Opinion Magazine
Number of visits: 9504409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અંદાઝ’ : અદ્દભુત – અવર્ણનીય દિલીપકુમારનો આગવો અંદાઝ

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2021

‘હું દેવ આનંદથી એક વર્ષ અને રાજ કપૂરથી બે વર્ષ મોટો. 1940ના દાયકાની મધ્યમાં અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી. રાજ સાથે તો જૂની દોસ્તી. હું અને દેવ લોકલ ટ્રેનમાં સાથે જતા, સ્ટુડિયોમાં ફરતા ને કામ શોધતા. એ દાયકાના અંત સુધીમાં ‘શહીદ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘શબનમ’ ‘ઝિદ્દી’ ‘બાઝી’ આવી. અમે ત્રણે ઊંચકાયા, સફળ થયા, જામી ગયા. અમારી વચ્ચે સુંદર પ્રૉફેશનલ રૅપો હતો. અમે સ્પર્ધકો ખરા, પણ એથી અમારી દોસ્તીને આંચ ન આવી. અમે વણબોલ્યા એથિક્સ પાળતા અને એકબીજાની પ્રતિભાને આદરથી જોતા. હળતામળતા, મઝા કરતા, એકબીજાના પારિવારિક પ્રસંગે હાજરી આપતા. રાજ મારી અને દેવની નકલ કરી હસાવતો …’

દેવ આનંદના મૃત્યુ પ્રસંગે દિલીપકુમારે આ શબ્દો કહ્યા હતા. રાજ કપૂરના મૃત્યુ પ્રસંગે પણ તેમણે આ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી હતી. 6 જુલાઈએ દિલીપકુમારનું મૃત્યુ થયું. એમને શ્રદ્ધાંજલિ આપવા એમના એ મિત્રો હાજર નથી. એ ત્રણેની ગેરહાજરીથી, એ ત્રણે વડે એક વાર સમૃદ્ધ હતું તે ફિલ્મવિશ્વ અને પ્રેક્ષકવિશ્વ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે.

બ્રિટિશ ઇન્ડિયાની વાયવ્ય સરહદે આવેલા પેશાવરમાં પૃથ્વીરાજ કપૂર અને લાલા ગુલામ સરવર ખાન પાડોશીઓ હતા. પેશાવર અત્યારે પાકિસ્તાનમાં છે અને ખૈબર પખ્તુનવા પ્રદેશનું પાટનગર છે. એ પેશાવરની કપૂર હવેલીમાં સૃષ્ટિનાથ, જેને રણબીર પણ કહેતા, તેનો અને લાલા સરવર ખાનને ત્યાં યૂસુફ ખાનનો જન્મ થયો. પછી બન્ને જુદા પડ્યા ને યુવાનીમાં મુંબઈમાં ફરી મળ્યા. બન્નેને ફિલ્મોમાં કામ કરવું હતું. એક ધર્મદેવ નામનો યુવાન પ્રખ્યાત લાહોર કૉલેજ(લાહોર પણ અત્યારે પાકિસ્તાનમાં છે)માં અંગ્રેજી સાહિત્ય ભણ્યો હતો તે પણ સાથે થયો.

આ રણબીર, યૂસુફ અને ધર્મદેવને આપણે રાજ કપૂર, દિલીપકુમાર અને દેવ આનંદ તરીકે ઓળખીએ છીએ. સમૃદ્ધ હતો એ યુગ – ત્રણેની જુદી જુદી પ્રતિભા, જુદી જુદી અપીલ. ગૌરવભરી સ્પર્ધા, ગૌરવભર્યા સંબંધો. દિલીપકુમારના જવાથી એ યુગનો છેલ્લો સિતારો આથમ્યો. આ ત્રણેએ એક સાથે કામ કદી નહોતું કર્યું. દિલીપકુમાર અને રાજ કપૂરની એક જ ફિલ્મ હતી, ‘અંદાઝ’ (1949) અને દિલીપકુમાર અને દેવ આનંદની પણ એક જ ફિલ્મ હતી, ‘ઈન્સાનિયત’ (1955).

દિલીપકુમારનાં જીવન, રોમેન્ટિક સંબંધો અને સિદ્ધિઓ વિશે ઘણું કહેવાઈ ગયું છે – વાત કરીએ ‘અંદાઝ’ ફિલ્મની અને ‘અંદાઝ’ ફિલ્મના દિલીપકુમારની. એ વખતે મેલોડ્રામા અભિનયનું અંગ ગણાતો. ‘અંદાઝ’નો રાજ ક્પૂર ‘આગ’ બનાવી ચૂકેલો અને ‘બરસાત’ બનાવી રહેલો મૅચ્યૉર અભિનેતા હતો, છતાં તેના અભિનયમાં ભારોભાર કૃત્રિમતા અને મેનરિઝમ્સ દેખાય છે. તેની સામે દિલીપકુમારનો સહજ પણ ઊર્જસ્વી અભિનય ખૂબ સુંદર વિરોધાભાસ ઊભો કરે છે. જો કે દિલીપકુમારે પાંચ વર્ષ પહેલાં આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં પણ આ જ અભિનયશૈલી અપનાવી હતી. ફિલ્મ ફ્લૉપ થઈ, આત્મવિશ્વાસ ફ્લૉપ ન થયો. રોમેન્ટિક ‘અંદાઝ’ હોય, હીરોઈઝમવાળી ‘આન’ હોય, સોશ્યલ ડ્રામા ‘દાગ’ હોય, ટ્રેજેડી ‘દેવદાસ હોય, ક્લાસિક ‘આઝાદ હોય કે ઍપિક ‘મુગલ-એ-આઝમ’ – દિલીપકુમાર અને એની સહજ-સંયમિત અભિનયશૈલી, સંવાદશૈલી છવાઈ જાય. ‘જ્વાર ભાટા’ બૉમ્બે ટૉકિઝની ફિલ્મ હતી. દિલીપકુમારને શોધવાનું, પહેલી ફિલ્મ આપવાનું અને દિલીપ નામ આપવાનું શ્રેય દેવિકારાણીને જાય છે. ‘જ્વાર ભાટા’ આવી અને ગઈ. પછી ‘જૂગનુ’ આવી. એક દિવસ પૃથ્વીરાજ કપૂરે દિલીપકુમારના પિતાને ‘જૂગનુ’નું હૉર્ડિંગ બતાવ્યું ત્યારે એમને ખબર પડી કે દીકરો ફિલ્મોમાં કામ કરે છે! ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એનો ‘ફર્સ્ટ ખાન’ મળી ગયો હતો.

મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શિત ‘અંદાઝ’ અત્યંત સફળ સાબિત થઈ. ‘અંદાઝ’માં શોભેલી રાજ-નરગિસની જોડી એ જ વર્ષે આવેલી ‘બરસાત’થી પૂરબહારમાં ખીલી ઊઠી. ‘અંદાઝ’માં લતા મંગેશકરનાં બે ગીત હતાં, ‘ઊઠાયે જા ઉનકે સીતમ’ અને ‘તોડ દિયા દિલ મેરા’. આ બન્ને ગીતોમાં લતાજીના કંઠ પર તેમની પુરોગામી ગાયિકાઓની અસર દેખાય છે. આ ફિલ્મે તેમને ‘બરસાત’ અપાવી. નૌશાદની કારકિર્દીમાં પણ અંદાઝ’નો એક રોલ છે. ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ’, ‘હમ આજ કહીં દિલ ખો બૈઠે’, ‘તૂ કહે અગર જીવનભર’, ‘ટૂટે ના દિલ ટૂટે ના’ ગીતો આજે પણ તરોતાજાં છે. આ ફિલ્મમાં દિલીપકુમાર માટે મૂકેશે અને રાજ કપૂર માટે મહમ્મદ રફીએ ગાયું હતું. પછીથી બન્ને અભિનેતાઓના ‘વૉઈસ’ બદલાઈ ગયા હતા.

ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા સમસ્ત વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલીપકુમાર એવા સુપરસ્ટાર હતા. ‘કૌન કમબખ્ત બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ?’ કહેતા દેવદાસને, ‘મેરા દિલ કોઈ આપકા હિંદુસ્તાન નહીં કિ જિસપે આપ હુકૂમત કર સકે’ ગર્જતા સલીમને અને ‘ક્રાન્તિ કભી મરતે નહીં’ની ઘોષણા કરતા ક્રાન્તિવીરને ભારતનો પ્રેક્ષક કદી મરવા ન દે …

હિંદી ફિલ્મોનો માનીતો પ્રણયત્રિકોણનો પ્લૉટ સ્થાપિત કરવામાં ‘અંદાઝ’ મુખ્ય છે. તેની શ્રીમંત, આધુનિક નીના (નરગિસ) એ વખતના અંગ્રેજનુમા ભારતીય શ્રીમંતવર્ગનું પ્રતીક છે. અંગ્રેજી બોલતી, ઘોડેસવારી કરતી, કાપેલા વાળ અને આધુનિક વસ્ત્રોમાં ફરતી, કલબમાં પુરુષો સાથે નૃત્ય કરતી ને આયાઓ-બટલરોવાળા વિશાળ ઘરમાં ‘મૅમ’ બનીને રહેતી નીનાને દિલીપ (દિલીપકુમાર) તોફાની ઘોડાથી બચાવે છે અને એ જ ક્ષણે એના પ્રેમમાં પડી જાય છે. નીનાના પિતાને દિલીપ પસંદ નથી. નીનાની આધુનિક જીવનશૈલી પણ પસંદ નથી, પણ નીના એમને ગણકારતી નથી. દિલીપને પાર્ટીઓમાં આમંત્રણ આપતી રહે છે, હળતીભળતી રહે છે અને એક દિવસ, દિલીપ તેને પોતાના મનની વાત કહી શકે એ પહેલાં વિદેશથી આવેલા રાજન(રાજ ક્પૂર)ને પોતાના પ્રેમી અને મંગેતર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. રાજન-નીનાના લગ્નની આગલી રાતે દિલીપ નીનાને કહે છે કે હું તને ચાહું છું, નીના કહે છે કે તું મારો સરસ મિત્ર છે અને પતિ રાજનને શંકા આવવી શરૂ થાય છે …

મહેબૂબ ખાનનું ટાર્ગેટ 1940ના દાયકાનું યંગ ઑડિયન્સ હતું. આધુનિકતા ભૂલો કરાવે છે, પરંપરાને વળગી રહો એવું એમને બતાવવું હતું પણ થયું ઊંધું. એમાં દેખાડાતી, આજે પણ આધુનિક લાગે એવી આધુનિકતાએ જ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા. બીજી બાજુ ફિલ્મમાં બતાવેલી વિજાતીય મૈત્રી ભારતનાં મૂલ્યોમાં બંધબેસતી નહોતી. પણ નીનાનું પાત્ર ઊંડાણ પામ્યું છે. નીના સ્પષ્ટ છે કે રાજન પ્રેમી છે અને દિલીપ મિત્ર. પણ તેનું મન પોતાની જ સાથે ક્યારેક સંઘર્ષમાં ઊતરે છે. લેબલ આપી દેવાથી લાગણીઓ બંધાઈ જતી નથી. નીનાનો સંઘર્ષ ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે ને ત્રિકોણ ગ્રીક ટ્રેજેડીને આંબી જાય છે.

ફિલ્મનો અંત દિલીપની હત્યા, નીનાને મળતી જનમટીપ અને તેની રાજનને ભલામણ કે ‘આપણી દીકરીને તું આ આધુનિકતાથી દૂર રાખજે, એને શીખવજે કે સમાજે દોરી આપેલી રેખાને ઓળંગે નહીં’ – થી આવે છે. ફિલ્મના આધુનિકપણાને અહીં ધક્કો લાગે છે, પણ મહેબૂબ ખાનને જે કહેવું છે તે કહેવાઈ જાય છે.

‘અંદાઝ’માં દિલીપકુમાર રોમેન્ટિક-ટ્રેજિક નાયક છે. ડ્રામેટિક થવાની પૂરી તક, પણ તેઓ સંયમ ગુમાવતા નથી. ફિલ્મનું કોઈ પણ એક જ ગીત જુઓ, તો પણ અભિનયના એ ઊંડાણની ને ઊંચાઈની ઝાંખી થઈ જાય. જેમ કે ‘તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં’ – કેમેરા અડધાથી વધારે સમય તો કુકુના ડાન્સ પર ફરે છે. બાકીના અડધાથી પણ અડધા સમયમાં દિલીપકુમારના ક્લૉઝ-અપ્સ આવે છે. પણ આટલા આ ક્લૉઝ-અપ્સમાં એમનો આખો ચહેરો બોલે છે. અપલક આંખોમાં ચમકતો એ ઊમળકો, આછું પણ આનંદભર્યું એ સ્મિત, વ્યક્ત થવાની અણી પર આવી ગયેલો એ અવ્યક્ત પ્રેમ – અદ્દભુત અને અવર્ણનીય હતા દિલીપકુમાર.

કહે છે કે માણસ કાં તો ‘સ્ટાર’ હોય, અથવા ‘ઍકટર’. દિલીપકુમાર બન્ને હતા. ના, તેઓ એ બન્નેની આગળ પણ ઘણું હતા. તેઓ પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે, રાજ્યસભાના સભ્ય, મુંબઈના મેયર સાથે હુલ્લડો વખતના શાંતિદૂત પણ હતા. સાતેક ભાષા જાણતા, ખૂબ વાંચતા. તેઓ પરફેક્શનમાં જેટલું માનતા એટલું જ ઓવરએક્સપૉઝરમાં ન માનતા – ચોપન વર્ષની કારકિર્દીમાં પાંસઠ ફિલ્મો જ કરી.

ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા સમસ્ત વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલીપકુમાર એવા સુપરસ્ટાર હતા. ‘કૌન કમબખ્ત બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ?’ કહેતા દેવદાસને, ‘મેરા દિલ કોઈ આપકા હિંદુસ્તાન નહીં કિ જિસપે આપ હુકૂમત કર સકે’ ગર્જતા સલીમને અને ‘ક્રાન્તિ કભી મરતે નહીં’ની ઘોષણા કરતા ક્રાન્તિવીરને ભારતનો પ્રેક્ષક કદી મરવા ન દે.

e.mail : sonalparikh1000@gmail.com

Loading

12 July 2021 admin
← જ્યાંથી અમેરિકન સૈન્ય રાતોરાત ખસી ગયું છે, તેવા અફઘાનિસ્તા પાસે હવે શું વિકલ્પ છે?
અષાઢી બીજ … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved