Opinion Magazine
Number of visits: 9448934
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક પ્રગતિનું ખર્ચ શું? કોના માટે અને કોના ભોગે?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|2 January 2024

નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૫

અર્થશાસ્ત્રમાંથી નૈતિકતા અદૃશ્ય થઈ ગઈ તેનું ત્રીજું પાસું એ છે કે આર્થિક પ્રગતિનું કેટલુંક ગંભીર ખર્ચ હોય છે એવો વિચાર જ અદૃશ્ય થઈ ગયો. મનુષ્યોએ હંમેશાં સારું નિર્માણ કરવા, ક્રાંતિઓ કરવા અને યુદ્ધો કરવા માટે વિનાશ વેર્યો છે એ તેનાં મુખ્ય ઉદાહરણો છે. આર્થિક પરિવર્તન પદ્ધતિની દૃષ્ટિએ હળવું રહ્યું છે પણ અસરની દૃષ્ટિએ ઓછું વિક્ષેપજનક નથી રહ્યું. સ્થિર અર્થતંત્ર તરફથી ગતિશીલ અર્થતંત્ર તરફ ૧૯મી સદીમાં જવાયું ત્યારે તેની સાથે તેનું નૈતિક ખર્ચ શું હશે તે વિચારનો જ જોરદાર ત્યાગ કરી દેવાયો.

કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્જલ્સ દ્વારા ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’માં આ બાબત બહુ સરસ રીતે કહેવાઈ છે : “ઉત્પાદનમાં સતત ક્રાંતિ આવતી જ રહે, કોઈ પણ વિક્ષેપ વિના તમામ સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર થતો જ રહે, સતત અનિશ્ચિતતા અને ઊથલપાથલ થતાં રહે …… તમામ નિશ્ચિત અને ઝડપથી થીજી ગયેલા સંબંધો ધોવાઈ જાય …. જે ઘન છે તે બધું જ ઓગળી જાય.”

ડંકન ફોલીએ લખ્યું છે કે, “એડમ સ્મિથના કથનનો નૈતિક તર્કદોષ એ છે કે તે આપણને જે પ્રત્યક્ષ અને ઠોસ દૂષણ છે તેને સ્વીકારવાનું કહે છે કે જેથી તેમાંથી જે પરોક્ષ અને અમૂર્ત ભલું છે તે નીપજે.” તેઓ જે સવાલ ઉઠાવે છે તે ટાળી શકાય તેમ નથી: શું સાધ્ય સાધનને વાજબી ઠરાવે છે?

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એ સ્વીકારવામાં આવે છે કે પ્રગતિની કિંમત હોય છે. પરંતુ લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ એમ કહેશે કે એ કિંમત ચૂકવવા યોગ્ય છે કારણ કે ભૂતકાળ કરતાં ભવિષ્ય સારું હશે. જો તેમનો ટીકાકાર એમ કહે કે સતત નવીનતમ સ્થિતિ સાથે ગોઠવણ કરવાનું ખર્ચ બાદ કરવામાં આવે તો તમે જુઓ કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જીવતા હતા તેના કરતાં આજે કેટલા બધા લોકો વધુ સારી સ્થિતિમાં જીવે છે.

જેમ્સ મિલ દ્વારા ૧૯મી સદીમાં જે rajooaawt કરવામાં આવી તે અત્યારે પણ પ્રસ્તુત લાગે : “મુક્ત સાહસના અર્થતંત્રમાં તેની પોતાની મુસીબતો છે, પણ આપણે પ્રગતિ અને સાર્વજનિક લાભ માટે એ કિંમત ચૂકવીએ છીએ.” તેમના દીકરા જ્હોન સ્ટુઅર્ટ મિલ અન્ય લોકોના દર્દને નજરઅંદાજ કરવા માટે તૈયાર નહોતા. એટલે તેમણે તેમાં એક નવી વાત મૂકી. તેઓ કહે છે કે આ દર્દ કામચલાઉ જ છે અને જેમ જેમ સંપત્તિ વધતી જશે તેમ તેમ દર્દ હળવું થતું જશે. એનાથી વિરુદ્ધ હર્બર્ટ સ્પેન્સર દ્વારા તદ્દન ડાર્વિનવાદી વલણ અપનાવવામાં આવ્યું. તેમણે તો એમ કહ્યું કે ગરીબોના દર્દને લીધે જ સમાજનો વિકાસ થયો છે. ધનવાનોને વધુ સંપત્તિ આપીને અને ગરીબોને સજા કરીને જ સમાજનો વિકાસ થવાનું સતત ચાલુ રહે છે.

જ્હોન મેનાર્ડ કેઇન્સ પણ બંને પિતા-પુત્ર મિલ સાથે સંમત થાય છે. મૂડીવાદનું મુખ્ય મનોવૈજ્ઞાનિક તત્ત્વ છે પૈસા પ્રત્યેનો પ્રેમ. એ નૈતિક રીતે ખરાબ છે. પણ તે સાર્વજનિક ભલા માટેનું સાધન છે. તે વિપુલતાનું સર્જન કરીને આપણને વધુ ડહાપણભરી રીતે, સર્વસ્વીકૃત રીતે અને સારી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે. મૂડીવાદ તો વચગાળાનો તબક્કો છે એ બાબતે કેઇન્સ માર્ક્સ સાથે સંમત હતા.

મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ મૂડીવાદ પછીના યુગને ભાળી શક્યા નહિ. તેનું કારણ એ કે તેઓ અછતને કાયમી પરિસ્થિતિ સમજતા રહ્યા. લાયોનેલ રોબિન્સની વ્યાખ્યામાં મનુષ્યોની જરૂરિયાતોની કોઈ મર્યાદા જ નથી. અછતમાં ગાણિતિક ઉકેલો છે પણ નૈતિક ઉકેલો નથી. વળી, મૂડીવાદે એમ બતાવી દીધું કે વિકાસના એન્જિન તરીકે પોતે સામ્યવાદ કરતાં શ્રેષ્ઠ છે. તેનું કારણ એ કે કેન્દ્રીય આયોજન જરૂરી સામાજિક ગણિત કરી શકતું નથી. આવી દલીલ નોબેલ ઈનામ વિજેતા ફ્રેડરિક વોન હાયેક દ્વારા કરવામાં આવી છે.

પછી આવે છે જોસેફ શુમ્પિટર. તેમનાં મંતવ્યોનું એક મુખ્ય તારણ એ કે : “કોઈ પણ મંદીને કદી પણ નકામી જવા ન દો.” તેઓ તો સંપત્તિનું સર્જન “સર્જનાત્મક વિનાશ” દ્વારા કરવા માટેના જાણે કે દેવદૂત હતા. પ્રગતિ કંઈ આસાન ઉત્ક્રાંતિનો માર્ગ નથી; પણ એ તો અંધાધૂંધીથી જ આવે છે. તેમાં તો સતત મરણોન્મુખ મહાકાય આર્થિક સાહસોને સ્થાને ચાલાક નવાં સાહસો આવે છે અને સફળ રીતે વારસો સંભાળી લે છે.

આધુનિક જમાનાની સિલિકોન વેલીમાં આ ખ્યાલ આત્મસાત થયેલો છે. તેમાં “વિક્ષેપાત્મક નવપ્રવર્તન” જેવો જરા હળવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. શુમ્પિટર કહે છે કે સર્જનાત્મક વિનાશ દ્વારા મૂડીવાદી વ્યવસ્થા કામ કરતી રહે છે. તેમણે એમ પણ કહ્યું હોત કે તે જે મૂલ્યનો નાશ કરે છે તેના કરતાં વધુ મૂલ્યનું સર્જન કરે છે. ટેક્નોલોજીના માંધાતાઓ દ્વારા આવો જ જવાબ આપવામાં આવે છે. વધુ સચોટ રીતે કહીએ તો એમ કહેવાય કે તેઓ એમ કહે છે કે ઓટોમેશનથી હાલની ઘણી રોજગારી અને જીવન જીવવાની પદ્ધતિ નાશ પામશે, પરંતુ લાંબે ગાળે સૌ સારાં વાનાં થઈ રહેશે.

પ્રગતિના ખર્ચ વિશેના ખ્યાલમાં હાલની પેઢીને જે ખર્ચ સહન કરવાનું આવે છે તેની વાત છે. એમ ધારણા કરી લેવાઈ કે ભાવિ પેઢીઓને લાભ થશે. આર્થિક વિકાસ માટેની આપણી બેફામ દોટને લીધે ભાવિ પેઢીઓ પણ કિંમત ચૂકવશે એવો વિચાર તો કરવામાં આવ્યો જ નહિ. હજુ હમણાં જ એમ સ્વીકારવામાં આવ્યું કે આપણે આપણાં બાળકો અને તેમનાં પણ સંતાનોની ભાવિ પેઢીઓને ભોગે લાભ મેળવી રહ્યા છીએ.

પ્રગતિના નૈતિક ખર્ચ વિશે કોઈ ગંભીર ચર્ચા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં તમને મળતી નથી. વિશ્લેષણાત્મક ભાષા એવી તરતપાસને ઠંડી પાડી દે છે. એ તેને ટૂંકો ગાળો અથવા વચગાળાનો સમય કહીને ખૂણામાં હડસેલી દે છે. કાર્યક્ષમ બજાર અથવા ટેક્નોલોજીની પ્રગતિથી પ્રગતિનું ખર્ચ હંગામી રહેશે એમ કહેવામાં આવે છે.

વધુ ઉદાર સામાજિક કલ્પનાઓ કરતા અર્થશાસ્ત્રીઓએ એવી દલીલ કરી છે કે પ્રગતિનું ખર્ચ ઘટાડવા માટે જ વળતરનો સિદ્ધાંત શોધી કાઢવામાં આવ્યો છે. એટલે કે જેને પ્રગતિનું ખર્ચ સહન કરવું પડે તેને વળતર મળે. જેમને પ્રગતિથી લાભ થાય છે તેઓ જો જેમને નુકસાન થાય છે તેમને વળતર ચૂકવે તો વિલ્ફ્રેડ પેરેટો કહે છે તેમ બજાર કાર્યક્ષમ બની જાય. આમાં ખોટી રીતે એવી ધારણા કરવામાં આવી છે કે લાભ અને હાનિ એક જ નાણાકીય માપદંડથી માપી શકાય છે. આ વળતરને વ્યવહારમાં મૂકવા માટે જરૂરી રાજકારણની સમસ્યા પણ તે અમૂર્ત બનાવી દે છે.

ભાગ્યે જ મળતા કેટલાક અપવાદો સિવાય, જે લોકો એમ સ્વીકારે છે કે પ્રગતિની કિંમત હોય છે જ તેઓ એવો સવાલ પછી પૂછે છે કે પ્રગતિ શાને કાજે છે? એ શું આપણને અથવા આપણા આવનારા અનુગામીઓને વધુ સમૃદ્ધ, સુખી કે વધુ સારા બનાવવા માટે છે? અને આ બધા વચ્ચે શો સંબંધ છે?

(ક્રમશ:)
સ્રોત: 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics? 
પ્રકરણ : Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 January 2024 Vipool Kalyani
← બે ગઝલ
ચૂંટણી વરસે એક પ્રગટ મંથન : ધર્મ વિ. રિલિજિયન →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved