Opinion Magazine
Number of visits: 9446532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આચાર્ય કૃપાલાની 2025માં આપણી વચ્ચે પાછા ફરે તો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2025

જીવતરામ ભ. કૃપાલાની

બરાબર એકતાળીસ વરસ પાછળ જાઉં છું : 1982ના માર્ચની 19મીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (ડી 6માં) દાદા કૃપાલાનીના અંતિમ શ્વાસોમાં કંઈકે અધ્ધરજીવ પણ પ્રાર્થનાવિનત પદોમાં ઊભા છીએ. થોડી વારે લગારે મ્લાન થયા વગરનો એમનો ચહેરો સહજક્રમે સંકેલાતો વરતાય છે. (રવીન્દ્રનાથ, એમના તો વેવાઈ, સાચા લાગે છે કે જગતજનની એના બાળને એક થાનલેથી બીજા થાનલે લઈ રહી છે.)

જેવા આચાર્યસત્તમ એવા જ સ્વાતંત્ર્યસેનાની, અંતિમ પદોમાં શું વિચારતા હશે એ? એક સંભવિત ઉત્તર તો એમણે થોડાં વરસ પર, વયે ખાસાં 19 વરસ નાનાં સુચેતાજી ગયાં ત્યારે જ એમની અધૂરી આત્મકથાનાં પ્રાસ્તાવિક વચનોમાં આપી દીધો હતો – હર શ્રદ્ધાળુ હિન્દુ ઈચ્છે છે કે મારી આંખ મીંચાય ત્યારે નજર સામે કિરતાર હોય. પણ મને ભય છે કે અંતિમ પળોમાં મારી સામે સુચેતા તરવરતાં હશે.

ખરું પૂછો તો એમના જેવા સમર્પિત, કહો ને કે સમર્પિત, જીવનના કર્મીને પ્રિયજનને ઈશ્વર એવો ભેદ ક્યાંથી હોઈ શકે. ચાલુ રાજનીતિ વચ્ચે હરપળ ભગવદ્દ સંનિધિ એવું એ જીવ્યા. આ લખું છું ત્યારે સાંભરે છે કે એમની જોડે કશુંક રાજકીય વાચન કરતો બેઠો હોઉં ને લગાર ખંડ પડે તો મેગ્નિફાઇંગ ગ્લાસ લઇ ‘નારદ ભક્તિસૂત્ર’માં કે એવા કશાકમાં (વારેવારે જો કે માસ્ટર મશાય લિખિત ‘ગોસ્પેલ’ – ‘રામકૃષ્ણ કથામૃત’માં) પરોવાઈ જાય.

‘શું સેવા કરી શકું, દાદા?’ એકવાર પ્રભુદાસ પટવારીની પરસાળમાં એમની પાસે બેઠો હતો અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ દીવાનસાહેબે પૂછ્યું. દાદાએ ‘રામકૃષ્ણ કથામૃત’ ભણી આંગળી ચીંધીને કહ્યું – ‘આમાંથી, સહેજે જે ખૂલે તે વાંચી સંભળાવો.’

કેવું જીવન જીવ્યા હતા એ. સ્વરાજ બેઠું ન બેઠું અને એ કાઁગ્રેસ પ્રમુખ પદે વરાયા હતા. હજુ વિધિસર પદગ્રહણ કરે એ પૂર્વે જ, ભાગલાના એ દિવસોમાં પૂર્વ બંગાળથી આવતી ખબરો વચ્ચે ગાંધીજીએ પ્રાર્થના પ્રવચનમાં જ કહ્યું કે (કૃપાલાનીએ મોડેથી સાંભળ્યું હશે કે વળતે દહાડે છાપામાં જોયું હશે) કે કૃપાલાની ત્યાં જઈ સૌને મળશે. એ ગયા તો એવા ગયા કે ઑગસ્ટે અધવચ એ અને રામ મનોહર લોહિયા દિલ્હીમાં અશાંત કોલકાતામાં શાંતિ સ્થાપનમાં રોકાયેલા હતા. મધરાતે (14મી ને 15મી ઑગસ્ટના સંધિકાળે બંધારણસભામાં સુચેતાએ ‘વંદેમાતરમ્’, ‘જનગણમન’ અને ‘સારે જહાં સે અચ્છા’ ગાયાં તે એમને કોઈ મિત્રને ત્યાં રેડિયો પર સાંભળ્યું હતું.)

સ્વરાજ આવ્યું અને રાજ્યનિર્વહણનું દાયિત્વ નેહરુ-સરદારને ખભે આવ્યું. બાપુ તો અલબત્ત લોકમાંઝાર રહેવું પસંદ કરે. કૃપાલાનીએ સંસદમાં ને સંસદ બહાર રહીને સ્વીકારેલી ભૂમિકા રાજને અંગે સોક્રેટિસ બગાઇની હતી. નેહરુએ પ્રધાનમંડળમાં જોડાવા કહેવડાવ્યું તો કીડવાઈ મારફતે જવાબ ગયો કે આગ્રહ હોય તો જ તો ભ્રષ્ટાચારની તપાસનું ખાતું આપો, નેહરુ મનના મોકળા હશે, પણ રાજ જેનું નામ તેને આંતરિક પણ બગાઈ સોરવાય શાની … વાત ઊગી એવી જ આઠમી પણ ગઈ!

કટોકટી કાળે તો એ અલબત્ત રણમોઝાર જ હોય, આકરી માંદગીના મહિનાઓ બાદ કરતાં … અને એની વચ્ચે પણ એમનાં વ્યંગિયાં ને નર્મમર્મ એની તો વાત જ શી. હોસ્પિટલની પથારીએ હતા. કંઈકે જાતભાતની ટોટીઓએ શરીર સોહતું હતું. ખબર કાઢવા ગયા તો કહે કે આ તો ઇંદિરાઈ કટોકટી જેવું છે – નો કોન્સ્ટિટ્યૂશન. ઑલ એમેન્ડમેન્ટ્સ!

એ વર્ષોમાં દેશના અંતરાત્મા શા ઉભરેલા જયપ્રકાશ અને લોકવિલક્ષણ બગાઈધર્મી કૃપાલાની, બેઉનો મિજાજ તો જુઓ : જનતા રાજ્યારોહણ અને મોરારજી પ્રધાનમંડળની રચના પછી થોડે વખતે, વડા પ્રધાનની પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર આ બેઉ નેતાઓએ એક જાહેર નિવેદન મારફતે સંબંધિત સૌને અનુરોધ કર્યો હતો કે વ્યક્તિગત સરકારી કામકાજ સારું અમને મળશો મા.

કમાલ તો માર્ચ 1977ની જનતા વિજય સભાનો અવસર હતો. જયપ્રકાશ એમાં સામેલ થઈ શક્યા નહોતા, કેમ કે ડાયાલિસિસવશ જિંદગી બસર કરનાર તરીકે એમને માટે સમય ને શક્તિ બેઉનું રેશનિંગ દુર્નિવાર હતું. પરાજયની ક્ષણોમાં નિઃસહાય એકલતા અનુભવતી ‘બેટી ઈંદુ’ને મળવામાં એમને સારું સભામાં સામેલ થવું સહેલું નહોતું. કૃપાલાની જરૂર પહોંચ્યા હતા અને સીધાસાધા સાફદામન શબ્દોમાં આચાર્યોપમ વેણ પણ કાઢ્યા હતા. વિરાટ જનમેદનીને જાણે ખખડાવતા હોય એમ એમણે કહ્યું હતું :

‘અમારા પગ પકડતા શાને આવો છો? અમે તો પોલિટિશિયનો છીએ, ડૅમ પોલિટિશિયનો. અમે કોઈ વેરી સ્પેશિયલ માણસો નથી. મારે તમને સાફ શબ્દોમાં ચેતવી દેવા જોઈએ કે આવું કરશો તો માંડ ગયેલી ગુલામી પાછી આવશે. ત્રીસ ત્રીસ વરસ લગી અમારો જયજયકાર પોકારીને તમે શું મેળવ્યું? કટોકટી કે બીજું કંઈ? કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. ગભરાશો ના. ડરશો ના. સમજીને ચાલજો કે અમે સંન્યાસી નથી અને અમારે સ્વાર્થનાં સગાંનો તોટો નથી. અમારી લગામ તમે માલિકો બરાબર તમારા હાથમાં રાખી શકો તો જ લોકશાહી અને આઝાદીનો કોઈ મતલબ છે.’

માર્ચ 1977ના આ ઉદ્દગારો છે. માર્ચ 1982માં કૃપાલાની ગયા. માનો કે માર્ચ 2025માં એ આપણી વચ્ચે પાછા ફરે તો? આજે પણ એમણે કદાચ એ જ કહેવાનું રહે એવું તો નથી ને? જયપ્રકાશનો પ્રિય ઉદ્દગાર હતો કે સાપનાથ જાય અને નાગનાથ આવે એવું જોઈતું નથી. કૃપાલાની તો કૃપાલાની રહ્યા. એ ખેવના કે કોઈ દિવસ પોલિટિશિયનોના પગ પકડશો ના. વળી ઉમેરવાના કે ડરશો ના. ગભરાશો ના.     

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 માર્ચ 2025

Loading

19 March 2025 Vipool Kalyani
← દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી 
વડીલ સાથે વાત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved