષ પ્રતિનિધિત્વ ખતમ કર્યું છે. ધાર્મિક સતામણીનો ભોગ બનેલા ત્રણ ઈસ્લામિક દેશોના લઘુમતી નાગરિકોને ભારતની નાગરિકતા આપવાનો કાયદો ચર્ચા અને વિવાદમાં છે ત્યારે બંધારણના ઘડવૈયાઓએ ભારતીય નાગરિક એવા લઘુમતી આંગ્લ ભારતીયોને આપેલું સંસદીય પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું છે. તે ભારતીય લોકશાહીની બલિહારી છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 જાન્યુઆરી 2020 

Loading

22 January 2020 admin
← ઈશ દર્શન નિમિત્તે માનવ્યને લાધતા સત્યશોધકની આનંદયાત્રા
ભારતમાં શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બિકાઉ ચતુષ્કોણ રચાયો છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved