Opinion Magazine
Number of visits: 9446638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદ દેશનો એક કાળો દિવસ

મનીષી જાની|Opinion - Opinion|26 June 2019

1975ની સાલની 26 જૂનની સવાર કંઈક જુદી ઊગી ! 25 તારીખની મધરાતે દેશમાં રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત કરવામાં આવી.

કવિ ઉમાશંકર જોશીના માર્મિક શબ્દોમાં કહીએ તો,

'રોજ નો એનો એ તડકો ….
પણ નસોમાં એકાએક
રૂધિર વહેણે ધસતું મૃત્યુ
કાલે હતો તે તડકો ક્યાં છે ?'

તે સમયના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 352 કલમ હેઠળ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે ઈમરજન્સી લગાવી દીધી. વિરોધપક્ષના નેતાઓ, આંદોલનકારી આગેવાનો અને લોકનેતા જયપ્રકાશ નારાયણ સહિત 676 અગ્રણીઓને જેલમાં પૂરી દેવાયા.

પ્રેસ – છાપાં પર સેન્સરશીપ લદાઈ અને દેશમાં સૌથી મોટા પ્રશ્નોમાંનો એક વસતિ વધારો છે, જે ગરીબીનું મૂળ છે – એવા પ્રચાર સાથે મોટા પાયે દેશભરમાં નસબંધીનો કાળો કેર વર્તાવ્યો. દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આ નિમિત્તે જે જુલમ થયો હતો તે પણ હજી ઘણાંને યાદ છે.

રાષ્ટ્રીય કટોકટી તો દેશમાં આ અગાઉ 1961-62માં ચીનયુદ્ધ વખતે અને 1971માં પાકિસ્તાન યુદ્ધ વખતે લગાડવામાં આવી હતી. જેનું કારણ સીમા પરની અશાંતિ અને દેશ પર બાહ્ય પરિબળોનો ખતરો ગણવામાં આવ્યું હતું પણ 1975માં જાહેર થયેલી કટોકટીનું કારણ સીમા પરની તંગદિલી નહીં પરંતુ દેશની આંતરિક અશાંતિને ગણાવવામાં આવેલું.

અને ખાસ વાત એ છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવે ત્યારે નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની જોગવાઈ થતી હોય છે, પરંતુ ઇન્દિરાજીએ લાદેલી આ કટોકટીમાં તમામ મૂળભૂત અધિકારો પર તરાપ મારવામાં આવેલી હતી. જેમાં નોંધપાત્ર જીવવાના અધિકાર-રાઈટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટી-વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકારને પણ અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્યની સાથે સાથે ઝૂંટવી લેવાયા હતા.

આ કટોકટી જાહેર કરવાની સાથે જ દેશભરનાં કંઈ કેટલાં ય છાપાંઓની કચેરીઓ પર સરકારે દરોડા પાડ્યા અને સરકાર વિરુદ્ધ કંઈ પણ છપાય નહીં તે માટે થઈ લખાણ છાપતાં પૂર્વે જ લાગતાં વળગતા અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાનું ફરજિયાત બનાવી દેવાયું.

આઝાદ દેશમાં આવું પહેલી વાર બની રહ્યું હતું એટલે સવાલ તો થાય કે આમ ઈમરજન્સી તાત્કાલિક લગાડવાની જરૂર કેમ પડી ?

વડાં પ્રધાન ઇન્દિરાજીના આટલી ઝડપભેર લેવાયેલા આ નિર્ણય અંગે સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમનું તે સમયગાળામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલું કાર્ટૂન ઘણું માર્મિક છે. અને તેમાં ઇન્દિરાજીની ઉતાવળ, દાદાગીરી અને સરમુખત્યારશાહી દેખાઈ આવે છે.

આ કાર્ટૂનમાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ વટહુકમ પર સહી કરી રહ્યા છે, અને સાથે સાથે અધિકારીને કહી રહ્યા છે કે 'હવે બીજા વટહુકમો પર સહી કરવા પછી લાવજો !'

બાથરૂમનાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના પ્રથમ નાગરિક અને સર્વોચ્ચની 'વ્યક્તિગત સ્વતંત્રતા' છીનવાઈ જતી હોય એવું દર્શાવતું આ કાર્ટૂન તે સમયના દેશમાં ઊભા થયેલા ઈમરજન્સી ના માહોલને વ્યક્ત કરનાર બની રહે છે.

દેશભર નાં આર એસ એસ, નક્સલવાદી સંગઠનો સહિત કુલ 14 સંસ્થાઓ પર તે સમયે પ્રતિબંધ લદાયો હતો અને દેશ આખામાંથી ઈમરજન્સીના આ 19 મહિના લગી 1,40,000 કાર્યકરો-આગેવાનોને જેલમાં ખોસી દેવામાં આવ્યા હતા.

આટલાં મોટાં પાયે દમનચક્ર ચલાવવાની જરૂરને સંસદમાં સત્તાધારી કૉન્ગ્રેસની ભારે બહુમતી હોવા છતાં આવું બિન-લોકશાહી પગલું લેવાની કેમ જરૂર પડી તે વાત પણ મહત્ત્વની બની રહે છે.

દેખીતું કારણ તો એ સમયે એ જ હતું કે એ 1975ની 12મી જૂને અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો જેમાં 1971ની ઇન્દિરાજીની રાયબરેલી લોકસભા મતક્ષેત્રની ચૂંટણીને અયોગ્ય ઠેરવવામાં આવી. ઇન્દિરાજી સામે ઊભેલા સમાજવાદી નેતા રાજનારાયણે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ભ્રષ્ટ રીતરસમોથી જીત્યાં છે, તે ચૂંટણી રદ્દ કરી દેવી જોઈએ તેવો ન્યાય માંગતો કેસ કર્યો હતો. ચૂંટણી જાહેર થતાં જ સરકારી હોદ્દા પર બેઠેલા ઉમેદવારો એ પછી વડા પ્રધાન હોય કે કોઈ પણ નેતા; તેઓ સરકારી કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ પોતાના ચૂંટણી પ્રચાર માં ન કરી શકે તે આચારસંહિતાના મુદ્દે, યશપાલ કપૂર જેઓ સરકારી નોકરિયાત હતા તેમનો ચૂંટણીમાં અંગત ઉપયોગ કર્યો તે વાતને માન્ય રાખી ઇન્દિરાજી વિરુદ્ધ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. છ વર્ષ માટે કોઈ પણ સરકારી હોદ્દા પર રહેવા માટે તેમનાં પર પ્રતિબંધ લાદ્યો.

દેશભરમાં હલચલ મચી ગઇ. જો કે સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટના ચુકાદા સામે ઇન્દિરાજીને વડા પ્રધાન પદે ચાલુ રહેવા દેવાનો ચુકાદો પણ તરત આપ્યો.

આ ઘટનાને લઈ કડક હાથે સત્તા ટકાવી રાખવા ઇન્દિરાજીએ ઈમરજન્સી લાદી એવું ઘણા લોકો માને છે.

પરંતુ આ આખીયે ઘટનાને વ્યાપક સંદર્ભે જોવી જરૂરી બની રહે છે.

1975માં દેશને આઝાદ થયે ત્રણ દાયકા પૂરા થઈ રહ્યા હતા. 1857ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડી સતત નેવું વર્ષ લગીનાં આઝાદી માટેનાં અનેકાનેક આંદોલનો, હજારો લોકોનાં બલિદાન બાદ મળેલી આઝાદી પાસેથી બહેતર જીવનનાં ઘણાં બધાં સપનાં જનતા એ જોયાં હતાં. પણ આઝાદીની પચીસી વીતી ગયા પછી એક ભારે હતાશાનું વાતાવરણ ઊભું થયેલું હતું. બેરોજગારીથી માંડી ગરીબી, ખેડૂતોની સમસ્યાઓ અને વર્ણવ્યવસ્થાના વિષચક્રમાં અટવાતા વંચિતો-આદિવાસી નાં જીવનમાં કંઈ ખાસ ફેરફાર જોવા મળતો ન હતો.

આ બધાંની સામે પ્રતિરોધ પણ દેશમાં ક્યાંક ક્યાંક ઊભરી રહ્યો હતો. 1968 માં બંગાળના નક્સલબાડી કિસાનોનું જમીનદારો સામેનું ઉગ્ર આંદોલન શરૂ થયું. કલકત્તા યુનિવર્સિટીનાં છાત્રોને સેંકડો યુવાનો કિસાનોની સાથે લડતમાં જોડાયા અને આ ક્રાંતિકારી લડતના પડઘા દેશભરમાં પડ્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નવા વિચાર, નવી દિશાઓની ખોજનાં સંઘર્ષો ચાલુ હતાં. ફ્રાંસમાં પેરીસ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી આંદોલને 1968માં જ પ્રમુખ દ’ગોલની સરકાર ઉથલાવી તો સામ્રાજ્યવાદી અમેરિકામાં વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારોને યુવાનોએ ખોબલા જેવડા વિયેટનામ પર યુદ્ધે ચડેલા પ્રમુખ નિક્સન સામે મોટાં આંદોલનો ઠેર ઠેર ઊભાં કર્યાં. શિક્ષણપ્રથા -પદ્ધતિ વિશે નવેસરથી વિચારવાની ચર્ચા બ્રિટનમાં ઊભી થઈ અને 1971-72માં અનેક દેશોમાં એ ચર્ચાએ રંગ પકડ્યો.

આપણે ત્યાં સાહિત્ય-કલા-ફિલ્મ ક્ષેત્રે પણ એક નવી હવાનો સંચાર 1965-66થી શરૂ થતો હતો. વિજય તેંડુલકર, મોહન રાકેશ, બાદલ સરકાર, ગિરીશ કર્નાડ, મુક્તિબોધ જેવા લેખકો-નાટ્યકારોએ ભારતીય કલાક્ષેત્રે પ્રેરણાત્મક દિશા ઊભી કરવામાં અગત્યની ભૂમિકા અદા કરી. દરેક ક્ષેત્રે, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય ક્ષેત્રે પરિવર્તનનો વાયરો ફૂંકાયેલો હતો.

બીજી બાજુ કૉન્ગ્રેસ સરકાર સત્તા ટકાવી રાખવા 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ, ગરીબી હટાવોની નારાબાજી અને વંચિતોને જ્ઞાતિ-જાતિ- ધર્મમાં વહેંચી મત અંકે કરી રહી હતી. બાંગ્લાદેશની મુક્તિને લઈ પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલી 'રાષ્ટ્ર ભાવના'નો ઉન્માદ ઊભો કર્યો અને ઇન્દિરાજીને દુર્ગા માતા તરીકે ચિત્રિત કરવાની મથામણો પણ ચાલી.

આ બધું જ હોવા છતાં મોંઘવારી અને બેકારી રોજેરોજ વધતી જતી હતી. 1972 ડિસેમ્બરમાં ઘઉં, તુવેર દાળ, સીંગતેલ, ખાંડના ભાવ અનુક્રમે રૂપિયા 1.20, 2.75, 4.75, 3.25 હતા તે 1973ના ડિસેમ્બરમાં અનુક્રમે 2.50, 3.50, 9.60, 4.25. થઈ ગયા ! કહો કે 100%થી પણ વધારે ભાવ વધારો !

આ સમયગાળામાં જ ગુજરાતમાં કોલેજમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓનાં ફૂડબીલમાં એકાએક એક સાથે 30%નો વધારો થયો. એ મુદ્દે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ઊભી થઈ. જેમાંથી અમદાવાદના વિદ્યાર્થીઓનું મોંઘવારી સામે અને તે માટે જવાબદાર વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનાં કોઈ જ કામ કરતા નથી એટલે વિધાનસભા વિસર્જનની માગણી સાથેનું આંદોલન 1974ના આરંભે શરૂ થયું.

સરકારે વિદ્યાર્થીઓ સાથે સંવાદને બદલે પોલીસના ડંડા, બંદૂક અને મીસા જેવા કાળા કાયદા હેઠળ વિદ્યાર્થી આગેવાનોને પૂરી દેવાનું પસંદ કર્યું. આંદોલન ગુજરાતવ્યાપી બન્યું ને લોકો સ્વયંભૂ જોડાયા, અને જાન્યુઆરી 25ના ગુજરાત બંધના કોલને ભારે પ્રતિસાદ મળ્યો. 26 જાન્યુઆરીએ ગુજરાતનાં 63 નાનાં મોટાં શહેર-નગરોમાં કરફ્યુ હતો, કરફ્યુમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવાની ફરજ પડી.

ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાના આંદોલનમાં સાથ આપવા જયપ્રકાશ નારાયણને આમંત્રણ આપ્યું. પટનાથી જયપ્રકાશજી ગુજરાત આવ્યા અને બિહારના વિદ્યાર્થીઓ-યુવાનોએ જયપ્રકાશજીની આગેવાનીમાં જ બિહારની કૉન્ગ્રેસ સરકાર સામે મોટુંઆંદોલન ઊભું કર્યું.

આ આંદોલનોએ દેશ આખામાં નવો જોમ જુસ્સો ઊભો કર્યો. સાથે સાથે 1974ના મે મહિનામાં જ વેતન ધોરણ અને આઠ કલાક કામની વાતને લઈ 17 લાખ રેલવે કામદારોની રાષ્ટ્રવ્યાપી 20 દિવસની હડતાળ થઈ.

દુનિયાભરમાં આટલા મોટા પ્રમાણમાં એક સાથે કામદારોની હડતાળ એ એક સૌથી મોટી ઔદ્યોગિક ઘટના બની રહી.

દેશના આવા માહોલમાં, પરિવર્તનની હવામાં ઇન્દિરાજી સામે, કૉન્ગ્રેસની સરકાર સામે સંગઠિત અવાજ ઊભો થાય તો, રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય તો સત્તાનાં સિંહાસન ડગમગી જાય એવી પૂરી શક્યતાઓનું નિર્માણ થયું એટલે કૉન્ગ્રેસ માટે સત્તા પર કાયમ રહેવા માટે આ ઈમરજન્સીનું શસ્ત્ર વાપરવાનો રસ્તો દેખાયો એમ કહી શકાય.

1975માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી એટલે રાજકીય કાર્યકરો પર મોટાપાયે પોલીસ દમન કે અત્યાચારો જોવા મળ્યા નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી રાજકીય કાર્યકરોએ ગુજરાતને પોતાનું સલામત ભૂગર્ભ સ્થળ બનાવ્યું.

જો કે વિરોધપક્ષના અને કર્મશીલોની ગુજરાતમાં પણ વ્યાપકપણે ધરપકડો થઈ અને લાંબો કારાવાસ સૌને થયો.

દેશભરમાં મહદ્દ અંશે ડાબેરી વિચારસરણી ધરાવનારા અને લોકોની વચ્ચે કામ કરનારા કાર્યકરો અને આગેવાનો પર ભારે જુલમ થયા અને ઈમરજન્સી ઊઠ્યા પછી પણ ઘણા કાર્યકરોને લાંબો સમય જેલમાં રખાયા.

આ કટોકટી કાળનો ઉપયોગ કરી કિસ્તા ગૌડ ને ભૂમૈયા જેવાને રાજકીય કાર્યકરોને ફાંસીએ ચઢાવી દીધા.

જ્યારે દક્ષિણનાં જાણીતાં ફિલ્મ કલાકાર અને લેખિકા સ્નેહલતા રેડ્ડીની જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે ડાઈનેમાઈટ કેસમાં સંડોવણી ગણી જેલમાં પૂર્યાં. જેલમાં પણ સ્ત્રી કેદીઓ પર થતાં જુલમ સામે તેમણે લડત ચલાવી.

સ્નેહલતા એક લડાકૂ કલાકાર હતાં. 1970માં તેમણે સંસ્કાર નામની, વર્ણવ્યવસ્થા પર પ્રહાર કરતી જાણીતી ફિલ્મમાં સેક્સવર્કરની ભૂમિકા ભજવી હતી. જેમની સાથે સહ કલાકાર તરીકે ગિરીશ કર્નાડ અને ગૌરી લંકેશના પિતા પી.લંકેશ હતા. 1970માં આ ફિલ્મને સેન્સર બોર્ડ મંજૂરી આપવામાં આનાકાની કરી તેની સામે તેમણે લડત પણ આપી હતી.

જેલમાં સ્ત્રીઓ પર થતાં પોલીસ-જેલરોના દમન સામે તેઓ જેલમાં જ ભૂખ હડતાળ પર ઉતર્યાં. તેઓ અસ્થમાના દરદી હતાં. તેમને જરૂરી દવાઓ પણ બેંગલોર જેલમાં અપાતી ન હતી. તેમનાં ફેફસાંમાં ઇન્ફેક્શન થયું અને ગંભીર બીમારીમાં પટકાયાં. મરણપથારીએ પડેલાં સ્નેહલતા રેડ્ડીને છેવટે પેરોલ પર છોડવામાં આવ્યાં ને ચાર દિવસ બાદ મૃત્યુ પામ્યાં.

ઈમરજન્સીનાં જુલમના આ પહેલા શહીદ ! ઘણા લોકો ઈમરજન્સીના દિવસને સ્નેહલતા દિવસ જાહેર કરવાની માંગણી કરતા રહ્યા છે પણ કાળો દિવસ કહેવામાં અગ્રેસર સત્તાધીશો સ્નેહલતાના સંઘર્ષ ને યાદ કરીને શું લાભ મેળવી શકે ?

લોકનાયકનું બીરુદ પામેલા જયપ્રકાશજીની બન્ને કીડનીઓ, જેલમાં પૂરતી સારવાર નહીં મળવાને કારણે ખરાબ થઈ ગઈ અને તેઓ પણ લાંબા સમય માટે ગંભીર બિમારીમાં પડ્યા એ સૌ કોઇ જાણે છે.

કટોકટીની સૌથી વધુ અસર છાપાં-સામયિકો પર પડી. મોટા ભાગનાં છાપાં-પત્રિકાઓ સત્તાને સથવારે ચાલ્યાં. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને આપણા ગુજરાતના ‘ભૂમિપુત્ર’ સામયિકે ઈમરજન્સી સામે લડવાનું ચાલુ રાખ્યું. તંત્રીઓએ જેલમાં જવાનું અને કાનૂની લડાઇ લડવાનું પસંદ કર્યું.

આંધ્રમાંથી માનવ અધિકાર માટેના લડવૈયા કન્નાભિરામે જેલમાં પૂરાયેલા 500 કર્મશીલો વતી ઈમરજન્સીને કોર્ટમાં પડકારી હતી.

જ્યારે સત્યાવીસ વર્ષથી ચાલતા, પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ શંકરના સંપાદન હેઠળનું ‘શંકર્સ વીકલી’ ઈમરજન્સી કાળમાં બંધ કરી દીધું. તેનાં છેલ્લા ઓગસ્ટ 1975ના અંકમાં શંકરે લખ્યું : 'સરમુખત્યારશાહીને હાસ્ય પરવડતું નથી કારણ કે લોકો ડિક્ટેટર સામે હસે તો એ તો ના જ ચાલે.

હીટલરના શાસનના વર્ષો દરમિયાન ન કોઈ સારી કોમેડી સર્જાઈ કે ન કાર્ટૂન કે પેરોડી કે મજાક મસ્તી સર્જન પામ્યાં.આ મુદ્દે વિશ્વ અને ખાસ તો ભારત, દુ:ખદ રીતે નિષ્ઠુર બની ચૂક્યું છે.'

અને આપણા કવિ અને રાજ્યસભાના સભ્ય, ઉમાશંકર જોશીએ મર્મસભર પંક્તિઓ લખીને કહ્યું :

તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો : ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.

આ કટોકટી કાળ વિશે આજે જ્યારે 2019ની ચૂંટણી પછી વિચારીએ ત્યારે, ફરી ઈમરજન્સીની સ્મૃતિઓ વાગોળીએ ત્યારે લાગે છે કે તમામ જગાઓએ, ચારેકોર ચૂપ .. ચૂપ ને ચૂપના અવાજો સંભળાય છે, પડઘાય છે.

પંખીઓને માત્ર 'ચૂપ' નહીં, 'ચૂપ મર !' એવું કહેવાતું થયું છે.

સૌજન્ય :  “ગુજરાત ગાર્ડિયન”, 26 જૂન, 2019

(વિશેષ નોંધ : 20 જૂન 2019ના રોજ ‘સેક્યુલર લોકશાહી આંદોલન’ના ઉપક્રમે યોજાતી ગુરુવારી બેઠકમાં આપેલું વક્તવ્ય)

Loading

26 June 2019 admin
← આપણને કેવું ભારત જોઈએ ?
નરેન્દ્ર મોદી જે બોલે તે કરી દેખાડે તો ભારતના મહાન વડાપ્રધાનોમાં સ્થાન પામશે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved