Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના યુગમાં બાપુ

લેખક : ડૉ. સુદર્શન આયંગર  • અનુવાદક : આશા બૂચ|Gandhiana|4 November 2022

(પ્રસિદ્ધ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા India@75ની ઉજવણીના ભાગ રૂપે આયોજિત એક ઇન્ટરનેટ આધારિત અનૌપચારિક સભામાં ડૉ. સુદર્શન આયંગરે આપેલ વક્તવ્ય ઇંગ્લિશમાં લિપિબદ્ધ થયેલ, જે લેખકની અનુમતિ મેળવીને ‘ઓપિનિયન’ના વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત)

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં કહેલું કે કોઈ પણ કાર્ય જો તેમનાથી થઇ શકે તો બીજા કોઈ પણ એ કાર્ય જરૂર કરી શકે. ખુદ એક બાળક પણ એ અમલમાં મૂકી શકે. આ સંદર્ભમાં આજે આપણે બાપુને કઈ દૃષ્ટિથી જોઈ શકીએ?

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર અને વિદ્વાન ગોપાલકૃષ્ણ ગાંધીએ જણાવ્યું છે કે ગાંધી કેટલાક લોકો માટે અડચણ રૂપ હતા. કદાચ વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો માટે તેઓ પ્રતિકૂળ હોઈ શકે. ગાંધીજી શા માટે ખાસ કરીને યુવા પેઢી માટે અગવડભર્યા લાગે છે? તેઓ અડચણ રૂપ કદાચ એટલા માટે હોઈ શકે કે જ્યારે તેમણે 58-59 વર્ષની વયે આત્મકથા લખી, ત્યારે તેની પ્રસ્તાવનામાં દાવો કર્યો કે પોતાની જાતનું મૂલ્યાંકન કરતાં તેઓને પ્રતીતિ થઈ કે ઈશ્વર/સત્યની ખોજ હજુ અધૂરી છે, કેમ કે તેમના પ્રયાસોમાં ઊણપ રહી જવા પામી છે. જાતની આકારણી કરતાં ગાંધીજીએ તુલસીદાસના ભજનની કડી ટાંકી :

मो सम कौन कुटिल खल कामी |

जिन तनु दियो ताहि बिसरायो ऐसो निमकहरामी |

સામાન્ય રીતે આપણામાંના મોટા ભાગના લોકો જાતનું મૂલ્યાંકન કરવા માટે ઉપર કહ્યો તે માપદંડ વાપરતા ડરીએ છીએ. ગાંધી એ કરી શક્યા કેમ કે તેમણે જીવનની શરૂઆત બાળક મોહન તરીકે કરી. આપણે એ વ્યક્તિના મોહન, મોહનદાસ અને મહાત્મા એવા ત્રણ પાસાને સ્મરણમાં રાખીએ. આપણે માનવ સ્વરૂપ કૃષ્ણને ભગવાન સ્વરૂપે જોયા અને તેમનાં કર્મોને ‘લીલા’ તરીકે ઓળખવા માંડ્યા, એ રીતે આપણે ‘મોહન’ને પણ થોડા સમયમાં ભગવાન બનાવી દઈએ તેવો ભય છે! પરંતુ મોહનને પોતાના બાળપણથી માંડીને કરેલી યાત્રા બરાબર સમજાઈ હતી અને સતત આત્મપરીક્ષણ કરતા રહેવાથી તેમ જ સદાય સચેત રહેવાને પરિણામે તેઓ આપણા સહુના ‘બાપુ’ બન્યા. મારા મતે બાપુ સુંદર શબ્દ છે, કેમ કે એ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. બાપુ શબ્દ અંગત પ્રેમ સાથે ઉચ્ચારવામાં આવે છે. તેઓ સર્વે માટે ‘મારા પોતાના’ છે. તો બાપુ બનવા માટેનો મહાવરો તેઓ ‘મોહન’ હતા ત્યારથી  કરતા રહ્યા હતા. બાપુ – એક મુમુક્ષુ – મોક્ષના શોધક આમ તો બચપણથી શોધક રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેઓ સામાન્ય અર્થમાં જેને ધાર્મિક કહેવાય તેવા ધાર્મિક નહોતા. તેઓ ક્રિયાકાંડમાં નહોતા માનતા. ઊલટાનું હિન્દુ ધર્મનો પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિ જ્યારે તેમણે વાંચ્યો, ત્યારે તેઓ અજ્ઞેયવાદી થઇ ગયા. મુમુક્ષુ મોહનદાસે હિમાલયની કોઈ ગુફામાં જઈને એકાંતવાસ નહોતો સ્વીકાર્યો, પરંતુ તેઓ તો આ ‘દુન્યવી’ વ્યવહારોની તદ્દન મધ્યમાં રહ્યા અને તેમનું હૃદય અને મન સતત સત્યની શોધમાં વ્યસ્ત રહ્યું. જાણે તેઓ કબીરનો આ સંદેશ બરાબર સમજ્યા

माला फेरत जुग भया, फिरा न मन का फेर,

कर का मनका डार दे, मन का मनका फेर |

આ કડીઓનો અનુવાદ કરવો સરળ નથી અને હું એમ કરવા ધારતો પણ નથી. ભારતના લોકોને કબીરના દોહા અને બાપુના પ્રયાસોનું હાર્દ શું હતું તે સમજવા દો. આપણે છાપરે ચડીને પોકારીએ છીએ કે યુવાનોમાં જોમ અને જુસ્સો હોય છે અને આપણે તેમને રોકવા ન જોઈએ. એ આકાંક્ષા શું ચીજ છે? દરેક ભૌતિક વસ્તુઓ જે વ્યક્તિની પહોંચમાં હોય અને જલદીથી પ્રાપ્ત થઇ જાય તે મેળવવાની મહત્ત્વાકાંક્ષા. એ માટે મને સ્વતંત્રતાની ખેવના છે, સ્વચ્છંદી સ્વતંત્રતાની ઈચ્છા. દરેકને પોતાની પસંદગી પ્રમાણે ઇચ્છિત વસ્તુ મેળવવાની સ્વતંત્રતા હોવી જોઈએ, તે યોગ્ય છે. પરંતુ  વિવાદનો મુદ્દો એ વલણનો છે,  ‘એ મારી જિંદગી છે’ તમે તેમાં દખલ કરનાર કોણ? હું મારી જાતને ઈચ્છું તો ખતમ કરી નાખીશ, દુનિયાને ભડકે ઉડાડી દઈશ જો એ મને પસંદ ન પડે તો; મારે જે કરવું હોય તે કરીશ; એ મારી સ્વતંત્રતા છે અને તેમાં કોઈ મારા માર્ગમાં ન આવી શકે. હું ગમે તે ખરીદી શકું, મન ફાવે તેમ વર્તી શકું, હું જે ચાહે તે ખાઈ-પી શકું …….’

અહીં બાપુ કહે છે, સાંભળો, મેં આમાંનું કેટલુંક અજમાવી જોયેલું અને તે મને ફાયદાકારક ન લાગ્યું, કેમ કે ભૌતિક સિદ્ધિ વાંછનીય નથી, તે તમારી મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા પૂરતી મર્યાદિત હોવી જોઈએ. તેમણે એમ પણ કહેલું કે તેઓ કોઈ નવી વાત પ્રતિપાદિત નહોતા કરતા. આપણી સંસ્કૃતિનું સંચિત શાણપણ દરેક યુગમાં વહેતુ આવ્યું છે. બાપુ કદાચ કબીરના આ દોહાથી પરિચિત હશે.

गो-धन, गज-धन, वाजि-धन और रतन-धन खान,

जब आ जावे संतोष-धन, सब धन धूरि समान |

આ સંચિત શાણપણ આપણી પાસે સદીઓથી જળવાતું આવ્યું છે. શાસ્ત્રોમાં લખાયેલ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ આ રીતે થાય છે :

ईशावास्यम इदम् सरवम् यत्किंचित जगत्याम जगत |

त्येन त्यक्तेन भुंजिथा मा गृध, कस्यसविद धनम् |

ભગવાન બુદ્ધે પણ આ જ બોધ આપેલો. તેમણે કહ્યું, ‘સામાજિક’ અર્થવ્યવસ્થા કરુણા પર આધારિત હોવી જોઈએ. મોહનદાસ ગાંધીએ આ જ વાત 19મી સદીમાં દોહરાવી અને 20મી સદીમાં આપણને તેની યાદ અપાવે છે. અને છતાં આપણે બે-લગામ સ્વેચ્છાચારી સ્વતંત્રતા અને અમર્યાદ ભૌતિક સુખની કામના કરીએ છીએ.

આ કામનાઓને પોષવા આપણે આપણા જીવનની અંદર પડેલા દુ:શ્મનો નહીં પણ બાહ્ય તત્ત્વો જેવા કે જ્ઞાતિ, ધર્મ અને પંથના વાડાઓ જેવા દુ:શ્મનોને શોધીએ છીએ. મુસ્લિમોનો દોષ છે, એ લોકો આપણને આપણા લાભોથી વંચિત રાખે છે, દલિતો અને જનજાતિઓ આપણા ધનમાં ભાગ કેમ પડાવી જાય? એ લોકો કશું કામ કરતા નથી, તેમને ધન મેળવવાનો કશો અધિકાર નથી. તેમાં વળી પાકિસ્તાન અને ચીન આપણને આપણી કાર્યક્ષમતાની પૂર્તિ કરવામાં વિઘ્નરૂપ બને છે. આપણે જાતે જ ફ્રેન્કીનસ્ટીનનું સર્જન કર્યું છે. આપણે કદી આપણા હૃદયમાં ઝાંકીને નથી જોયું. આપણે કદી ‘મનના મણકા’ તરફ નજર નથી કરી. આપણે ‘કરના મણકા’માં રચ્યા રહીએ છીએ. આથી જ આપણે રામના મંદિર કે મસ્જિદ માટે લડીએ છીએ. આ જ ખરો મુદ્દો છે. શું વધુ મહત્ત્વનું છે? આ કોઈ નવી સમસ્યા નથી, આપણને ભૂતકાળમાં પણ તેની ચેતવણી મળી હતી. કબીરે પડકાર ફેંકેલો :

काकर पाथर जोड़ के मस्जिद दियो चिनाय |

ता चढि मुल्ला बांग दे क्या बहिरो हुआ खुदाय ||

पाहन पूजे हरि मिले तो मैं पुंजू पहाड | 

या ते या चाकी भली पिसी खाय संसा ||

કબીરે આપણને એ જમાનામાં કહેલું. આપણે શાંતિથી રહેતા શીખ્યા. કબીરમાં હિંમત હતી. મોહનદાસ ગાંધીમાં એવી જ હિંમત હતી. આથી જ તો 76 વર્ષની વયે બંગાળની ધરતી ઉપર એક માનવીના બનેલ લશ્કર એવા ગાંધી મુસ્લિમોને હિંદુઓ ઉપર અત્યાચાર કરવા બદલ સખત ઠપકો આપવા અને બિહારમાં હિંદુઓને મુસ્લિમો ઉપર જુલ્મ કરવા બદલ આકરો ઠપકો આપવા નીકળી પડ્યા. એક માનવીના આવા મક્કમ નિર્ધાર સાથેના પ્રયાસો જોઈને માઉન્ટબેટને કહેલું, ગાંધી એકલ વીરની માફક બંગાળમાં હિંસા સામે લડ્યા અને શાંતિ સ્થાપવામાં સફળ થયા, જ્યારે પંજાબમાં 55,000નું સૈન્ય શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયું. આ એ વિભૂતિ છે જેમણે પોતે આપેલી વ્યાખ્યા મુજબનું સ્વરાજ – સ્વ નિયંત્રણ હાંસલ કર્યું હતું. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થાય છે, પરંતુ ગાંધીજીના દૃષ્ટિકોણ મુજબની આઝાદી હાંસલ કરવાની હજુ બાકી છે. 15મી ઓગસ્ટ 1947ના દિને જ્યારે ગાંધીજીએ કહ્યું કે પોતે જે સ્વરાજ માટે લડ્યા હતા એ આ સ્વરાજ નથી, એટલે ત્યારે પણ સ્વરાજ આવવાનું બાકી હતું અને અત્યારે પણ બાકી છે. તેમણે કહેલું કે તેમના સ્વપ્નનું સ્વરાજ હજુ હવે આવશે. યુવાનોને સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોઈએ છે, તે શા કાજે? ધિક્કાર અને નફરત કરવા માટે? હું જો અન્યનો ધિક્કાર કે નફરત કરું તો હું કઈ રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત બનું? આપણું શાણપણ કહે છે :

यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति |

सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ||

જો હું સર્વ ભૂતોને મારામાં જોઈ શકું અને મારી જાતને જોઉં છું તેમ જ અન્યને જોઉં તો હું અન્યને કેવી રીતે ધિક્કારી શકું? બાપુ આ સમજ્યા અને તેને યથાર્થ કરવાની કોશિશ કરી. આ એમના સ્વપ્નનું વાસ્તવિક સ્વરાજ છે.

વર્તમાન સમયમાં બાપુ સમગ્ર માનવ જાત માટે કરેલ મુખ્ય ત્રણ પ્રદાન માટે સહુથી વધુ પ્રસ્તુત છે; એ ત્રણ વિભાવનાઓ છે રચનાત્મક કાર્ય, સત્યાગ્રહ અને વ્યક્તિગત સ્વરાજ. આમાંની છેલ્લી બાબતને આજે સહુથી વધુ અવગણવામાં આવી રહી છે કેમ કે એ આપણને અગવડતા ભરી લાગે છે. એનું કારણ એ છે કે મારે આજે ખૂબ ધન કમાવું છે, જલદીથી અને કોઈ પણ રીતે; કેમ કે મારે વધુ ને વધુ મોટું પગારનું પડીકું જોઈએ છે, મને જે મળે તેનાથી હું સંતુષ્ટ નથી. હું માનુ છું કે મને વધુ ધન મળવું જોઈએ. તમે વધુ ધનના અધિકારી છો તે શા કારણે? એ વધુ મેળવવા ખાતર અને કઇં પણ જતું ન કરવાના વલણને કારણે તમે આ વિચારો છો. મને કહેતાં અત્યંત શરમ આવે છે કે આજનો ભારતનો નાગરિક આ છે – ગૌરવમય ભારત, વિશ્વગુરુ ભારત. મેં જ્યારે કહેલું કે આપણે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી(CSR − સહિયારી સામાજિક જવબદારી)નો કાયદો ઘડવો જોઈએ ત્યારે મને એ કહેતાં ગ્લાનિ થયેલ. ભારત પહેલાં હતું અને હજુ આજે પણ મહાજનોનો દેશ છે કે જે પોતાની મિલકતને સમાજની મિલકત ગણે છે. બાપુને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ભારતમાં સ્ફૂર્યો તે માત્ર અહીંની મહાજનની પ્રણાલીને પ્રતાપે. હું આજના યુવાનોને કહેવા માંગુ છું કે આવી મહત્ત્વાકાંક્ષા સેવવા યોગ્ય છે. કેટલાક લોકોમાં એ છે, પણ તે પૂરતું નથી, કેમ કે મોટા ભાગના લોકોને મેળવવું છે, પણ આપવું કંઈ નથી. મને સરકાર કહે કે મારા નફાના 5% લોકોના ભલા માટે વાપરું એવું મારે નથી જોઈતું. સરકારને આપણને નફો કઈ રીતે થયો એ જાણવાની જરા પણ તમા નથી. તમે ગેરવ્યાજબી રીતો અપનાવો છતાં કોઈ પકડે પણ નહીં, દંડમાંથી મુક્તિ મળી ગઈ હોય અને તમે પ્રદૂષણ પણ કરી શકો, જ્યારે વ્યાજના દર સાધારણ હોય ત્યારે પણ તમે કરચોરી કરી શકો. ખ્રિસ્તી ધર્મની નૈતિકતાએ પરિવાર અને માનવ જાત માટે પ્રામાણિક સાધનો દ્વારા ધન કમાવાને માન્યતા આપી, પરંતુ પ્રામાણિક માધ્યમોની ભલામણ નહોતી કરી. આપણને CSRની જરૂર છે? જો દરેક નાગરિક એમ માને કે વ્યક્તિગત જવાબદારીનું કોઈ મહત્ત્વ નથી, તો સરકાર દ્વારા ફરજિયાત થયેલ CSRની જરૂર રહે.

બાપુએ આપણને બતાવી આપ્યું કે વ્યક્તિનું ચારિત્ર્ય ઘડવાથી મહાન પરિવર્તન લાવવા માટે કેવી રીતે પથ કંડારી શકાય. આજે માનવ જાતની આ સહુથી મોટી કટોકટી છે. હું શા માટે માનવ જાતની કટોકટી કહું છું? કારણકે ચારિત્ર્ય એ દરેક પ્રકારની સંવાદિતાનો પાયો છે.

વ્યક્તિગત સ્તરે ચારિત્ર્ય ઘડતર માટે સઘન પ્રયાસ કરવામાં ન આવે તો વ્યક્તિ જાત સાથે, સમાજ સાથે અને ધરતી-પ્રકૃતિ સાથે સંવાદિતા ન સાધી શકે. આપણા ગ્રંથોએ આપણને વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ સાથે અખંડિતતા અને સુમેળ સાધવા માર્ગદર્શન આપેલું છે. આપણે સાંભળીએ છીએ કે આજનો નાગરિક આંતરિક અસ્વસ્થતા અનુભવે છે. આ ચેતવણી છે; આંતરિક સંવાદિતાનો અભાવ સમાજને પણ છિન્નભિન્ન કરી નાખશે કે જે સૃષ્ટિ એટલે કે કુદરતને પણ અવળી અસર પહોંચાડશે કે જેની શરૂઆત થઈ ચૂકી જ છે.

યુદ્ધનો ઉકેલ માનવ જાતે શોધ્યો પણ તે અવિચારીપણે બળનો ઉપયોગ કરવો અથવા અણુશસ્ત્રોનું ઉન્મૂલન કરવામાં ભાળ્યો. દેખીતી હિંસા ક્રૂર બળથી કાબૂમાં લાવી શકાય, પરંતુ આપણા આર્થિક-સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓમાં માળખાકીય હિંસા પ્રબળ બની જાય. આપણે હાલમાં રાજકીય શક્તિના કેન્દ્રીકરણના સાક્ષી બની રહ્યા છીએ કે જે આર્થિક કેન્દ્રીકરણમાંથી બળ મેળવી રહ્યું છે. આ બંને વચ્ચેની સાંઠગાંઠ પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક માનસમાં દયાહીન શક્તિનો સંચાર કરે છે. શોષણ અને અન્યાય તેના પરિણામો છે. આપણે પોતાની જાતને બંધારણમાં આપેલ વચનોથી દૂર હઠતા જઈએ છીએ – સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને બંધુતા. કારણ કે આપણી આંતરિક શાંતિ અને સંવાદિતા ક્ષીણ થતી ચાલી છે.

આપણને દેશના યુવાનોની મહત્ત્વાકાંક્ષા સાથે ખીલવાડ કરવો છે. આપણે તેમને વચન આપ્યું છે કે અમે તમને એક ઊંચાઈ સુધી લઇ જઈશું. કઈ ઊંચાઈ? અમેરિકા જે ઊંચાઈ પર પહોંચ્યું છે તેના પર? એ સ્તર માટે આટલા ઝુરીએ છીએ? જો એવી ઉત્કંઠા જ્ઞાન, વિજ્ઞાન, અને આંતરિક વિકાસ માટેની હોય તો તે આવકાર્ય છે. પણ આતો ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને ઊંચા જીવનધોરણની ઘેલછા વિષે છે. એવી મહત્ત્વાકાંક્ષાઓ સામે ભાગ્ય જ કોઈ સવાલ ઉઠાવતું હોય છે. બાપુએ સતત એ વિષે વિના વિલંબ સવાલો ઉઠાવ્યા હોત. આ કારણસર બાપુ અડચણ રૂપ છે. અહીંથી સંઘર્ષ શરૂ થાય. એ સંસાધનોનો સંઘર્ષ છે. હું શાની સાથે લડાઈ કરું છું કે કયા ધર્મ કે જ્ઞાતિને બદનામ કરું છું; કેમ કે હું સત્તા મેળવવા સંસાધનોનો સંગ્રહ કરવા માગુ છું.

આ જ ખરી કટોકટી છે. હું વ્યક્તિગત સ્વરાજ માટે મથતો નથી. મારામાં આંતરિક સંવાદિતા છે, જે મારા ચારિત્ર્યની મજબૂતાઈમાંથી નીપજે છે. પણ કમભાગ્યે શિક્ષણનું એ એક માત્ર કાર્યક્ષેત્ર નથી – આ હકીકત હોવા છતાં 2020ની નવી શિક્ષણ નીતિ તેમાં પાર નથી ઉતરતી. અને જ્યારે વ્યક્તિ સતત ભૌતિક સાધનોનો તરસ્યો રહેતો હોય અને જ્યારે સમાજ માત્ર એ સંસાધનો પાછળ જ દોટ મૂકતો હોય ત્યારે ભૌગોલિક રાજનીતિ વિષયક રણસંગ્રામની સ્થિતિ સર્જાય છે. આપણે મર્યાદિત કુદરતી અને ભૌતિક સાધનોનો વિનાશ કરવાની હરીફાઈમાં ઉતર્યા છીએ. એ ક્યારે ય માનવીની અમર્યાદ વાંછનાની પૂર્તિ ન કરી શકે. પરિણામે આપણે સદંતર વિસંવાદિતા અનુભવીએ છીએ.

મોહન તેની બાલ્યાવસ્થાથી જ વચન, કર્મ, વર્તન અને જીવનમાં સત્યની શોધ માટે પોતાનું ચારિત્ર્ય ઘડતો આવેલો. સત્યના પથ ઉપર ચાલવાનું તેમને અહિંસા તરફ દોરી ગયું અને એને તેમણે પ્રેમનું બળ અથવા સત્યનું બળ નામ આપ્યું. આ પ્રેમનું બળ એ તેમનો સંદેશ છે અને જ્યારે હું મારામાં એ પ્રેમના બળનો સંચાર કરું છું ત્યારે હું कबीरा निर्मल हो जाना, तज कर मान गुमान | એવો બની જાઉં છું.

આપણા બધાનું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. જ્યારે આ આંતરિક યાત્રા શરૂ થાય ત્યારે ભૌતિક વસ્તુઓની ઝંખના સંકોચાતી જાય છે. હું આખી જિંદગી આ ચંપલ પહેરતો આવ્યો છું, મારે કોઈ રૂપકડા પગરખાંની જરૂર નથી. આ મારા પગની પૂરતી રક્ષા કરે છે. મને કોઈએ કશું કાર્ય કરતા રોક્યો નથી કે તે વિષે પરવા કરી નથી કેમ કે તેમાંના કેટલાક તો પગરખાં પહેરતા પણ નથી. મેં વીસ વર્ષથી ટેલ્કમ પાઉડર પણ નથી વાપર્યો. મહેરબાની કરીને આ સમજવા કોશિશ કરો. જ્યારે આપણે આપણી જરૂરિયાતો ઘટાડીએ ત્યારે અન્યને પોતાના તરફ આકર્ષી શકીએ. આપણો અન્ય સાથેનો સંઘર્ષ ઓછો થવા લાગે. જ્યારે કોઈ નિર્મળ થાય ત્યારે સર્વમાં પોતાની જાતને અને સર્વને પોતાનામાં જોતો થાય અને એટલે એ કોઈને નફરત ન કરે. બાપુએ હિન્દ સ્વરાજના 17માં પ્રકરણમાં કહ્યું કે તેઓ પ્રેમની શક્તિ તુલસીદાસ પાસેથી સમજ્યા

दया धर्म का मूल है, देह मूल अभिमान |

तुलसी दया न छांडिये जब लगी घट में प्राण ||

જ્યારે તમારામાં પ્રેમની પ્રખર લાગણી ઉભરાય ત્યારે તમે અન્ય માટે તમારી જિંદગી આપવા તૈયાર થઇ જાઓ.

મેં બાપુ આપણા સમયમાં એ વિષે આ સંદર્ભમાં એટલા માટે વાત કરી કે શાસ્ત્રીય નૃત્યના જગ વિખ્યાત કલાકાર પ્રતિભા પ્રહ્લાદે આપણેને સહુને બાપુ વિષે વિચારવા એકઠા કર્યા કારણ કે તેઓ માને છે કે બાપુની વિચારધારાઓ અને કર્યો આપણને આ ભયાનક પર્યાવરણીય અને માનવજાતિને સ્પર્શતી કટોકટીમાંથી ઊગારી શકે. કલા સંવાદિતા સર્જે છે અને તેમણે પૌરાણિક કથાઓને પસંદ કરવાને બદલે બાપુનાં જીવન મૂલ્યોને સંવાદિતાને રજૂ કરવા નૃત્યના રૂપમાં રજૂ કર્યા. આ જ સ્વતંત્રતાની ખરી ચાવી છે. ગાંધી મુક્ત થઇ ગયા. આપણે બાપુ નહીં બની શકીએ, બાપુ તેમ ઈચ્છત પણ નહીં. આપણે તેમણે જે મૂલ્યોને અમલમાં મુકવાની કોશિશ કરી અને ભલામણ કરી તેને આપણી આંતરસૂઝ મુજબ સમજીને એ પગલે ચાલીએ. જો આપણે એ કરી ન શકીએ તો બાપુ આપણે માટે અડચણ રૂપ છે. નહીં તો બાપુ આપણા સમયમાં ખુદ નાના બાળક માટે પણ અને આપણા સહુ માટે અનુસરવા સહેલા છે. 

e.mail : 71abuch@gmail.com

Loading

4 November 2022 Vipool Kalyani
← પંચાયતીરાજ, સત્તાનું વિકેન્દ્રીકરણ અને વાસ્તવ
સાહિત્યિક તાલીમ –   →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved