Opinion Magazine
Number of visits: 9446627
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યા છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2023

રવીન્દ્ર પારેખ

મેં એક વાર્તા લખેલી, ‘જીવ’ કરીને. તેમાં એક કોમ્યુટર સાયન્ટિસ્ટ તેની આસિસ્ટન્ટને એવો ફિમેલ રોબોટ વિકસાવવા કહે છે જે એટલો બધો ‘સ્ત્રી’ હોય કે સાચી સ્ત્રી પણ તેની સામે ફિક્કી લાગે. એવો સ્ત્રી-રોબોટ વિકસાવવામાં આસિસ્ટન્ટ એટલી બધી સ્ત્રી મટતી જાય છે કે સાયન્ટિસ્ટ સ્ત્રીમાં મશીનત્વ અને રોબોટમાં સ્ત્રીત્વ અનુભવવા લાગે છે. આસિસ્ટન્ટની સ્ત્રી તરીકે એટલી ઉપેક્ષા થાય છે કે તે ત્રાસીને સાયન્ટિસ્ટને કહે છે કે એ સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યો છે.

આ વાર્તા સાચી પાડવી હોય તેમ આપણે એટલાં ઉપકરણો વિકસાવી રહ્યાં છીએ કે જીવતો માણસ ફાજલ પડવાનો ભય ઊભો થયો છે. ભારતમાં ફાજલ માણસની નવાઈ નથી. અહીં કામ વગરનાં, સાવ નવરા માણસોની ધારો ત્યારે ભીડ ઊભી કરી શકાય તેમ છે. અહીં અશક્ત વૃદ્ધો કે માંદા માણસોની નહીં, પણ સશક્ત અને કામ વગરનાં માણસોની વાત છે. અહીં ધાર્મિક વરઘોડો કાઢવો છે, તો ભીડ હાજર છે. ડી.જે. પર નાચવા યુવાનો જોઈએ છે, તો જોઈએ એટલા હાજર છે. સરઘસો કાઢવાં છે, કથામાં ભક્તો જોઈએ છે, નેતાની સભામાં મતદારો જોઈએ છે, સરકાર વિરુદ્ધ રેલી કાઢવી છે, નો પ્રોબ્લેમ, બસો ભરીને લોકો જે તે સ્થાન પર ખડકાવા તૈયાર છે. ભારતમાં આવી નવરાશનો વાવર વધુ છે.

આ નવરાશ શિક્ષિતોમાં આપઘાત સુધી વિસ્તરે છે. એમણે નવરા બેસવું નથી, પણ પૂરતું શિક્ષણ છતાં એમની પાસે નોકરી કે કોઈ કામ નથી. ઓછી લાયકાતવાળા તેમના કરતાં વધુ ઝડપથી ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજે છે, એ વાત તેમને હતાશ કરે છે. આ હતાશા તેમને આપઘાત કે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલે છે. ઓછી લાયકાતવાળો, નેતા કે મંત્રી બને છે ને વધુ યોગ્યતા ધરાવતો અધિકારી તેના હુકમો ઉઠાવે છે. આ સ્થિતિ કોઈ પણ યોગ્યતા ધરાવતી વ્યક્તિને ખટકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગરીબ કે તવંગર, શિક્ષિત કે અશિક્ષિત, વૃદ્ધ કે યુવાનમાંથી ઘણાં એવા છે જે નવરા છે, કામકાજ વગરના છે. એવું નથી કે કોઈ કામ કરવા માંગતું નથી. કામ કરવું છે, પણ કોઈ કામ કે કમાણી આપતું નથી. સરકાર દર વર્ષે નવું કામ આપવાની, નોકરીઓ ઊભી કરવાની વાતો બજેટમાં કરે છે, પણ બેકારીમાં બહુ ફરક પડતો નથી. થોડા બેકારોને કામ મળે પણ છે, પણ તે દરમિયાન નવા શિક્ષિત બેકારો ઊભા થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષિતો પાસે ડિગ્રી હોય છે, પણ જે તે પ્રોજેક્ટ પર કામ કરવાની આવડત હોતી નથી એટલે તેમને પ્રોપર ટ્રેનિંગ આપવી પડે છે ને એનો મોટો ખર્ચ સરકારે કે કંપનીઓએ ઉઠાવવાનો આવે છે. એ હવે કોઈને પરવડતું નથી. આવું ભારતમાં જ છે એવું નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી ધનિક સંસ્થાઓમાંની એક છે, આ સંસ્થા પાસે 6.4 અબજ પાઉન્ડની રકમ જમા છે, 2020-‘21માં 80 કરોડ પાઉન્ડની રિસર્ચ ગ્રાન્ટ મળી છે, પણ અહીં ફેકલ્ટી કોન્ટ્રાક્ટ પર રખાય છે અને વર્ષો સુધી આ રીતે કામ કર્યાં પછી પણ તેની નોકરી નિયમિત થતી નથી. ઓક્સફર્ડનો લગભગ 65 ટકા સ્ટાફ કામના કલાક દીઠ મહેનતાણું મેળવે છે. આ શિક્ષકોને એક કલાકના શિક્ષણના 25 પાઉન્ડ મળે છે ને એ એક કલાકના લેકચર માટે સરેરાશ ચાર કલાકની તૈયારી તેણે કરવી પડે છે, જેનો મહેનતાણામાં સમાવેશ નથી, એટલે કલાકના લઘુત્તમ વેતન દર 10.42 પાઉન્ડ કરતાં પણ આ શિક્ષકોને ઓછું મળે છે. ઓક્સફર્ડની આ સ્થિતિ હોય ને શિક્ષકની આ કદર હોય તો સમજી શકાય એવું છે કે મનુષ્યની બુદ્ધિનું કેટલું મૂલ્ય છે !

હવે માણસોને બદલે મશીનો ને રોબોટ્સ પાસેથી કામ લેવાનું ચાલ્યું છે. જેથી લઘુત્તમ વેતનની જવાબદારી પણ ઘટે. મશીનથી કામની ગુણવત્તા સુધરી છે ને કામની ઝડપ પણ વધી છે. કેટલી ય કંપનીઓ હવે માણસો કરતાં મશીન રાખવામાં વધુ નફો જુએ છે. એને લીધે સ્થિતિ એવી થઈ છે કે વધતાં શિક્ષણે વધુ સ્નાતકો અને અનુસ્નાતકો બહાર પાડવા માંડ્યા છે ને બીજી તરફ ઓફિસોમાં ને ફેક્ટરીઓમાં મશીનોએ, રોબોટ્સે કામ કરવાં માંડ્યાં છે, પરિણામે શિક્ષિતો વધુને વધુ ફાજલ પડવા માંડ્યા છે. આવનારા સમયમાં શિક્ષિત બેકારોની ટકાવારી ઘટે એવી શક્યતાઓ નહિવત્‌ છે. બીજી તરફ સંસ્થાઓની ટેન્ડન્સી, વધુને વધુ કામ, મશીનો અને રોબોટ્સ પાસેથી લેવાની રહી છે. તે એટલે પણ કે એથી કામ કે ઉત્પાદન વધુ ઝડપથી ને ઓછા ખર્ચે થાય છે. બીજું, કે કર્મચારીઓને પગાર, પેન્શન અને અન્ય લાભો આપવામાંથી બચી જવાય છે જે સરવાળે તો વધુ નફો જ જે તે સંસ્થાને રળી આપે છે.

ભારત સંદર્ભે અત્યારની સ્થિતિ વિચારીએ તો મશીનોનું આક્રમણ શિક્ષિતોની સ્થિતિ ઉત્તરોત્તર બગાડે એમ બને. મશીનોનો કોઈ જ વાંધો નથી. મશીનોને કારણે સમય બચે છે, ઉત્પાદન વધે છે ને ઓછા ખર્ચમાં ગંજાવર કામ થઈ શકે છે એ ખરું, પણ ભારત સંદર્ભે વિચારીએ તો માણસો ગધેડે ગવાતાં હોય ત્યારે મશીનો માણસોને ફાજલ જ પાડતાં રહે એ ઈચ્છવા જેવું ખરું? એ ખરું કે મશીનો ચલાવવા માણસો જોઈશે, પણ તે મશીન કરતાં તો ઓછા જ હશે. એ સ્થિતિમાં જે માણસો ફાજલ પડે છે એને કયાં ગોઠવવા એ પ્રશ્ન રહે જ છે. ભારતમાં એનો પ્રભાવ કદાચ ઓછો હશે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહિમા વધે તો ભારતમાં માણસોની સ્થિતિ વધુ દયનીય બની શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) મનુષ્યની બુદ્ધિનું સ્થાન લઈ રહી છે. એ ખરું કે એ.આઈ.ને લીધે કોમ્પ્યુટર સિસ્ટમ વધુ વિકસી છે, એને લીધે એવાં મશીનો તૈયાર થઈ રહ્યાં છે જે મનુષ્યની જેમ વિચારીને સમસ્યાઓનો ઉકેલ લાવે. અહીં સવાલ એ આવે કે મશીનો મનુષ્યની જેમ વિચારીને ઉકેલ આપતાં હોય તો મનુષ્યને જ સમસ્યાઓ ઉકેલવા દેવામાં શું મુશ્કેલી છે? માણસનું સ્થાન મશીનને સોંપવાનું સલાહ ભરેલું ખરું? આમ પણ મશીનની મેમરીમાં માણસના ઉકેલ જ ફીડ કરવાના હોય તો માણસને જ એ નિર્ણયો લેવા દેવામાં શું જોખમ છે?

ટૂંકમાં, કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવનું જ્ઞાન, તેના વિચારો, લાગણીઓ લોડ કરવાં અને તે ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. મોટે ભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રોબોટ બનાવવા માટે થાય છે. કાર, ટ્રેન, પ્લેન ઉપરાંત કોમ્પ્યુટરમાં ને બીજાં અનેક આધુનિક ઉપકરણમાં એ.આઈ.નો ઉપયોગ થાય છે. આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય કરતાં વધુ ઝડપથી ને વધુ ચોકસાઈથી પરિણામો આપે છે. એ રીતે તે ઉપયોગી પણ છે, પણ તેનો ગેરલાભ એ છે કે તે મનુષ્યને વિકલ્પે છે જે નવી પેઢી માટે જોખમી બની શકે. થોડું દૂરનું વિચારીએ તો મશીનો કે રોબોટ્સ જ જગતનું સંચાલન હાથમાં લઈ લે તો મનુષ્ય અનવોન્ટેડ બની જાય. એમ થવા દેવા જેવું ખરું? મનુષ્યનું સ્થાન મશીન લેવાનું હોય ને મનુષ્યે બનાવેલું મશીન, મનુષ્ય પર જ રાજ કરે એ ઠીક છે? માણસે મશીન બનાવ્યું છે, નહિ કે મશીને માણસને બનાવ્યો છે. તો મનુષ્યને મશીનનો ગુલામ થવા દેવા જેવો ખરો? મનુષ્ય ક્યારેકને ક્યારેક કોઈક પ્રકારની ગુલામી વેઠવા ટેવાયેલો છે, પણ તે લાંબો સમય ગુલામ રહી શકતો નથી. તે મશીનને પોતાનાં પર હાવિ થવા નહીં દે, પણ એ પણ મનુષ્ય જ છે જેણે એકથી વધુ વખત પૃથ્વીનો નાશ થાય એટલાં શસ્ત્રો વિકસાવ્યાં છે. તેણે વિનાશની જેટલી સગવડ ઊભી કરી છે એટલી તકો વિકાસ માટે રાખી નથી. એટલે જ ભય રહે છે કે પોતાનું જ ખૂન કરવા માણસ મશીનને તો છરી નહીં આપે ને !

આખી પૃથ્વીમાંથી માણસનો છેદ ઉડાડવાનું કાવતરું મશીન કરે તો એમ થવા દેવાનું છે? પૃથ્વી મનુષ્યહીન  થાય અને મશીન પૃથ્વીનું સંચાલન કરે એને માટે આ પૃથ્વી હજારો હજારો વર્ષથી ફરી રહી છે? જેને લીધે પૃથ્વીને તેનાં હોવાનો અર્થ મળ્યો, તે મનુષ્ય હવે મશીનને, પોતાને બદલે મૂકશે? એ યોગ્ય છે? આમ તો આ બધું જ મનુષ્યે કર્યું છે. મશીનને પોતાને બદલે પ્રમોટ કરવાનું તેને કઇ રીતે હિતકારક લાગ્યું તે નથી સમજાતું. મશીનને કેટલી હદે પ્રમોટ કરવાં એનો વિવેક દાખવવાનું મનુષ્યને સૂઝ્યું જ નહીં હોય, શું? માણસની જગ્યાએ ઠેર ઠેર રોબોટ્સ ગોઠવાઈ રહ્યાં છે, એ જ્યાં જરૂરી હોય ત્યાં ભલે હોય, પણ તે મનુષ્યને જ નામશેષ કરી દે તો તેટલી છૂટ મશીનને આપવા જેવી ખરી? વારુ, જ્યાં કરોડો શિક્ષિત બેકારો ભારતમાં વસતા હોય, ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મશીનો વધારવાનો ઉદ્યમ કરવા જેવો ખરો? આમ તો સમસ્યાઓના ઉકેલ માટે જ મનુષ્યે મશીનોનાં ઉપયોગનું પ્રમાણ વધાર્યું. હવે મશીનોનાં વધવાથી મનુષ્યનું જ અસ્તિત્વ જોખમમાં મુકાય એવી સ્થિતિ સર્જાતી હોય તો ક્યાંક અટકવું કે વિકાસની આંધળી દોટ ચાલુ રાખવી એ પ્રશ્ન છે. કોઈ પણ સંજોગોમાં મશીનોને માણસ પર હાવિ થવા ન દેવાય. એ ખરું કે આ સ્થિતિ પણ માણસે જ સર્જી છે, પણ માણસ હશે તો જીવંતતાની અનુભૂતિય હશે, બાકી, મશીનો જ પૃથ્વી પર છવાયેલાં રહેવાનાં હોય તો પૃથ્વીને ટકવાનું કયું કારણ હશે તે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2023

Loading

10 March 2023 Vipool Kalyani
← આ સમાજ રોગીષ્ટ છે (3) 
ખાનગી શાળાઓ સરકારી શાળાઓથી ચઢિયાતી છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved