Opinion Magazine
Number of visits: 9446548
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને કેવું ભારત જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2019

વન નેશન વન ઈલેકશનની માગણી આમ તો બહુ જૂની છે. આમાં જનસંઘ/બી.જે.પી. અગ્રેસર છે અને તેનું કારણ એ છે કે સમવાય ભારતમાં સમવાય ભારતના પ્રશ્નો હોય છે અને તે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓને પ્રભાવિત કરતા હોય છે, જે બી.જે.પી. સામે રાજકીય પ્રતિકૂળતા પેદા કરે છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિશેષ સ્થાન મળવું જોઈએ, કે સરકારી અથવા ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં મરાઠીઓને પ્રાથમિકતા આપવી જોઈએ, કે રાજ્યના પછાત વિસ્તારોનો ઝડપી વિકાસ કરવા વિકાસ બોર્ડ મળવાં જોઈએ, કે શેરડી ઉત્પાદન માટે ખાંડ કારખાનાઓ વિશેની નીતિ બદલવી જોઈએ, કે પછી મરાઠાઓને કે બીજી કોમોને મળવી જોઈતી કે ન મળવી જોઈતી અનામતની જોગવાઈ વગેરે પ્રશ્નો ખાસ મહારાષ્ટ્રના છે અને મહારાષ્ટ્રના રાજકારણને પ્રભાવિત કરે છે. આવું જ અન્ય રાજ્યોનું છે. દરેક રાજ્યોનાં પોતાના ખાસ પ્રકારના પ્રશ્નો હોય છે અને તે જે તે રાજ્યનાં સંસદીય રાજકારણને પ્રભાવિત કરે છે.

કેટલાક રાજકીય પક્ષો તો રાજ્યના પ્રશ્નો હાથ ધરવા માટે જ રચાયા છે. એનો અર્થ એવો નથી કે પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતા જ નથી. કેટલાક ધરાવે છે તો કેટલાક નથી પણ ધરાવતા. પાછળથી આવા પ્રાદેશિક પક્ષો બાપીકી જાગીર જેવા બની ગયા છે એ વાત પણ સાચી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગમતો શબ્દપ્રયોગ વાપરીએ તો તેમના વહાલા ફેડરલ ઇન્ડિયામાં ફેડરલ ઈશ્યુઝ છે અને તેને વાચા આપવા માટે ફેડરલ ઇન્ડિયામાં પ્રાદેશિક પક્ષો છે, જેને તમે ફેડરલ પાર્ટીઝ પણ કહી શકો. હવે બોલો, તમને એક સુજ્ઞ નાગરિક તરીકે આની સામે વાંધો છે? વાંધો હોવો જોઈએ? અભિપ્રાય બનાવતા પહેલાં નીરક્ષીર વિવેક કરજો.

આની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે કારણ કે તેઓ દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિંદુઓને ન્યાય કે અન્યાયનું રાજકારણ કરે છે અને તેમાં પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે. યાદ રહે, પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે, પ્રાદેશિક પક્ષો તો તેનું પરિણામ માત્ર છે. પ્રાદેશિક અસ્મિતાભાવ અને પ્રાદેશિક પ્રશ્નોને કારણે બી.જે.પી.ને દક્ષિણ ભારતમાં પ્રવેશવા મળતું નથી. પૂર્વ ભારતમાં પણ જોઈએ એવો પ્રવેશ મળતો નથી અને જ્યાં પ્રવેશ મળ્યો છે ત્યાં કોને ખબર ક્યારે પ્રાદેશિક પ્રશ્ન હાવી થઈ જાય અને હિંદુ રાષ્ટ્રવાદને ખો મળે! ગુજરાત જેવાં બે-ચાર રાજ્યો છોડી દો તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા પ્રબળ છે અને ત્યાંના કેટલાક સ્થાનિક પ્રાદેશિક પ્રશ્નો છે જે રાજ્યના રાજકારણને પ્રભાવિત કરે છે. મહારાષ્ટ્ર હિન્દુત્વનું જન્મદાતા છે, પણ ગુજરાત તેનું પોષણકર્તા (હિન્દુત્વની લેબોરેટરી) છે એનું કારણ જ એ છે કે ગુજરાતમાં પ્રાદેશિક અસ્મિતાભાવ નહીંવત્‌ છે. હિંદુ રાષ્ટ્રવાદને ખો દેનારાં પ્રાદેશિક પરિબળો ગુજરાતમાં નથી, પણ મહારાષ્ટ્રમાં છે જ્યાં હિંદુરાષ્ટ્રની કલ્પનાનો જન્મ થયો છે.

પ્રણવ બર્ધન નામના એક વિદ્વાન અર્થશાસ્ત્રીએ સરસ નિરીક્ષણ કર્યું છે કે ૨૦૧૪માં વડા પ્રધાને દેશની જનતાને વચન આપ્યું હતું કે તેઓ વિકાસનું ગુજરાત મોડેલ ભારતમાં લાગુ કરશે. તેઓ સત્તામાં આવ્યા પછી તેમણે ગુજરાતનું વિકાસનું મોડેલ તો લાગુ કર્યું નહીં, પરંતુ ગુજરાતનું તિરસ્કારનું મોડેલ દેશભરમાં લાગુ કર્યું. દરેક માણસ પાસે તિરસ્કાર કરવા માટે બીજો એક માણસ હોવો જોઈએ. એટલા બધા અણગમા પેદા કરો કે પ્રાદેશિક અસ્મિતાઓ, એષણાઓ અને માગણીઓ, સંઘર્ષો અને તેનું રાજકારણ ઢબુરાઈ જાય. એટલે તો પ્રસિદ્ધ ‘ટાઈમ’ મેગેઝીને તેના કવર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ડિવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા હતા.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભારતના બહુમતી મતદાતાઓએ તિરસ્કારના ગુજરાત મોડેલને માન્યતાની મહોર માર્યા પછી વન નેશન વન ઈલેકશન એ બીજો દાવ છે. યાદ રહે, ભારતના કુલ ૯૦ કરોડ મતદાતાઓમાંથી ૬૭ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું એટલે કે અંદાજે ૬૦ કરોડ મતદાતાઓએ મત આપ્યા હતા. એમાંથી ૩૭.૪ ટકા મત બી.જે.પી.ને મળ્યા છે એનો અર્થ એ થયો કે અંદાજે ૨૦ કરોડ મતદાતાઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા. આનો બીજો અર્થ એ થયો કે ૭૦ કરોડ મતદાતા સુધી હજુ પહોંચવાનું બાકી છે. હવે જો પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ એમને એમ અકબંધ ચાલુ રહે તો ૭૦ કરોડ મતદાતાઓ સુધી પહોંચવું કેવી રીતે? એ સ્થિતિમાં રાષ્ટ્રવાદનો દીપક બુઝાઈ ન જાય એ માટે તેની રખેવાળી કરવાનું અને કમસે કમ એક દુ:શ્મન પાળવાનું રાષ્ટ્રીય રાજકારણ વિકસી ન શકે. ભારતના ૭૦ કરોડ નાગરિક હજુ છેટા છે જેને રાષ્ટ્રના રખેવાળ બનાવવાના છે અને કમસેકમ દેશના એક દુ:શ્મનને પાળતા કરવાના છે. 

ભારતના નાગરિક તરીકે આપણે નક્કી કરવાનું છે કે પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, ફરિયાદો, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ જળવાઈ રહેવાં જોઈએ કે તેને કહેવાતા રાષ્ટ્રવાદની વેદીમાં હોમી દેવાં જોઈએ? રાષ્ટ્રવાદ એટલે હિંદુ રાષ્ટ્રવાદ એ ન ભૂલતા. તમને ફેડરલ ડિવાઈડ જોઈએ છે કે પછી સધર્મી-વિધર્મીના, આર્ય-અનાર્યના, દેશપ્રેમી-દેશદ્રોહીના નેશનલ ડિવાઈડ જોઈએ છે? વિચારી જુઓ તમારાં સંતાનોનું હિત કેવા ભારતમાં હશે. વિચારવાની શક્તિ ઓછી હોય તો કોઈ નીરક્ષીર વિવેક કરી શકનારાને પૂછી જુઓ કે કેવા પ્રકારનાં ભારતમાં તમારાં સંતાનોનું હિત જળવાવાનું છે? તમારે કેવું ભારત મૂકીને જવું જોઈએ? સમવાયી સંઘર્ષરત ભારત કે ધર્મના નામે આંતરિક સંઘર્ષ કરનારું ભારત?

બીજું, ફેડરલ ડિવાઈડ મોટા ભાગે હકીકતજન્ય હોય છે અને તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠવાડા પછાત છે તો તેનાં ભૌગોલિક-રાજકીય નક્કર કારણો છે. મહારાષ્ટ્રમાં ખાંડનું કે ગુજરાતમાં મગફળીનાતેલનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે તો તેનાં નક્કર કારણો છે. દક્ષિણનાં રાજ્યોને હિન્દી ભાષા સામે વાંધો છે અને તેને તે આર્ય સંસ્કૃતિના આક્રમણ તરીકે જોઈ રહ્યા છે તો તેની પાછળ નક્કર કારણો છે. જમ્મુ અને કાશ્મીરમાં ડોગરાઓ અને કાશ્મીરીઓ વચ્ચેના પ્રશ્નો છે તો તેની પાછળનાં ભૌગોલિક-ઐતિહાસિક નક્કર કારણો છે. આખા દેશ પર નજર કરી જુઓ, ભારતનાં દરેક રાજ્યોને ભૌગોલિક-ઐતિહાસિક-સામાજિક પ્રશ્નોનો વારસો મળ્યો છે. આ સોળ આના જેવી નક્કર વાસ્તવિકતાઓ છે. આની સામે દેશપ્રેમ, દેશનો રખેવાળ, દેશનો દુ:શ્મન, રાષ્ટ્રવાદ વગેરે શુદ્ધ ભાવનીક કલ્પનાઓ છે. પાકિસ્તાન સામે ભારત મેચ જીતે ત્યારે દેશપ્રેમનો ઉભરો આવે અને બિહારમાં દોઢસો બાળક મરે ત્યારે શરમનો છાંટો ન અનુભવે એવો આ પેદા કરવામાં આવેલો કૃત્રિમ દેશપ્રેમ છે.

તો એક બાજુ નક્કર પ્રાદેશિક વાસ્તવિકતાઓ છે, તેના પ્રશ્નો છે, તેની આસપાસના સંઘર્ષો છે, તેનું રાજકારણ છે અને બીજી બાજુ ખાસ પેદા કરવામાં આવેલ ભય, અસલામતી લાગણી, દુ:શ્મની, રખેવાળી, શૌર્યભાવ વગેરે છે. પહેલા પ્રકારના નક્કર પ્રાદેશિક રાજકીય પ્રશ્નો હિંદુરાષ્ટ્રવાદની વચ્ચે આવે છે. 

અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે બંધારણ ઘડવાવાળાઓએ ફેડરલ ઇન્ડિયાને કેમ આટલી બધી મોકળાશ આપી? શું તેઓ ઓછા દેશપ્રેમી હતા? તેઓ રાષ્ટ્રવાદી નહોતા? તેમને રાષ્ટ્રની ચિંતા નહોતી? કોઈ એવો સવાલ ઉપસ્થિત કરે કે વન નેશન વન ઈલેકશન કઈ રીતે રાજ્યોના પ્રશ્નોને ગૂંગળાવનારા છે? અન્ય રાજકીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો પ્રાદેશિક પ્રશ્ને ચૂંટણી લડી શકે છે. તેમને કોઈ રોકવાનું નથી. આમ વિચારવું એ નાગરિકોનું ભોળપણ છે. બંધારણ ઘડનારા વડીલોના શાણપણ વિષે અને નાગરિકોના ભોળપણ વિષે વધુ ચર્ચા આવતા અઠવાડિયે.

20 જૂન 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2019

Loading

23 June 2019 admin
← માનો યા ના માનો – પ્લાસ્ટિકનો કચરો એ જ શાળા શિક્ષણના અભ્યાસનું શુલ્ક!
આઝાદ દેશનો એક કાળો દિવસ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved